apsukn books and stories free download online pdf in Gujarati

અપશુકન

અપશુકન

વાર્તા લખવાની શરૂઆત કરું તે પહેલાં જ થઈ ગયું.........

શું?.........
અરે અપશુકન બીજું શું ...... ખબર નહિ જે કહેવા માગું છું તે કહી શકીશ જે નઈ પણ તોય શરૂવાત કરું છું....

નાનકડી પ્રસ્તાવના

આમ તો મારી દરેક સ્ટોરી મારી કલ્પનાઓ જ હોય છે પણ પ્રથમ વખત હું કંઈક વાસ્તવિકતા માંથી લખવા જઈ રહી છું અને એ પણ અપશુકન પર આમાં આવતી દરેક ઘટના મારા જીવન સાથે સંકળાયેલી છે અને એકદમ વાસ્તવિક પણ છે તો ....એક રીકવેસ્ટ છે કે તમે જેટલો પ્રેમ મારી બીજી રચનાઓ ને આપો છે તેટલો જ આને પણ આપજો.

ખાસ નોંધ: અંત માં કહીશ એટલે એ બહાને તમે વાંચો તો ખરા 😂😂😂😂😂😂


તો હું શરૂ કરું છું......

આજે સવારે હું વહેલા ચાર વાગે ઉઠી ગઈ આમ તો હું નવ વાગ્યા પેલા ઉઠું જ નહીં પણ આજે વહેલા જાગી ત્યારે મનમાં આ ખ્યાલ આવ્યો .......કે અપશુકન એટલે શું અને આવું હોય કે ના હોય એ તમારે નક્કી કરવાનું છે પરંતુ આ અપશુકન ને રિલેટેડ જેટલી જેટલી ઘટનાઓ મને યાદ છે તે તમને કહીશ.... પણ હું આ અપશુકન માં થોડું થોડું માનું છું વાંચ્યા પછી તમે જ કહો કે હું સાચી છું કે ખોટી......

અપશુકન આમ તો ગુજરાતી શબ્દ છે અને તેને અંગ્રેજી માં શો અર્થ થાય તેની મને નથી ખબર પણ જો તમને ખબર હોય તો મને જરૂર થી જણાવજો ....અપશુકન એટલે સારા શકન ન થવા .કોઈ સારા કામ માટે જતા હોઈએ અને એ કામ માં વિઘ્ન આવે એટલે એ કામ માં આવેલું વિઘ્ન એટલે અપશુકન..... આ વ્યાખ્યા ની તો તમને ખબર જ હશે અને જો ના હોય તો મેં તો કહી જ દીધું .....

હવે મારા વાસ્તવિક જીવન ની અપશુકન વિશે વાત કરીએ.....!
હું જયારે નાની હતી ત્યારે મારા દાદીમાં ક્યાંય બહારગામ જવા નીકળે અને તેમને સામે કોઈ પાણી ભરીને આવતી પનિહારી મળે તો તેઓ સારા શકન થયા તેમ માનતા અને તે પનિહારી ના ઘડા માં બે કે પાંચ જે મળે તે રૂપિયા પણ નાખતા અને જો કોઈ વિધવા અથવા વાંઝણી (જેને લગ્ન પછી બાળક ન થયું હોય તેવી સ્ત્રી )મળે તો તેને અપશુકન થયા એમ માનતા. તમે પાણી ભરી ને આવતી સ્ત્રી વાળી વાત પર વિચારો તેની પહેલાં હું કહી દવું કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું અને જેમ શહેરમાં ઘરે ઘરે પાણી ની સુવિધા છે તેવી ગામડામાં ન હતી પણ હાલ તો મારા ગામ માં પણ ઘરે ઘરે પાણી આવે છે હું નાની હતી ત્યારે ના આવતું .

મારા દાદી જ આ વાત માં વિશ્વાસ કરતાં એવું નથી પણ ગામ ના બીજા લોકો પણ આમાં માનતા આ વાત હું એટલે કહી શકું કે હું જ્યારે પણ પાણી ભરવા જતી દરરોજ તો નહીં પણ કયારેક મારા ઘડા માં પણ રૂપિયો કે બે રૂપિયા આવતા અને હું ખુશ થતી કે આવા લોકો રોજ મળે તો સારું પૈસા વાપરવા મળે ને એટલે ......આવું તો હું નાનપણ માં માનતી પણ મોટા થયા પછી મને આમાં કોઈ તથ્ય ન લાગ્યું તમને લાગ્યું હોય તો મને પ્રતિભાવ અથવા ઈનબોક્સમાં જરૂરથી જણાવજો.

