The journey from food giver to food waste books and stories free download online pdf in Gujarati

અન્નદાતા થી અન્ન બગાડની સફર

🚶 અન્નદાતા થી....
અન્ન બગાડની સફર..!!🚶

ખોબો ભરી મોકલું જળ સાચવી લે,
છે અમૃત તણી મીઠાશ જીલી લે..!

અન્નદાતા કોણ ? તો જવાબ મળશે ઈશ્વર પરંતુ આપણો ખરેખર અન્નદાતા ખેડૂત છે .જે મહેનત મજૂરી કરીને ખેતરમાં ધાન પકવે છે.ખેડૂતની કાળી મજૂરી બાદ ખળામાં પથરાયેલા અન્નને કેટકેટલાય લોકો આરોગતા હશે . પછી તે કીડી હોય કે કબૂતર હોય કે અન્ય કોઈ જીવ...

🌸ધરણી અમી ફૂટે ને ખેતર બીજ લહેરાય...
તાત પ્રસ્વેદ છૂટે ને પાક બીજ બની લહેરાય...!!

કુદરત બદલો આપે મહેનત મુજબ,
શું મળે વળતર ધારણા મુજબ....???

🚶ખેતરમાંથી અનાજ વેચાણ અર્થે ગંજમાં કે અન્ય દુકાનો માં જાય ત્યાં પણ વજનના લેખા જોખા થઈ ખેડૂત ને કરકસર્ભર્યો ભાવ મળે.દુકાનોમાં મળતા અનાજ માં પણ સારા દાણા માં ખરાબ દાણા ની કે કાંકરા ની કેટકેટલીય ભેળ કરવામાં આવે અને ઉંચા ભાવે વેચવામાં આવે.

આવા મહામહેનતે પકવેલા અને અન્નદાતા એવા ખેડૂતે પકવેલા અનાજ નો વ્યય કરતા પહેલા આપણે સેજ પણ વિચાર કરતા નથી .ચાલો અનાજના થતાં બગાડ પર થોડી ચર્ચા કરીએ.

🚶ઘરમાં થતો અન્નનો બગાડ :-

ઘર ઘર કી કહાની....બે વ્યક્તિની જમવાનું બનાવવાનું ત્યાં ચાર જમે તેટલી રસોઈ બનાવી દઈએ.વાસી ખોરાક ખાવાથી બીમાર થવાય તેથી તે ખોરાક ગામડામાં હશું તો ચાટ માં જશે અને શહેરમાં રહેતા હશું તો ડસ્ટબિનમાં જશે.આવા સમયે કેટલાય જાગૃત નાગરિકો એ પોતાની રીતે વધેલા ખોરાક નો વ્યય થતો બચાવવાના પ્રયત્નો કરેલા છે.

🖋️ કેટલીક સોસાયટીમાં પ્રવેશદ્વારે એક એવું ફ્રીઝ ગોઠવવામાં આવ્યું છે.વધેલું જમવાનું વ્યવસ્થિત બાંધી એ ફ્રિઝ માં મુકવામાં આવે અને જરૂરિયાતમંદ પોતાની રીતે આવી તે જમવાનું લઈ જાય.

🖋️કેટલાક ગામડાઓમાં વધેલી રોટલી લેવા લોકો ફરે છે અને પછી તે રોટલી ગરીબોને ભોજનમાં પીરસવામાં આવે છે. આ રીતે ખોરાક ધૂળમાં ન ભળતા કોઈના પેટનો ખાડો પુરે છે.

🚶હોટલમાં થતો અન્નનો બગાડ :-
આપણે અવારનવાર રવિવાર કે કોઈ નાનામોટા સેલિબ્રેશન માટે હોટેલમાં જમવા જઈએ છીએ પરંતુ શું ત્યાં ઓર્ડર કરેલું પૂરેપૂરું જમીએ છીએ ....? ના અને બિલ પૂરેપૂરું ચૂકવીને આવીએ છીએ.પરંતુ ઓર્ડર કરેલ જમવાનું જો વધે તો તેને પેક કરાવી ઘરે લાવીએ અથવા કોઈ રસ્તામાં બેઠેલા ગરીબ ભિખારી ને આપીએ તો અન્નનો બગાડ અટકેલો ગણાશે.

🚶લગ્નમાં થતો અન્ન બગાડ :-

ફેશન અને દેખાદેખીમાં અન્નનો બગાડ લગ્ન જેટલો ક્યાંય થતો નથી. કુટુંબીજનો ના આગ્રહ થી બે - ચાર આઇટમ વધારે રાખવી થી માંડી સોળ જાતના પકવાન હોય....અને એમાં પણ આપણે ખાવામાં રહી જશું તેવી ખોટી સોચ થી થતી પડાપડી .... આ બધા વચ્ચે.....થાળી પૂરેપૂરી ભરવામાં આવે અને એમાં પણ આપણી અને આપણા પેટ ની કેપેસિટી બહારની વસ્તુ હોય....પછી તો ખાવા કરતા બગાડ વધારે થાય.જે લગ્ન પ્રસંગ માં આવા બગાડ ન થાય માટે ખાવું હોય એટલું લેવું એવું કહેવા જતા ....કંજૂસ વ્યક્તિનું બિરુદ ચોક્કસ થી મળી જાય અને સમાજમાં વાતો થાય એ તો અલગ... આ સોચ ખરેખર બદલવાની જરૂર છે.

🚶કોરોના કાળ :-
કોરોના કાળ ને એક વર્ષ પૂરું થઈ ગયું. લોકડાઉનના હિસાબે મજૂર વર્ગને ખાવાના પણ ફાફા થઈ ગયા હતા આવા સમયે કેટકેટલાય દરિયાદિલ વ્યક્તિ ખોરાકના ફૂડ પેકેટ બનાવી આપતા હતા. મફતિયું મળે તો ઝેર પણ પી લઈએ એવી પણ પ્રકૃતિ ધરાવતા લોકો છે .પેટ પૂરતું મળ્યા બાદ પણ ફૂડ પેકેટ નો ઢગલો ભેળાં કરતા જોયા છે. આ અનાજનો બગાડ જ કહેવાય પરંતુ એ ફૂડ પેકેટ બીજા ચાર નું પેટ ઠારી શકતા હતા.

મિત્રો , કેટકેટલીય કુદરતી સંપતિ એવી છે જેનો નાશ થવા આવ્યો છે.આવા સમયે ખેડૂત કે જે અન્નદાતા છે તે કાળી મજૂરી કરી અન્ન પકવે છે અને આપણે તેની કિંમત ચૂકવી અન્ન ખાઈએ છીએ તો આવા અન્નનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવું એ હિતાવહ છે.

- વનિતા મણુંન્દ્રા ( વાણી* )