Ravanoham Part 8 books and stories free download online pdf in Gujarati

રાવણોહ્મ - ભાગ ૮

ભાગ 

કાદરભાઈએ કહ્યું, “સરને ફોલો કરજે તેમને કદાચ આપણી મદદની જરૂર પડે. જે ગાડીમાં તું સરને અહીં લાવ્યો તે તું ત્યાં જ મૂકી દે. હમણાં એક ગાડી ત્યાં પહોંચશે, તેમાં સાગર અને વિમલ છે, તેમને પણ સાથે લઇ જા.” એટલું કહીને કાદરભાઈએ ફોન કટ કર્યો.

 

થોડીવારમાં ત્યાં સાગર અને વિમલ એક ગાડી લઈને આવ્યા, જસવંત તે ગાડીમાં બેસી ગયો અને કહ્યું, “ગોવા હાઇવે પર લઇ લે.”

 

સાગરે પૂછ્યું, “કામ શું છે?” 

 

જસવંતે કહ્યું, “સોમ સરને બેક અપ આપવાનું."

 

સાગરે કહ્યું, “શું તને લાગી રહ્યું છે કે તેમને બેક અપની જરૂર પડશે? તેઓ તો પોતે વેન મેન આર્મી છે.”

 

જસવંતે કહ્યું, “મને પણ નથી લાગતું કે તેમને આપણા સપોર્ટની જરૂર પડશે, પણ કાદરભાઈએ કહ્યું છે કદાચ જરૂર પડે.”

 

પછી કોઈએ પ્રશ્ન ન કર્યો. પાંચ કલાકને અંતે ટ્રેકરે બતાવ્યું કે ગાડી કાચે રસ્તે વળી ગઈ છે એટલે સાગરે ગાડી તે રસ્તા પર લીધી. આગળ જઈને જોયું તો કોઈ બીજી જ ગાડી ત્યાં ઉભી હતી અને ટ્રેકર તે ગાડી પર લગાવેલું હતું.

 

જસવંતે માથું ધુણાવ્યું અને કહ્યું, “સોમ સર એમને એમ ગુરુ નથી કહેવાતા.”

 

  જસવંત ભૂતકાળમાં સરી પડ્યો. તે દસ વર્ષનો હતો ત્યારે તે રસ્તા પર બાજીગરીના ખેલ કરતો હતો. તે વખતે સોમની નજર તેના પર પડી હતી અને સોમે તેને કાદરભાઈને સોંપ્યો હતો અને તેને તાંત્રિક બનાવ્યો. કાદરભાઈ પાસે તેના જેવા બીજા પંદર યુવાનો હતા, જે તાંત્રિકવિધિનું કામ કરતા હતા. કાદરભાઈનું ગ્રુપ સોમના ઈશારે કામ કરતુ હતું. તેઓ જ્યાં પણ કાળી શક્તિઓનો પ્રભાવ દેખાતો ત્યાં જઈને તાંત્રિક વિધિ કરીને  તેને દૂર કરતા.

 

કાદરભાઈ આખા ગ્રુપના ગુરુ હતા તો સોમ સર ગુરુના પણ ગુરુ હતા. સોમે તેને અને બાકી યુવાનોને ગુપ્તવિદ્યાઓ અને ઇંદ્રજાલની રચના વિષે શિક્ષા આપી હતી. કાદરભાઈ અને તેમનું ગ્રુપ ખુબ ગુપ્તતાથી કામ કરતુ, જેને ફાયદો થતો તેને ખબર પણ ન પડતી કે કામ કોણે કર્યું. આખા ગ્રુપનો એકજ સિદ્ધાંત હતો, નિસ્વાર્થ સેવા. પૈસા તો તેમને જે નોકરી કરતા તેમાંથી મળી જતા, બાકી સમયમાં સેવાનું કામ કરતા. જસવંતને લાગ્યું હતું કે આજે મોકો છે સરની મદદ કરવાનો પણ બાજી હાથમાંથી સરી ગઈ હતી.

 

  સમાધિમાં રહેલા નર્મદાશંકરે આંખો ખોલી. તે ચિંતિત હતો, તેણે માતાને આવાહન કર્યું. માતાના આવ્યા પછી કહ્યું, “માતા, મને ખબર નથી પડતી હું કોઈ પણ ચાલ શરુ કરું, તેના પહેલા સોમને અહીં કોણે બોલાવ્યો? મારી લગભગ બધા પર નજર છે પણ કોઈ એક વ્યક્તિ છે જે મારી નજરથી બહાર રહી જાય છે, હું તેના સુધી પહોંચી શકતો નથી, આપ તેનો ખુલાસો કરો.”

 

,માતાએ કહ્યું, “હા, એક વ્યકતિ છે ખરી! પણ તે વિષે હું પણ તારા જેટલી જ અજાણ છું, ફક્ત એટલું કહી શકું કે તે મારાથી પણ મોટી શક્તિ છે, જેણે સોમને અહીં બોલાવ્યો છે. હવે તારો નિર્ણય શું છે?”

 

નર્મદાશંકરે કહ્યું, “હવે આવે છે તો આવવા દો, તેને મારી શક્તિનો પરચો તો બતાવવો પડશે.”

 

માતાએ કહ્યું, “મેં તને શું કહ્યું તે સાંભળ્યું નહિ! સોમને બોલાવનાર શક્તિ મારાથી પણ મોટી છે એટલે અત્યારે યોગ્ય સમય નથી.”

 

નર્મદાશંકરે કહ્યું, “મેં શક્તિનો પરચો આપવાની વાત કરી છે યુદ્ધની નહિ અને હું જટાશંકર જેવા અતિઆત્મવિશ્વાસમાં નથી રાચતો. જ્યાં સુધી તે મદદગાર શક્તિની ઓળખ નહિ થાય, ત્યાં સુધી હું સોમની સામે નહિ જાઉં, પણ મારી શક્તિનો પરિચય તો અત્યારે આપીને જ રહીશ.”

 

  એટલું કહીને તે અટપટા મંત્રોનું ઉચ્ચારણ કરતો રહ્યો, લગભગ એક કલાક પછી ત્યાં એક પ્રકાશિત ઘડો ઉત્પન્ન થયો પછી તે એક પછી એક મંત્રો બોલીને જુદી જુદી શક્તિઓને તે ઘડામાં ભરતો ગયો. પછી તેણે માતાની મૂર્તિ તે ઘડામાં મૂકી અને એક મંત્ર બોલીને ઘડો અદ્રશ્ય કરી દીધો.

 

નર્મદાશંકરના મંત્રજાપ શરુ જ હતા. તે મંત્રો બોલતો ગયો અને ત્યાં રાખેલા જુદા જુદા પૂતળાંઓના હૃદયસ્થાન પર હાથ રાખતો ગયો એટલે એક પછી એક બધી જ મૂર્તિઓ જીવંત થઇ ગઈ. થોડા સમય પછી ત્યાં સો મૂર્તિઓ જીવંત થઇ ગઈ હતી.

 

નર્મદાશંકરે કહ્યું, “મારા શુરવીરો રાવણ અહીં આવી રહ્યો છે, તે અહીંથી જીવંત જવો ન જોઈએ તેનો વધ કરો.”

 

મુર્તિઓએ હુંકાર ભર્યો અને એક પછી એક ગુફામાંથી અદ્રશ્ય થઇ ગઈ. નર્મદાશંકર શાંતિથી તે દ્રશ્ય જોઈ રહ્યો હતો પણ તેના ચેહરા પર કોઈ જાતના ભાવ ન હતા.

 

 

   બીજી તરફ સોમ ચાલતો ચાલતો વડ નજીક પહોંચ્યો. અહીં સુધી ગાડી પહોંચી શકવાની ન હોવાથી, ગાડી તેણે જંગલની તળેટીમાં ઉભી રાખી હતી. વડની નજીક કોઈ પણ ઝૂંપડી ન હોવાથી તે અસમંજસમાં પડી ગયો. હાથમાં રહેલી બેગમાંથી તેણે એક પોટલી કાઢી અને મંત્રોનું રટણ શરુ કર્યું અને ધીમે ધીમે તેમનું દ્રવ્ય હવામાં ઉડાડવા લાગ્યો. હવામાં તે દ્રવ્યનો રંગ બદલાઈ ગયો એટલે સોમ સમજી ગયો કે અહીં કાળીશક્તિઓનો વાસ છે.

