માણસાઈના દીવા - 19

(65)
  • 9k
  • 14
  • 2.1k

રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, આ એ ખેતર, કે જ્યાંથી અધરાતના અંધારામાં ગોકળ પાટણવાડિયાએ મને પોતે ચોરેલા ઘીના ડબા કાઢી આપેલા. આ કિસ્સો આગલાં પાનાંમાં 'કોણ ચોર ! કોણ શાહુકાર !' એ વાતમાં આપેલ છે. પાટણવાડિયાએ ચોરીઓ ન કરવી અને જેનું ચોરાય તેણે પોલીસમાં ફરિયાદ ન કરવી, ચોરી અને ચોર મહારાજે પકડી આપવાં : એવો કરાર લોકો સાથે કરીને જે કાળમાં પોતે આંહીં કામ કરવા બેઠા એ કાળની વાત છે. કણભાના લવાણાના ઘીના બે ડબા ચોરાયા : મહારાજે અહીં બેસી મૂંગું તપ માંડ્યું : ખાવું ન ભાવ્યું : ત્રણ દિવસ નિર્જળી લાંઘણો ખેંચી : ગામનો મુસ્લિમ ખેડુ દાજી ગામલોકોને કહે કે, 'કોઈએ ખાવા જવું નહીં.' રાતે સૌ સૂતાં પછી ચોર ગોકળ પોતે જ છાનોમાનો મહારાજના પગનો અંગૂઠો હલાવી પોતાની પાછળ પાછળ અંધકારમાં ખેતરોમાં લઈ ગયો : એક ઠેકાણે જઈ ડબો વગાડ્યો : મહારાજ એ ભર્યા ડબા જાતે ઊંચકી રાતે લવાણાની પાસે લઈ ગયા : એક તો ઘીનો, પણ બીજો તેલનો નીકળી પડ્યો !