Vaat chhe sorathni viragnani - 3 books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાગનાની - 3

બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને ટોળીના સરદાર તેમજ તમામ સભ્યોને આ કામ ખોટું કહેવાય અને ન કરવું જોઇએ તે સમજાવવાનો પ્રયાસ કરું. જો સફળતા મળી તો બાપુ અમારી સાથે પાછા આવી શકશે. જેમ સોરઠની વિરાંગનાએ એક સાવજ સાથે બાથ ભીડી અને જીત મેળવી હતી તેમ હું પણ એક પ્રયાસ કરી જીતવાની તકને જતી ન કરી શકું.

એટલે હિંમત ભેગી કરી મારો આ વિચાર મેં બાપુની સમક્ષ મૂક્યો પરંતુ તેમને મને તેમ ન કરવા માટે સમજાવવા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું, પણ હું પણ મારા વિચાર પર મક્કમ હતી. એટલે તેમની વાત માનવાનો કોઇ પ્રશ્ન જ નહતો. હું બાપુને ભેટીને બેસી રહી એટલે તેઓ પણ સમજી ગયા કે હું માનવાની નથી. એટલે મને સમજાવવાનું છોડી બાપુ પણ મારા માથે હાથ મૂકીને બેસી રહ્યા. સવારના પડવાની તૈયારી હતી. પક્ષીઓનો કલરવ શરૃ થઇ ગયો હતો. ધીમે ધીમે સુરજદાદાના કિરણો ફેલાઇ રહ્યા હતા. જોકે, અમે જે જગ્યાએ હતા તેની આસપાસ ઘટાદાર વુક્ષો હોવાના કારણે દાદાનો પ્રકાશ થોડો ઓછો આવી રહ્યો હતો. હું મારા મક્કમ વિચાર સાથે બાપુને ભેટીને બેઠી હતી....

થોડીવારમાં ધીમે ધીમે ટોળકીના સભ્યોનો અવાજ આવવા લાગ્યો અને પછી તો સરદાર પણ જાગી ગયા હોય તેમની માટે ચ્હાની વ્યવસ્થા કરવામાં લાગેલા સભ્યોના અવાજથી સરદાર પણ ઝુંપડીઓ વચ્ચે ઢાળેલા ઢોળીયા પર આવીને બેસી ગયા હોય તેમ લાગી રહ્યું હતું. હું પણ મક્કમ મને ઊંભી થઇ બાપુને પગે લાગી ઝુંપડીની બહાર નિકળવા જઇ રહી હતી. ત્યારે જ બાપુએ મારો હાથ પકડી ફરી એક વખત રોકવાનો પ્રયાસ કર્યો પણ હું ન રોકાઇ એટલે તેમને મારા માથે હાથ મૂકી આર્શીવાદ આપ્યા અને હું આગળ વધી. ઝુંપડી બહાર નિકળી અને સીધી જ સરદાર બેઠા હતા તે ઢોળીયા તરફ ચાલવા લાગી. ટોળીના કેટલાક સભ્યોએ મને જોઇ અને રોકવાનો પ્રયાસ પણ કર્યો પણ હું રોકાઇ નહીં. સરદાર પાસે પહોંચી તેમને પગે લાગી. હું તેમને પગલે લાગી એટલે પહેલા તો તે અચંભામાં પડી ગયા પણ પછી તેમને પણ તેમની દિકરી યાદ આવી હોય તેમ મારા માથે હાથ મૂક્યો અને મને પુછયું કે, બેટા તું છે કોણ અને અહીં આવી કેવી રીતે ?

સરદારના પ્રશ્નનો જવાબ આપી શકું તેવો અવાજ મારી પાસે ન હતો જેથી મેં તેમને ઇશારામાં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેમને કશું સમજણ ન પડી. એટલે મારા બાપુ મારી પાસે આવી હું તેમની દિકરી છું તેવી ઓળખ આપી. મારી ઓળખ થતાં સરદાર મારા બાપુ પર ગુસ્સે થયા અને તેમને ગમે તેમ બોલવા લાગ્યા. હું પણ થોડી વાર તેમને સાંભળતી રહી પછી તેમને અટકાવી મારી વાત સાંભળવા માટે ઇશારાથી કહ્યું. મારો ઇશારો સમજી ગયા હોય તેમ તેમને બાપુને હું શુ કહી રહી છું તે સમજાવવા આંખનો ઇશારો કર્યો. તેમનો ઇશારો હું સમજી ગઇ એટલે મેં પણ ઇશારાથી વાત કરવાની શરૃઆત કરી.

હું તેમને ઇશારાથી સમજાવવા લાગી અને બાપુ મારા ઇશારા તેમને કહેવા લાગ્યા.... સરદાર મારી દિકરી તમને કંઇક કહેવા માગે છે. તેના પર નાનપણથી જ સરસ્વતી માતાનું વરદાન નથી. નાનપણથી જ તે બોલી શકતી નથી. હું તેનો અવાજ તેને પાછો અપાવવા માટે રૃપિયા ભેગા કરવા નિકળ્યો હતો અને આ ટોળીમાં જોડાયો છું. હું ઘરે નહીં જતાં તે મને શોધવા માટે નિકળી હતી. ત્યારે નજીકના ગામમાંથી તેને મારી માહિતી મળતા તે મને શોધતા શોધતા ગઇકાલે સાંજે જંગલમાં આવી પહોંચી હતી. અને આપણે મોડી સાંજે પાછા આવ્યા ત્યારે તે મને જોઇને મારી ઝુંપડીમાં આવી હતી. હવે, તે મને પાછો તેની સાથે લઇ જવા માગે છે. પરંતુ ટોળકીના નિયમો વિષે મેં તેને જણાવ્યું પણ તે સમજવા માટે તૈયાર નથી. જેથી તે તમારી સાથે વાત કરવા આવી છે.

મારા ઇશારા સરદારને સમજાવતા બાપુએ વાત આગળ વધારી.... સરદાર મારી દિકરી કહી રહી છે કે, જેમ મારે એક દિકરી અને પરિવાર છે તેમ તમને અને ટોળીના દરેક સભ્યને સંતાન અને પરિવાર છે. આપણે જે પણ કઇ કરી રહ્યા છીએ તે તેમના માટે જ છે, પરંતુ આપણે પરિવાર સાથે નથી તે પરિવાર માટે કેટલી મોટી ખોટ છે તે આપણે સમજી શકીએ તેમ નથી. જેમ આજે તમે આ દિકરીના માથે પોતાની દિકરીની જેમ હાથ મૂક્યો ત્યારે તેને પણ એક પ્રેમની અનુભૂતિ થઇ હતી. જે પ્રેમની ખોટ તમારો અને ટોળીના તમામ સભ્યોનો પરિવાર અનુભવિ રહ્યો હશે. આપણે તેમના વિષે પણ વિચારવાની જરૃર છે.

મારા બાપુના શબ્દો સાંભળી સરદારની આંખના કોઇક ખૂણામાં પાણી આવી ગયું હોવાની અનુભૂતિ મને થઇ ચૂકી હતી. સરદારે પોતાનો અવાજ સ્વસ્થ કરતાં કહ્યું કે હવે, આપણે એટલા આગળ આવી ગયા છીએ કે પાછા વળવું શક્ય નથી. આપણે જો પાછા ગયા તો પોલીસ આપને આજીવન કારાવાસમાં જ રાખશે અથવા તો તેમની ગોળીએ આપણો જીવ જશે. સરદારના શબ્દો સાંભળી હું પણ મુંઝાઇ અને વિચારવા લાગી એ આ વાતનો શું જવાબ આપવો ? થોડી વાત વિચાર કરી મેં પણ નક્કિ કરી લીધું કે હવે તો કંઇક પણ થાય પણ સમાજમાં પાછા જવા માટે સરદારને મનાવી જ લઇશ તો જ મારા બાપુ તેમજ ટોળકીના સભ્યો અને સરદાર પોતે તેમના પરિવાર પાસે જઇ શકશે અને તેમના પરિવારની પ્રેમની ખોટ પુરી થશે. હું કોલેજમાં ભણતી હતી એટલે મને શહેરની કેટલીક જાણકારી હતી. શહેરમાં જઇ આ ટોળકીને કોઇ નુકશાન ન થાય તે રીતે તેમના પરિવાર સાથે ભેટો કરાવવાનું મેં વચન આપ્યું. મારા વચન પર વિશ્વાસ રાખી સરદાર પણ આત્મ સમર્પણ કરવા તૈયાર થયા પરંતુ તે માટે મારે પહેલા તેમની કેટલીક શરતોનું પાલન કરવાનું હતું.

સરદારે મારી સમક્ષ કેટલીક શરતો મૂકી હતી...

- જ્યાં સુધી તું યોગ્ય નિરાકરણ ન લાવે ત્યાં સુધી તારે અમારા ઠેકાણાં વિષે કોઇને કહેવાનું નહીં

- તું જ્યાં પણ જઇશ મારો એક ખબરી હંમેશા તારી સાથે રહેશે, જેથી તું કોઇ ચાલાકી ન કરે

- જો તું કોઇ ચાલાકી કરીશ તો અમે તારા બાપુને મોતને ઘાટ ઉતારી દઇશું અને પછી તારો અને તારા પરિવારનો વારો આવશે

- તું નિરાકરણ ન લાવે ત્યાં સુધી તારા બાપુ અમારી સાથે જ રહેશે અને આ બાબતે તારે કોઇને કશુ કહેવાનું નહીં, તારી માતાને પણ નહીં.

સરદારની આ શરતો મારા માટે ખુબ જ અઘરી હતી પરંતુ બાપુને પાછા લઇ જવા માટે હું જીવના જોખમે તો આ લુંટારુ ટોળકીના સરદાર સાથે વાત કરી શકું તો બીજી કોઇ પણ શરત મારા માટે નાની કહેવાય. તમામ શરતોનું પાલન કરવાનું કહી હું પહેલા બાપુ અને પછી સરદારને પગે લાગી. સરદારે પણ મને આર્શીવાદ આપ્યા અને મારી સાથે એક ખબરીને રહેવા માટે આદેશ કર્યો. હું અને ટોળેકીનો એક ખબરી જંગલની બહાર નિકળવાના રસ્તા પર ચઢયા અને ધીમે ધીમે આગળ વધ્યા. ત્યાંથી નિકળી તો ગઇ પણ શું કરવું તેનો મને કોઇ જ ખ્યાલ ન હતો. જેથી રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની મદદ માગવી ? આ બધ વિચારો સાથે હું ટોળીના ખબરીની પાછળ પાછળ ચાલી રહી હતી.

એટલામાં જ મને વિચાર આવ્યો કે.....