શહેરની ગતિશીલતા અને ગગનચુંબી ઈમારતોની ચમકથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર, પ્રકૃતિના ખોળામાં વસેલું એક અંતરિયાળ ગામ… દેવકીપુરા. જ્યાં સમય જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું. અહીંના લોકો માટે જીવન એક સતત સંઘર્ષનું નામ હતું. અપૂરતી સુવિધાઓ, મર્યાદિત સાધનો અને આશાના આછા દીવા સાથે જીવતા લોકો. આ ગામ અને આસપાસના વિસ્તારો માટે શારીરિક પીડા સામે જજુમવા એકમાત્ર આશ્રયસ્થાન હતું, સરકારી દવાખાનું. વર્ષો સુધી આ દવાખાનું માત્ર એક ફરજિયાત ઔપચારિકતા તરીકે જ ચાલતું રહ્યું. અહીં સારવાર કરતાં રાહ જોવામાં વધુ સમય જતો અને દર્દીઓને આશા કરતાં નિરાશા વધુ મળતી. લોકો અહીં આવતા તો હતા, પણ વિશ્વાસ સાથે નહિં, માત્ર મજબૂરીના કારણે