Kudaratna lekha - jokha - 1 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 1

એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી.


અર્પણ


મારી લાડકી દીકરી શ્રિયા ને આ નવલકથા અર્પણ કરીશ કારણ કે એનું નિખાલસ હાસ્ય જ મારા ઉદાસીનતા ના વાદળોને દૂર કરી મારી કલમને દોડાવવા શાહી પૂરી પાડે છે.


આભાર


મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું.


પ્રેરણાસ્રોત
મીરા સોનેજી
Wr. મેસ્સી યાદવ

* * * * * કુદરત ના લેખા - જોખા * * * * *

સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે. એના પપ્પા એક્સ. આર્મી મેન છે . તેમના ખડતલ શરીર માં પણ એક કુમળું હૃદય ધડકતું હતું. એમની માતા ના દરેક શબ્દો માં સરસ્વતી ઝરતી રહે છે. તે હંમેશા પૂજા પાઠ માં ઓતપ્રોત રહેતી. એની નાની બહેન ૧૧ માં ધોરણ મા અભ્યાસ કરે છે. અને મયુર કોલેજ ના છેલ્લા વર્ષ નો અભ્યાસ કરે છે. આ નાનો પરિવાર મૂળ જામ ખંભાળિયા ના રેહવાસી પરંતુ છોકરાઓના સારા ભણતર માટે અમદાવાદ માં રહે છે.
આજે ઘરે ખુશી નો માહોલ છે. બધા જ ના ચેહરા ખુશ ખુશાલ છે. હોવા જ જોઈએ કારણ કે જયશ્રીબહેને માનતા રાખી હતી કે જ્યારે એના પતિ એમની નોકરીમાંથી નિવૃત થશે એટલે એ ઉતર ભારતના ચાર જ્યોતિર્લિંગના દર્શને જશે. આવતી કાલે એની માનતા સફળ થવાની હતી તેઓ ઉતર ભારતના ચાર જ્યોતિર્લિંગના દર્શને જવા નીકળવાના હતા. ગઈ કાલે બધી જ તૈયારી થઈ ગઈ હોવાથી આજે નજીક ના સગાસંબંધી અને મિત્રો ને જમવા માટે આમંત્રિત કર્યા છે જેની તૈયારી માં બધા લાગી ગયા છે.
આજે તારા એ ૩ ઇડીયટ ને જમવા માટે આમંત્રણ આપી દેજે. મયુર ના પિતા અર્જુનભાઈ એ મજાક ના સ્વર માં મયુર ને કહ્યું. ૩ ઇડીયટ એટલે મયુર ના ખાસ મિત્રો. ખાસ એટલા માટે કારક કે મયુર ના સુખ દુઃખ માં હંમેશા મયુર ને સાથ આપતા. મયુરે તરત જ એક પછી એક ત્રણેય ને ફોન કરી જમવાનું આમંત્રણ આપી દીધું.
નજીક ના બધા જ સબંધીઓ અને મિત્રો સાથે જમણવાર ખુશાલી સાથે પૂર્ણ થયો. બધા સબંધી જમણવાર પૂર્ણ કરી પોતપોતાના ઘરે નીકળી ગયા. મયુર ના ૩ મિત્રને મયુરે રોકાવવા કહ્યું કારણ કે આજે રાત્રે સુરેન્દ્રનગર વાળી ટ્રાવેલ્સ ૮ વાગ્યે અમદાવાદ આવવાની હતી એમાં એના મમ્મી, પપ્પા અને એની બહેન એક મહિના માટે યાત્રા માં જવાના હોવાથી તેમને મૂકવા જવાના હતા.
અર્જુનભાઈ મયૂરને પોતાના રૂમ માં બોલાવે છે.
જો મયુર અમે એક મહિના માટે જઈએ છીએ. લે આ દસ હાજર નો ચેક અનાથાશ્રમમાં આપી દેજે અને જ્યારે આપવા જા ત્યારે બાળકો માટે ચોકલેટ અને રમકડાં લેતો જજે. અને આ એક લાખ રૂપિયા જે આપડી જામખંભાળિયા ની ૮૦૦ વીઘા જમીન માં ભાગિયા તરીકે વાવેતર કરે છે એ ભોળાભાઈ ના ખાતા માં નાખી દેજે એનો કાલે જ ફોન આવ્યો હતો કે પૈસા ની જરૂર છે. ત્યારે મયુરને તેમના પપ્પાના સંઘર્ષના દિવસો યાદ આવી જાય છે જે તેના પપ્પા પાસે થી સાંભળ્યા હતા. એના પપ્પા ના ભાગ માં ૨૦ વીઘા જમીન મળી હતી જેમાં એને ઘણી મેહનત કરી હતી ત્યાર બાદ આર્મી માં જતા રહ્યા હતા. એમના વેતન માંથી બચત કરી કરી ને આજે એ ૮૦૦ વીઘા ના ખાતેદાર થયા છે. મયુર ને પણ ખેતી પ્રત્યે ખૂબ જ લગાવ એ એના દરેક વેકેશન જામ ખંભાળિયા માં જ પસાર કરે.
ત્યાજ એના મમ્મી જયશ્રીબહેન આવી જાય છે એટલે મયુર ખોવાયેલી મુદ્રા માંથી બહાર નીકળે છે. મયુર ને કહે છે કે બેટા તારું જમવાનું બાજુમાં રેહતા રચનાબહેન ને ત્યાં કહી દીધું છે. તું તારી તબિયતનું ધ્યાન રાખજે. રાતે મોડે સુધી ના વાંચતો આમ પણ તું યુનિવર્સિટી પ્રથમ જ આવે છો. તમે મારી કોઈ ચિંતા ના કરો હું બધું મેનેજ કરી લઈશ. પરંતુ મને તમારી ચિંતા થાય છે તમે ત્યાં તમારું ધ્યાન રાખજો મયુરે ચિંતિત વદને જયશ્રીબેન ને કહ્યું.
અર્જુનભાઈ ઉપર સુરેન્દ્રનગર ટ્રાવેલ્સ વાળો નો ફોન આવે છે અને કહે છે કે બસ અમદાવાદ આવી ગઈ છે તમે લોકો આવી જાવ. મયુર પોતાની ઇનોવા ગાડી માં પોતાનો પરિવાર અને મિત્રોને લઈ ને બસ વાળાએ આપેલ એડ્રેસ પર ગાડી પહોંચાડે છે. વિદાય વખતે મયુરની આંખોમાં જાણે ગંગા યમુના વહેવા લાગે છે. એનો પરિવાર પણ રડવા લાગે છે કારણ કે મયુર ને ક્યારેય એકલો મૂકી ને તે લોકો ક્યાંય ગયા નહોતા. મયુર પોતાના આંસુને રોકવા ઘણા પ્રયત્નો કરે છે પણ બધા પ્રયત્નો અસમર્થ સાબિત થાય છે. મયુર નું રુદન જાણે આખું અમદાવાદ દ્રૂજાવતું હોય. જાણે એનો પરિવાર એક મહિનાની યાત્રા એ નહિ પણ અનંત યાત્રા પર જતા હોય એવું રુદન મયુર ની આંખોમાંથી નીકળતા આંસુઓ અટકવાનું નામ નોહતા લેતા. ત્યાં હાજર બધા જ આ ચિત્ર ને નિહાળી ને ભીંજાતા હતા. વધુ કરુણ થતાં વાતાવરણને પલટાવવા મયુરના મિત્રો એ બાજી હાથ માં લીધી. તેઓએ મયુર અને પરિવારને સાંત્વના આપી. ત્યારે માહોલ થોડો હળવો થયો અને મયુર ના પરિવારને યાત્રા માટે વિદાય કર્યા.
મયુર અને એના મિત્રો પાછા મયુર ના ઘરે પહોંચે છે. પરંતુ મયુરના ચેહરા પર એક અજબ પ્રકાર ની અજંપાભરી રેખા ચિત્રાઈ આવે છે. એના શરીરમાં એક પ્રકાર નો ખાલીપો વર્તાય છે. પણ એના મિત્રો ત્યાં હાજર હોવાથી પોતાના મુખવટા ને બદલાવી નાખે છે. મયુર ના મિત્રો એ બહાર થી ભોજન મંગાવી મયુર ના ઘરે જ જમ્યા અને રાત્રિ પણ ત્યાં જ રોકાણા જેથી મયુર ને એકલું ના લાગે.
બીજે દિવસે મયુર પોતાના પપ્પા એ સોંપેલા કામ ને પૂરા કરવા ગાડી લઈ ને નીકળી જાય છે. પેહલા તે ભોળાભાઈને આપવાના એક લાખ રૂપિયા ભોળાભાઈ ના ખાતામાં નાખી અનાથાશ્રમ જવા નીકળે છે. રસ્તામાંથી રમકડાં અને ચોકલેટ લઈ અનાથાશ્રમ પહોંચે છે. મયુર દર મહિને તેના પપ્પા સાથે અનાથાશ્રમ આવતો હોવાથી ત્યાંના સંચાલક કેશુભાઈ પણ મયુર ને સારી રીતે ઓળખતા હોવાથી મયૂરને આદરથી આવકાર આપી ખુરશી પર બેસવા કહ્યું. સાથે એ પણ કહ્યું કે આજે કેમ એકલા? અર્જુનભાઈ નથી આવ્યા સાથે? મયુરે જવાબ આપતા કહ્યું કે કાલે જ મારા પપ્પા ઉતર ભારત ની યાત્રા પર એક મહિના માટે ગયા છે માટે આજે હું એકલો આવ્યો છું.
કેશુભાઈ :- વાહ ખૂબ સરસ , એમ તો મને પણ એકવાર કહેતા હતા કે કુદરતે લેખ લખ્યા હશે તો જઈ આવવું છે હરિદ્વાર. જુઓ ને આજે એમના લખાઈ જ ગયા ને લેખ. ભગવાન ને એવી પ્રાર્થના કે એમની યાત્રા વિના વિઘ્ને સંપન્ન થાય.
મયુર: આપનો આભાર કેશુભાઈ, ચાલો હવે મને બાળકો સાથે મુલાકાત કરાવો અને લો આ ચેક મારા પપ્પા એ મોકલાવ્યો છે.
કેશુભાઈ : આભાર, ચાલો હું તમને બાળકો પાસે લઈ જાવ (કેશુભાઈ ચેક ને પોતાના ટેબલના ખાના માં મૂકતા કહ્યું)
કેશુભાઈ બાળકો ની રૂમ માં લઇ જતા હતા ત્યારે મયુર એક દૃશ્ય જોઈ ને અભિભૂત થઈ ગયો. એક ૨૦ વર્ષ ની સુંદર યુવતી બાળકો ને પોતાના હાથે ચોકલેટ ખવડાવતી હતી. બાળકો સાથે મસ્તી કરતી હતી. બાળકો પણ એના વ્હાલ માં ખોવાઈ જવા ઈચ્છતા હોય તેમ તેના ગાલ ઉપર ચુંબન નો વરસાદ વરસાવી રહ્યા હતા. વર્ષોથી એકાબીજા પરિચિત હોય એમ એ યુવતી અને બાળકો આપસ માં મસ્તી કરતા હતા. મયુર ને આ દૃશ્ય જોઈ ઘણું આશ્ચર્ય થયું કારણ કે આની પેહલા ક્યારેય તેણે અનાથાશ્રમમાં આ યુવતીને જોઈ નહોતી અને બાળકોને ક્યારેય આટલા આનંદિત જોયા નહોતા. ત્યારે મયુર ને અનાયાસે જ કેશુભાઈ ને પૂછાય ગયું કે આ યુવતી કોણ છે મે એને ક્યારેય અહી જોય નથી. ચાલો તમે બાળકો ને મળી લો હું તમને મારી ઓફિસ માં એ યુવતી વિશે વાત કરીશ. પછી મયુર બધા જ બાળકો ને ચોકલેટ અને રમકડાં આપે છે પેલી યુવતી ની નજર પણ મયુર ની નજર સાથે ટકરાય છે એકાબીજા બંને સ્માઈલ આપે છે પરંતુ કોઈ વાત ની આપલે થતી નથી. મયુર આજથી પેહલા ક્યારેય કોઈ છોકરીને જોઈ ને આટલો નર્વસ થયો નહોતો. કોલેજમાં તો મયુર યુનિવર્સિટીમાં પ્રથમ આવતો અને હેન્ડસમ હોવાથી સામે થી ઘણી છોકરીઓ એ મયુર ને પ્રપોઝ કર્યું હોવા છતાં મયુરે કોઈ છોકરીને ભાવ આપ્યો નહોતો. છતાં કેમ આજે મયુર આ યુવતી માં ખોવાય જવા માંગતો હોય. મયુર માંડ પોતાની જાત ને સંભાળી કેશુભાઇની ઓફિસ માં પહોંચે છે.
કેશુભાઈ : મયુરભાઈ તમે જે યુવતીની વાત કરતા હતા ને તે આજ અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ છે. આજ થી ૨૦ વર્ષ પહેલાં એની જિંદગીની શરૂઆત અનાથાશ્રમના પગથિયાં થી થઈ હતી. એનો ઉછેર પણ મે મારા હાથે જ કર્યો છે. એનું મીનાક્ષી નામ છે જેનું નામ કરણ પણ મે જ કર્યું છે. એણે અનાથાશ્રમ છોડ્યું એને ૮ વર્ષ થયાં છે પરંતુ એ દર મહિને બાળકો ને પ્રોત્સાહન પુરૂ પાડવા અહી આવે છે. બાળકો પણ એને જોઈ ને ખીલી ઉઠે છે.
કેશુભાઈ ની વાત સાંભળી મયુર ને મીનાક્ષી પ્રત્યે ની લાગણી વધુ દ્રઢ થઈ ગઈ. મીનાક્ષી ના સજાવટ વગરના ચેહરાની સુંદરતામાં મયુર ખોવાય જાય છે. મયુર જાણે એના નિખાલસ હાસ્યમાં ઓતપ્રોત થવા લાગે છે. બધી જ શરમ ને નેવે મૂકી મીનાક્ષીને આલિંગન આપી દે તેવો એવો એહસાસ મયુર ને થવા લાગે છે. અચાનક તેના માણસ પલટ પર અનાથાશ્રમ ના બાળકોની છબી ચિત્રાય છે.
મયુર જાણે પોતાના મન સાથે જ વાત કરતો હોય એમ વિચારે છે કે અનાથ નું જીવન પણ કેવું છે? જેને થોડી હૂંફ મળતા જ બાળકો પીગળી જતા હોય છે. આ લોકો ને ખરેખર એક સાચા સથવારા ની જરૂર હોય છે. ત્યારે જ આ આપડો સમાજ એને અનાથ, અભાગ્યો અને બિચારો કહી ને ધુત્કારતા હોય છે. જ્યારે અનેક નાથો નો હાથ જેના માથે હોય એને અનાથ કેમ કેહતા હશે? ત્યાજ કેશુભાઈ મયુર ને ચા આપતા કહે છે કે ક્યાં ખોવાય ગયા મયુરભાઈ. તરત જ મયુર વર્તમાનમાં આવે છે અને ચા ની ચૂસકી ભરતા કેશુભાઈ ને કહે છે કે ક્યાંય ખોવાયો નથી અહીં જ છું. અત્યારે મીનાક્ષી શું કામ કરે છે? ક્યાં રહે છે? એકલી રહે છે કે કોઈ સાથે? એક સાથે ઘણા સવાલ કેશુભાઈ ને સંકોચ સાથે પૂછી નાખે છે.
કેશુભાઈ : મીનાક્ષી તેની એક સહેલી સાથે સાથે ભાડા ના મકાન માં રહે છે. અને તે બંને સીવણ કામ ના ક્લાસિસ ચલાવે છે.
મયુર : ઠીક છે, પણ મીનાક્ષી ખૂબ સારું કાર્ય કરે છે અને તેને બાળકો પ્રત્યે સારો લગાવ છે. ચાલો કેશુભાઈ હવે હું રજા લવ.
કેશુભાઈ : સારું મયુરભાઈ, મુલાકાત લેતા રેજો.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

મારી નવલકથા વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર. જો મારી નવલકથા આપને ગમી હોય તો જરૂર થી લાઈક, પ્રતિભાવ અને રેટિંગ આપવા વિનંતી. કારણ કે આપનો એક પ્રતિભાવ અમને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડે છે. 🙏🙏

મમ્મી, પપ્પા અને બહેન ને યાત્રા માં વિદાય કરી ને કેમ મયુર અજંપા ભરી સ્થિતિમાં આવી જાય છે?
શું મયુર ને સાચે જ મીનાક્ષી પ્રત્યે લાગણી ઉપસી આવી કે ફક્ત એક આકર્ષણ હતું?
શું ફરી મયુર મીનાક્ષી ને મળી શકશે?
વધુ આવતા અંકે.