Thasharnu Rahasya Part 9 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૯

ભાગ ૯

નીલકંઠે હરિદ્વારની એક ઓફિસમાં એક આરામદાયક ખુરસીમાં સ્થાન ગ્રહણ કરેલું હતું અને સામે પંડિત બંસીલાલ શુક્લા બેસેલા હતા. ત્યાં આવતા પહેલા નીલકંઠે વિચાર્યું હતું કે કોઈ સાઈઠ કે સિત્તેર વર્ષના કોઈ ઉંમરલાયક પંડિત હશે, પણ તેને બદલે જીન્સ ટીશર્ટ પહેરેલી ચાળીસની આસપાસની વ્યક્તિ હતી. તેમની સામે ટેબલ પર ફોટા મુકેલા હતા જે નિખિલે તેમને મોકલ્યા હતા. આવ્યા પછી ઘણી વાર સુધી બંને તે ફોટા વિષે ચર્ચા કરી ચુક્યા હતા.

બંસીલાલે કહ્યું, “જો આપ કહી રહ્યા હો તે સત્ય હોય તો આ તો બહુ અદભુત છે ! આપણી પાસે એવું પ્રુફ છે જે મિથકોને સત્ય સાબિત કરી દે. આપણે જગતને સાબિત કરી શકીયે કે જેને તેઓ આજ સુધી મિથક કહીને આપણી મજાક ઉડાડતા હતા, તે પાત્રો ખરેખર અસ્તિત્વમાં હતા.”

નીલકંઠના ચેહરા પર સ્મિત હતું તેણે કહ્યું, “પંડિતજી, તમારી વાત સાચી છે પણ હમણાં આપણે આ ફોટા જાહેર કરી શકીએ તેમ નથી અને આ ટોપ સિક્રેટ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે અને આ વિષે મારી ટીમ , પ્રધાનમંત્રીશ્રી પોતે અને તમે એટલા લોકો જ જાણીએ છીએ. તમારે પણ આ વિષે ક્યાંય જાહેરમાં વાત પણ કરવાની નથી.”

બંસીલાલે કહ્યું, “હું વાતની ગંભીરતાને સમજુ છું.”

નીલકંઠે કહ્યું, “શું આપ ફોટોમાં શસ્ત્રો છે જેના પર કુંડાળા કરેલા છે તેના પર પ્રકાશ પાડી શકો છો?”

           બંસીલાલે પોતાના ધીરગંભીર અવાજમાં કહ્યું, “મને થોડો સમય આપો, જેથી હું આ બધા પર પ્રકાશ પાડી શકું.”

નીલકંઠના ચેહરા પર પ્રશ્નચિહ્ન જોઈને કહ્યું, “જુઓ આમાં થોડો સમય તો લાગશે કારણ મારે પુરાણો અને આ ફોટા વચ્ચે મેળ બેસાડવો પડશે. આપના કહ્યા અનુસાર આ ફોટા મહાભારતકાળના છે જે પરગ્રહના જીવોએ પાડ્યા છે. તમારો દાવો સાચો છે તેવું હું માનું છું તેથી મારે વધારે મહેનત કરવી પડશે કારણ આપણે અત્યારે જે કથાઓ વાંચીએ છીએ તે બહુ પછીથી લખાઈ છે, ત્યાં સુધી તે શ્રુતિ અને સ્મૃતિને આધારે ચાલી રહી હતી અને તેમાં ઘણા બધા વ્યક્તિઓની પોતાની કલ્પના સામેલ થઇ ગઈ હોવાની શક્યતા છે, તેથી આ ફોટોને આધારે હું સત્યની નજીક પહોંચવાનો પ્રયત્ન કરીશ અને આપ નિશ્ચિંન્ત રહો આ ફોટા મારી પાસે સલામત રહેશે અને બીજા કોઈને જોવા નહિ મળે.”

નીલકંઠ થોડો આશ્વસ્ત થયો .


સ્થળ : મુંબઈ
             રાણી પ્રિડા તેની રૂમમાં આટાફેરા કરી રહી હતી.