જયારે પણ કોઈ સારા કામ માટે જવાનું હોય અને બિલાડી આડી ઉતરે તો અપશુકન થયા કહેવાય આપણે આપણું કામ થોડી વાર પછી કરીએ આ બાબત માં મને ભગવાને એવી શકલ આપી છે ને કે જો બિલાડી મારો રસ્તો કાંપે તો એ બિચારી ગટર માં પડી જાય મતલબ કે હું તો બિલાડી કરતાં પણ ગયેલી કહેવાઉં તો પણ તમે મારી વાત પર્સનલી ના લેતા હજુ મારા લગ્ન નથી થયા ને એટલે પેલો છોકરો કદાચ વાંચી લે તો પ્રોબ્લેમ થઈ જાય સમજ્યા😂😂

જયારે કોઈ સારા કામ માટે બહાર જઈએ અને છીંક આવે તો પણ અપશુકન થયા કહેવાય અને આ મને બહુ કામ આવેલું અપશુકન છે પર્સનલી કહું તો મારા ઘરમાં સૌથી વધારે બીમાર હું રહું એટલે દાદીમાં મારા પર ગુસ્સો કરે અને દવાખાને જબરજસ્તી લઈ જાય ત્યારે હું છીંકો ખાવાનું ચાલુ કરી દઉં પણ આવું બે ત્રણ વખત જ ચાલ્યું પછી દાદી સમજી ગયા કે આ મારૂ હોસ્પિટલમાં નહિ જવાનું બહાનું છે તો પણ છીંક આવવી અપશુકન કહેવાય એ વાત સાચી છે કે નઈ મને નથી ખબર તમે જ નક્કી કરો.....

જો આપણે ઘરમાંથી ક્યાંક બહાર જઈ રહ્યા હોઈએ અને ઘરનું કોઈ વ્યક્તિ પાછળ થી ટોકે અથવા પૂછે કે કયા જાવ છો?તો અપશુકન થયું કહેવાય આવું હું નહિ કેતી મારા દાદીમાં કહે છે એમાં એવું છે ને કે મને તો કોઈ પાછળ થી ટોકતું જ નહીં જે કેવું હોય તે સામે જ કહે છે તો મને તો ના જ ખબર હોય ને કે અપશુકન કહેવાય કે નઈ...

તેર નંબર ના આંકડા ને પણ અશુભ માનવામાં આવે છે પરંતુ આ અશુભ આંકડો કલર્સ ચેનલ માટે શુભ નીકળ્યો કારણ કે તેમનું બિગ બોસ સિઝન 13 સૌથી વધારે ચર્ચાતો શો બન્યો હતો તો એ ચેનલ ના માલિકે અને શો ના પ્રતિસ્પર્ધી ઓ એ એવું વિચાર્યું હોત કે આ તેરમી સીજન છે એટલે અપશુકન થાય ન જવાય તો એ શો બન્યો જ ન હોત પણ તોય તેર નંબર અપશુકનિયાળ છે હું નહિ કહેતી લોકો કહે છે .

જો કોઈ કામ કરતા હોઈએ અને કાચ તૂટી જાય તો સારા શકન કહેવાય અને આ વાત મેં ભારતીય ટેલિવિઝન પર અને ખાસ પેલું પિક્ચર છે ને ટારઝન: ધ વન્ડર કાર એમ જોયું તું. જો દૂધ ઉભરાઈ જાય તો અપશુકન કહેવાય અને આ વાત મોસ્ટલી હિન્દી સિરિયલ માં વધારે જોવા મળે.ફિક્સ સીન હોય એ લોકો નો હિરોઈન ના હાથે દૂધ ઉભરાય અને પતિ ની લાશ ઘરમાં આવે કેટલું મોટું અપશુકન થાય નઈ જો કે મને આનો એક્સપિરિયન્સ નહિ એમાં એવું છે ને કે હું દૂધ નથી ઉભરાવા દેતી મને ખબર છે ને અપશુકન થાય એટલે....

આપણે ક્યાંય જતા હોઈએ અને કોઈ માણસ નો ચહેરો દેખાઈ જાય અને કામ બગડે તો એ માણસ પણ અપશુકનિયાળ કહેવાય બીજી વખત આપણે ધ્યાન રાખીએ કે એ માણસ નો ચહેરો આપણ ને ના દેખાય.કારણ કે તેનો ચહેરો દેખાઈ જાય તો અપશુકન થાય.આવું આપણી સાથે ઘણી વાર થાય છે મારી વાત કરું તો અમારા ઘરની લાઈનમાં જ એક ઘર છે અને એવી માન્યતા છે કે તે ઘરમાં જે માસી રહે છે તે છે ને અપશુકનિયાળ છે.

જયારે પણ ઘર ની બહાર નીકળીએ અને એ માસી ના દર્શન થાય તો સમજી જવું કે કામ માં વિઘ્ન આવસેજ મતલબ અપશુકન થશે આવું હું નથી કહેતી લોકો કહે છે અને એ માસી એમનું નામ તો હું નહિ કહી શકું પણ એમના વિશે થોડું જણાવું તો એ આર્થિક રીતે સુખી છે અને તેમના પતિ ને ટાયર પંચર કરવાનું ગેરેજ છે તેમને બે સંતાનો પણ છે એક છોકરી અને એક છોકરો . એમનું ઘર પણ સરસ મોટું છે છતાંય એ આખો દિવસ ઘરની બહાર ના ઓટલે બેઠા હોય છે કદાચ એમને ઘરમાં રહેવું નહિ ગમતું હોય પણ બહાર એમના દર્શન કરવાથી અમારા જેવાના દિવસો એ બગાડી ને અપશુકન કરાવે છે આ વાત જો એમને સમજાવવા જઈએ તો પણ અપશુકન થાય.

મારે કોઈ અગત્યનું કામ કરવું હોય એક્ઝામપલ તરીકે નવા કપડાં લેવા જવું અથવા કોલેજ ની ફી ભરવા જવું હોય અને એ દિવસે બુધવાર હોય તો મારે નહિ જવાનું કેમ કે બુધવારે કોઈ કામ કરીએ તો અપશુકન થાય તેવું મારા દાદી માં નું કહેવું છે અને દાદીમાં ની સામે હું દલીલ ના કરું તો મારો દિવસ બગડે ને એટલે હું એમને કહું

"સવાર પડે એટલે સૂરજ ઉગે શું તેઓ એવું વિચારતા હશે કે આજે તો બુધવાર છે મારે નથી ઉગવું, આમ પણ રોજ તો ઉગુ છું આજે નહિ ઉગુ તો શું બગડવાનું છે....દરરોજ ફૂલ ખીલે છે ક્યારેય ફૂલ એવું વિચારે છે કે આજે તો હું આરામ કરું આજે બુધવાર છે અપશુકન થાય નથી ખીલવું ,પક્ષી ઓ પણ તો દરરોજ ઉડે છે એ એવું વિચારે છે કે આજે ઉડીશ અને બુધવાર ના અપશુકન ના લીધે મારી પાંખો કપાઈ જશે તો નહીં ને અને બીજાનું શું કામ આપણે આપણું જ જોઈએ ને શું બુધવારે આપણે ખાવાનું ભૂલી જઈએ છીએ શું આપણું હ્દય એવું વિચારે છે કે હાલ નથી ધબકવું અપશુકન થશે તો જે દિવસે તેને એવું વિચાર્યું ને તે દિવસે આપણે બંધ પડી જઈશું....."

મારી આટલી સરસ અને ધારદાર દલીલો સાંભળીને દાદી માં મને કહે કે તારે જે કરવું હોય તે કર મારુ લોહી ના પી.....અને હું મોટા ઉપાળે મારી મોટા ઉપાળે મારુ કામ કરવા નીકળી પડું અને પછી કોઈ કારણોસર કામમાં વિઘ્ન આવે એટલે દાદીમાં "હું તો કહેતી તિ કે બુધવાર છે ના કર પણ આ ઘરમાં મારુ કોઈ સાંભળે તો ને" આમ આવી રીતે થાય છે અપશુકન

મારી મમ્મી મને કહે છે કે ગુરુવારે માથું ન ધોવાય તો સારું આની પાછળ નું શું કારણ છે મને નથી ખબર તમને ખબર હોય તો મને જણાવજો પણ તે મને ગુરુવારે માથું નથી ધોવા દેતી એની ગેરહાજરીમાં એક બે વખત મેં ગુરુવારે માથું ધોયેલું ખરા કાંઈ થયું પણ નહીં તોય અપશુકન થાય એટલે ના ધોવાય..

