Ravanoham Part 15 books and stories free download online pdf in Gujarati

રાવણોહ્મ - ભાગ ૧૫

ભાગ ૧૫

ઘરે આવીને વિક્રાંત સોમની લાઈબ્રેરીમાં ગયો અને જુદા જુદા પુસ્તકો શોધવા લાગ્યો. પછી મંત્ર સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પહેલાં તેણે દરેક શબ્દનો અર્થ શોધી કાઢ્યો.

નૃપવલ્લભા - રાણી, સુચીખાત સ્તંભ - જેની કિનારીઓ ધારદાર હોય તેવો પિરામિડ, રક્ષક - તેની રક્ષા માટે નીમેલો સેવક, ગવેષય – શોધો, લેખાધિકારીન - રાજાની સેક્રેટરી, વરિયસ - સ્વતંત્રતા.

 

તે સમજી ગયો હતો કે તેણે શું કરવાનું છે. તેણે પોતાની પાસે રહેલું ઈજીપ્તના ઇતિહાસનું એક જૂનું પુસ્તક કાઢ્યું અને જુદા જુદા પિરામિડો વિષે વાંચવા લાગ્યો અને પૂર્ણ દિવસને અંતે તેને એક નામ મળ્યું ઇપાફીસ.

 

વિક્રાંત સમજી ગયો કે સોમ અને પાયલના ગાયબ થવા પાછળ ઇપાફીસનો હાથ છે. વિક્રાંતની આંખો લાલ થઇ ગઈ, તેની આ હિંમત! હું તેને નહિ છોડું! પણ પછી તેને પોતાના જાપાની બૌદ્ધ ગુરુની વાત યાદ આવી અને તેણે ઊંડા શ્વાસ લઈને પોતાને શાંત કર્યો. તે ધ્યાનમાં સારી પડ્યો.

 

તે સદાકાળ શાંતિની વાત કરતા તેઓ કહેતા કે ક્રોધ મનુષ્યની દરેક ઇન્દ્રિય અને નસને પ્રભાવિત કરે છે અને તેનાથી વિચારવાની શક્તિ ક્ષીણ થઇ જાય છે અને પછી કોઈ માર્ગ નથી સૂઝતો. તેથી ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો પણ શાંત રહીને વિચારવાથી માર્ગ જરૂર મળે છે. પછી તેને માર્ગ મળી ગયો. બીજે દિવસે સવારે તેણે પોતાની આજુબાજુના બધા સુરક્ષાચક્રો હટાવી લીધા અને પછી સંકેતને ફોન કર્યો.

 

  નર્મદાશંકરે ઇપાફીસને બોલાવ્યો અને કહ્યું, “તારે મારું એક કામ કરવાનું છે. તારે રુદ્રના મગજમાં પ્રવેશ કરીને તેમાંથી પૂર્વજન્મની સ્મૃતિઓ શોધીને તેને જાગૃત કરવાની છે.”

 

ઇપાફીસે ઉપહાસ ઉડાવતાં કહ્યું, “તેનાથી શું થશે?”

 

નર્મદાશંકરે કહ્યું, “તે મારું સોમ વિરુદ્ધનું સૌથી કાતિલ શસ્ત્ર છે અને શસ્ત્રને ધાર આપવા તેની પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય તે જરૂરી છે.”

 

એટલામાં ઇપાફીસની આંખો ગોળ ગોળ ફરવા લાગી અને તેના મસ્તિષ્કમાં અવાજ આવવા લાગ્યો પિતાની જેમ પુત્ર પણ કબ્જામાં આવી ગયો છે તેનું શું કરવાનું છે?

 

ઇપાફીસે મસ્તિષ્કમાં જ જવાબ આપ્યો, “તેને સોમ કરતા દૂરના ખંડમાં રાખજે અને દીવાલોને સુરક્ષિત કરજે.”

 

આ બધું ચાલી રહ્યું હતું તે સમયે સામે ઉભા રહેલો નર્મદાશંકર ગુસ્સે થઇ ગયો અને કહ્યું, “મેં શું કહ્યું? તે તારા મગજમાં ઉતર્યું કે નહિ?”

 

 તેના આવા પ્રશ્નથી ઇપાફીસ ઉત્તેજિત થઇ ગયો તેથી તેણે વિક્રાંતના સમાચાર નર્મદાશંકરને આપવાનું માંડી વાળ્યું અને કહ્યું, “ઠીક છે! હું તેની પૂર્વજન્મની સ્મૃતિઓ શોધી કાઢીશ.” અને વિચારવા લાગ્યો કે હવે આખો પરિવાર તેની કેદમાં છે જેણે કાળી શક્તિના જગતમાં રમખાણ મચાવ્યું છે અને મોટાભાગના પૂજાસ્થળોનો નાશ કરી દીધો છે અને પૂજાની મૂર્તિઓનો પણ.

 

  તે જ સમયે ઇપાફીસની સેવક શક્તિઓએ વિક્રાંતને બાંધી રાખેલો હતો. તેઓ તેને ત્યાંથી લઈને  એક ઓરડીમાં ગયા. ત્યાં એક જગ્યાએ થોડો ઉજાસ આવી રહ્યો હતો. તેને લઈને ત્યાંથી પસાર થયા એટલે અચાનક હવા ચાલવા લાગી અને બધા ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા અને થોડીવાર પછી બીજી જગ્યાએ પ્રગટ્યા. ત્યાંનું દ્રશ્ય કંઈક અલગ જ હતું. ત્યાં ઊંચી ઊંચી દીવાલો હતી અને અને નાના નાના કક્ષ બનેલા હતા. તેઓ વિક્રાંતને એક કક્ષમાં લઇ ગયા અને બેહોશ વિક્રાંતને ચટાઈ પર સુવડાવ્યો અને નાના દરવાજાને મંત્રથી સુરક્ષિત રીતે બંધ કરી દીધો.

 

બેહોશ રુદ્રાએ આંખો ખોલી તો સામે નર્મદાશંકર અને ઇપાફીસ ઉભા હતા. 

 

તેણે ઉભા થઈને નર્મદાશંકરને પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રણામ ગુરુવર.”

 

નર્મદાશંકરે પૂછ્યું, “તું મને ઓળખે છે?”

 

રૂદ્રાએ કહ્યું, “આપ મારા ગુરુના પણ ગુરુ છો એટલે મારા માટે પૂજનીય છો.”

 

“શું તને તારા પૂર્વજન્મનું નામ યાદ છે?”

 

રૂદ્રાએ કહ્યું, “હા ગુરુજી, મને બધું યાદ આવી ગયું. હું મહાકાલ હતો, ગુરુદેવ જટાશંકરનો પ્રિય શિષ્ય.”

 

નર્મદાશંકરને સંતોષ થયો તેમણે પૂછ્યું, “તને આ જન્મનું કંઈ યાદ છે?”

 

રૂદ્રાએ કહ્યું, “હા ગુરુજી, મને મારા જીવનમાં બનેલી દરેક ઘટના યાદ છે! છેક નાનપણની પણ! હવે મને કહો મારા ગુરુ ક્યાં છે?”

 

નર્મદાશંકરે અતથી ઇતિ બધી વાત કરી ફક્ત એટલું ન જણાવ્યું કે તે કોનો પુત્ર છે.

 

રૂદ્રાએ કહ્યું, “મારા ગુરુનો હત્યારો ક્યાં છે?”

 

નર્મદાશંકરે કહ્યું, “તે કેદમાં છે પણ તે પહેલાં મારે તારી પરીક્ષા લેવી પડશે.”

 

રૂદ્રાએ કહ્યું, “હું કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર છું.”

 

પછી નર્મદાશંકર તેને એક કક્ષમાં લઇ ગયા અને ઇપાફીસને કહ્યું, “રુદ્રાના શરીરમાં પ્રવેશ કર.”

 

ઇપાફીસ જે શરીરમાં હતો, તે શરીર ત્યાં જ પડી ગયું અને તે રુદ્રાના શરીરમાં પ્રવેશી ગયો.

 

નર્મદાશંકરે પૂછ્યું, “તને તારા શરીરમાં કોઈનો ભાસ થાય છે?”

 

રૂદ્રાએ કહ્યું, “હા, હું અનુભવી રહ્યો છું કે કોઈ મારી સાથે મારા શરીરમાં છે.”

 

નર્મદાશંકરે પૂછ્યું, “શું તને તેનો કોઈ ભાર લાગે છે?”

 

રૂદ્રાએ કહ્યું, “ના.”

 

નર્મદાશંકરે કહ્યું, “ઠીક છે! તો પછી તૈયાર થઇ જા તારા શરીરની અંદર ઘણી બધી આત્માઓ પ્રવેશ કરશે અને તેમનો સહારો લઈને તું સોમનો વધ કરજે.”

 

રૂદ્રાએ હકારમાં માથું હલાવ્યું અને ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી. ત્યારબાદ નર્મદાશંકર એક પ્રકાશિત ઘડો પાસે ગયો અને તેનું ઢાંકણું ખોલી દીધું, તે એક પછી એક મંત્રો બોલતો ગયો.

 

થોડા સમય પછી રુદ્રા એમ તડપવા લાગ્યો જાણે ભયંકર પીડામાંથી પસાર થઇ રહ્યો હોય તેના ગળામાંથી વિચિત્ર અવાજો નીકળવા લાગ્યા અને થોડા સમય પછી તે નીચે પડી ગયો અને બેભાન થઇ ગયો.

 

ત્યાં સુધીમાં સોથી વધારે આત્માઓએ તેના શરીરમાં પ્રવેશ કરી લીધો હતો. નર્મદાશંકરના ચેહરા પર નિરાશા ફરી વળી. તેમણે નજીક જઈને જોયું તો તેના શ્વાસ ચાલી રહ્યા હતા. થોડા સમય પછી રુદ્રા હલ્યો અને ઉભો થયો પણ તેનો ચેહરો વિકૃત થઇ ગયો, તેનું શરીર ફૂલવા લાગ્યું જોતજોતામાં તેની ઊંચાઈ દસ ફૂટ જેટલી થઇ ગઈ અને શરીર પણ ઠેકઠેકાણે વાળ ઉગી નીકળ્યા.થોડા સમય પછી તે રીંછ જેવો દેખાવા લાગ્યો.

 

રૂદ્રાએ પોતાના હાથ પગ તરફ જોયું અને રાડો પાડીને રડવા લાગ્યો.

 

તેના અવાજમાં એટલી બધી ઉગ્રતા હતી કે નર્મદાશંકર અને ઇપાફીસે પોતાના કાન બંધ કરવા પડ્યા.

 

નર્મદાશંકરે કહ્યું, “શાંત થઇ જા મહાકાલ તું જટાશંકરની શિષ્ય છો અને તેની જેમ મહાજ્ઞાની છો. એક વાર આત્માઓ તારા શરીરમાંથી નીકળી જશે એટલે શરીર સામાન્ય થઇ જશે અને હવે તું શક્તિશાળી થઇ ગયો છે.”

 

રૂદ્રાએ પોતાનો હાથ એક દીવાલ પર માર્યો અને દીવાલ તૂટી ગઈ. પોતાના શરીરની શક્તિનું પરિણામ જોઇને રૂદ્રાએ આનંદની કિલકારી મારી.

 

તેણે કહ્યું, “ગુરુ, હવે કહો મારે ક્યાં જવાનું છે?”

 

રૂદ્રાને પોતાનો અવાજ પણ અજાણ્યો લાગ્યો કારણ તેના મોઢેથી કોઈ પ્રાણી બોલતું હોય તેવો અવાજ આવતો હતો. તે હવે પુરાણોમાં વર્ણવેલા ભયંકર પ્રાણી જેવો બની ગયો હતો.

 

નર્મદાશંકરે કહ્યું, “તારે જ્યાં જવાનું છે, ત્યાં ઇપાફીસ લઇ જશે, પણ જતાં પહેલા માતાના મંદિર સામે મૂકેલું ખડગ લઇ જા. તે ખડગ ફક્ત તું  જ ઉપાડી શકશે, આજ સુધી હું પણ તેણે ઉપાડી શક્યો નથી.”

 

નર્મદાશંકરનો આદેશ મળ્યો એટલે રુદ્રા પોતાના લક્ષ્યની તરફ ઇપાફીસ સાથે નીકળી પડ્યો.