 

  તે જ સમયે અચાનક પાછળથી તેની પીઠ પર વાર થયો. અચાનક વાર થવાથી સોમ ગડથોલિયું ખાઈ ગયો પણ સ્પ્રિંગ લાગેલા રબરના ઢીંગલાની જેમ ઉછળીને ઉભો થઇ ગયો અને મંત્ર બોલીને માથું ધુણાવ્યું એટલે તેનું રૂપ બદલાઈ ગયું.

 

હવે તેની ઊંચાઈ છ ઇંચ જેટલી વધી ગઈ હતી અને ભુજાઓ ફૂલી ગઈ હતી, એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ગદા આવી ગઈ હતી. પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. થોડી ક્ષણો વીતી ત્યાં ફરી તેની પીઠ પર વાર થયો, પણ આ વખતે સાવધ હોવાથી તે પડ્યો નહિ તેણે પાછળ જોયા વગર જ તલવાર પાછળની તરફ વીંઝી એટલે એક હાથ કપાઈને પડ્યો. તેણે પાછળની તરફ જોયું તો ત્યાં કોઈ નહોતું.

 

તેણે કપાયેલા હાથ તરફ જોયું, તે માટીનો હતો એટલે સમજી ગયો કે કોઈએ મૂર્તિ જીવંત કરી છે અને તે મૂર્તિ તેના ઉપર વાર કરી રહી છે. હવે તે સાવધાની પૂર્વક બધી જગ્યાએ ફરવા લાગ્યો. તેણે મનમાં વિચાર કર્યો કે કાશ જસવંતને સાથે લાવ્યો હોત તો તે ઉપયોગી થઇ પડ્યો હોત.

 

તે ધીમા ધીમા સ્વરે મંત્ર બોલવા લાગ્યો એટલે તે આજુબાજુ સુરક્ષા કવચ ઉભું થવા લાગ્યું. એટલામાં એક વંટોળ ઉભું થયું અને દૂર સુધી ફેંકાઈ ગયો. સોમ ક્રોધિત થઇ ગયો તેણે ફરી મંત્રોનું રટણ શરૂ કર્યું અને તેના શરીરમાંથી જ્વાળાઓ નીકળવા લાગી અને આજુબાજુના વૃક્ષો સળગવા લાગ્યા. દૂરથી કોઈ જુએ તો એમ લાગે કે તે કોઈ અગ્નિમાનવ છે. ઘણીબધી ચીસો તેને સંભળાઈ. થોડીવારમાં આગ પર પાણી પાડવાનું શરુ થયું અને આગ બુઝાઈ ગઈ.

 

સોમે આગળ જઈને જોયું તો ત્યાં ઘણીબધી મૂર્તિઓ જમીન ઉપર પડી હતી અને બળીને કાળી પડી ગઈ હતી. પણ અચાનક બધી દિશાઓમાંથી તેના પર ગદાથી પ્રહાર થવા લાગ્યા. તે એક વાર રોકતો તો ત્રણ પ્રહાર તેના શરીર પર પડતા. તેણે પોતાની ગદા ઉપાડીને ગોળ ગોળ ફેરવવાનું શરુ કર્યું, પણ મૂર્તિઓ ઓછી થતી નહોતી.

સોમ તેના ઉપર થનારા પ્રહારોથી ત્રાસી ગયો. તેને ખબર જ પડતી ન હતી કે કઈ મૂર્તિ સાથે લડવું. તેનું શરીર જાણે પંચિંગ બેગ હોય તેમ તેના પર વાર થતા હતા. તે જે મૂર્તિ પર વાર કરતો તે પડતી અને ત્યાંથી બે મૂર્તિઓ ઉભી થતી હતી.