Existence of God books and stories free download online pdf in Gujarati

ભગવાન નું અસ્તિત્વ

"શું તને વિશ્વાસ છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે?", સાયન્સ કોલેજ ના એક શિક્ષકે તેના વિદ્યાર્થીને પૂછ્યું.
"હા" વિદ્યાર્થીએ સહજતાથી જવાબ આપ્યો.
"શું ભગવાન ખુબ જ શક્તિશાળી, સારા અને પરમકૃપાળુ છે?"
"હા સાહેબ"
"શું તેણે જ આ સૃષ્ટિ ની રચના કરી છે? આ બધી વસ્તુઓ જે આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ તે શું ભગવાને જ બનાવી છે?"
"હા સર. ભગવાને જ આ દુનિયાનું નિર્માણ કર્યું છે."
"બરાબર....તો મને હવે એ કહે કે શું શેતાન ખરાબ છે?"
"હા, સર ચોક્કસપણે."
"હા, તો હવે મારી વાત સાંભળ. શેતાન ખુબ ખરાબ છે અને તારા કહેવા પ્રમાણે ભગવાને જ આ બધી વસ્તુઓ ને બનાવી છે કારણ કે તે પરમ શક્તિશાળી છે. બરાબર ને?"
"હા"
"તો પછી શેતાન ને કોણે બનાવ્યો?"

(વિદ્યાર્થી જવાબ ન દઈ શક્યો)

"આ દુનિયામાં દુઃખ, દર્દ, નફરત આ બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે. તો કહે કે આ વસ્તુઓ ને કોણે બનાવી?" શિક્ષકે ફરી પ્રશ્નનો હુમલો કર્યો.

(કાંઈ જવાબ નહિ.)

"આપણા વિજ્ઞાન પ્રમાણે જે વસ્તુ ને જોઈ, સાંભળી, અડી કે અનુભવી શકાય તે જ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. બીજું કાંઈ પણ નહિ. છતાં પણ તું ભગવાન માં વિશ્વાસ રાખે છે? કેમ?" શિક્ષકે કહ્યું.
"કારણ કે મને ભગવાન પર ભરોસો છે."
"હા... ભરોસો. આ જ શબ્દ સાથે વિજ્ઞાન ને વાંધો પડે છે. અને વિજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે." શિક્ષકે પોતાના મનની વાત કરી અને પોતાના વિચારો પર ગર્વ અનુભવતા હળવું સ્મિત આપવા લાગ્યા..

(થોડા સમય માટે મૌન રહી, વિદ્યાર્થી એ પોતાના ગુરુ ને પ્રત્યુત્તર આપવાનું નક્કી કર્યું.)

"સર, શું આ જગત માં અંધારા જેવી કોઈ વસ્તુ છે ખરી?" વિદ્યાર્થી એ પ્રશ્ન પૂછ્યો.
"હા"
"ના સર, આ દુનિયામાં અંધારા જેવી કોઈ વસ્તુ છે જ નહિ. અંધારું એ પ્રકાશ ની ગેરહાજરી છે. તમે લાલ, પીળો, સફેદ ગમે તેવો પ્રકાશ પાડી શકો છો. તમે ટોર્ચ લાઈટ થી અંજવાળું પણ પેદા કરી શકો છો. પણ શું તમે તેનાથી અંધારું પેદા કરી શકો? શું તમે લાલ, પીળું અંધારું બનાવી શકો છો?"
"નહિ" ટીચરે જવાબ આપ્યો.
"બસ એમ જ, ખરાબ વસ્તુ અને શેતાન ને કોઈએ બનાવ્યા નથી. પણ એ સારા તત્વ ની ગેરહાજરી ને કારણે ઉત્પન્ન થાય છે." વિદ્યાર્થી એ આ સમજાવતા ફરી પૂછ્યું, " સર, શું તમારું મગજ અમે કોઈએ જોયું, સાંભળ્યું, અડ્યું કે અનુભવ્યું છે?"
"નહિ" જવાબ આપતા શિક્ષક સમજી ગયા કે હવે આ તર્ક ક્યાં જાય છે!
"તો સર, આપણા વિજ્ઞાન પ્રમાણે શું અમારે એવું માની લેવું જોઈએ કે તમારી પાસે મગજ નથી?"

(પુરા વર્ગ માં હાસ્ય નુમોજું ફરી વળ્યું.)

શિક્ષકે જવાબ આપતા કહ્યું "ના મારી પાસે મગજ છે. એટલો તો તમારે મારા પર ભરોસો રાખવો પડે ને!"
હવે વિદ્યાર્થી એ પોતાના મનની વાત મૂકી."બસ એ જ સર. ભરોસો, વિશ્વાસ. આ જ એ વસ્તુ છે જેની સાથે તમારા વિજ્ઞાન ને વાંધો છે પણ જેના પર આ દુનિયા કાયમ છે. જેમ તમારું વિજ્ઞાન ગરમી અને તાર માં રહેલા વિદ્યુતપ્રવાહ ને જોઈ શકતું નથી છતાં પણ તેના અસ્તિત્વને માને છે. તેવી જ રીતે હું ભગવાનને માનુ છું, અને તેના અસ્તિત્વ પર મને પૂરો વિશ્વાસ તથા શ્રદ્ધા છે. અને ભરોસો એ જ મનુષ્ય અને ભગવાન ની વચ્ચે ની કડી છે."
થોડા દિવસો પહેલા, મારો ફેવરિટ શોખ કે જેને બધા ઈન્ટરનેટ સર્ફિંગ કહે છે તેનો હું આનંદ માણતો હતો. અને ઉપર રહેલો સંવાદ મારી નજરે ચડ્યો. ભગવાનના અસ્તિત્વ વિષે આવી રસપ્રદ ચર્ચા પહેલા ક્યારેય જોઈ ન હોવાથી તેને અહીંયા મૂકી છે. ઘણા લોકો ઈશ્વર છે કે કેમ તેના પર ચર્ચા કરે છે. ચેલેન્જ મૂકે છે. અને ઘણી વાર જીતી પણ જાય છે!
પણ શું ખરેખર આપણે એ ચર્ચા કરવાને કે પછી ઈશ્વર ના અસ્તિત્વ પર પ્રશ્ન મુકવાને સક્ષમ છીએ? આપણા ધર્મ અને વેદો પ્રમાણે ભગવાન ને સ્વર્ગીય અને દિવ્ય કહેવામાં આવ્યા છે કે જેને જોઈ શકવાની કે અનુભવ કરવાની ના તો આપણા માં કૅપેસિટી છે કે ના તો આપણે તેને માટે લાયક છીએ.
હમણાં જ મેં ટીવી પર એક ફિલ્મ જોઈ. નામ હતું-"ઓહ માય ગોડ". પરેશ રાવલ અને અક્ષય કુમાર ની જોડી એ ખુબ જ સારું કામ કર્યું છે. ભગવાન નું અસ્તિત્વ અને તેના કાર્યો ની એકદમ સચોટ સાબિતી આપી છે અને સમજાવવાની કોશિશ પણ કરી છે. આ સાથે જ અંધશ્રદ્ધા નો મુદ્દો પણ વિગતવાર ચર્ચ્યો છે. આ મૂવી ને સંબંધિત જ એક ઘટના અથવા કહું તો એક મનોરંજક કિસ્સો મારા મિત્ર સાથે ઘટ્યો. એ ઘટના માં ફક્ત બે જ વસ્તુ છે-એક પ્રશ્ન અને બીજો તેનો લાંબો...જવાબ. આ પ્રશ્નોત્તરી ખુબ જ ઊંડાણ ભરી અને મારા આ લેખ ને લગતી વળગતી હોવાથી એ અહીંયા અહીંયા મૂકી છે, થોડીક લાંબી છે પણ સમજવા જેવી છે.
--------------------------------------------------------------------------------------------------------------------------------------
એક વ્યક્તિ એ મારા મિત્રને પૂછયું,"જો કોઈ વ્યક્તિ કૈલાશ પર્વત નું પર્વતારોહણ કરે. ત્યાંની દરેક જગ્યા એ ફરી વળે અને પછી બધાને સાબિતી દેખાડે કે ત્યાં ભગવાન શિવ કે પછી તેના જેવું કોઈ છે જ નહિ , અને એ બધો મનુષ્યનો ભ્રમ છે.... તો શું થાશે?"
પ્રશ્ન ખુબજ વિચિત્ર અને મહત્વ ધરાવતો હતો. એટલે મારા મિત્ર એ આ પ્રશ્ન નો જવાબ એક ઉદાહરણ દ્વારા આપવાનું નક્કી કર્યું. તેને તે વ્યક્તિ ને સંબોધી ને કહ્યું,"ધ્યાન થી સાંભળજે, આ ઘટના હજુ ગઈ કાલની જ છે...." આટલું સાંભળતાની સાથે જ પેલા ભાઈ ને આ વાત રસપ્રદ લાગવા લાગી એટલે તે કાન દઈને સાંભળવા લાગ્યા.
મિત્ર એ વાત આગળ ચલાવી,"ગઈ કાલે સાંજે હું મારા કોમ્પ્યુટર પર કામ કરતો હતો અને મારો મોબાઈલ ફોન મેં ટેબલ પર દીવાલ ને સ્પર્શે એ રીતના ત્રાંસો મુક્યો હતો. બરાબર ૮:૦૦ વાગ્યા હતા ને એ જ સમયે કીડીઓ નું એક ટોળું મારા ફોન પર આંટા મારતું હતું. આ જોઈને સહજતાથી તેમને દૂર કરવા મેં ફૂંક મારી અને બધી કીડીઓ નીચે ટેબલ પર ખરી પડી. ૮:૧૦ એ ફરી વાર મેં જોયું તો અમુક કીડીઓ મારા ફોન પર ચડતી હતી, પણ તેને હટાવવા સિવાય પણ મારે બીજું ઘણું અગત્યનું કામ હોવાથી તેમના તરફ ધ્યાન ન દેતા, મેં મારુ કામ ચાલુ રાખ્યું. બરાબર ૮:૧૧ એ કીડી ઓ મારા મોબાઈલ ની ટોચ પર ફરતી હતી", આટલું કહેતાંની સાથે જ તેણે તેની વાત પર વિરામ મુક્યો.

