Mrutyu shaiya ae padela vyaktiona panch mukhy afsos books and stories free download online pdf in Gujarati

મૃત્યુ શૈયા એ પડેલા વ્યક્તિઓના પાંચ મુખ્ય અફસોસ..

મૃત્યુ શૈયાએ પડેલા વ્યક્તિઓના પાંચ મુખ્ય અફસોસ..◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

રોની વેર એક ઓસ્ટ્રેલિયન નર્સ હતાં. મોતના બિછાના ઉપર જે પેશન્ટો હોય અને જેમની પાસે અંદાજે 12 અઠવાડિયા જેટલું જ જીવન બચ્યું હોય તેવાઓની સારસંભાળ રાખવાની એમની ડયૂટી હતી. આ દરમ્યાન તેમને આવા ટર્મિનલ દર્દીઓની રહી ગયેલ ઈચ્છાઓ, અફસોસ, વસવસો...વગેરે વિશે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ બધા ડેટા/ માહિતી ભેગી કરી "ઈંસ્પિરેશન એન્ડ ચાય" નામના બ્લોગમાં લખ્યું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો તેનાથી પ્રભાવિત થઈ "ધ ટોપ ફાઇવ રિગ્રેટ્સ ઓફ ધ ડાઈગ" બુક લખી. જે એમેઝોન પર મળે છે. આ પુસ્તકે પણ અપ્રતિમ લોકચાહના મેળવી. આ પુસ્તકમાં જિંદગીના અંતિમ પડાવ પર જીવતી વ્યક્તિઓને તેમના જીવનમાં રહી ગયેલા મુખ્ય પાંચ અફસોસની વાત કરી છે.
જ્યારે આવા મોતના બિછાને પડેલા દર્દીઓને પૂછવામાં આવ્યું કે તમને કોઈ એવા અફસોસ રહી ગયા છે અથવા તો તમે તમને જો સમય મળ્યો હોત તો તમારી જિંદગી અલગ રીતે જીવ્યા હોત? લેખિકા જણાવે છે કે સૌથી કોમન અફસોસ, જે વારંવાર દરેક વ્યક્તિની વાતમાં આવતા હતા તે નીચે મુજબના પાંચ અફસોસ (રિગ્રેટ્સ) મુખ્યત્વે હતા.
જિંદગીના અંતિમ પડાવમાં લોકો પાસે એટલી બધી સુઝબુઝ અને વીજડમ આવી જાય છે કે તેઓ એકદમ ક્લેરિટીથી જીવનના રહસ્યો બતાવે છે. કારણ કે એ લોકોને ખબર હોય છે કે હવે આપણી પાસે જીંદગી બદલી શકવા માટે સમય રહ્યો નથી તેથી તેઓ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અને ઈર્ષ્યા જેવા ભાવોથી મુકત થઈ ગયા હોય છે. આપણે એમાંથી ઘણું બધું શીખી શકીએ એમ છીએ. જેમાં સૌથી પ્રથમ ક્રમાંકે પેશન્ટોએ એવો અફસોસ વ્યક્ત કર્યો છે કે કાશ, "મેં ખૂબ તનતોડ મહેનત ન કરી હોત". નર્સ, રોની વેર કહે છે કે, જે અફસોસ રહી ગયા હતા એમાં સૌથી વધુ અફસોસ એ વાતનો હતો કે મેં આટલી હદે ગધેડા જેવું કામ ન કર્યું હોત તો સારું. એમાં મારું પોતાનું જીવન જીવવાનું રહી ગયું! સાથે નીચે પ્રમાણેના અફસોસ સૌથી મુખ્ય અને કોમન હતાં.
1】 કાશ હું ખરેખર મારી જાત સાથે વફાદાર રહીને જીવ્યો હોત તો વધુ સારું થયું હોત, નહીં કે બીજા લોકોએ મારી પાસે જે અપેક્ષા રાખી હતી તે પ્રમાણે. આ ખરેખર તો એક સાચી વાત છે કે જ્યારે આપણે વિતાવેલી જિંદગીની ક્ષણો પ્રત્યક્ષ જોઈએ છીએ તો આપણે ઘણા બધા સ્વપ્નોને પૂરા નથી કરી શક્યા હોતા અને અફસોસ એ વાતનો રહે છે કે આ સપનાઓ પૂર્ણ કરી શક્યા હોત, પરંતુ આપણે યોગ્ય ચોઇસ કરી નહીં. તંદુરસ્તી એક એવી આઝાદી આપણી જિંદગીમાં લાવે છે જેનો ખ્યાલ આપણે તંદુરસ્ત રહેતા નથી હોતા ત્યારે જ આવે છે.
2】 કાશ મેં, ખૂબ તનતોડ મહેનત ન કરી હોત તો વધુ સારું હોત અને આ વાત પુરુષ દર્દીઓએ વારંવાર કહી અને તેમણે કહ્યું કે તેઓએ અથાગ મહેનત કરવામાં તેમના બાળકો સાથે આનંદની ક્ષણો વિતાવી શક્યાં નહી અને પાર્ટનરની કંપની પણ મિસ કરી છે. સ્ત્રી દર્દીઓએ પણ આ વાત કરી હતી. ઘણી સ્ત્રીઓ તો પોતે breadwinner નથી છતાં તેઓએ બાળકો અને પાર્ટનરને ઓછો સમય આપ્યો. પરંતુ બધા જ પુરુષો એ વાતને અફસોસ કર્યો કે તેઓએ ઘાંચીના બળદની માફક કામ કર્યું છે.
3】 દર્દીઓ એમ પણ કહ્યું કે તેમની અંદરની જે ભાવનાઓ, ફીલિંગ હતી એ વ્યક્ત કરવાની એમનામાં હિંમત નહોતી તેનો તેમને ખૂબ અફસોસ છે. કોઈ વિખવાદ ન થાય એ માટે તેઓ ચૂપચાપ રહેતા. આ કારણે તેઓ એક સામાન્ય જિંદગી વિતાવવા મજબૂર થયા. આજે અંદર જે કચવાટ રહી ગયો હતો અને જે કડવાશ રહી ગઈ હતી તેં જિંદગીભર એમની સાથે રહી અને ખરેખર જે બની શક્યા હોત તે બન્યા નહીં અને એમની તબિયત પણ બગાડી. એવા નાના-નાના રોગો પણ શરીરની અંદર ઘૂસી ગયા.
4】 દર્દીઓને એવો વસવસો પણ રહ્યો કે તેઓ મિત્રોને વારેઘડીએ મળ્યા નહિ. તેમના ટચમાં ના રહયા. પણ જ્યારે મોતના બીજાને હોય છે ત્યારે એની ખૂબ ખોટ સાલે છે અને એના ફાયદા કેટલા હતા એ સમજાય છે. પછી તો આવી છેલ્લી ઘડીઓએ આવા અંગત મિત્રોને ક્યાંથી મળી શકાય અને એમને શોધવાનું પણ ખૂબ અઘરું હોય છે. ઘણા લોકો પોતાની લાઇફમાં એટલા બધા બીજી થઈ ગયા હતા અને એથી એવી સારી સારી ગોલ્ડન દોસ્તી ધીરે ધીરે હાથમાંથી સરકી ગઈ હતી. એવો વસવસો જરૂર રહ્યો કે એવા મિત્રોને સમય અને પ્રેમ આપવાનું રહી ગયું અને આ વાતથી એ સાબિત થાય છે કે મરતા પહેલા એવા મિત્રોને મિસ કરતા હોય છે.
5】 સૌથી મુખ્ય એ અફસોસ રહ્યો છે કે કાશ, મારી જાતને સુખી રાખી શક્યો હોત અને આ એક આશ્ચર્યજનક રીતે કોમન અફસોસ રહયો છે. ઘણાને આ વાત છેલ્લે સમજાય છે. આશ્ચર્યની વાત છે કે ખુશ રહેવું એક ચોઈસની વાત છે. એનું કારણ છે કે આપણે હંમેશા આપણી જૂની જીવન પદ્ધતિ અને આદતો વડે એવી ઘરેડમાં ગોઠવાઈ ગયા હોઈએ છીએ કે એમાંથી બહાર નીકળી શકતા નથી અને બદલાવની જે મજા છે એ લઈ શકતા નથી, સાથે બીજાને એવું ઠસાવે છે કે ભાઈ, મને તો આ અનુકૂળ છે, આ રીત ફાવી ગઈ છે, કોઠે પડી ગયું છે. હકીકતમાં તો એ લોકો ખુલ્લા દિલથી હસી ન શક્યા, નાના બાળકની માફક નિર્દોષતાથી જીવી ન શક્યા, બસ, મહોરા લગાવી ફર્યા. સમાજની બીકે આડંબર કર્યો. માણસને જે સલામતી મળી હોય છે તેનો ત્યાગ નથી કરી શકતો, ક્યારેક તો વરસતા વરસાદમાં નીકળી પડવું જોઈએ કે એક પથ્થરને તો તબિયતથી ઉછાળવો જોઈએ. સુખી રહેવું પણ આપણી ખુદની ચોઇસ છે.
મિત્રો ઉપરના વિવરણથી એટલું સમજી લેવું કે જે છે તે આજે જ , અત્યારે જ છે, જીવી લો , માણી લો. જિંદગીને વર્ષોમાં નહીં પળોમાં જીવતાં શીખી લો. જે લોકો પરિસ્થિતિવશ મજબૂર છે, જેમને ગધેડા જેવું કામ કરવા માટે જ જન્મ લીધો છે એવી વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ નથી. પરંતું જે લોકોની પોતાની જરૂરિયાતો આસાનીથી પુર્ણ કરી શકે એવી સ્થિતિ છે એવાં લોકો માત્ર ભૌતિક ચીજવસ્તુના મોહમાં આંધળા બની ભટકી રહ્યાં છે એવા લોકો માટે આ પુસ્તકમાં જણાવેલ સત્યો "લાલબત્તી" સમાન છે. ટૂંકમાં, જિંદગીના કોઈ એક પડાવ પર નક્કી કરી લો, બસ હવે બહું થયું, આ મારી જીંદગી છે, એને હવે હું મારી મરજી પ્રમાણે, મારી પોતાની જાત માટે, મારા પોતાના માટે, મારી પોતાની શરતોએ જીવવી છે! રાગ દ્વેષ પડતા મુકી મોજથી અને પ્રેમથી જીવી લો.
પ્રકૃતિના નિયમોને સમજો. આધ્યાત્મિક બનો. જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, વસંત પછી પાનખર નક્કી છે, ખુશનુમા વાતાવરણ હોય પરંતું અચાનક વવાઝૉડ઼ુ, દુકાળ અને અતિવૃષ્ટિ પણ કહેર વર્તાવે. એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. આ જીવનની બીજી સેકન્ડે શું થવાનું છે એની પણ આપણને ખબર નથી. તો શા માટે ભવિષ્યના વર્ષોના પ્લાનિંગમાં આજના સુખ ચેન અને ખુશીનો ત્યાગ કરી રહ્યાં છો. થોડું પ્લાનિંગ આપણને બનાવનાર પરમ ચૈતન્ય શક્તિ માટે પણ બાકી રહેવા દો!! તમે કે હું નહીં રહીએ તો પણ કુદરતને તસુભાર પણ ફરક પડવાનો નથી. રોજ હજારો જીવો જન્મે ને હજારો નાશ પામે છે. મર્યા પછીની જીંદગી કોણે જોયી છે. બસ, જીવન પ્રકૃતિ જ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત બે અંતિમ સત્ય છે. "અબ પછતાયે હોત ક્યાં,
જબ ચીડિયન ચુગ ગઈ ખેત." એ અફસોસ મૃત્યુ સુધારી નહી શકે....

કલ ખેલમેઁ, હમ હોઁ ન હોઁ
ગર્દીશમેઁ તારે રહેંગે સદા.
ભૂલોગે તુમ, ભૂલેગે વો,
પર હમ, તુમ્હારે રહેંગે સદા.
રહેંગે યહી, અપને નિશા,
ઇસકે સિવા જાના કહાં......
શબ્દ અને વિચાર
©નિતુનિતા(નિતા પટેલ)