શનિવાર હનુમાનજી દાદા નો ફેવરિટ છે એટલે આ દિવસે માથામાં તેલ ના નંખાય અને નખ પણ ના કપાય અને આ વાત માં તો હું પણ માનું છું હો જય હનુમાનજી દાદા....

હું મારા મામા ના લગ્ન માં ગઈ તો જાન લઈને અમે જઈએ એ સમયે એક ભાઈ કહ્યું કે જતા પહેલાં એક વખત બિલાડી પકડી ને તેને ટોપલા નીચે સંતાડી દો જેથી લગ્ન માં વિઘ્ન ન આવે . જાન લઈ ને જવામાં અમારાથી મોડું થઈ ગયું હતું અને હવે બિલાડીને ક્યાં શોધવી એટલે મારા મામા એ એ વ્યક્તિ ની વાત ન માની પરિણામ આવ્યું કે અમે માંડવે પહોંચ્યા ત્યાં ખબર પડી કે કન્યા ની તબિયત વધારે ખરાબ છે અમે લોકો હોસ્પિટલમાં ગયા તેમની ટ્રીટમેન્ટ માટે ત્યાં પેલો વ્યક્તિ બોલ્યો "જોયું મેં કીધું તું ને બિલાડી વાળું કર્યું હોત તો લગ્ન માં વિઘ્ન ન આવ્યું હોત થઈ ગયા ને અપશુકન"


મારા મત મુજબ આ શુકન અપશુકન તો સતયુગ થી ચાલ્યું આવે છે માટે જ તો મહાકવિ ભાસે તેમના કાવ્ય રઘુવંનસમ માં પણ અપશુકન થતાં હોય તેવું બતાવ્યું છે જો આ અપશુકન સદીઓ થી ચાલ્યું આવતું હોય તો તેમાં માનનાર લોકો ની સંખ્યા પણ વધારે હોવી જોઈએ અને એવું છે પણ...


હું બેન્ક માં ગઈ તી ખાતું ખોલાવવા અને એ પણ બુધવારે તોય ખાતું ખુલી ગયું પેલી વાર બુધવાર ના મારુ કોઈ કામ સફળ થયું હજુ ખાતું ચાલે પછી સફળ થયું કહેવાય પરંતુ હું ફોર્મ લઈ ગયા ના ચાર દિવસ પછી ગઈ હતી તો એ બેન્ક વાળા ભાઈ મને બોલ્યા"બેન કેટલા દિવસ થી ફોર્મ લઈ ગયા છો અને તમે હવે આવો છો વેલા આવ્યા હોત તો ક્યારનુંય તમારું ખાતું ખુલી ગયું હોત"

એમની વાત સાંભળી ને મેં કહ્યું "ભાઈ બે દિવસ હોળી ધુળેટી આવી ગયા ને એટલે મારા દાદી માં કહે છે હોળી ના ખાતું ખોલાવીએ તો અપશુકન થાય એટલે હું ના આવી"

મારી વાત સાંભળીને પેલા ભાઈ એ કહ્યું સાચી વાત હો બેન તમારી સારું કર્યું તમે ના આવ્યા.

મારુ એકાઉન્ટ ખુલી ગયું પછી મેં આખા સ્ટાફ ને પૂછ્યું કે તમે અપશુકન માં માનો છો?લ
તો બધાય નો હા માં જ જવાબ હતો એક ભાઈ એ તો મને તેમની સામે ના ભાઈ બતાવીને કહ્યું કે "તું આનાથી દૂર રહેજે એ બહુ અપશુકનિયાળ છે". હું તેમની વાત સાંભળીને ત્યાંથી હસતાં હસતાં નીકળી ગઈ.

ઉપર મેં અપશુકન વિશે જે પણ વાતો કરી તે મોટાભાગની મેં દાદી પાસેથી સંબળેલી પણ મારો પર્સનલ મત કહું તો.....

મારા મત મુજબ પરીક્ષા માં પેપર ના આગલા દિવસે અથવા પેપર પહેલા મારો ભાઈ મને બેસ્ટ ઓફ લક વિસ કરે ને તો મારું પેપર સારું જાય અને મને લાગતું કે આ વાત સાચી પણ છે પણ આ વખતે જ મારો ભ્રમ તૂટ્યો મને એને બેસ્ટ ઓફ લક કહ્યું અને તોય પેપર ખરાબ ગયું એટલે મને સમજાયું કે પેપર સારું જાય એના માટે વાંચવામાં વધુ સમય આપવો જોઈએ એના બેસ્ટ ઓફ લક ના ભરોસે ના બેસી રહેવાય તોય હું કહીશ કે એ મારા માટે લકી છે😁😁

હું મારા દાદા દાદી સાથે રહું છું અને મમ્મી પપ્પા મારા થી ઘણા દૂર હવે મારે જ્યારે નેટ ફ્રી કરાવવું હોય તો હું દાદી પાસે પૈસા માંગુ અને એમને આ નેટ માં કાંઈ ખબર ના પડે હું એમને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં ફ્રી નું વાઈ ફાઈ કનેક્ટ કરવું વધારે અનુકૂળ સમજુ અને એમાં વોલપેપર નું અપશુકન થાય ......નહિ સમજ્યા ને તમે સમજાવું છું......

એમાં એવું છે ને કે હું વોલપેપર માં મારો ફોટો રાખું તો કોઈ નું વાઈ ફાઈ પકડાય જ નહીં અને પકડાય તો નેટ ન આવે આવું બે ત્રણ વખત થયું પછી હું જયારે કોલેજમાં ગઈ ત્યાં મેં અલગ વોલપેપર સાથે મારી ફ્રેન્ડ નું વાઈ ફાઈ કનેક્ટ કર્યું મારી શંકા ના સમાધાન માટે મેં મારો ફોટો વોલપેપર માં સેટ કર્યો અને પછી ખબર નહિ શું પ્રોબ્લેમ થયો મારી ફ્રેન્ડ નો ફોન જ બંધ થઈ ગયો મતલબ કે અપશુકન જ થયા ને એટલે હું ક્યારેય મારો ફોટો નહિ રાખતી વોલપેપર માં એમાં એવું છે ને કે અપશુકન થાય..

હું જ્યારે દસમા ધોરણ ની બોર્ડ ની પરીક્ષા આપી રહી હતી ત્યારે પણ મને અપશુકન થયેલા કેવી રીતે કહું તો મારી ક્લાસમેટ છે એનું નામ હું નહિ કવું એને ખબર પડે તો અપશુકન થઈ જાય ને એટલે પણ થતું એવું કે પેપર ના આગલા દિવસે તેની સાથે ત્રણ કલાક થી વધારે વાત કરવી પડતી અને પરિણામે મારુ પેપર બગડતું તો મારા મત મુજબ એ છોકરી નો ફોન મારા માટે અપશુકનિયાળ કહેવાય એટલે બે પેપર ગયા પછી હું તેની સાથે વાત ન કરતી અને જાદુ થઈ ગયો પછીના મારા બધા પેપર સારા ગયા.

મને પાછળ થી સમજાયું કે એની સાથે વાત કરવાના ત્રણ કલાક હું ભણવામાં આપતી એટલે પેપર સારા જતા એની જગ્યાએ કોઈ બીજા સાથે વાત કરી હોત તો પણ અપશુકન જ થાત સાચી વાત કે ખોટી તમે જ નક્કી કરજો😀😀😀


મને અપશુકન વિશે જેટલી માહિતી હતી તે તમને મેં કહ્યું અને મેં શરૂવાત માં કહ્યું હતું ને ખાસ નોંધ

ખાસ નોંધ:ઉપરની બધી જ ઘટનાઓ મારા જીવન સાથે સંકળાયેલી છે તો કોઇએ તેને કાલ્પનિક ન સમજવી અને તમારા પર્સનલ જીવન પર પણ ન લેવી અને મારો તમને પણ સવાલ છે કે શું તમે અપશુકન માં માનો છો? જે પણ વ્યક્તિ મારા આ સવાલનો જવાબ ન આપે તેને કોરોના વાઈરસ ના સમ છે......




વાંચવા બદલ તમારો ખૂંબ ખૂબ આભાર



E-mail id :nidhithakkar369@gmai.com