Navratri Aarhame Patari vidhi books and stories free download online pdf in Gujarati

નવરાત્રિ આઠમે પતરી વિધિ

નવરાત્રી આઠમે પતરી વિધિ
કચ્છના સુપ્રસિધ્ધ યાત્રાધામ માતાનામઢનો ઇતિહાસ જગવિખ્યાત છે. વર્ષના ચૈત્ર અને અશ્વિન માસના બે નોરતા પૈકી શારદી નવરાત્રીમાં સમગ્ર દેશમાથી પદયાત્રિકોનો મોટો પ્રવાહ માતાના ચરણે શીશ ઝુકાવે છે. માતાના મઢમાં અશ્વિન નવરાત્રીમાં 2 મુખ્ય વિધિ થાય છે. એક સાતમના મધ્યરાત્રિએ અહીના મહંત યજ્ઞ કરી નાળિયેર હોમે છે અને આઠમના સવારે કચ્છના રાજવી કુટુંબ તરફથી ચામર ઉપડવાની અને જાતર ચડાવવાની વિધિ થાય છે.

અગાઉના જમાનામાં રાવ પહેલા ખેંગારજીએ કચ્છ પર કબ્જો જમાવ્યા વખતે અને ભુજ ની રાજધાની તરીકે સ્થાપના થયા બાદ રાવસાહેબ અને તેમના કુટુંબ દ્વારા અષ્ટમીના માતાજીના મઢમાં ચામર ઉપાડવાની અને જાતર ચઢાવવાની વિધિ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. તે જમાનામાં ઘોડા પર અને રથ યા વેલમાં મઢ સુધીની યાત્રા કરવાની હોતા ભૂજમાં મોમાઈ મહામાયાની પૂજન વિધિ કરી ત્યાંથી મોરપીંછની દાંડી માંથી બનાવેલી બે-ચામર મહારાજ કે તેમના કુટુંબના કોઈ એક સભ્ય જમણા ખભા પર ઉપાડી દરબારગઢમાં થી પાટવાડી નાકા સુધી નવરાત્રીની પંચમીના દિવસે પગપાળા જતાં. ત્યાંથી ચામર વેલમાં મૂકવામાં આવતી અને બીજા બધા ઘોડા પર બેસી માતાનામઢ તરફ પ્રયાણ કરતા. ભડલી થઈ નખત્રાણામાં આરામ કરી સાંજે મઢ પહોંચતા. તે બીજે દિવસે સવારે મુરત પ્રમાણે ચાચરા કુંડમાં સ્નાન કરી ચાચરા ભવાનીની પૂજા થતી અને તે પ્રથા આજે પણ ચાલુ છે. ત્યાંથી ચામર ઉપાડી, ઢોલ શરણાઈ ના ડાકલા વાદન સાથે પગપાળા આશાપુરા માના મંદિરે લઈ જવામાં આવે. આ સમયે ચાચરા કુંડ પાસેથી માતાજીના મંદિર સુધી ડાક વગાડનારા જાગરીયા પાછે પગે ચાલે, ડાક વગાડે અને માં ભગવતી ના ગુણગાન ગાય. આ સવારીમાં આમ લોકો, ભાયાતો વગેરે બધા ઉઘાડા પગે ચાલે. મંદિરમાં પહોંચ્યા બાદ ચામર ભુવાની સોંપવામાં આવે, તે જૂના ચામર ઉતારી અને માતાજીની સ્વયંભૂ મૂર્તિ પાછળ ખીંટીમાં બંને બાજુ નવા ચામર લટકાવી, આ પછી પૂજન વિધિ શરૂ થાય. પૂજા સંપૂર્ણ થયા બાદ ડુંગરની ભેખડોમાં એક અજબ સુગંધ ધરાવતી વનસ્પતિ જેને પતરી કહેવામાં આવે છે તેનો એક ગુચ્છો મુઠ્ઠીમાં સમય તેટલો માતાજી ની જમણી ભુજા ના ઉપરના ભાગ પર પૂજન વિધિ કરનાર મૂકે છે આ પછી ઘંટા અને ડાકના વાદન શરૂ થાય અને રાજ કુટુંબના સભ્ય ખભે પછેડી કે જે જરીની લાલ રંગની હોય અને તેના એક છેડાને ઝોળીની જેમ બંને હાથમાં પકડે, જેમાં મુર્તિ પર રાખેલી પતરીનો અમુક ભાગ કે કેવળ બે ત્રણ પાંદડા સહિત પાતળી દાંડી ખરે, તેને ઝીલી લે. આને માતાજીની કૃપા અથવા આશીર્વાદ માનવામાં આવે છે. કોઈ વાર પતરી અમુક મિનિટો માં મળે તો કોઈવાર અડધો-પોણો કલાક રાહ પણ જોવી પડે..માતાજીના પૂજન ની સમાપ્તિ બાદ બાજુની ઓરડીમાં મઢ ના રાજા નો એક શિષ્ય ઉપવાસ કરી એક જ આસન પર અષ્ટમી સુધી બેસી તેને મહારાજ અથવા જે પૂજા કરે તે એ આસન પરથી ઉઠાવે. આજે કોઈ ચેલો કાપડી નહોતા ત્યાં ફક્ત પાણીની ઝારી રાખવામાં આવે છે અને ત્યાં દર્શન કરાય છે. જવારા વગેરેની સ્થાપના સાથે આસન પર બેસી કાપડીને ખડગધારી તરીકે સંબોધવામાં આવે છે. આ જ વિધિ ભુજમાં આશાપુરા ના મંદિરમાં પણ આઠમના દિવસે એક કુટુંબના સભ્યો દ્વારા કરવામાં આવે છે માત્ર ફરક એટલો કે ચામર મહારાવ લખપતજીના મોમાય પાસે થી ભુજ ના મંદિરે લઈ જવામાં આવે છે. જે પરંપરા આજપર્યંત ચાલુ છે.. મોટાભાગે દરેક શક્તિપીઠમાં હવન અષ્ટમી નું મહત્વ છે હવન આઠમના દિવસે જ થાય જ્યારે કચ્છમાં માતાજીનાં મઢમાં સપ્તમીની રાત્રી હવન થાય છે ...આમ ઘટસ્થાપના પણ આસો સુદ ૧ ને બદલે ભાદરવા વદ અમાસની રાતે થાય છે.

માતૃશાક્તિને વંદન કરવા સાથે નારીશાક્તિ અને ભક્તિની મહતા સમજાવતો, સ્ત્રીસન્માનની ભાવના સમજાવતો, તામસિકતાથી સાત્વિકતા તરફની ગતિ કરાવતો નવરાત્રી તહેવાર સહુને શુભ મંગલકારી નીવડે એવી શુભેચ્છાઓ સહ માતાજી.