Suryoday - ek navi sharuaat - 14 books and stories free download online pdf in Gujarati

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૧૪

ભાગ :- ૧૪

આપણે તેરમાં ભાગમાં જોયું કે સાર્થક અને સૃષ્ટિ સમાજના નીતિમત્તાના નિયમો બાજુ ઉપર મુકી અંબાજીમાં લગ્ન કરે છે અને પોતાના જીવનની એક અલગ શરૂઆત કરે છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

હોટલમાં જમીને એ બધા ધર્મશાળામાં આવે છે અને પોતાના રૂમમાં જાય છે. સાર્થક એના અલગ રૂમમાં જાય છે અને સૃષ્ટિ, અનુરાધા અને તેમની દીકરીઓ એક અલગ રૂમમાં જાય છે. અનુરાધા અને સૃષ્ટિ ફ્રેશ થઈ વાતોએ વળગે છે અને એમની દીકરીઓ ઊંઘવાની તૈયારીમાં લાગી જાય છે. લગભગ ૧૧ વાગ્યા સુધીમાં તો અનુરાધાની દીકરી સુઈ જાય છે અને અનુરાધાને સૃષ્ટિ પોતાના મનની વાત કહી સાર્થકના રૂમમાં જવા ઊભી થાય છે. મનસ્વીને એ પોતે સાર્થક સાથે છે ને હવે કદાચ સવારે આવશે અને એને કોઈ જરૂર હોય તો અનુરાધાને કહેવાનું કહીને સાર્થકના રૂમમાં જતી રહે છે.

અનુરાધા પણ આ જોઈ થોડી ક્ષણો માટે વિચલિત થાય છે કે, "આ શું કોઈ મા પોતાની દીકરી સાથે આટલી નિકટતા કેળવી શકે.!? અને મુખ્ય વાત તો એ કે શું આવી નિકટતા યોગ્ય છે.!?" આ તરફ મનસ્વી અનુરાધાની પાસે આવી વાતો કરવા લાગે છે. એની વાતો સાંભળી અનુરાધા વિચારે છે કે મનસ્વી કોઈ નાની બાળકી કે કિશોરી જેવી નથી રહી, કદાચ વધુ જ મોટી થઈ ગઈ છે અને આનું કારણ નિરવનો સૃષ્ટિ પ્રત્યેનો વ્યવહાર અને સૃષ્ટિની તેની સાથે મિત્રતા તરીકેની લાગણીઓ જ હશે. થોડી વાર વાતો કર્યા પછી મનસ્વી સુઈ જાય છે અને અનુરાધા એકલી પડી જાય છે.

અનુરાધા પણ હવે વિચારોમાં તલ્લીન થઈ જાય છે. એને પણ લાગે છે કે એક જોતા સારુ થયું સાર્થકનું સૃષ્ટિના જીવનમાં આવવું. ભલે આ સમાજની દ્રષ્ટિએ અયોગ્ય સંબંધ છે પણ યોગ્યતા અને અયોગ્યતાની પરીક્ષા શું કામ હમેશાં સ્ત્રીએ આપવી. સીતાજી પતિધર્મ પાલન કરીને પણ શું મેળવી શક્યા હતા.? એમના દ્રષ્ટિકોણથી ક્યાં ક્યારેય આ સમાજ કોઈને જોઈ શકવાનો છે. સમાજની યોગ્યતા અને અયોગ્યતામાં જીવન સમર્પિત કરવા માટે શ્રી રામ જેવા પતિ પણ જોઈએ ને એ ક્યાં અહીં કોઈને મળે છે. આવાજ વિચારો, સવાલો એના મનને આવેગિત, ઉત્તેજિત કરી રહ્યા હતા. અને ફરી એના મનમાં શ્યામ આવી જાય છે. "શ્યામ... ક્યારેય કળી ના શકાય એવું વ્યક્તિત્વ. એના મનમાં શું ચાલે એ ક્યારેય કોઈને ખબર જ ના પડે અને સાચું કહું તો મારું મન પણ સમજી નથી શક્યું એને.." એવું વિચારતા વિચારતા અનુરાધા આજે પોતાની સાથે વાત કરી રહી હતી અને પોતાના શ્યામ સાથે મનોમન મીઠો ઝગડો પણ કે, "કેમ એ સમજી શકતો નથી અને મને પોતાની પાસે બોલાવી લેતો નથી."

"અકળ છે એનું વ્યક્તિત્વ કે એની લાગણી.!?
જે ક્યારેય નથી કરતો પ્રેમમાં કોઈ જાતની માંગણી.!?"

