Sathvaro - 6 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 6

બદલાતો જીવન પ્રવાહ
●●●●●○○○○○●●●●●○○○○●●●●
સવારમાં વાડીએ જવાને બદલે નાનજી સાકરને

હાથપકડીને બઘીઆઈ પાસે લઈ ગયો.આઈને હવે

ઓછું દેખાતું અને પણ સાકર-નાનજીનાં પગરવથી

ટેવાયેલાં કાન. એ બોલ્યાં "કેમ અતારમાં ?"નાનજી"આ

તમારી દિકરીને સમજાવો એનો મગજને છટકી ગ્યો.વીસ

વીસ વરસ પછી ફારગતી (છૂટાછેડાં) લેવાની વાત

કરેશ" બઘીઆઈએ કહ્યું" કા'ક માંડીને વાત કર્ય તો

ખબર્ય પડે".નાનજી કહે" ઈને મારા બીજા વિવાહ કરવા

છ વંશ આગળ વધારવો તી'આવું કરે છ,ની પોતે ક્યાં

જાહે ,છે એને આશરો?" સાકર ચૂપ હતી પણ મક્કમ

હતી.આઈએ સમજાવી"હજી તને ચાલીસ(ચાલીશ) નથ

થયાં હજી મોડું નથ થ્યું અમારા જમાનામાં સાસુ

વવ(વહું) હાર્યે પેટ માંડત્યું.

(એક જ સમયગાળામાં સંતાનને જન્મ આપવો).

પંદર દિવસની સમજાવટ પછી પણ સાકર એકની બે

ન થઈ. એણે વચલો રસ્તો કાઢ્યો."મારા કાકાની દિકરી

મારાથીપાંચ વરસ જ નાની ,ઈ દુઃખાણી છ નાની ઉંમરમાં

ને એકલી છે કોઈ નથ એનું,ને હું ય ફારગતી પછી આયાં

જ રેશ.(રહીશ).આખરે નાનજીએ નમતું જોખ્યું, ગામનાં

વડીલોની હાજરીમાં છૂટાછેડા થયાં.અખાત્રીજનાં દિવસે

એ ખડકીમાં વજીનું આગમન થયું.

એ રાતે પહેલીવાર સાકરે પોતાનો ખાટલો ફળિયામાં

ઢાળ્યો.વાતાવરણ અને મનનો ઉકળાટ એકબીજામાં

ભળી ગયો. બહું વસમું લાગ્યું.એ વિચારતી હતી" મારી

આવી કરમ કઠણાઈ મારા ભાયગમાં ભગવાને ચપટી

સુખય નથ મેલ્યું કે નથ કોઈનો કાયમી સથવારો..આ

ભવમાં જ બધું પુરું કરજે પરભું".

વજી સાકરનો પડ્યો બોલ ઝીલતી,ઘરનાં

તમાકામ-કાજ એણે પોતાનાં શીરે લઈ લીધાં ,એનાથી

સાકરનાં ભાગનોખાલીપો વધી ગયો. જેઠ મહિનો

બેસતાં ગામની શાળામાં નવાં શિક્ષકો આવ્યાં એમાનાં

અશ્ર્વિનીબહેન બ સાકરની સામેની મેડીમાં ભાડૂઆત

તરીકે આવ્યાં. સાકરનાં ઘરે પાણી લેવા આવ્યાં

ત્યારની એ બંને વચ્ચે પરિચીતતાં કેળવાઈ ગઈ. પછી તો

વરસાદનાં લીધે આવવા જવામાં તકલીફ ન થાય એટલે

નાનજી અને વજી વાડીએ રહેવા ગયાં સાકરનાં જ

આગ્રહથી.સાકરને થોડી મોકળાશ અને રાહત લાગી.

ધીમે ધીમે વીસ વર્ષનાં અશ્ર્વિનીબહેન ગામ

આખાનાં બે'ન થઈ ગયાં,વિદ્યાર્થીઓ અને તેનાં

માતાપિતા સહુંનાં બે'ન.સાકર તો એને માસ્તરાણી જ

કહેતી. બંને વચ્ચે અનોખી દોસ્તી.ફળિયાંમાં તો દરેક

જણ સાથે બહેનને ઘરોબો.. ફળીયાંનો ઓટલો રોજ

રાત્રે શાળા બની જતો. બધી સ્ત્રીઓ ને વાંચતા લખતાં

કરી દેવાનું ઝનૂન. એ જ ઓટલા પર બેસીને સાકરમાં

અને બે'ન બંનેની વાર્તાઓ સાંભળતાં બાળકો ઝોંકે ચડી

જતાં.તો વળી ત્યાં સુંદરકાડ અને ઓખાહરણ પણ

વંચાવા લાગ્યાં.

નેવુંનો દસકો મધ્ય તરફ આગળ વધતો હતો.થોડો

આધુનિક પવન ગામમાં પણ ફૂંકાયો રેડીયો પર ગીતમાલા

ની સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ટી.વી પર ચિત્રહાર કે ફિલ્મો

જોવાં બાળકો અને મોટેરાં ખમતીધર પાડોશીને ત્યાં

પહોચી જતાં.સાઈકલની સાથે કોઈ એકાદ મોટરસાઇકલ

ગામમાં ફરતું.આ બધાની સાથે અશ્ર્વિની બહેન જેવાં

પાડોશીને લીધે સ્ત્રીઓ વિચારશીલ બની હતી.બહેન

પાસેથી અથાણાં પાપડ ચેવડાં એવું બનાવતા શીખતી

રજાનાં દિવસે એનાં ઘરે મેળો ભરાતો એમાં સાકર મોખરે.

અશ્ર્વિનીબહેનનાં લગ્ન થયાને થોડાં મહિના જ થયાં

હતાં ,એમનાં પતિ દૂરનાં શહેરમાં નોકરી કરતાં હોવાથી

ક્યારેક રજાઓમાં જ આવતાં. ક્યારેક એકલાં ન ગમતું

તો સાકરમાને બોલાવી લેતાં અને બંને મોડી રાત સુધી

વાતો કરતાં, ધીમે ધીમે અંતર ખૂલવાં લાગ્યાં..સાવ

મિતભાષી સાકર અને અશ્ર્વિનીબહેન વચ્ચે એવો સેતુ

રચાઈ ગયો કે જિંદગીભર ન કરેલી વાતો સાકરમા એને

કરતાં. જાણે અત્યાર સુધી અંતરનાં પેટાળમાં બંધ બધાં

ભાવો શબ્દો બનીને નિકળતા.અશ્ર્વિનીબહેનને

સાકરમાનાં જીવન અંગે જેમ જેમ જાણવાં મળતું ,ગુસ્સો

આવતોએનાં પ્રગતિશીલ વિચારોને આ માન્ય ન હતું.

બહેન પાસે રહી ભાષાશુદ્ધિ પણ આવી હુ ની બદલે

શું? નઈને બદલે નહી ઉચ્ચારણ પણ શુદ્ધ થયાં તોય

ફળિયાં નાં લોકો સાથે એ જ મીઠી તડપદી બોલી

બોલતાં. એને વાર્તાઓ તો ગમતી કાચું પાકું વાંચતા

એમને અશ્ર્વિનીબહેને કડકડાટ વાંચતાં કરી દીધાં.એ

એમને સારાં સારાં પુસ્તકો તો આપતાં જ પણ હવે

સાકરમાં રામાયણનાં પાઠ ,ઓખાહરણ બધું ફળીયાંની

સ્ત્રીઓ વચ્ચે વાંચતા . એ સંગ અને સત્સંગથી એમનો

ખાલીપો કંઈક અંશે ભરાયો.અંતરની સભરતા તો હજી

નહોતી મળી.

ચાર- પાંચ વર્ષ વિત્યાં અશ્ર્વિનીબહેનની બદલી

નજીકનાં શહેરમાં થઈ. છુટા પડતાં સાકરમાંને પોતાનું

સરનામું લખાવી,હટાણું કરવાં આવો ત્યારે આવજોની

ખૂબ ભલામણ કરી પણ એ ક્યારેય ગયાં નહીં.એ વર્ષો

એનાં માટે નિરાશાજનક હતાં .વજીને પણ એ નિરાશા

સ્પર્શતી ખરી.એ બાળકની ઈચ્છા તો ન પુરી થઈ અને

"ખેડૂ"ને ક્ષય લાગું પડ્યો.ક્ષય અને હુક્કાનો બેવડો માર

એ ફેફસાં ન ઝીલી શક્યાંને એમણે શ્ર્વાસ લેવાની ક્ષમતા

ગુમાવી દીધી.

જિંદગીએ પાછી કરવટ બદલી.સાકરમાને ખેડૂનાં

જવાનાં દુઃખ સાથે વજીની પણ ચિંતા કોરી ખાતી.પોતે

લીધેલ નિર્ણય પર અફસોસ પણ થતો.હવે ખેતી

કરવાની ક્ષમતા નહોતી ને બચતમાં નામે ઝુંમણું અને

રજવાડી હાર.એ વારસો કોઈ ભોગે જાળવી રાખવો

હતો.વજીની અનિચ્છા હોવાં છતાં સાકર ગામનાં

વડીલો સાથે એના ભાઈઓ પાસે જઈને પોતાની

પરિસ્થિતિ રજુ કરી. લોકલાજે એનાં ભાઈઓ એને

લઈ ગયાં.


હવે ફરી કોઈ સથવારા વિના ચાલવાનું હતું. હર એક

દસકો જીવનમાં અણધાર્યા બદલાવ લાવતો હતો.

વાચકમિત્રો તમારી લાગણીઓ અને સાથ માટે ખૂબ ખૂબ

આભાર. સથવારો છોડતાં નહી.

ડો.ચાંદની અગ્રાવત