Thasharnu Rahasya Part 12 books and stories free download online pdf in Gujarati

થશરનું રહસ્ય ભાગ ૧૨

ભાગ ૧૨

  વિતાર જ્યાં બંધાયેલો હતો તેની પાછળથી નિખિલ બહાર આવ્યો અને ધુમાડા પાછળથી આવેલા રાઘવ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, “સરસ આઈડિયા હતો, વિતારે ઘણી બધી માહિતી આપી, પણ અફસોસ હથિયાર કયું છે અને ક્યાં છે તે વિષે કોઈ માહિતી આપી ન શક્યો.”

 રાઘવે કહ્યું, “ચીલ યાર ! તે પણ માહિતી આજે નહિ તો કાલે મળી જશે પણ પ્રિડાનીડ પરથી ચાર પાંચ નહિ પણ પાંચ હજાર પ્રિડાનીડવાસી પૃથ્વી પર છે તે માહિતી પણ અમૂલ્ય છે. નીલકંઠ સરને આ માહિતી આપવી પડશે.”

નિખિલે બેહોશ વિતાર તરફ જોઈને કહ્યું, “આનું શું કરીશું?”

રાઘવે કહ્યું, “આને આપણે છોડવો પડશે, શક્ય છે આગળ આ કામમાં આવે અને આમેય આને કંટ્રોલ કરવો એ આસાન કામ નથી અને હજી વધુ કોઈ માહિતી આની પાસે હોય તેની શક્યતા નથી. તું એક કામ કર તું ઓફિસમાં જઈને રિપોર્ટ બનાવીને સરને ઇન્ફોર્મ કર, હું આનું કંઈક કરું છું.”

નિખિલ ત્યાંથી નીકળી ગયો અને તે પછી રાઘવ વિતારના ચેહરા તરફ જોતો રહ્યો અને પછી તેના બંધન ઢીલા કરીને ત્યાંથી નીકળી ગયો.

   રાઘવ અને નિખિલના ગયા પછી વિતાર થોડો હલ્યો અને ધીમે રહીને પોતાની જગ્યાએથી ઉઠ્યો અને મોઢામાં છુપાવેલી કેપ્સુલ કાઢી અને બધી જગ્યાએ ફરીને જોયું કે કોઈ નથી પછી જોજોરથી હસવા લાગ્યો અને બબડવા લાગ્યો, “ચાલો પ્લાન તો બરાબર જઈ રહ્યો છે. પહેલાં મેં થોડી માહિતી સોરારીસ ગ્રહના જાસૂસને આપી જેથી તેઓ પ્રિડાની પાછળ પડે અને હવે પૃથ્વીવાસીઓને. એક વાર બંનેમાંથી કોઈ પ્રિડાને ખતમ કરે પછી હું જ પ્રિડાનીડવાસીઓનો રાજા. પૃથ્વીવાસીઓ પણ ખરા છે તેઓ બંધાયેલા વ્યક્તિઓની વાત પર આસાનીથી વિશ્વાસ કરી લે છે.”

બહુ લાબું ચક્કર ચલાવ્યું હતું તેણે પ્રિડાને ખતમ કરાવવા માટે. જયારે તેને લાગ્યું કે પ્રિડાએ હાર માની લીધી છે ત્યારે તેણે પ્રિડાનું ધ્યાન પૃથ્વીના ગુપ્ત રિપોર્ટ તરફ ધ્યાન દોર્યું અને તેને રિપોર્ટમાં લખેલા રહસ્યમય હથિયાર લાવવા માટે ઉકસાવી અને આ સમાચાર સોરારીસ ગ્રહવાસીઓને પણ આપી દીધા જેથી તેઓ તેમની પાછળ લાગી જાય. પૃથ્વી પર પહોંચ્યા પછી તે રિપોર્ટનો થોડો ભાગ સોરારીસના જાસૂસ ને પહોંચાડ્યો અને પૃથ્વીવાસીઓને પણ પ્રિડાનીડવાસી અહીં આવી ગયા છે તેવી જાણકારી આપી. મુંબઈમાં થોડા સમયનું જ કામ હતું પણ તે ભારતના સ્થાનિક એજન્ટોના નજરમાં આવે તે રીતના કલુ છોડ્યા.

          તેણે સર્જીક અને રાઘવ બંનેને બરાબરનો મોકો આપ્યો હતો અને બંનેમાંથી કોણ પ્રિડાનો શિકાર કરે છે તેની રાહ જોવાની હતી. એકવાર પ્રિડા ખતમ થઇ જાય એટલે હથિયાર મેળવીને પ્રિડાનીડ પહોંચીને ત્યાંના રાજા બનવાનું હતું. તેને ખબર હતી કે તે પ્રિડાને કોઈ દિવસ મારી નહિ શકે, તે બહુ શક્તિશાળી અને ચાલાક છે. તે આજ સુધી બહુ ચાલાકીથી પોતાના મનના ભાવ છુપાવવામાં સફળ થયો હતો. તે ત્યાંથી બહાર નીકળ્યો ત્યારે એક વૃદ્ધના વેશમાં હતો.
            રાઘવ ગેસ્ટહાઉસમાં પહોંચ્યો, તે વખતે થાકેલો હતો અને થોડી તે ગેસની પણ અસર હતી જેના અસર તળે વિતારે ઘણી બધી વાતો કરી હતી. તેમનો હોલોગ્રામનો આઈડિયા કામ કરી ગયો હતો. તે પથારીમાં પડ્યો તેવો જ સુઈ ગયો. થોડા સમય પછી અચાનક હડબડીને બેઠો થઇ ગયો.

તેને ફરીથી તે સ્વપ્ન આવ્યું હતું જે તેને વર્ષોથી હેરાન કરી રહ્યું હતું. સપનામાં તેને દેખાતું કે તે બરફના પહાડો પર છે અને આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. રાઘવ તેને બોલાવી રહ્યો છે અને જેવી તે વ્યક્તિ પાછળ વળીને જુએ છે અચાનક બરફનો પહાડ તેના પર પડે છે અને તે તેમાં દટાઈ જાય છે. રાઘવને આમેય પોતાના બાળપણ વિષે કઈ યાદ ન હતું. તેની યાદદાશ્ત શરુ થતી હતી, જયારે પાંચ વર્ષ પહેલા તેની પોતાના ઘરમાં આંખ ખુલી હતી. તેના પહેલાનું તેને કંઈ યાદ ન હતું.

તેના મિત્ર સમીરે તેને કહ્યું, “આપણે ટ્રેકિંગ કરવા ગયા હતા અને અચાનક તેના પર બરફનો પહાડ પડ્યો અને તે તેમાં દટાઈ ગયો અને અચાનક તેના માથા પર ભાર પડવાથી તે પોતાની યાદદાશ્ત ગુમાવી બેઠો હતો.”
             જયારે પોતાના સપનાની વાત તેણે સમીરને અને ડોક્ટરને કરી ત્યારે ડોક્ટરે કહ્યું, “બહુ ભયાનક એક્સીડેન્ટ થવાને લીધે, તેને તે વખતે તેના પર પડેલો બરફ સપનામાં દેખાય છે.”

પછી રાઘવે પૂછ્યું, “પણ તે વ્યક્તિ?”

સમીરે કહ્યું, “ભૂલી ગયો ટ્રેકિંગ કરતી વખતે હું તારી આગળ હતો અને બરફ પડતા પહેલાં તે મને અવાજ પણ આપ્યો હતો.”

વાતચીત આગળ ન વધારવા કરવા તેણે સમજી ગયો હોય તેમ માથું હકારમાં હલાવ્યું હતું. પણ તે સમીરની વાતથી સહમત થયો ન હતો. તે જાણતો હતો કે સપનામાં કોઈ તો ભેદ છે. સપનામાં દેખાતી વ્યક્તિએ ફક્ત એક કપડું પહેરેલું હતું અને સૌથી મહત્વની બાબત હતી કે જયારે તે વ્યક્તિને બૂમ પાડતો અને તે વ્યક્તિ તેની તરફ જોઇને મોહક સ્મિત આપતો જે તેને બહુ પરિચિત લાગતું અને તેમાં પોતીકાપણું હતું.