સૃષ્ટિ સાર્થકના રૂમમાં પ્રવેશી ચૂકી હતી. પ્રવેશતાની સાથેજ એના હૃદયમાં ધબકાર વધી ચૂક્યા હતા. એનું મન આ પળોને માણી લેવા જાણે તૈયાર જ હતું. એના મનમાં આ સંબંધને લઈને હવે કોઈ જ અપરાધભાવ રહ્યો નહોતો. સમયની એરણ ઉપર જાણે એ આ સંબંધને સ્વીકારી, સમાજના નીતિનિયમો - બંધનો તોડી, પોતાની જ એક રાહ બનાવીને, સંબંધ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધવું એ જ ધ્યેય હતો એનો.! સાર્થક પણ એને જાણે આલિંગનમાં લેવા તૈયાર હોય એમ એના આવતાની સાથે જ સૃષ્ટિને ભેટી પડ્યો અને એને બહુ બધાં ચુંબનોથી નવડાવી દીધી. આટલા સમયમાં સાર્થક સાથે સૃષ્ટિનો આ પહેલો જ આવો અનુભવ હતો.

સૃષ્ટિની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા, સાથે સાથે સાર્થકનું આવું સાનિધ્ય એને આવેગિત કરી રહ્યું હતું. સાર્થકના ખભે અશ્રુ પડતાંજ એ એક્દમ સૃષ્ટિ તરફ જોવા લાગ્યો અને કહી ઉઠયો, "ઓયે.. મારી વસુ આ બધું શું છે.!?" સાર્થકનું આ વસુ કહેવું એને અભિભૂત કરી રહ્યું હતું. સાર્થક માટે પણ આવો અપ્રતિમ પ્રેમ જાણે સપના સમાન હતો અને આજે એ સપનું સાચું ઠરી પોતાના બાહુપાશમાં શ્વાસ લઇ રહ્યું હતું. આંસુ ભરેલી આંખોને સાર્થકે ચૂમી લીધી અને કહ્યું કે, "આ તારી લાગણીઓના જળનું સ્થાન મારામાં છે." અને એને પોતાની પાસે બેસાડી. બંને મનભરી આખી રાત વાતો કરતા રહ્યા અને બાકી બધુંજ ભૂલી એકમેકમાં ઓગળી સહઅસ્તિત્વ ભેળવતા રહ્યા. સૃષ્ટિને લગ્ન જીવનની કોઈપણ રાત્રીએ ના અનુભવેલ લાગણી, ના અનુભવેલ પ્રેમ બધુંજ આજે સાર્થક પાસેથી મળ્યું હતું. અને કદાચ એને આજે પહેલીવાર સમજાઈ હતી આ શરીરની તૃપ્તતા. જે ક્યારેય નિરવ સાથે અનુભવી શકી નહોતી.

"તૃપ્ત થયું છે આજે તન કે તૃપ્ત થયું છે મન,
તારા આવવાથી પૂર્ણ થઈ ખીલી ઉઠ્યું છે જીવન.!"

આવેલી આ અણમોલ રાત્રી અને આ પળો અહીંજ રોકાઈ જાય એવુંજ સાર્થક અને સૃષ્ટિના મનમાં થતું હતું અને એકબીજાના આલિંગનમાં એક પળ પણ અરિક્ત થયા વગર પડી રહ્યા અને એકમેકમાં પ્રાણ પૂરતા રહ્યા. વીતી રહેલ પળો અને આવી રહેલ નવી સવાર આજે ગમતી નહોતી. જાણતા હતા કે આ સવાર ફરી વિરહ લઈને આવશે. વહેલી સવારમાં સૃષ્ટિ અનુરાધા પાસે રૂમમાં આવી અને પોતાના કપડાં લઈ ફરીવાર સાર્થકના રૂમમાં ગઈ. સાર્થક અને સૃષ્ટિ બંનેએ મનભરીને સાથે સ્નાન કર્યું. આ એ પળો હતા જે સૃષ્ટિની કલ્પના અને સપનાઓ પૂર્ણ કરનારી હતી. બધુંજ માણી લેવું હતું અને બધુંજ માણી લીધું આ પળોમાં. સૃષ્ટિ તૈયાર થઈ અનુરાધા પાસે એના રૂમમાં ગઈ.

