Tran Vikalp - 19 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 19

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૯

અનુપ ખૂબ ઉત્સાહથી ખરીદીમાં વ્યસ્ત હતો. પહેલા એને સેજલ અને પપ્પાને કેવી રીતે સમજાવવા એ ચિંતા હતી. સેજલ પત્ની તથા એની દીકરીની મા હતી. પત્ની તરફથી ભલે એને પ્રેમની પૂરી તૃપ્તિ થઈ નહોતી, પરંતુ બન્ને વચ્ચે લાગણીનો એવો સંબંધ રચાયો હતો કે એના વગર જીવન જીવવાની વાત અનુપ માટે અશક્ય હતી. પપ્પા એટલો પ્રેમ કરે છે, કે એ ‘ના’ પાડશે પણ પછી પોતાને ગમે તે મનમાની કરવા દેશે એવો અનુપને દ્રઢ વિશ્વાસ હતો. મમ્મી શું વિચારશે અને કહેશે એ કોઈ દિવસ પરવાહ કરી નહોતી એટલે મમ્મી વિષે વિચારવાની અનુપને કોઈ જરૂરિયાત નહોતી લાગી. માધવ થોડા દિવસો દિલ્લી રોકવાનો હતો એટલે એની બાબતે અનુપ બેફિકર હતો. માધવને કશું જણાવવાની જરૂર નહોતી અને જ્યારે એ બધુ જાણશે ત્યારે વાત એટલી આગળ વધી ગઈ હશે કે, પરિસ્થિતી સ્વીકારવા સિવાય કોઈ માર્ગ નહીં રહે. અનુપે ઘરના દરેક સભ્યને લઈને શું સ્થિતિ સર્જાઈ શકે છે તે મનોમંથન ખૂબ ચીવટતાથી કર્યુ હતું.

એની ઊંઘમાં બોલવાની આદતના લીધે ઘરમાં બધાને ખબર પડી હતી. જીવનમાં પહેલી વાર એને એની કમજોરીથી ફાયદો થયો હતો. સ્પષ્ટ શબ્દોમાં અનુપે હર્ષદરાય અને સેજલને કહ્યું હતું કે આવતીકાલે એ નિમિતા સાથે મંદિરમાં લગ્ન કરશે. અનુપની સામે થવાની હિંમત સુહાસિની કે સેજલ બન્નેમાંથી કોઈને નહોતી. જ્યારે હર્ષદરાય દીકરો સેજલની મોહમાયામાંથી બહાર આવે છે એ અગત્યનું હતું સાથે એક નવી છોકરી સાથે શરૂ થઈ રહેલા સંબંધની નફરત પણ હતી.

અનુપને વિશ્વાસ આવ્યો હતો કે નિમિતા સાથેના સંબંધથી કોઈને પરેશાની નથી. માધવને ખબર પડે તો એ વિરોધ કરશે એ અનુપ જાણતો હતો. માધવ અને સંતોષ એ દિવસો દરમિયાન દિલ્લીની ફેક્ટરીનાં કામમાં વ્યસ્ત હતા. એ વાતનો ફાયદો લઈને અનુપ એની પ્રેમની દુનિયામાં આગળ વધ્યો હતો.

અનુપના મનની ધરતીમાં પ્રેમના જે બીજ રોપ્યા હતા, વર્ષો સુધી એ બીજમાંથી અંકુર ફૂટયા નહોતા. નિમિતા એના જીવનમાં પ્રેમના અંકુર લઈને આવી હતી. અનુપે પોતાની જાતને વચન આપ્યું હતું કે હવે નિમિતા અને સેજલ સિવાય બીજી કોઈ છોકરીને હાથ પણ નહીં લગાડે. અનુપ એના ઇરાદાથી મજબૂત હતો. પણ એ નહોતો જાણતો કે એ અજયના મગજ સુધી ક્યારેય પહોચી શક્યો નથી. એના અંદર રહેલો જાનવર ક્યારે બહાર આવે છે, એ પણ અનુપ કોઈ દીવસ સમજી શક્યો નહોતો.

અનુપ જે મંદિરમાં લગ્ન કરવાનો હતો તે મંદિરમાં જઈને પંડિત સાથે બધી વાત નક્કી કરતો હતો ત્યારે ઓફિસમાં અજય એના શેતાની દિમાગથી નિમિતાનાં દિલમાં હજારો સવાલો ઊભા કરતો હતો. અનુપના જીવનનાં દરેક પાસા નિમિતાને કહેવાની ના પાડી છે, તોય કેમ બોલી એમ કહી વિદ્યા ઉપર અત્યાચાર કરતો હતો. વિદ્યાનાં ખભા ઉપર બંદૂક મૂકી અજયે નિમિતાનાં મગજ પર શંકાઓની ગોળીઓ છોડી હતી.

નિમિતા અને પોતાના માટે લગ્નનાં કપડાં, ઘરેણાં શૃંગાર બધુ લઈને મનમાં સપના સજાવતો અનુપ ઓફિસમાં આવે છે. કોઈ દિવસ હાથમાં નાનો કાગળ લઈને નહીં આવતો અનુપ આજે હાથમાં શોપિંગની બેગ્સ લઇને આવ્યો હતો. એ જોઈને દરેકને ખૂબ નવાઈ લાગે છે. થોડા દિવસથી બધી છોકરીઓને પણ કોઈ અત્યાચારનો સામનો કરવો નહોતો પડતો એટલે ખૂબ મન લગાવી કામ કરતી હતી. એ બધી છોકરીઓને પણ અનુપના પ્રેમાળ અને શાંત સ્વભાવને જોયો હતો. તમામ સ્ત્રીઓએ અનુપને આટલો ખુશ કોઈ દિવસ જોયો નહોતો.

ઓફિસમાં બધા પોતાને જોઈને ગુસપુસ કરે છે, તે જોઈને અનુપ બધાને વારાફરતી જોતો બોલે છે.; “સાંભળો બધા... કાલે હું અને નિમિતા નજીકના રાધા-કૃષ્ણનાં મંદિરમાં લગ્નગ્રંથિથી જોડવાના છે... કાલે તમને બધાને મારા તરફથી પાર્ટી... હું જાણું છું... તમને બધાને મેં બહુ હેરાન કર્યા છે... મારા દરેક વર્તન માટે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું... મેં તમારા લોકો ઉપર જે અત્યાચાર કર્યો છે... એ તમે બધા બને તો માફ કરજો... હું તમને બધાને વચન આપું છું કે આજ પછી કોઈ છોકરીના સપનાઓનો ભોગ આ ઓફિસમાં થશે નહીં.”

અનુપના બધા શબ્દો દિલથી બોલતા હતા એ દરેક સ્ત્રીને મહેસૂસ થાય છે. અનુપની વાતો સાંભળીને બધી છોકરીઓ તાળી પાડીને પ્રોત્સાહન આપે છે. બહાર ખુશીની તાળીઓ વાગતી હતી તો નિમિતાના હ્રદયમાં અજયના બોલેલા અસંખ્ય શબ્દોનાં બાણ વાગ્યા હતા. અનુપ એના જીવનની ખુશીઓ અને સુખથી ભરેલા જીવનની શરૂઆતની વાત કરતો હતો. બીજી બાજુ અજય એ ખુશીઓ પર આગ લગાવતો હતો ઉપરથી દરેક વાતમાં પેટ્રોલ છાંટી રહ્યો હતો. અનુપે પ્રેમનાં સંસારમાં પ્રથમ ડગલું ભર્યુ હતું તો અજયે એ સંસારનું નામોનિશાન ના રહે એ માટે પ્રથમ ડગલાંને જમીનથી ઊંડે પાતાળમાં ધકેલ્યું હતું. જ્યાંથી અનુપને નિમિતા સાથે રમાઈ રહેલી અતિ ધૃણાસ્પદ કપટની કોઈ ગંધ આવવાની નહોતી. અજયે એવી કોઈ કમજોર કડી રાખી નહોતી જેનાથી અનુપ અને નિમિતા બચી શકે.

નિમિતાનાં શરીર શાથે અનેક પ્રકારના જોરજુલમ, અધર્મ કરવા માટે અજયે એક કાંકરે ત્રણ પક્ષી મારવાની યોજના બનાવી હતી. અજયને નિમિતાનું દરેક કાર્યમાં હોશિયાર તથા સુંદર હોવાનું અભિમાન તોડવું હતું. વિદ્યાની જેમ કોઈ બીજી છોકરી બળવો કરવાનું આજીવન વિચાર પણ કરે નહીં અને સૌથી વધારે અગત્યનું અનુપ હંમેશાં એના હાથની કઠપૂતળી બનીને રહે. અજય એની અતિ ભયંકર દૂરબુદ્ધિથી એવું પાપ કરતો હતો, જે ભવિષ્યમાં એને પોતાના હાથે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનું હતું.

ક્રમશ: