marubhumi ni mahobbat - 21 books and stories free download online pdf in Gujarati

મરુભૂમી ની મહોબ્બત - ૨૧

" આવી સુરંગોનો ઉપયોગ મોટાભાગે શત્રુઓથી બચવા થતો..." ચીફ શ્રીવાસ્તવ સાહેબનાં એ શબ્દો હતાં.

હું,હીના, વિક્રમસિંહ રાઠોડ,ચીફ શ્રીવાસ્તવ સાહેબ, ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ વગેરે સૌ મુમલની મેડી આસપાસ ટોળે વળીને ઊભા હતા.

રાજકુમારી મુમલને ભુગર્ભમાં આવી સુરંગ ખોદાવવાની જરૂર કેમ પડી..? એ સવાલ સૌને સતાવતો હતો.

મુમલના સમયમાં લોદ્રવા એક શાંત સ્ટેટ ગણાતું.એક યુવતી જ્યાંની રાજા હોય એનું દુશ્મન કોણ બને..? હા, એનાં પ્રેમી થવા ઘણાં તૈયાર હતાં.પરંતુ,આખરે મુમલ મહેન્દ્રસિંહની બની હતી.એ ટ્રેજડી દરમિયાન જ આ સુરંગની રચના થઈ હશે.. એવું સૌએ તારણ નિકાળ્યુ.

અમારી સાથે રાજસ્થાનના ઈતિહાસનાં અભ્યાસુ પ્રોફેસર ખમારસાહેબ હતાં.એમનુ કહેવું હતું કે જ્યારે મહેન્દ્રસિંહને અમરકોટથી લોદ્રવા આવવું મુશ્કેલ બન્યું હશે ત્યારે મુમલે આ સુરંગની રચના કરી હોય..

જોકે હાલ તો આ આખોય પ્રદેશ રેગીસ્તાન હતો.. પરંતુ,એક સમયે અહીં કાક નદી વહેતી ને લોદ્રવા રાજ્યની રોનક હતી.

થોડાં પથ્થર હટાવી લીધાં બાદ નીચે ઉતરવાનો એક રસ્તો ખુલતો હતો.એમા ફક્ત એક જ માણસ ચાલી શકે એવી વ્યવસ્થા હતી.જમીનમા આવું બાંધકામ નવાઈ પમાડતુ હતું.

જેવાં અમે અંદર ઉતર્યા કે સૌની આંખો ફાટી જાય એવું દ્રશ્ય જમીનમાં સર્જાયું હતું.

અંદર વ્યવસ્થિત ઢબની સીડી ગોઠવેલી હતી ને થોડું આગળ ચાલતાં જ જેસલમેરી પથ્થર વડે બનાવેલી સુંદર દિવાલો નજરે પડી.

" માય ગોડ..! " હીનાએ આહ ભરી.

મારી આંખોમાં ચમક આવી ગઈ.

" સર,આ તો એ જ મહેલ છે જે અમદાવાદ મોલમાં આતંકવાદી પાસેથી મળેલી ચિઠ્ઠીમાં દોરેલો હતો.." મેં કહ્યું.

કોઈને કલ્પના પણ ક્યાંથી આવે કે રાજકુમારી મુમલનો આખેઆખો મહેલ જમીનમાં દટાઈ ગયો હશે..?

ભુકંપ જેવી કુદરતી હોનારતને લીધે આવાં મહેલો જમીનદોસ્ત થઈ જતાં એ હકીકત વિશે સૌ સભાન હતાં.. પરંતુ,આવી સુંદર દિવાલો... અંદરનું ભવ્ય રાચરચીલું... વ્યવસ્થિત ઢબની છત...ને રાજાશાહી યુગની બેનમૂન કલાકૃતિ જોઈને તો પુરાતત્વ વિભાગની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ.

એ ધસી ગયેલી દિવાલો ને મજબુત થંભ વચ્ચેથી એક સુરંગ પસાર થતી હતી..જે આગળ જતી હતી.

અમે એ ખંડેરમાં થોડી શોધખોળ કરી તો ધાર્યા મુજબ જ પુષ્કળ શસ્ત્રો, દારૂગોળો તેમજ બીજી કેટલીક ચીજો મળી...જે અમને વિશ્વાસ અપાવતી હતી કે મહેનત રંગ લાવી હતી.

મતલબ સ્પષ્ટ હતો.આતંકીઓ અહીંથી જ ઘુસ્યા હતા.

આગળનો રસ્તો કેટલે સુધી જતો હતો એનો અંદાજ આવવો મુશ્કેલ હતો.. આગળ જવાનો અર્થ પણ નહોતો..એ કામ પુરાતત્વ વિભાગની ટીમનું હતું..આમ છતાં,થોડો અંદાજ લેવા માટે અમે થોડું ચાલ્યા.

સુરંગની અંદર બેય બાજુ અમુક અંતરે દીવાઓ ગોઠવેલા હતા... જેથી, અંધારું નડે નહીં.

ખુબ જ મહેનત કરીને,મહીનાઓ સુધી અસંખ્ય મજૂરોએ પરિશ્રમ કરીને આ સુરંગ ખોદી હશે એ સ્પષ્ટ થતું હતું.

અમે થોડાં લોકો અંદર ઘુસ્યા.. બીજાં બધાં બહાર રહ્યા.અમે અંદાજ મારી રહ્યા હતા કે ક્યાં સુધી આ સુરંગ આગળ વધે છે..?

હીનાના હાથમાં એક ટોર્ચ હતી.. જેનાં પ્રકાશની ઓથમાં અમે ધીમે ધીમે ચાલતાં હતાં.

" હીના...હેબતખાન વિશે શું જાણકારી મળી..? " શ્રી વાસ્તવસાહેબે આવી પરિસ્થિતિમાં પણ સવાલો ચાલુ રાખ્યા હતા.

" એ સાચો માણસ છે.હુ એને મળીને આવી.એ જેસલમેરથી અમદાવાદ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે.એની ઈર્ષ્યા કરવા માટે અહીંના સ્થાનિક લોકોએ એનું નામ વટાવી ખાધું છે..બાકી,એ કામ આવે એવો છે.આપણે એનો ઉપયોગ કરીશું.." હીના બોલી.

આ રીતે વાતચીત કરતાં કરતાં અમે ખાસ્સું ચાલતાં રહ્યાં..પણ,અમારી સફરનો કોઈ અંત આવતો નહોતો.

" આઈ થિન્ક...આપણે જેને માટે આવ્યા હતા એ ઉદેશ્ય સફળ થયો છે..હવે આગળ વધવાનો મતલબ નથી.." વિક્રમસિંહ રાઠોડ બોલ્યા ને સૌએ વળતી દિશામાં ડગ માંડ્યા.

હવે અમારે ફક્ત અંદાજ લગાવવાનો હતો કે ક્યાં ધમાકો થશે..?

બે આતંકવાદીઓ મરી ગયાં હતાં... બીજાં બે જીવિત હતાં ને ભયંકર ધમાકો કરશે એ ચિત્ર સ્પષ્ટ થતું હતું.

અમે ખાસ્સું ચેકિગ કર્યું.મુમલ મહેલની એક એક તસ્વીર લીધી.

છેવટે, જેસલમેર હોટેલમાં પર્સનલ મીટીંગ માટે પહોંચ્યા.

બરાબર,એ જ વખતે પેલા બે આતંકવાદીઓ જેસલમેર છોડી રહ્યા હતા.