છઠ્ઠો પરિચ્છેદમહેન્દ્ર જ્યારે ઘરે આવી પહોંચ્યો ત્યારે હજી રાત ઘણી બાકી હતી. નશો ક્યારનોય ઉતરી ગયો હતો. મહેન્દ્રના મનમાં અત્યારે ભારે પશ્ચાતાપ થઈ રહ્યો હતો. તે ગ્લાનિ, શરમ અને ભારે વિરક્તિ સાથે ફસડાઈ પડ્યો. એક પછી એક કેટલીય વાતો યાદ આવવા લાગી; બાળપણની એક-એક સ્મૃતિ વજ્રની જેમ તેના હૃદયમાં વાગવા લાગી. યુવાનીના પ્રારંભે ભવિષ્યના જીવનનું કેવું મધુર ચિત્ર તેના હૃદયમાં અંકાયેલું હતું—કેટલી મહાન આશાઓ, કેટલી ઉદાર કલ્પનાઓ તેના ઉદ્દીપ્ત હૃદયની નસેનસમાં વણાયેલી હતી. યુવાનીના સુખદ સપનાઓમાં તેણે વિચાર્યું હતું કે, તેનું નામ માતૃભૂમિના ઇતિહાસમાં ગૌરવના અક્ષય અક્ષરોમાં લખાશે, તેનું જીવન તેના દેશબાંધવો માટે આદર્શરૂપ બનશે અને ભવિષ્ય કાળ આદરપૂર્વક તેના