Preranadaayi Naari Paatra Sita - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 4

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 4

દિવ્યાતિદિવ્ય મહાશક્તિ જગત જનની મા ભગવતી શ્રી સીતાજીના ચરિત્રને શબ્દોમાં બાંધી શકાય નથી પરંતુ આપણે આ કળિયુગમાં તેના પગલે ન ચાલી શકીએ પણ તેના ચરણોમાં રહીને તે મુજબ વર્તન-વ્યવહાર કરવાની કોશિશ કરીએ.

મન,વચન અને કર્મથી પતિના બની રહેલા સીતાજીને રાવણ કપટ કરી રથમાં બેસાડી આકાશમાર્ગે ક્રોધિત થતો લંકા લઈ જઈ રહ્યો છે. વલોપાત કરતાં સીતાજીને મનોમન લક્ષ્મણને કહે છે કે મે તમારી વાત ન માની અને તમારા પર ક્રોધ કર્યો તમને મોકલ્યા તેનું આ પરિણામ હું ભોગવી રહી છુ. તમે મારી રક્ષા કાજે દોરેલી ‘રેખા’નું મે ઉલ્લંઘન કર્યું તેનું ફળ મને મળી ગયું છે. તેનો વિલાપ સાંભળીને સ્થાવર- જંગમ બધા વન્ય જીવ દુખ પામે છે. જટાયું સીતાજીને બચાવવા રાવણને ચાંચ મારી મૂર્છિત કરે છે પરતું સીતાજીને બચાવવાનો પ્રયત્ન વ્યર્થ રહે છે. પર્વત પર વાંદરાઓને જોઈને સીતાજી પોતાનું એક આભૂષણ અને એક વસ્ત્ર નીચે નાખે છે. રામ થી વિખૂટાં પડેલા સીતાજી ટિટોડીની જેમ વલોપાત કરતાં નિ:સહાય બની ગયાં છે.

કોઈપણ વ્યક્તિ જ્યારે ક્રોધમાં હોય ત્યારે તે કોઈની વાત સમજી શકતી નથી. જેના કારણે ગુસ્સામાં શબ્દો પર કાબૂ રહેતો નથી. પોતાનું ધાર્યું જ થવું જોઈએ એવો અહંમ આવી જાય છે જેના પરિણામ ઘણા માઠાં આવતા હોય છે. એ જ રીતે જ્યારે પણ આપણને કોઈએ આપણાં સારા માટે કોઈ ચીજ ન કરવાની કહી હોય કે અમુક વસ્ત્રો પહેરીને અમુક સ્થળોએ જવાની મનાઈ ફરમાવામાં આવતી હોય ત્યારે તેઓની વાત માન્યા વગર કાર્ય કરીયે ત્યારે પણ મુસીબતમાં મૂકાતા હોઈએ છીએ એ જ વાત આ પ્રસંગ વર્ણવીને શીખવે છે કે ક્રોધ-મોહને કાબૂમાં રાખવાં. આપણી સુરક્ષા માટે જ વડીલો કે મિત્રો આપણને અમુક બાબત કરતાં અટકાવતાં હોય ત્યારે તેનું કહ્યું માનવું.

સુવર્ણ નગરી લંકામાં રાવણ સીતા સહિત પહોંચ્યો. આસોપાલવાની વાડી ‘અશોક વાટિકા’માં તેને રાખવામા આવ્યાં. રાવણ પોતાનો પ્રેમ દર્શાવતાં ઘણા પ્રલોભનો સીતાને આપ્યાં પરંતુ પતિવ્રતા સીતાજી તેની કોઈ વાત- વસ્તુથી વિચલિત થયાં નહીં. પતિવ્રતા નારી સીતા માટે પતિ વિયોગનું દુખ છે. તેઓના મનમાં રામચંદ્રજી જ્યારે સુવર્ણ મૃગ પાછળ ગયાં તે સમયની છબી અંકિત થયેલી છે. તેઓ તેમને જ યાદ કરી રહ્યાં છે. રાવણે તેઓને ડરાવ્યા પણ તેઓ ઈશ્વરના નામનું રટણ કરતાં રહ્યાં તેઓએ તેના ભયથી શરણાગતિ ન સ્વીકારી. આર્યનારી સીતાના અડગ મનના દર્શન અહીં થાય છે. તેઓને પોતાના પતિ રામ પર શ્રધ્ધા છે, એક અતૂટ વિશ્વાસ છે કે રામ પોતાને બચાવવા આવશે જ. આ શ્રધ્ધાને લીધે જ તેઓ રાવણના તાબે ન થયાં, અશોકવાટિકાના રાક્ષસીઓથી ઘેરાયેલાં હોવા છતાં ડર વગર માત્ર ઈશ્વરનું રટણ કરતાં રહ્યાં. તેઓ હંમેશ પોતાની પગની પાની એટલે કે તળિયા તરફ જ નજર રાખતાં. એક સંત કહે છે કે રામના પગે જે નિશાની હોય એ શક્તિના પગમાં પણ હોય એથી રામના ચરણને યાદ કરવા તેઓ પોતાના ચરણની નિશાની જોઈ રહેતાં. તો એક બીજું કારણ એ પણ જણાવે છે ભક્તિ હંમેશા બધાને એમ કહે છે કે પોતાના પગલાં પર દ્રષ્ટિ રાખો. બીજાના પગલાં કેમ પડે છે એની ઉપાધિ ન કરો. મન નિજ પગ પર રાખો.

આ કળિયુગમાં તો ડગલે ‘ને પગલે મોહ પમાડે તેવી અનેક વસ્તુઓ/ વ્યક્તિઓ છે. ચોતરફ વિવિધ પ્રલોભનો પ્રસરેલાં છે. અમુક વ્યક્તિના મોહમાં વર્તમાન સમયની નારી વગર વિચાર્યે આકર્ષિત થતી જોવા મળે છે. તો ક્યાંક પોતાની સફળતા ટકાવી રાખવા ડરને લીધે પોતાના ઉપરીને તાબે થતી જોવા મળે છે. તો ક્યાંક પોતાનો પતિ દૂર નોકરી વ્યવસાય અર્થે ગયો હોય તો નબળા મનની પત્ની અન્ય પ્રત્યે લોભાઈ જતી હોય છે. અરે ! ઘણા સંજોગોમાં તો આર્થિક નબળો પતિ હોય તો પત્ની લાલચમાં આવી જઈ અન્યને સમર્પિત થઈ જતી હોય છે. આવા બનાવો સમાજમાં બનતાં જોવા મળે છે ત્યારે સીતાજીને યાદ કરી તેમાંથી પ્રેરણા લેવાની છે. ઈશ્વર પર શ્રધ્ધા રાખી પોતાની સફળતા મેળવવા યોગ્ય મહેનત જ જરૂરી છે. કોઈ પણ પ્રલોભન કે ડરનો સહારો ક્યારેય ન લેવો. સીતાજીની જેમ અડગ મનની કેળવણી લેવાની તાતી જરૂર છે. પોતાના પરનો અદમ્ય વિશ્વાસ, પોતાની મર્યાદાની જાળવણી જાતે જ કરવાની હોય. સીતાજીને પોતાના પતિ રામ પર વિશ્વાસ – શ્રધ્ધા હતાં તેવા જ દરેક પત્નીએ પોતાના પતિ પર રાખવા જોઈએ. પ્રેમનો શ્વાસ જ વિશ્વાસ છે. જો પ્રેમ એ બે હ્રદયને જોડતો પુલ છે તો વિશ્વાસ એ આ પુલના મજબૂત પાયા છે. પ્રત્યેક પળે પ્રિયજનને વિશ્વાસપાત્ર બનવા પોતાની જીદ, અહંકારનો ત્યાગ કરવો પડે. સીતાજી પોતાની ભૂલનો પ્રાયશ્ચિત કરે છે તેઓ પોતાની નજર- દ્રષ્ટિ પોતાની પાનીએ રાખે છે. તેઓ પોતાના પતિના વિરહમાં ભક્તિમય બની ગયાં છે. તેઓ માત્ર પોતાનામાં જ રહે છે અન્ય કોઈ વાતની તેઓ દરકાર કરતાં નથી. આપણે હાલ બીજાની પંચાત અને ઈર્ષા કરવામાં વધુ મશગુલ રહીએ છીએ. આપણાં કાર્યો પર જ ધ્યાન આપીએ તો ઘણી મુશ્કેલીઓમાથી બચી શકીએ એ પણ આ પ્રસંગ પરથી શીખવાનું છે.

સીતાજીનું ચરિત્ર ભારતીય નારી માટે મહાન આદર્શનું પ્રતિક છે. ભારતીય નારીના ત્યાગ, મર્યાદા અને ગૌરવનું જ્વલંત ઉદાહરણ છે.

ક્રમશ:

પારૂલ દેસાઈ