પેલા ભાઈને કાંઈ સમજણ ન પડતા પૂછ્યું,"તો શું? આ વાત ને મારા પ્રશ્ન સાથે શું લેવા દેવા છે? કાંઈ સમજાણું નઈ."
"તો ચાલ હવે સમજાવું…." કહેતા મારા મિત્ર એ વિચારવિસ્તાર કર્યો,
"સમજ કે આપણે અત્યારે કીડીઓની દુનિયામાં છીએ. તો ત્યાં કીડીલોક (કાલ્પનિક કીડીઓનો દેશ) માં અત્યારે શું વાત ચાલતી હશે?
એક કીડી બીજી કીડી ને- જો, ત્યાં છે આપણી દુનિયાનો સૌથીમોટો પર્વત..., જેનું નામ છે સેલફૉનિયા. ત્યાં હજુ સુધી કોઈ જ કીડી ચડી શકી નથી. પણ હું તે પર્વત પર ચડીશ, અને તેની ટોચ પર પહોંચીને એક નવો ઇતિહાસ રચીશ...
બીજી કીડી- એ અશક્ય છે. તને ખબર છે, જયારે પણ કોઈ કીડી તે પર્વત પર જાય છે, ત્યારે અચાનક એક વિશાળ વાવાજોડું ફૂંકાય છે અને તમને નીચે પાડી દે છે! અને વધુમાં, દંતકથાઓ તો એમ પણ કહે છે કે કોઈ "માણસ" નામનું પ્રાણી એ પર્વત નો ઉપયોગ બીજા "માણસ" સાથે વાત કરવા માટે કરે છે!
પહેલી કીડી- હં..., આ બધી લોકવાયકાઓ છે. હું ચડીશ અને સાબિત કરી બતાવીશ કે ત્યાં કોઈ જ "માણસ" નામનું પ્રાણી નથી. અને શું તે કદી કોઈને પર્વત નો ઉપયોગ વાત કરવા માટે કરતા જોયો છે? આ બધી અંધશ્રદ્ધા છે. હું આ બધી વસ્તુઓ ને ખોટી સાબિત કરી દઈશ. હું વિજ્ઞાનનો એક નવો યુગ શરુ કરીશ, જે અંધશ્રદ્ધા, લોકવાયકા અને દંતકથાઓ થી મુક્ત હશે.
બીજી કીડી- ઓકે, સારું..તો..બેસ્ટ ઓફ લક.
--------------------------------------------------------------------------------------------------------------------------------------
તે પહેલી કીડી ત્યારબાદ તે સેલફૉનિયા નામનો પર્વત ચડવાનું શરુ કરે છે પણ અચાનક એક વાવાજોડું તેને નીચે ફૂંકી દે છે.(યાદ છે, ૮:૦૦ વાગ્યે મેં તે ફૂંક મારી હતી.)
તે કીડીએ મનમાં વિચાર્યું, હં..ખરેખર વાવાજોડું છે અને હું નીચે પણ પડી ગઈ. પણ હું હાર નઈ માનું. હું આ પર્વત ની ટોચ પર જઈને જ જંપીશ.
તે કીડી ગમે તેમ કરીને સેલફૉનિયા પ્રવત ની ટોચ પર પહોંચી જાય છે.(ઉપર પ્રમાણે, ૮:૧૧ વાગ્યે.)
આ પર્વતારોહણ ની સાથે જ તે પોતાને કીડીલોક ની પ્રથમ અને શ્રેષ્ઠ કીડી માનવા લાગે છે. ત્યારબાદ પોતાના ઘરે એક હીરો જેવું સ્વાગત મેળવે છે અને તરત જ પ્રેસ કોન્ફરસ બોલાવે છે.
"મને મારા પર પૂરો વિશ્વાસ હતો. હું તે પર્વત ની ટોચ સુધી જઈને આવી છું. ત્યાં કોઈ જ નહતું. કોઈ જ નહિ, પેલો "માણસ" પણ નહિ. તો માણસ ના અસ્તિત્વ નો અને તેમના દ્વારા આ વિશાળકાય પર્વત નો વાત કરવા માટે ઉપયોગ કરવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. આથી આ દંતકથા અને તેના અસ્તિત્વ નો અહીંયા અંત થાય છે."
આ કીડી ત્યારબાદ વિજ્ઞાનને મદદ કરવા બદલ નોબેલ પારિતોષિક મેળવે છે, અને તેનું બાકીનું જીવન શાંતિથી વિતાવે છે.
--------------------------------------------------------------------------------------------------------------------------------------
"તો ભાઈ આ વાત પરથી શું સમજવાનું?
૧. ભલે, એ કીડી સેલફૉનિયા પર ચડી ગઈ, પણ શું તે ખરેખર તે ફોન કે પછી તેનો માનવ દ્વારા થતો ઉપયોગ સમજી શકી? એ જ રીતે કદાચ આપણે કૈલાસ પર્વત પર ચડી તો જઇયે, પણ આપણને ક્યારેય પણ તેના અસલી સ્વભાવ ની ખબર નઈ પડે.
૨. માણસ અને કીડીઓ એક જ જગ્યાએ અથવા તો એક જ રૂમ માં રહે છે. છતાં પણ તે સામે ઉભેલા માણસ ને જોવાને કે સમજવાને માટે અસમર્થ છે. તેના માટે કદાચ આપણો એક રૂમ એ એક ગ્રહ છે અને એક 3 BHK ફ્લેટ એ એક સૌરમંડળ છે. એમ જ , એક માણસ ક્યારેય પણ ભગવાનને જોઈ નહિ શકે. કારણ કે મનુષ્ય પાસે તે ઉચ્ચ દિવ્યતા અને પરિમાણ, એટલે કે ભગવાન શંકર ને જોવાની કે સમજવાની દિવ્યદ્રષ્ટિ અને બુદ્ધિ નથી.
૩. શું મનુષ્યને, એ કીડીઓ પોતાના ફોન પર ચડે તેનાથી કાંઈ પણ ફરક પડે છે? કાંઈ નહિ. કારણ કે આપણી પાસે તેના કરતા પણ બીજા ઘણા મહત્વના કામો છે. એ કીડીઓ આપણા માટે ક્યારેક હાસ્યનો અથવા તો ક્યારેક ચીડીયાપણા નો વિષય બની રહે છે. આ જ રીતે, કોઈ મનુષ્ય કૈલાસ પર્વત પર ચડવાનો પ્રયત્ન કરે, તો એ શંકર ભગવાન માટે ફક્ત હાસ્યનો અથવા આનંદ નો જ વિષય બની રહેશે. અને જો કોઈ વ્યક્તિ એ પર્વત પર ચડી પણ જાય, તો પણ ભગવાનને એનાથી કાંઈ જ ફરક નઈ પડે.
૪. શું એ કીડી ને ક્યારેય પણ ખબર પડશે કે તે "વાવાજોડું" ક્યાંથી આવ્યું હતું?; એમ જ, માણસ કદાચ આ બધા વંટોળો ને સમજવાની કોશિશ કરશે, અને તેને ભૂગોળ માં થતા ફેરફારો નું પરિણામ પણ બતાવશે. પરંતુ કદાચિત, કીડી ની જેમ જ આપણું આ મગજ પેલા વાવાજોડા ને સમજવાનું કે તેના અસ્તિત્વ નું કારણ ક્યારેય પણ નઈ સમજી શકે.
૫. કીડી, પોતાની તમામ બુદ્ધિ સાથે પોતાને જ આ વિશ્વનું કેન્દ્ર અને પોતાને જ આ વિશ્વની એક માત્ર પ્રજાતિ સમજે છે. જેણે આ દુનિયા પર કબજો કરેલો છે; આજ રીતે, આપણે પણ એવું માનીએ છીએ કે, મનુષ્ય જ એક સર્વોચ્ચ પ્રજાતિ છે, જે આ દુનિયાના સર્વશ્રેષ્ઠ વડા છે અને આ દુનિયા પર તેમનો કબજો છે.

તો હવે મને આશા છે કે તમને તમારા પ્રશ્નો નો જવાબ મળી ગયો હશે." આ કહેતા જ મારા મિત્રએ પોતાની વાત પર પૂર્ણવિરામ મૂક્યું.
તમે માનશો નહિ, એ ભાઈ નું મુઢુ ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું. પોતાના પ્રશ્નોનો અને ભગવાન ના અસ્તિત્વ પર ના પોતાના સંદેહ નો એકદમ સચોટ જવાબ મળતાં તેમના માં એક આશા અને ઉત્સાહ ની લાગણી દેખાઈ.
તો મિત્રો, મારુ તો એવું માનવું છે કે આ બધી ઘટનાઓ જે થાય છે, તેનો કંટ્રોલ અને કંટ્રોલ રૂમ…એટ લિસ્ટ..અહીંયા તો નથી જ. કે પછી એમ કહું કે આ પૃથ્વી પર તો નથી જ. અને જો કદાચ એ અહીંયા છે, તો તેમને જોવાની દિવ્યદ્રષ્ટિ આપણી પાસે નથી. મારી આ જ વાતને ટેકો આપતા, શ્રીમદ ભગવદ ગીતા નો એક શ્લોક અહીંયા મુકું છું,

न तु मां शक्यसे द्रष्टुं अनेन एवस्व चक्षुषा I
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगं योगं ऐश्वर्यम् II

- ભગવાન વિષ્ણુ અર્જુન ને કહે છે કે, તું તારી આ સામાન્ય દ્રષ્ટિ થી મને ક્દી પણ નહિ જોઈ શકે. તેથી હું તને આ દિવ્યદ્રષ્ટિ આપું છું. મારા આ દિવ્ય સ્વરૂપ ના દર્શન કર.