“કાલે, પરમ દિવસે, જ્યારે ઠીક પડે ત્યારે વિચાર કરીને જવાબ દેજો, શેઠ મને મેલું પેટ પરવડતુંય નથી, તેમ રાખતાંય આવડતું નથી. આંહીં તમને તાર કરીને તેડાવવા પડ્યા તે એટલા સારુ. હવે જવું હોય તો જાવ ઈસ્પિતાલે નીચે મોટર તૈયાર ઊભી છે.” એટલું બોલીને સુશીલાના મોટા બાપુજી બારી પર ગયા. ત્યાં ઊભા ઊભા શોફરને સૂચના આપી, ને પછી સુખલાલના પિતાને સૂનમૂન બેઠેલા મૂકી પોતાના સૂવાના ખંડમાં ચાલ્યા ગયા.