અનુરાધા પણ સૃષ્ટિના આ અપ્રતિમ સૌંદર્યને ખીલેલું જોઈ ખુશ થઈ સૃષ્ટિને ભેટી પડી. સૃષ્ટિના મુખ ઉપરના હાવભાવ જોઈ અનુરાધા સમજી ગઈ હતી કે આજે ખરેખર ખરા અર્થમાં એ સહજીવન માણી શકી છે અને આ એજ ભાવ છે જેના માટે કોઈપણ સ્ત્રી પોતાનું જીવન સમર્પિત કરતી હોય છે. ત્યારબાદ બંનેએ દીકરીઓને ઉઠાડી અને તૈયાર થઈ ફરી એકવાર મા અંબાના દર્શન કરવા ગયા. સૃષ્ટિ અને સાર્થકે પોતાનું આ સહજીવન આવુંજ ઉષ્માભર્યું બની રહી એવી પ્રાર્થના કરી ત્યાંથી સીધા ઘરે આવવા બસમાં બેઠા.

સૃષ્ટિ અને સાર્થક આજુબાજુમાં બેઠા અને મોડી રાતનો ઉજાગરો હોવાથી એકમેકના હાથમાં હાથ રાખી મીઠી ઉંઘમાં સરી પડ્યા. જેમ બારીમાંથી આવતો પવન તેજ થતો ગયો એમ સૃષ્ટિની ઊંગ પણ વધતી ગઈ. અનુરાધા પણ પોતાના વિચારોમાં મગ્ન થઈ બારી બહાર એકીટસે વાહનોની અવરજવર ને બહારની ખેતરોની નિર્મળતા જોઈ રહી હતી. અને ફરી ધ્યાનમગ્ન થઈ શ્યામના વિચારોમાં ખોવાઈ ગઈ. આમને આમ એ પાછા ફરી પોતાના ઘરે આવી ગયા અને બહુજ થાકેલા હોવાથી સાંજે ઓનલાઇન પિઝા મંગાવી ફ્રેશ થઈ આરામ કરવા આડા પડ્યા. સાર્થક પણ પોતાના ઘરે પહોંચી ગયો.

અનુરાધા આવતીકાલે ફરી એના ઘરે જવાની હતી આથી સૃષ્ટિ પણ આ છેલ્લી ઘડીની વાતો કરવા અનુરાધા સાથે જોડાઈ ગઈ. આમપણ બસમાં સૃષ્ટિએ ઊંઘ લઈ લીધી હોવાથી અત્યારે તે ખાસ થાકેલી લાગતી નહોતી અને થાક પણ શેનો લાગે જ્યારે સાર્થકના હાથમાં હાથ પરોવી એના ખભે મસ્તક રાખી ઊંઘ લીધી હોય તો.! સૃષ્ટિ ફરી અનુરાધા સાથે વાતોએ વળગી અને કહ્યું કે... "સાર્થક સતત તારી ચિંતા કરતો હતો કે વસુ, "બહેનને એકલા મુક્યા અને આપણે એકબીજા સાથે સમય પસાર કર્યો એમને ખોટું તો નહી લાગ્યું હોય ને.!?" પણ અનુરાધા હું જાણતી હતી કે હું ખુશ હોઉં એમાં તને ખોટું નહી લાગે એટલે મેં કહ્યું કે, "ના ના.. સાર્થક અનુરાધા ઘણું સમજે છે એટલે એને ખોટું નહી લાગ્યું હોય. આમપણ અમારી પાસે આ જ એક સમય હતો અને આવો સમય ક્યાં વારેવારે આવે છે, બરાબર ને અનુ.!?"

અનુરાધા પણ બોલી..." હા સૃષ્ટિ સાચી વાત છે જે પળ મળે એ પળ માણી જીવી લેવું. લોકો શું કહેશે, કોણ શું વિચારશે એવું વિચારીને તો જિંદગી વીતી જાય... જિંદગી ના જીવાય..." એની આ એક વાત અનુરાધાની નીરસ જીંદગીમાં પણ ચાલી રહેલી કાંઈક ઉથલપાથલ સમજાવવા પૂરતી હતી.

"મળી છે એકવાર તો મનભરીને જીવાય,
જિંદગી છે સાહેબ, મનમાં ભરીને ના જીવાય.!"


*****

શું અહીં સૃષ્ટિને જીવનનું બધુંજ સુખ મળી ગયું?
હવે આ સૃષ્ટિ અને સાર્થકના સહજીવનમાં નિરવનું શું સ્થાન રહેશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
અનુરાધાના જીવનમાં શું ઊથલપાથલ છે?


આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