અમે પાલનપુરથી અમદાવાદ સુધી વચ્ચે જે જે ટિકિટ ચેકરો આવતા ગયા તેમને પણ પૂછતા ગયા અને તેઓ બધા ‘ચાલશે’, ‘બિલકુલ ચાલશે’, ‘વટથી ચાલશે’ જેવા જવાબો આપીઆપીને અમારી પેલી શંકા ડાકણને અમારા મનથી દૂર કરતા ગયા હતા. ઘનશ્યામ તો ગાંધીધામ જેવા પોતાના હોમ જંક્શન સ્ટેશનેથી આવતો હોઈ તેને તો પૂરો વિશ્વાસ હતો અને તેથી જ તો તે પોતાની મૂછને તાવ દેતો મને હૈયાધારણ આપતાં કહેતો હતો કે, ‘મુસાજી, થર્ડ ક્લાસમેં આગે બઢતે રહો, હમ તુમ્હારે સાથ હૈ!’