Ravanoham Part 14 books and stories free download online pdf in Gujarati

રાવણોહ્મ - ભાગ ૧૪

ભાગ ૧૪

વિક્રાંતે બ્રેક મારી અને ચરરર... જેવી ચિચિયારી પાડીને ગાડીના પૈડા સ્થિર થયા. આ તે જ જગ્યા હતી જેનું લોકેશન તેના પિતા સોમે કાદરભાઈને મોકલ્યું હતું. વિક્રાંતે આજુબાજુ નજર કરી, વાતાવરણમાં નીરવ શાંતિ હતી. ક્યાંક દુર પંખીઓનો કલબલાટ સંભળાઈ રહ્યો હતો.

 

તે કલબલાટને ખબર તે સંકેત માનીને જંગલમાં આગળ વધ્યો. તેની છઠ્ઠી ઇન્દ્રિયે આવું કરવા માટેની પ્રેરણા આપી હતી. થોડા સમય પછી તે વડ પાસે પહોંચી ગયો. અચાનક પંખીઓ જાણે શાંત થયા હોય તેમ કલબલાટ શમી ગયો અને ચારે તરફ શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું. વૃક્ષોના પાંદડા પણ જાણે અત્યારે શાંત રહેવા માગતા હોય તેમ સ્થિર થઇ ગયા.

 

વિક્રાંત સાવધાન થઇ ગયો અને ધીમે ધીમે તે સ્થળનું નિરીક્ષણ કરવા લાગ્યો. તેની નજર વૃક્ષના થડમાં થયેલા ચમકારા ઉપર ગઈ અને તે વૃક્ષ તરફ આગળ વધ્યો. સાવધાનીવશ તેણે પોતાના હાથમાં રિવોલ્વર રાખી હતી. તેણે નજીક જઈને જોયું તો તે વૃક્ષના થડમાં એક તીર ખૂંપેલું હતું અને અનાયાસે જ તે ચમક્યું હતું અને તેનો ચમકારો વિક્રાંતની આંખ સુધી પહોચ્યી હતો.

 

વિક્રાંતે પોતાના ખિસ્સામાંથી હેન્ડગ્લોવ્સ કાઢ્યા અને તે પહેરી લીધા. તેણે ધ્યાન આપ્યું હતું કે તે વૃક્ષ સાવ સુકાઈ ગયું હતું એટલે તે તીર વિષયુક્ત હશે એ નિશ્ચિત હતું. ગ્લોવ્સ પહેરીને તીર તેણે હાથમાં લીધું અને નિરીક્ષણ કરવા લાગ્યો. તે પાછલા એક વર્ષથી જુદા જુદા દેશોમાં ફરી રહ્યો હતો અને પ્રાચીનકાળની વસ્તુઓ અને શસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યો હતો.

 

તેમાં તે જુદી જુદી ધાતુઓની ઓળખાણ મેળવી ચુક્યો હતો. પીરીયોડીક ટેબલમાં ફક્ત એકસો અઢાર તત્વોનો સમાવેશ થયો છે, પણ આ એક વર્ષમાં તેની આ ભ્રમણા પડી ભાંગી હતી. તે ઓછામાં ઓછા દસ એવા તત્વોના સંપર્કમાં આવ્યો હતો જે પીરીયોડીક ટેબલમાં દર્જ ન હતા પણ તેમનું અસ્તિત્વ હતું.

 

આ તીર પણ એવું જ હતું, તેની ધાતુ પણ કંઈક જુદી હતી. તેણે પોતાની બેગમાંથી એક સ્ટરાઈલ કરેલી પોલીબેગ કાઢી અને તે તીર પોલીબેગના હવાલે કર્યું. ત્યારબાદ તે બધે જ ફરી વળ્યો. 

 

પૂર્ણ જગ્યામાં તેને વડ શંકાસ્પદ લાગ્યો એટલે તેણે તેનું સંપૂર્ણ ધ્યાન વડ તરફ આપ્યું અને તેને એક ગુપ્ત કળ મળી ગઈ જેના ધ્વારા વડ નીચેની ગુફામાં જઈ શકાતું હતું. ગુફાની અંદર સંપૂર્ણ રીતે અંધકારનું સામ્રાજ્ય વ્યાપ્ત હતું. વિક્રાંતે આંખો બંધ કરી અને અંદર જે કંઈ હતું તેને અનુભવવાનો પ્રયત્ન કર્યો.

 

થોડીવાર પછી તે નિર્ણય પર આવ્યો કે ત્યાં ઘણીબધી કાળીશક્તિઓ વાસ કરી રહી હતી, પણ અત્યારે તે જગ્યા તેનાથી મુક્ત છે અને હવે ત્યાં કશું જ નથી. તેણે ત્યાંના ચિન્હો સમજવાના પ્રયત્નો કર્યા પણ તે અસફળ રહ્યો પણ તે એટલું સમજી ગયો કે જે કંઈ પણ હતું તે ભયંકર હતું.

 

હવે તેને લાગવા લાગ્યું કે વધારે રોકવામાં સાર નથી એટલે તે ત્યાંથી બહાર નીકળ્યો. ત્યાંની નીરવ શાંતિએ વિક્રાંતના મનમાં શોર ઉત્પન્ન કર્યો હતો. પિતા આવ્યા હશે ત્યારે શું થયું હશે તે વિષે તેને જરા પણ અંદાજો નહોતો. શું તે તીર તેના પિતા ઉપર ચલાવવામાં આવ્યું હતું? કે પછી તેના પિતા આવ્યા તેના પહેલાંથી જ તે તીર ત્યાં હતું આવા અસંખ્ય પ્રશ્નો સાથે તે હાઈવે તરફ નીકળ્યો. 

 

પાછા વળતી વખતે જાણે રસ્તો નાનો થઇ ગયો હોય તેમ તે ઝડપથી ગાડી પાસે પહોંચી ગયો. બે ક્ષણ વિચાર કરીને તે ડ્રાઈવિંગ સીટ ઉપર ગોઠવાયો અને ગાડી પાછી વાળી. વિક્રાંતના ગયા પછી ઝાડ પાછળથી ઊંચા લલાટ, તીક્ષ્ણ અને વેધક આંખો, એકદમ સફેદ દાઢીમૂછવાળો શસ્ત્રધારી સાધુ નીકળ્યો અને નિર્મળ હાસ્ય સાથે જતી ગાડીને નિહાળી રહ્યો. તેના ફરતે એક સુવર્ણ આભા રચાયેલી હતી.  

 

દૂરથી એક સાધુ તેમની પાછળ આવીને ઉભો રહ્યો અને બે હાથ જોડીને કહ્યું, “પ્રભુ પરશુરામ, આપને પિતાપુત્ર બંને પ્રિય છે તો તેમને દર્શન કેમ ન આપ્યા? માર્ગદર્શન કેમ ન આપ્યું?”

 

તેમણે નિર્મળ હાસ્ય વેરતાં કહ્યું, “મારી મદદ મેળવતા પહેલાં તેમણે સાબિત કરવું પડશે કે તેઓ તેને લાયક છે. સમય આવે તેમને મદદ પણ કરીશ અને માર્ગદર્શન આપીશ, પણ મારી ઈચ્છા છે કે તેમને મારા માર્ગદર્શનની જરૂર ન પડે. કારણ અત્યારે જે ગયો તે શિવનો અંશ છે.”

 

તે સાધુ વિસ્મિત નજરે જોઈ રહ્યો. પરશુરામે આગળ કહ્યું, “જો કોઈ યુદ્ધનો નિયમ તોડે, તો જ હું વચ્ચે આવું છું. નર્મદાશંકરે નિયમ તોડ્યો એટલે મારે સોમની મદદ માટે આગળ આવવું પડ્યું, પણ દર વખતની મદદ તેમને કાયર બનાવી દેશે અને વિચારશે કે બધી મુસીબત વખતે કોઈ શક્તિ આવીને મદદ કરશે. તેથી હું તેમને તેમની તાકાત અજમાવવાનો અવસર આપીશ.”

 

પરશુરામે કહ્યું, “આપણું કાર્ય અહીં પૂરું થયું, મને આભાસ થઇ રહ્યો છે કે તેઓ જરૂર સફળ થશે. આપણે નૈમિષારણ્યમાં જઈએ.” એટલું કહીને પરશુરામ ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા અને સાથે જ બીજો સાધુ પણ. 

 

વિક્રાંત પહેલા કાદરભાઈ પાસે ગયો અને તીર આપીને કહ્યું, “આ તીરને કોઈ મટેરિયલ લેબમાં ટેસ્ટ કરાવો, આ ધાતુ કઈ છે? તે મારે જાણવું છે. બીજું તે છોકરીના કોઈ સગડ મળ્યા?”

 

કાદરભાઈએ કહ્યું, “તે છોકરીની શોધમાં જસવંત દિલ્હી ગયો છે, પણ બીજા એક ખરાબ સમાચાર છે! સાગરનું ખૂન થયું છે આને તેની લાશ પણ બહુ વિક્ષત હાલતમાં મળી છે.”

 

વિક્રાંતના ચેહરા ઉપર ગહન ચિંતનના ભાવ આવી ગયા. થોડીવાર પછી તેણે કહ્યું, “તેનો અર્થ એ છે કે દુશ્મન આપણા વિષે જાણે છે એટલે સાવધાન રહેવાની જરૂર છે. બધાને કહી દો કે પોતાની આજુબાજુમાં સુરક્ષા ઘેરો બનાવી લે, જેથી જો કોઈ હુમલો થાય તો બચાવ કરવાનો મોકો મળે.”

 

  કાદરભાઈની રેસ્ટોરેન્ટમાંથી નીકળીને વિક્રાંત ઘરે પહોંચ્યો . ઘરમાં પ્રવેશ્યા પછી તે એકલતા અનુભવવા લાગ્યો. જયારે પણ તે ઘરે રહેતો ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેતું. તેણે કોઈ દિવસ ઘરમાં બોઝીલતા અનુભવી નહોતી. પણ આજે ઘર ભેંકાર ભાસી રહ્યું હતું. તે જમ્યા વગર જ જઈને પથારીમાં આડો પડ્યો આને સુઈ ગયો.

 

પછીના બે દિવસમાં વિક્રાંતે આખું ઘર ફંફોસી લીધું, પણ કોઈ જાતનો કલુ ન મળ્યો. ત્રીજે દિવસે સોમની એક ડાયરીમાં ફક્ત એક નામ મળ્યું પ્રદ્યુમનસિંહ. તેણે આ નામ એક વખત સોમના મુખે સાંભળ્યું હતું પણ તે કોણ છે તેની ખબર ન હતી.એટલામાં તેના ફોનની રિંગ વાગી.

 

તેની આશા પ્રમાણે ફોન કાદરભાઈનો હતો. તેમણે કહ્યું, “રેસ્ટોરન્ટમાં આવી જાઓ, ઘણા બધા સમાચાર છે અને ચિંતા ન કરતા બધા સમાચાર સારા જ છે.”

 

વિક્રાંત ત્યાં પહોંચ્યો ત્યારે જસવંત કાદરભાઈ સાથે વાત કરી રહ્યો હતો. કાદરભાઈએ જસવંતની ઓળખાણ વિક્રાંત સાથે કરાવી અને કહ્યું, “આજે ઘણા બધા સારા સમાચાર છે, નિલીમાનો પત્તો લાગી ગયો છે તે દિલ્હીમાં છે અને જસવંતે તેની પૂછતાછ કરી છે, આગળની વાત જસવંત કરશે.”

 

            જસવંતે કહ્યું, “નીલિમા આમ તો સિંગર બનવા આવી હતી, પણ ગેંગસ્ટરોની જાળમાં ફસાઈ  ગઈ. જો કે તે માટે ઘરની આર્થિક તંગી પણ એક કારણ હતું . કોઈ ગેંગસ્ટર છે રુદ્રા નામનો તેના કહેવાથી તે તમારા પપ્પાની સેક્રેટરી બની અને વિશ્વાસ જીત્યો પછી એક વખત ભયંકર કેફી દ્રવ્ય પીવડાવીને તેમના ફોટા પાડ્યા. ભયંકર શબ્દ એના માટે વાપર્યો કે તે પહેલાં તેણે ઘણા બધા કેફી દ્રવ્યો પીવડાવી જોયા, પણ તેમના પર કોઈ અસર નહોતી થતી. તે ફોટા રુદ્રાને આપીને પૈસા લઈને નીકળી ગઈ, પણ આજ સુધી તે પછતાઈ રહી છે કારણ નશાની હાલતમાં પણ તમારા પપ્પાએ કોઈ જાતનું કુકર્મ નહોતું કર્યું. અત્યારે દિલ્હીમાં સામાન્ય જીવન જીવી રહી છે.”

 

વિક્રાંત માટે આ બધું નવું હતું. અત્યાર સુધી તેને લાગી રહ્યું હતું અને હવે કોઈ ગેંગસ્ટર.

 

તેણે કહ્યું, “હવે આ રુદ્રા કોણ છે?”

 

કાદરભાઈએ કહ્યું, “રુદ્રા એક ગેંગ ચલાવે છે અને તું નહિ માને! તે ફક્ત સોળ વરસનો છે અને તેનું નામ આવ્યા પછી મેં તેની માહિતી કાઢી, તે મુજબ પાછલા પંદર વીસ દિવસથી તે ગાયબ છે.”

 

 

વિક્રાંતે કહ્યું, “ઠીક છે! હવે બીજા શું સમાચાર છે?”

 

કાદરભાઈએ એક રિપોર્ટ વિક્રાંત સમક્ષ ધર્યો અને કહ્યું, “આ તે તીરનો રિપોર્ટ.”

 

વિક્રાંતે રિપોર્ટ વાંચ્યો, રિપોર્ટ મુજબ તે તીર કિરણોત્સર્ગી ધાતુના અંશ ધરાવે છે, પણ કિરણોત્સર્ગ બહુ કંટ્રોલ્ડ માત્રામાં થાય છે. વિક્રાંતે કહ્યું, “મને લાગે છે કે આ તીર પ્રાચીનકાળનું મહાઅસ્ત્ર હશે!”

 

કાદરભાઈને પૂછ્યું, “આમાં તીર કેટલું જૂનું છે, તે વિષે કંઈ લખ્યું નથી?”

 

કાદરભાઈએ કહ્યું, “એનો ટેસ્ટ કરનારને કન્ફર્મ નહોતું, તેથી નથી લખ્યું પણ તેના અંદાજ મુજબ આ તીર સાતથી આઠ હજાર વર્ષ જૂનું છે.”

 

વિક્રાંતની આંખો ચમકી તેનું મગજ જેટની ગતિથી દોડવા લાગ્યું. આ તીર તો રામાયણકાળ અથવા તેનાથી પણ પહેલાના સમયનું છે અને તે સમયનો કયો યોદ્ધા અત્યારે જીવિત હોઈ શકે, જેનું આ તીર હોય? પછી તેના મગજમાં એક નામ આવ્યું પણ તે મૌન રહ્યો.

 

  થોડીવાર પછી કાદરભાઈએ કહ્યું, “શ્રીરંગને મેં પુના મોકલ્યો હતો અને પુના પહોંચવા પહેલા તેના કાનમાં મંત્રોના ઉચ્ચાર પડ્યા જે મને લાગે છે કે સોમ સરના હશે કારણ શ્રીરંગ તેમના અવાજને ઓળખી ગયો હતો. તેણે તે મંત્ર તેણે મને લખીને મોકલ્યો છે.” એમ કહીને પોતાનો મોબાઈલ ફોન વિક્રાંત સામે ધર્યો.

 

વિક્રાંતે મંત્ર વાંચ્યો, “નૃપવલ્લભા સુચીખાત સ્તંભ રક્ષક ગવેષય લેખાધિકારીન ગવેષય રાવણસ્ય અપરાધબોધિતા વરિયસ બાધિતામ."

 

વિક્રાંતે ફરી ફરી મંત્ર વાંચ્યો થોડો ખબર પડ્યો અને થોડો સમજમાં ન આવ્યો એટલે તે મેસેજ પોતાના મોબાઈલમાં ફોરવર્ડ કરી લીધો અને કહ્યું, “કાદરભાઈ એક કામ કરો, નિલીમાને કોન્ટાક્ટ કરીને કહો કે તે મારા પિતા નિર્દોષ છે અને તેણે શું કર્યું તેનો એક વિડિઓ બનાવીને મેસેજ કરે અને બીજું એક કામ કરો આ પ્રદ્યુમનસિંહ કોણ છે? અને ક્યાં રહે છે? તેનો શોધ લો.”