તેણે વિતાર તરફ ક્રોધથી જોયું અને કહ્યું, “હવે મને કહે તું પકડાયો તેના પહેલાં જે કામ સોંપ્યું હતું તે પૂર્ણ થયું?”

વિતારે કહ્યું, “રાણીસાહેબા, તે પૂર્ણ જ થવાનું હતું તે પહેલા હું પકડાઈ ગયો હતો. જયારે ડોરબેલ વાગી ત્યારે મને આશા હતી કે આપણું પાર્સલ આવ્યું હશે, પણ તેને બદલે રાઘવ અને તેની ટીમ હતી.”

પ્રિડા સમજી હોય તેમ તેણે માથું હલાવ્યું અને કહ્યું, “હવે, આગળ કેવી રીતે વધીશુ?”

વિતારે કહ્યું, “તે એન્જિનિયરને મેં જ શોધ્યો હતો એટલે મને ખબર છે તે ક્યાં મળશે. આપણે તેની પાસેથી તે રીસીવર લઈશું અને આપણું મિશન આગળ વધારીશું પણ તેમાં થોડી અડચણ છે.”

વિતારે આગળ બોલતો ગયો તેણે કહ્યું, “રિપોર્ટમાં ફક્ત એટલું જ લખ્યું છે કે વિનાશક હથિયાર સાથે આપણું તે વખતનું ટ્રાન્સમીટર લગાવ્યું છે પણ તેમાં એ ઉલ્લેખ નથી કે તે હથિયાર કયું અને કેવું તે વિષે કઈ લખ્યું નથી અને અત્યારે આપણને તે પણ ખબર નથી તે તે ક્યાં હશે?”

પ્રિડાએ કહ્યું, “તે માટે તો રીસીવર બનાવ્યું છે અને આટલા લાંબા ગાળા પછી થોડી મહેનત તો પડશે.”

વિતારે કહ્યું, “શું મને તે ભાગ ફરી જોવા મળી શકશે?”

પ્રિડાએ કહ્યું, “ટ્રાન્સમીટર અને રીસીવરવાળો ભાગ મેં નષ્ટ કરી નંખાવ્યો છે. બાકીનો રિપોર્ટ તો સામાન્ય છે, તે વિષે વધુ ચિંતા કરવાની જરૂર નથી.”

વિતારે કહ્યું, “મને બાકી લોકોની ચિંતા નથી પણ રાઘવ થોડો ખતરનાક અને મને નથી લાગતું તેણે આપણી વાત પર વિશ્વાસ કર્યો હોય. તે ઉપરાંત આપણે તેને બેહોશ કરીને ભાગ્ય છીએ એટલે હવે તે આપણો પીછો નથી છોડે.”

પ્રિડાની આંખો ક્રોધથી લાલ થઇ ગઈ અને તે જાણે પોતાની સાથે વાત કરી રહી હોય તેમ કહ્યું, “હવે કોઈ આ મિશનની આડે આવશે તેને નહિ છોડું આ મારા અને મારી પ્રજાના જીવન મરણનો પ્રશ્ન છે !”


સ્થળ : દિલ્હી

               નીલકંઠ એક રીપોર્ટ વાંચી રહ્યો હતો. રાઘવે મુંબઈથી મોકલેલો રીપોર્ટ અજાણી ભાષામાં હોવાથી નીલકંઠે તે રીપોર્ટ ટ્રાન્સલેશન માટે અમેરિકા સ્થિત એજેન્સીને મોકલ્યો હતો. રીપોર્ટ નીચે પ્રમાણે હતો.

             “અત્યારે અમે પૃથ્વી પર છીએ અને આ સમયે અહીં એક ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. અમારા સૂત્રો અનુસાર આ યુદ્ધ પારિવારિક છે એક જ પરિવારના બે ભાઈઓ સામસામે આવી આવી ગયા છે અને બંને પક્ષે મોટી સેના છે . એક તરફ પાંચ ભાઈઓ છે અને બીજી તરફ તેમના પૈતૃક ભાઈ છે જેમની સંખ્યા સો ની આસપાસ છે. (અહીંની ટેક્નોલોજી પણ સોલિડ છે એકજ સ્ત્રી સો બાળકોને જન્મ કઈ રીતે આપી શકે! આ ટેક્નોલોજી આપણે અપનાવવા જેવી છે.) બંને પક્ષે ભયંકર અને વિનાશકારી હથિયારો વપરાઈ રહ્યા છે જે એક વાર છોડ્યા પછી ભયંકર વિનાશ ફેલાવી રહ્યા છે. આ ટેક્નોલોજી આપણા માટે સદંતર અજાણી છે આશા રાખું છું કે અમે એકાદ વિનાશક હથિયાર અહીંથી ઉઠાવવામા કામયાબ થઇશું. અમુક યોદ્ધાઓ બહુ વિચિત્ર છે તે પોતાના શરીરનો આકાર પલક ઝપકતાં જ બદલી નાખે છે અને પોતાનું રૂપ પણ. તેમના લોહીના નમૂના પણ લઈને આવીશું જેથી ભવિષ્યમાં આપણા ગ્રહને ફાયદો થાય.”

           બસ આટલો જ રિપોર્ટ હતો. નીલકંઠે પેપર્સ ટેબલ પર મુક્યા. તેને રિપોર્ટ અધૂરો લાગ્યો કદાચ કોઈએ બાકીના પાના ફાડી નાખ્યા હશે. છતાં આ રિપોર્ટ વાંચતા નીલકંઠના રુવાડા ઉભા થઇ ગયા કારણ અત્યાર સુધી મહાભારતને પુસ્તક સ્વરૂપે વાંચ્યું હતું અને આ રિપોર્ટ કોઈ પત્રકારના આંખો દેખા એહવાલ સ્વરૂપે હતો. હવે તેના લીધે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હતા શું તેઓ કોઈ હથિયાર પોતાની સાથે લઇ જવામાં સફળ થયા હશે? શું કોઈના લોહીના નમૂના સાથે લીધા હશે?

મુંબઈની ટીમે આપેલા રિપોર્ટ પ્રમાણે પ્રિડાનીડવાસી ફક્ત શરણ લેવા આવ્યા છે, તો પછી તે ભાગી કેમ ગયો? ફોટોમાં સર્કલો કર્યા છે તે દેખાડે છે કે તેમનો ઇન્ટ્રેસ ફક્ત હથિયારોમાં છે. નીલકંઠનું મનોમંથન શરુ હતું. જો કદાચ તેઓ ખરેખર શરણ લેવા જ આવ્યા હોય તો પણ તેમની તરફ દુર્લક્ષ ન કરાય કારણ તેમના વિરોધી ગ્રહના એલિયનની હત્યા સ્વિટ્ઝર્લેન્ડમાં થઇ છે. હજી બે દિવસ બાકી છે બંસીલાલ સાથેની મુલાકાતને આડે.

          નીલકંઠે શ્રીધર અને અવનીને દિલ્હી બોલાવી લીધા બંસીલાલ સાથેની મુલાકાત માટે જયારે રાઘવ અને નિખિલને બે ત્રણ દિવસ શાંતિ જાળવવા કહ્યું. રાઘવે પ્રિડા અને વિતાર સાથેની મુલાકાત વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. તે બહુ સામાન્ય રીતે વર્તી રહ્યો હતો.

તેણે નિખિલને કહ્યું, “મારુ કામ મેં કરી લીધું છે અને નીલકંઠ સર બે દિવસ પછી જે ઇન્સ્ટ્રક્શન આપશે તે પ્રમાણે કરીશું. ત્યાં સુધી હું મુંબઈ ફરી લઉં પહેલીવાર મુંબઈ આવ્યો છું.”

નિખિલે રાઘવને મુંબઈ ફેરવવાની વાત કરી તો રાઘવે કહ્યું, “ગુગલ મેપ છે ને સાથે હું ફરી લઈશ , મુંબઈને હું મારી નજરે નિહાળવા માંગુ છું.”