   તેના એક્સીડેન્ટને પાંચ વર્ષ થઇ ગયા હતા અને જયારે પણ તે ગાઢ નિદ્રામાં હોય તે વખતે જ તેને આ સ્વપ્ન આવતું. પણ હવે તે થોડો ટેવાઈ ગયો હતો. તેણે સપના વિષે વિચારવાનું બંધ કરી દીધું હતું. આટલા ભયંકર એક્સીડેન્ટ પછી તે વધુ ઉર્જાવાન બની ગયો હતો એમ તેની મમ્મી હંમેશા કહેતી. બે વર્ષ પહેલા તે નીલકંઠ સરના ડિપાર્ટમેન્ટમાં જોડાયો હતો. ત્યારથી અત્યાર સુધીની કામગીરી સરસ રહી હતી.

તે ઘણા બધા એલિયનોને મળી ચુક્યો હતો અને તેમાંના મોટાભાગના શાંતિવાદી હતા અને તેમનું રજીસ્ટ્રેશન પણ કર્યું હતું. તે વિષે નીલકંઠ સર અને તેને જ ખબર હતી. હજી ડિપાર્ટમેન્ટમાં વધુ લોકો જોડાયા ન હતા. કેટલા લોકો ડીપાર્ટમેન્ટમાં કામ કરે છે તે વિષે તો તેને પણ ખબર નહોતી. જો કે તે જાણતો હતો કે ગુપ્તતા વિષે નીલકંઠ સર બહુ ચોક્કસ હતા. તેમનો જમણો હાથ શું કરે છે તે વિષે તેમના ડાબા હાથને પણ ખબર ન પાડવા દેતા.

           રાઘવ પથારીમાંથી ઉઠ્યો અને પાણી પીને ફરી પથારીમાં લંબાવ્યું અને સપનામાં દેખાતી વ્યક્તિ વિષે વિચારવા લાગ્યો. ન જાણે કેમ તેને સપનામાં દેખાતા વ્યક્તિ પ્રેમ ઉભરાઈ આવતો.

 

સ્થળ :દિલ્હી  

 

અવની, શ્રીધર અને બંસીલાલ હજી દિલ્હીમાં જ હતા અને બધી શક્યતાઓ પણ ચર્ચા ચાલુ હતી અને નિખિલે મોકલેલો રિપોર્ટ તેમને મળી ચુક્યો હતો, તેથી તે વિષે ચર્ચા કરવા નીલકંઠ સર પ્રધાનમંત્રીશ્રી પાસે ગયા હતા અને બંસીલાલજીની તબિયત સારી ન હોવાને લીધે તે આજે બોર્ડરૂમમાં આવ્યા ન હતા. ફક્ત અવની અને શ્રીધર હતા.

શ્રીધરે અવનીને કહ્યું, “બર્બરીક વિષે મેં નેટ પર સર્ચ કર્યું પણ તેમાં ઘણા બધા વેરિએશન છે, તો જો કોઈ પુસ્તકમાં તે તેના વિષે વાંચ્યું હોય તો મને કહે. મારે તેના વિષે હજી વધુ જાણવું છે.”

અવનીએ કહ્યું, “ક્યાંથી શરુ કરું? ચાલ, બર્બરીક યુદ્ધમાં જવા તૈયાર થયો ત્યારથી શરુ કરું છું. બર્બરીકને જયારે સમાચાર મળ્યા કે તેના પિતામહ તેમના પૈતૃક ભાઈઓ સાથે યુદ્ધ કરવાના છે ત્યારે તે યુદ્ધમાં ભાગ લેવા તૈયાર થયો. તેની માતા આહિલાવતીએ વિચાર્યું કે મારો સુકુમાર બાળક કેવી રીતે નિર્ણય કરી શકશે કે કોના તરફથી લડવું કદાચ કોઈ તેને ભ્રમિત કરી દે અને તે સમયે તેને સમાચાર મળ્યા હતા પૂર્ણ યદુસેના અને મોટા દેશના રાજાઓની સેના કૌરવો તરફથી લડવાની છે એટલે પાંડવોનો પક્ષ નિશ્ચિત રીતે કમજોર હશે તેથી તેણે પુત્રને કહ્યું કે હારતા પક્ષ તરફથી લડજે. માતાનું વચન માથે ચડાવીને તે આગળ વધ્યો.” 

