Sambhavami Yuge Yuge - 36 books and stories free download online pdf in Gujarati

સંભવામિ યુગે યુગે ભાગ ૩૬

ભાગ ૩૬

રામેશ્વર પાયલને એમ જોઈ રહ્યો જાણે ભૂત જોયું હોય.

રામેશ્વરે કહ્યું, “હમણાં તો તમે આવીને ગયા.”

 પાયલે કહ્યું, “ના, હું તો અત્યારે આવી રહી છું.”

 રામેશ્વરે પૂછ્યું, “તો પહેલાં કોણ આવીને ગયું?”

 બાબાએ કહ્યું, “શક્ય છે, જટાશંકર આવ્યો હશે કોઈ માહિતી લેવા. તેણે શું કર્યું અહીં આવીને?” રામેશ્વરે શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત કરી.

પાયલે કહ્યું, “સોમને લોથલ પહેલીવાર હું જ લઈને ગઈ હતી.” 

રામેશ્વર જાણે પોતાને કોસી રહ્યો હોય તેમ બોલ્યો, “તેણે મને લોથલ વિષે પૂછ્યું, ત્યારે ધ્યાનમાં આવવું જોઈતું હતું કે તે પાયલ નથી.”

 બાબાએ કહ્યું, “દુઃખ કરવાનું કોઈ કારણ નથી, આ જટાશંકરનો ખેલ છે, એમાં ભલભલા ફસાઈ જાય છે. જે થવાનું હતું તે થઇ ગયું હવે આપણે લોથલ તરફ નીકળીએ.” 

રામેશ્વરે કહ્યું, “મને થોડો સમય આપો મારે થોડી તૈયારીઓ કરવી પડશે.” સૂર્ય પશ્ચિમ દિશા ભણી સરકી રહ્યો હતો અને થોડીવારમાં અદ્રશ્ય થવાનો હતો.

આ તરફ જટાશંકરે રામેશ્વરે કહેલી ગુફામાં પ્રવેશ કર્યો, ત્યારે દૂર ઊંડેથી સોમનો મંત્ર ઉચ્ચારવાનો અવાજ આવી રહ્યો હતો. ગુફામાં ઊંડે સુધી ગયા પછી પણ ફક્ત અવાજ આવી રહ્યો હતો, પણ સોમ દેખાતો નહોતો. બીજા પાંચ છ કિલોમીટર દૂર સુધી ચાલ્યા પછી સોમ દેખાયો તેનો ચેહરો અગ્નિના પ્રકાશથી તગતગી રહ્યો હતો. તેની બાજુમાં ત્રણ વ્યક્તિ બંધાયેલા હતા.

 સોમે તેમના કપાળ પર તિલક કર્યું ત્યારે તેમાંથી એક બોલ્યો, “તમે શું કરવાના છો અમારી સાથે?”

 સોમે કહ્યું, “તમારો બળી આપવાનો છું, હું તમને મુક્તિ આપીશ જેથી આવતા જન્મે તમને પૈસાદાર કુટુંબમાં જન્મ મળે તે વખતે તમે જન્મથી જ શ્રીમંત હશો. આ જન્મ જેવો ઢસરડો નહિ કરવો પડે.” તે વ્યક્તિમાંથી એક રડવા લાગ્યો અને કહ્યું, “ મને છોડી દો મારો પરિવાર મારા વગર શું કરશે?”

 સોમ જોરજોથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ગભરાટના માર્યા ત્રણેય જણા ધ્રુજવા લાગ્યા.અને સોમ જંગલી પશુની જેમ મોઢું ઉપર કરીને હસતો રહ્યો. સોમનું આ રૂપ જોઈને એક ક્ષણ માટે જટાશંકર પણ ધ્રુજી ઉઠ્યો પછી તેણે પોતાની પોટલીમાંથી એક દ્રવ્ય કાઢ્યું અને સોમની તરફ ઉછાળ્યું પણ તે સોમ સુધી પહોંચવાને બદલે એક અદ્રશ્ય દીવાલ સાથે અથડાયું. કોઈ જાતની અસર વગર તે જમીન પર પડ્યું.

પોતાના વારને આવી રીતે નિષ્ક્રિય થતો જોઈને જટાશંકર અકળાઈ ઉઠ્યો, તે એક પછી એક વાર કરતો ગયો પણ વ્યર્થ! કોઈ અભેદ્ય દીવાલ રચી દીધી હતી સોમે. સોમ જટાશંકર સામે જોઈને જોરજોરથી હસવા લાગ્યો.

આ દ્રશ્ય પાછળથી પાયલ, રામેશ્વર અને બાબા પણ જોઈ રહ્યા હતા.

સોમે કહ્યું, “જટાશંકર, મારી મરજી વગર તારો મંત્ર કે તું આ દીવાલ પાર નહિ કરી શકો.” પછી સોમ એક મંત્ર બોલ્યો અને પોતાના હાથમાંની તલવાર તે ત્રણમાંથી એક વ્યક્તિ પર ચલાવી અને તેનું મસ્તક ઉછળીને દૂર પડ્યું અને તેના રક્તની ધાર અગ્નિકુંડમાં પડી , જ્વાળાઓ હજી ભભૂકી ઉઠી.પોતાની સાથેના વ્યક્તિની આ દશા જોઈને તે બંને ચીસો પાડવા લાગ્યા. સોમના ચેહરા પર ક્રૂર ભાવ હતા. સોમે આંખો લાલ કરીને તેમની તરફ જોયું એટલે તે ચૂપ થઇ ગયા. 

પાયલે આ દ્રશ્ય જોઈને પોતાની આંખો બંધ કરી લીધી. તેનું આ રૂપ તે જોઈ ન શકી તેને સોમ પ્રત્યે ઘૃણા થઇ આવી, તે દોડીને તેનો કોલર પકડીને પૂછવા માંગતી હતી કે આ શું કરી રહ્યો છે? પણ રામેશ્વરે તેનો હાથ મજબુતીથી પકડ્યો હતો.

 પાયલની સાથે રામેશ્વર પણ સોમનું આ રૂપ જોઈને ધ્રુજી ઉઠ્યો. તેને ખબર ન પડી કે સોમને આ શું થઇ ગયું? જે વ્યક્તિ ભૂલથી પોતાના હાથે એક વ્યક્તિની હત્યા થયેલી જોઈને કેટલાય દિવસ સુધી આઘાતમાં રહ્યો અને સુઈ ન શક્યો તે વ્યક્તિ આજે કેટલી ક્રુરતાથી હત્યાઓ કરી રહ્યો હતો અને તેને બળીનું નામ આપી રહ્યો હતો. તે મનોમન વિચારવા લાગ્યો, “મેં આજ સુધી આવી વ્યક્તિની રક્ષા કરી હતી, આ દ્રશ્ય જોવા માટે?”

 સોમે એક પછી એક બીજા બંનેનો બળી આપી દીધો અને તેની સામે ફરી સુમાલી પ્રગટ થયો અને પૂછ્યું, “કેમ આટલી જલ્દી છે વિધિ પૂર્ણ કરવાની?

 તેણે કહ્યું, “જો આમ નહિ કરું તો જટાશંકરે મને મારી નાખશે.” 

સુમાલીએ હાસ્ય કર્યું અને કહ્યું, “કોની તાકાત છે કે રાવણને મારી શકે. તને કહી દઉં પુત્ર તે ઇચ્છયું હતું તેથી તારું મૃત્યુ થયું હતું, બાકી તે વનવાસી રામની તાકાત નહોતી કે તને મારી શકે પણ તું છેલ્લે છેલ્લે શોક્ગ્રસ્ત થઇ ગયો હતો અને તું જે કર્મોને પાપ માનતો હતો તેના ફળ રૂપે મૃત્યુ ચાહતો હતો તેથી તારું મૃત્યુ શક્ય બન્યું. તું આ ધરા પરનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતો અને આજે પણ છે અને આજે તું રાવણના પદનો હકદાર બન્યો છે અને સાથે આ તલવારનો પણ.”એમ કહી તેણે સોમના માથે હાથ મુક્યો.

જાણે શક્તિપાત થયો હોય તેમ પૂર્ણ ગુફા પ્રકશિત થઇ ગઈ અને એક શક્તિનો સ્રોત સોમના શરીરમાં સમાતો રહ્યો. થોડીવાર પછી સુમાલી ત્યાં ન હતો. ફક્ત સોમ હતો. સોમ પોતાના ઢીંચણ પર જમીન પર બેસેલો હતો તે ઉભો થયો.

 તે હવે પોતાના શરીરમાં શક્તિ અનુભવી રહ્યો હતો. તેણે પોતાનો હાથ એક દીવાલ પર પછાડ્યો એટલે તે દીવાલમાં તિરાડો પડી ગઈ. તેણે પોતાના હાથથી એક મુદ્રા બનાવી અને એક દિશામાં હાથ ઉઠાવ્યા તો ત્યાં એક પ્રકાશિત અગ્નિવર્તુળ ચમકવા લાગ્યું.

 તેણે બૂમ પાડીને જટાશંકરને કહ્યું, “તારે મારી સાથે લડવું છે? તો ચાલ આવ મારી પાછળ.” એમ કહીને તેની અને જટાશંકર વચ્ચે જે અદ્રશ્ય દીવાલ હતી તેના તરફ આંગળી કરી અને મંત્ર બોલ્યો એટલે તે દીવાલ હટી ગઈ.

જટાશંકર સોમ સુધી પહોંચે તે પહેલા સોમ તે પ્રકાશિત અગ્નિવર્તુળમાં કૂદી ગયો હતો તેની પાછળ જટાશંકર તેમાં કૂદ્યો. પાયલ હાથ છોડાવીને તે અગ્નિવર્તુળમાં કૂદી અને તેની પાછળ રામેશ્વર પણ કૂદ્યો. તે સાધુ તેમાં કૂદવા જતો હતો ત્યાં તેના કાનમાં શબ્દો પડ્યા, “સબૂર” એટલે તે તેમની પાછળ ન ગયો અને તે અગ્નિવર્તુળ ત્યાંથી અદ્રશ્ય થઇ ગયું.

ક્રમશ: