‘જો આ કાયમની લમણાઝીકનો અંત લાવવો જ હોય, તો મારી પાસે ત્રણ જ વિકલ્પો છે આજીવન કુંવારી રહું, આંતરજ્ઞાતીય લગ્ન કરું કે પછી કૂવોહવાડો કરું!’ સુષમા બાની ગોદમાં માથું નાખતાં હૈયાફાટ રડી પડે છે. દીકરીના માથે હાથ પસવારતાં ગાયત્રીદેવી સજળ નયને હાલ પૂરતાં તો એટલું જ કહે છે કે ‘રડી લે દીકરી, રડી લે તું પેટ ભરીને રડી લે. તારા બાપુજીની હાજરીય નથી અને ભઈલો પણ ટ્યુશને ગયો છે. તું રડીને હળવી થા, પછી આપણે શાંતિથી વાત કરીએ.’ ‘વાત, વાત અને વાત! હવે તો હું એની એ જ વાતથી વાજ આવી ગઈ છું. તમે લોકો સારી રીતે સમજી લો કે હું મારા બાપુજીને કર્જદાર બનાવીને તો હરગિજ નહિ પરણું! સરકારે દહેજના દુષણને ડામવા માટેના કડક કાયદાઓ કર્યા છે અને હજુસુધી કેમ જ્ઞાતિવાળાઓની સાન ઠેકાણે આવતી નથી!’