sarad sanhita motini - 4 books and stories free download online pdf in Gujarati

સરળ સંહિતા મોતીની - ૪

૧.બંગાળના પ્રખર સંસ્કૃતજ્ઞ,માનવતાવાદી પુરુષ અને એક દયાળુ અધ્યાપક એટલે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર!વાત અહીં એના બે પ્રસંગોની કરવાની છે.આજે બધાને જ્યારે 'વ્હાઇટ કોલર જોબ'જોઈએ છે ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનના આ બે પ્રેરક પ્રસંગો આપણને 'પરિશ્રમનું ગૌરવ' સમજાવે છે.

પહેલો પ્રસંગ:આચરણ એ જ ઉપદેશ

એક વખત ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક જગ્યાએ વ્યાખ્યાન કરવાનું આમંત્રણ મળ્યું.વિદ્યાસાગરજી તો પહોંચી ગયા.પણ ત્યાં જઈને જુએ છે તો હજુ કોઈ સભાખંડમાં બેઠું નથી.અરે આયોજક સુદ્ધા આમથી તેમ ચિંતામાં આંટા મારી રહ્યા હતા.વિદ્યાસાગરજીએ પૂછ્યું,"કેમ શું થયું મહોદય?" આયોજક ચિંતાતુર સ્વરે બોલ્યા,"આજે આ કચરો સાફ કરવાવાળો આવ્યો નથી ને એમાં બધું કામ અટવાયું છે." ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરજીએ પોતે એક બાજુ પડેલો સાવરણો લઈને આખો સભાખંડ સાફ કરી નાખ્યો.આયોજક તો જોતા જ રહી ગયા અને શ્રોતાજનોને એમ કે આ તો કચરો સાફ કરવાવાળો હશે પણ જ્યારે વિદ્યાસાગરજી સાવરણો મૂકીને ભાષણ આપવા મંચ પર ચડ્યા અને જાહેરાત થઈ કે આ પોતે જ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર છે ત્યારે સામે બેઠેલી જનતાના આશ્ચર્યનો પાર ન રહ્યો.

બીજો પ્રસંગ:વિદ્યાસાગરજી કે સામાનવાહક?

એક વખત વિદ્યાસાગરજીને કોઈ બહારના સજ્જન તેમના ઘરે મળવા આવવાના હતા.તે સજ્જને જણાવેલું કે તે રેલવેમાં આવશે આથી વિદ્યાસાગરજી જાતે જઈને રેલવે સ્ટેશનમાં તેમને તેડવા ગયા.

પેલા સજ્જન ગાડીમાંથી ઉતર્યા.ત્યાં તેમને તેની પાસે ઉભેલા વ્યક્તિને કહ્યું કે તેને વિદ્યાસાગરજીને ઘેર જવું છે.પેલા વ્યક્તિએ તેને વિદ્યાસાગરજીને ઘેર મૂકી જવા માટે સંમતિ બતાવી.તે સજ્જનનો સામાન પણ પેલાએ ઉપાડી લીધો.થોડું ચાલ્યા પછી તે બંને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરજીને ઘેર પહોંચ્યા.પેલાએ કહ્યું,"આ રહ્યું વિદ્યાસાગરજીનું ઘર." પછી પેલા સજ્જને ઇશ્વરચંદ્રજીને બોલાવવા અંદર બૂમ પાડી ત્યારે પેલો સામાનવાહક વ્યક્તિ તે સજ્જનની સામે આવીને બોલ્યો,"હું જ છું ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર. મારા ઘરમાં આપનું સ્વાગત છે."પેલા સજ્જન તો દંગ જ રહી ગયા.


૨.આજે એક સાથે બે ઉપદેશ કણિકા પીરસુ છું.

-હું કોઈને પૂછવા નહોતો ગયો!

એક વખત એક જગવિખ્યાત સંગીતકાર વુલ્ફગેંગ મોઝાર્ટને એક સંગીત રચના કરવાનો ઇચ્છુક યુવાન તેને પૂછવા ગયો કે,"મારે સંગીત રચના કરવી છે.કરું કે કેમ?"ત્યારે મોઝાર્ટે કહ્યું,"તમે સંગીત રચના કરવાનું રહેવા દો."

પેલો યુવાન તો આશ્ચર્ય પામ્યો.તેને કહ્યું,"તમે પોતે તો છ વર્ષના હતા ત્યારથી સંગીત રચના કરો છો અને મને કેમ ના પાડો છો."ત્યારે મોઝાર્ટે હસીને કહ્યું,"પણ હું કોઈને સંગીત રચના કરવી કે કેમ એ પૂછવા નહોતો ગયો."પેલો યુવાન સમજી ગયો.

જો આપણને આપણામાં શ્રદ્ધા ન હોય તો સફળતા ભૂલી જવી જોઈએ.

-આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને પત્રકાર

એક વખત આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક પત્રકારે પૂછ્યું,"જીવનનો અર્થ શું છે?" આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું,"જીવનનો કોઇ જ અર્થ નથી." પત્રકાર નિરાશ થઈને ચાલવા લાગ્યો.આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેને રોકીને કહ્યું,"જીવનનો કોઈ અર્થ નથી પણ તમે જીવનને અર્થ આપી શકો છો."પત્રકાર ખુશ થઈ ગયો.

જીવન જ્યારે ઈશ્વર આપતા હશે ત્યારે ત્યારે કોઈ અર્થ આપતા નહિ હોય પરંતુ આપણને જે વિવેકબુદ્ધિ આપી છે તેના થકી આપણે જીવનનો અર્થ આપવો પડે છે.જીવન તો એક એવી કોરી પાટી છે જે આનંદ, વિરહ,દુઃખ,પ્રેમ અને નફરત જેવા અનેક રંગોથી વધુ ને વધુ રંગીન અને નયન રમ્ય બને છે.

"જીવન વિશે પૂછે તો કહું ઝેર છે પ્રભુ,દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ;
સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?ડામીસને ઘેર જો ને લીલાલ્હેર્ છે પ્રભુ;
દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ;
હ્રદય સિવાય જોઈ લો ધબકે છે બધું અહિં,માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ;
આવ્યો’તો તારા દર્શને પગભર થવાનેકાજ,શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?"

-હિમલ પંડ્યા