            તેણે આગળ કહ્યું, “શ્રીકૃષ્ણને સમાચાર મળી ગયા હતા કે બર્બરીક યુદ્ધમાં ભાગ લેવા આવી રહ્યો છે અને તેમને ખબર હતી કે તેની પાસે ચમત્કારી ધનુષ્ય અને ત્રણ તીર છે જેનાથી તે ચાહે તેને મારી શકે છે તેથી તેમણે બ્રાહ્મણનું રૂપ લીધું અને તેને રસ્તામાં મળ્યા અને પછી પૃચ્છા કરી કે બાળક તું અસ્ત્ર-શસ્ત્ર લઈને ક્યાં જઈ રહ્યો છે ત્યારે બર્બરીકે કહ્યું હું કૌરવો અને પાંડવોનું યુદ્ધ થવાનું છે તેમાં ભાગ લેવા જઈ રહ્યો છું. તેણે એટલું જ કહેતા બ્રાહ્મણ રૂપમાં રહેલ શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને કહ્યું તું યુદ્ધમાં ભાગ લેવા ફક્ત ત્રણ તીરોને લઈને જઈ રહ્યો છે તને ખબર છે તે યુદ્ધમાં રથી મહારથી ભાગ લઇ રહ્યા છે, જેમની પાસે અસંખ્ય પ્રભાવશાળી અને વિનાશકારી શસ્ત્રો છે.”

“બર્બરીકે શાંતિથી કહ્યું મારા આ ત્રણ તીર તે બધા શસ્ત્રો કરતાં પ્રભાવશાળી છે, હું આ ત્રણ તીરોને સહારે યુદ્ધ થોડી જ ક્ષણોમાં પૂર્ણ કરી દઈશ. શ્રીકૃષ્ણે કહ્યું આ કઈ રીતે શક્ય છે અને આ તીરોને જોઈને લાગતું નથી કે આ એટલા બધા ઘાતક છે. ચાલ, એક પરીક્ષા લઉં આ સામે પીપળાનું વૃક્ષ છે જો ફક્ત એક જ તીરથી તું બધા પર્ણોને છેદી શકે તો હું માની જાઉં કે તું મહાપરાક્રમી છે અને તારા આ તીરો ચમત્કારી. બર્બરીકે પોતાના ધનુષ્યમા એક તીર ચઢાવ્યું અને આંખો બંધ કરીને ગુરુને યાદ કરીને મંત્ર બોલવા લાગ્યો. તે વખતે એક પણ શ્રીકૃષ્ણે એક પર્ણ પોતાના પગ નીચે દબાવી દીધું. બર્બરીકે મંત્ર પૂર્ણ કરીને તીર છોડ્યું અને થોડી જ ક્ષણોમાં બધા પર્ણોને છેદીને તે તીર શ્રીકૃષ્ણના પગ પાસે ફરવા લાગ્યું એટલે બર્બરીકે કહ્યું બ્રાહ્મણ દેવતા આપનો પગ ત્યાંથી ઉપાડી લો કદાચ એક પર્ણ આપણા પગ નીચે છે ત્યારે શ્રીકૃષ્ણે પગ ઉપાડ્યો અને છેલ્લું પર્ણ છેદાઈ ગયું.”

            શ્રીધરે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, “તેના તીરો તો ઘણા ચમત્કારી હતા અને મને એવું લાગી રહ્યું છે કે એલિયનો તે ત્રણ તીરોની પાછળ પડ્યા હોય તેની શક્યતા વધારે છે કારણ તે યુદ્ધ પછી તે ત્રણ તીરોનું શું થયું તે વિષે ક્યાંય લખ્યું નથી અને તે ત્રણ તીરો હોવાની શક્યતા સૌથી વધારે છે.”               .  

 

ક્રમશ: