ભિષ્મ સાચે જ કુરૂવંશના સાચા માર્ગદર્શક અને સમસ્યા નિવારક છે.
પણ વિધિની વક્રતા એ છે કે ભિષ્મ એક સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી સમસ્યા સામે જ ઉભી હોય છે.
હસ્તિનાપુરનું રાજ સિંહાસન ખાલી હતું તે જગ્યા પુરવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું ત્યાં હવે બીજી સમસ્યા એ આવીને ઉભી થઈ કે ધૃતરાષ્ટૃના વિવાહ અંગેની.
ધૃતરાષ્ટૃ જન્મે અંધ હોવાથી એની સાથે વિવાહ કરી તેનું જીવન ધન્ય બનાવે, કુળનું માન સાચવે તેવી ધર્મ પરાયણ સ્ત્રી સાથે વિવાહ કરાવવાની ઈચ્છા ભિષ્મની હતી. આ માટે તેમને ગાંધાર રાજ સુબલની કન્યા ગાંંધારી પસંદ આવી. ભિષ્મએ માતા સત્યવતીની સંમતિથી પુરા માન-સન્માન સાથે ધૃતરાષ્ટૃ માટે ગાંધાર રાજ સુબલની પુત્રી ગાંંધારીનો હાથ માંગ્યો. આ બાજુ ગાંધાર રાજ સુબલ અસમંજસની સ્થિતિમાં મુકાયા. કારણકે તેમને હસ્તિનાપુરની રાજકોય તથા સૈન્ય શક્તિનો ખ્યાલ હતો તેથી આ વાતનો અસ્વિકાર કરી હસ્તિનાપુરના વેરી બનવા માંગતા નહોતા તેમજ તેમની પુત્રીને કેમ કરીને એક અંધ વ્યક્તિ સાથે પરણાવી શકે? પરંતુ આખરે પિતાની અસમંજસની સ્થિતિ પુત્રીએ દુર કરી. ગાંધારીએ પિતાની પરિસ્થિતિ સમજતા ધૃતરાષ્ટૃ જેમ અંધ હતા તે જ રીતે પોતે જોઈ શકતી હોવા છતાં પોતાની આંખે એક રેશમી વસ્ત્ર બાંધીને પોતે પણ ધૃતરાષ્ટૃની જેમ જોઈ શકતી નથી તે રીતે રહેવા તૈયાર થઈ.
વાજતે ગાજતે હસ્તિનાપુરની જાન માંડવે આવી અને ધૃતરાષ્ટૃના વિવાહ ગાંધાર રાજ સુબલની પુત્રી ગાંધારી સાથે સંપન્ન થયાં. આમ ભિષ્મ માટે એક સમસ્યાનું નિવારણ થયું.
એક તરફ યદુવંશી રાજા વસુદેવના પિતા સુરશેનને ત્યાં પણ પુત્રીનો જન્મ થયો હતો. તેનું નામ પૃથા પાડવામાં આવ્યું. પરંતુ તેમણે તેમના ફોઈના નિ:સંતાન પુત્ર કુંતીભોજને પોતાનું પ્રથમ અર્પણ કરવાનું વચન આપેલ હતું. તે વચન મુજબ પોતાનું પ્રથમ સંતાન પુત્રી પૃથા કુંતિભોજને અર્પણ કરી. હવે પૃથા કુંંતિ તરીકે ઓળખાઈ. તે અત્યંત ધર્મ પરાયણ હતી. સંતો-ઋષિઓની સેવા કરવામાં તેને આનંદ આવતો હતો. એકવાર ઋષિ દુર્વાસા કુંતિભોજના મહેમાન થયાં. તેઓની અત્યંત ક્રોધી હોવાની ખ્યાતિ વિશ્વવ્યાપ્ત હતી. કુંતિએ ઋષિ દુર્વાસાની અત્યંત ભાવથી સેવા કરી. આ સેવાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ તેને ઉત્તમ સંતાનપ્રાપ્તિ માટે કેટલાક મંત્રો શિખવાડ્યા. આ મંત્રનોનું ઉચ્ચારણ કરી તે ઉત્તમ સંંતાન પ્રાપ્ત કરી શકશે.
કુંતિએ કુતુહલવશ એકદિવસ ઋષિ દુર્વાસાએ શિખવાડેલ મંત્રો પૈકી એક મંત્રનું ઉચ્ચારણ કરી સુર્યદેવનું આવાહન કર્યું. સુર્યદેવનું આવાહન કરતાં જ સુર્યદેવ કુંતિ સમક્ષ સાક્ષાત પ્રકટ થયાં. સુર્યદેવને પોતાની સમક્ષ આવેલ જોઈ કુંતિ વિસ્મય પામી ગઈ અને તેણે સુર્યદેવની માફી માંગી.
"હે સુર્યદેવ! આપ સર્વ જ્ઞાતા છો. મે તો કેવળ ઋષિ દુર્વાસા દ્વારા શિખવાડવામાં આવેલ મંત્રોની પરિક્ષા કરવા માટે જ આ મંત્રનો પ્રયોગ કરેલ! મને માફ કરો!"
"હે કુંતિ! મારા આવવાથી તથા મારી કૃપાથી તને કોઈ જ દોષ નહિં લાગે. પરંતુ મને કોઈઅપણ પ્રયોજન વિના અહિં બોલાવવાનો દોષ તો લાગશે અને તેના પરિણામ સ્વરૂપ આ મંત્રના પ્રસાદ સ્વરૂપે તને એક પરમ પ્રતાપિ કવચ કુંડળ ધારી પુત્ર અવતરશે."
આટલું કહી સુર્યદેવ અંતર્ધ્યાન થયાં. થોડા મહિના બાદ કુંતિની કુખેથી એક પરમ તેજસ્વી તથા જન્મથી જ શરિર પર કવચ કુંડળ ધારી પુત્રનો જન્મ થયો. તેમજ ભગવાન સુર્યદેવની કૃપાથી કુંતિને પુનઃ કૌમાર્ય પ્રાપ્ત
પરંતુ કુંતિને પોતાની ભુલ બદલ હા ખુબ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો. જે પશ્ચાતાપના કારણે તથા લોક લાજથી બચવા માટે નદીમાં એક ટોપલામાં ગોદડી પાથરી બાળકને વહાવી દીધો. જાણે પોતાનું કાળજું કાપીને તેણે નદીમાં વહાવી દેવા જેટલું દુ:ખ કુંતિને થઈ રહ્યું હતું. પણ કુંતિ પણ એક સામાન્ય સ્ત્રી હતી. તેને આ સિવાય અન્ય કોઈ માર્ગ જ સુજતો ન હતો. તેથી તેણે પોતાના પ્રથમ પુત્રને નદીમાં વહાવી દીધો.