માણસાઈના દીવા - 9

(47)
  • 7.1k
  • 3
  • 2.4k

મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પા મોત એને મારગમાં એ વાડી તરફ ખેંચી ગયું. પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું : આવો, મુખી ! સાળા કોળા ! પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી : કેમ, અલ્યા બહુ ફાટ્યા છો ? એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી. વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું : લાવ, થોડી શિંગો દે.