Brahmarakshas - 23 books and stories free download online pdf in Gujarati

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 23

ભૈરવી શયનખંડની બહાર આવી તો એક જાણીતો ચહેરો તેની સામે ઉભો હતો. તેના ચહેરા ઉપર ખુશીની સાથો સાથ દુઃખ પણ છલકાઈ રહ્યું હતું. જ્યારે એ વ્યકિતએ ભૈરવી ને શુરુઆત ની વાત જણાવી ત્યારે ભૈરવીના હોઠો હાસ્યથી મલકાઈ રહ્યા હતાં પરંતુ જ્યારે તેને સઘળી હકીકત જાણી તો તે ભાંગી પાડી.


રાજેશ્વરીના ઘરની બાજુમાં રહેતા કાકા એ જ્યારે ભૈરવીને જણાવ્યું કે રાજેશ્વરી એ કાલે સાંજે પુત્રને જન્મ આપ્યો છે , એ સાંભળીને ભૈરવી ખૂબ જ ખુશ થઈ હતી જે તેના હાસ્યથી મલકાઈ રહેલા હોઠોથી સ્પષ્ટ પણે જાણી શકાતું હતું પરંતુ ભૈરવીના ચહેરા પરની ખુશી લાંબા સમય સુધી ટકી નહિ.


“ રાજેશ્વરી કાલે રાતે જ ગામ છોડીને જતા રહ્યા છે. તેમની સાથે તેમના માતા ( ગુરુમા ) પણ આ ગામને છોડીને જતા રહ્યા છે. " કાકાએ નિરાશા ભર્યા અવાજે કહ્યું.


ભૈરવી થોડીક ક્ષણ સ્તબ્ધ રહી, પછી અચાનક પોતાનું પેટ પકડીને દર્દની મારી કણસવા લાગી. ભૈરવીની ચીજો સાંભળીને અચાનક બકુલાદેવી તેની તરફ ગયા. નંદિની પણ પોતાનાં શયનખંડમાંથી બહાર આવ્યાં.ભૈરવીની દર્દ ભરી ચીસો સાંભળીને બકુલાદેવીને ખબર પડી ગઈ ભૈરવીનો પ્રસ્તુતિ સમય નજીક આવ્યો છે બકુલાદેવીએ તરત જ એક નોકર ને ગામના એક મહિલાવૈદ્યને બોલાવવા માટે મોકલ્યો.


મહિલાવૈદ્ય જેવા હવેલીમાં પહોંચ્યા કે તરત નંદિની અને બકુલાદેવી પોતાની મદદથી ભૈરવીને પોતાના શયનખંડમાં લઈ ગયા. ભૈરવીને પથારી પર સુવાડી બકુલાદેવી બહાર આવ્યાં. બહાર આવતાની સાથે બકુલાદેવી હવેલીના પ્રવેશ દ્વાર સામે જોઇને આમતેમ આંટા મારવા લાગ્યાં. તેઓ થોડા ચિંતાતુર હતાં તેવું તેમના ચહેરા પરની સ્પષ્ટ થઈ આવતું હતું. બકુલાદેવીને આમ આંટા મારતા જોઈને નંદિની તેમની પાસે આવ્યાં...


“ આપ કેમ આટલાં ચિંતિત નજર આવો છો ? " નંદિની શયનખંડની બહાર આવતાં જ પૂછી લીધું.


નંદિનીનો અવાજ સાંભળીને બકુલાદેવીએ પોતાના પગને એક જગ્યાએ સ્થિર કર્યા.


“ માનસિંહ સવારમાં જ કોઈને કંઈ જણાવ્યાં વગર બહાર ગયા છે હજુ સુધી પાછા આવ્યાં નથી, ખબર નહિ કેમ કોઈ કારણ વગર મને માનસિંહની ચિંતા થઈ રહી." માની મમતામાં ચિંતા નજર આવી રહી હતી.


“ જાણું છું દીકરાની સૌથી વધુ ચિંતા તેમની માતાને જ હોય છે, આખરે હું પણ એક મા બનવા જઈ રહી છું ને..." નંદિની એ પોતાનું વાક્ય વચ્ચે જ અટકાવી દીધું.


આમ નંદિની અને બકુલાદેવીની વાતોમાં કેટલોય સમય પસાર થઈ ગયો તેનું બંનેને ભાન ના રહ્યું અને હવેલીની શાંતિ ને ભંગ કરતું એક સુમધુર રુદન ભૈરવીના શયનખંડમાથી સંભળાયું.


બકુલાદેવી અને નંદિની ભૈરવીના શયનખંડ તરફ ગયા જેવા અંદર પ્રવેશે કરવા ગયા તેવા જ મહિલાવૈદ્ય તેમને દરવાજે બહારની તરફ આવતા દેખાય.


“ તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે, તમે દાદી બની ગયા ખૂબ ખૂબ અભિનંદન." મહિલાવૈધે કહ્યું.


બકુલાદેવી ખુશખુશાલ થઈ ગયા અને તેમણે મહિલાવૈદ્યને બક્ષિસ આપીને પોતાના ઘર તરફ રવાના કરી. બકુલાદેવીએ તુરંત એક નોકરને આદેશ આપ્યો કે આ ખુશીના સમાચાર ગામલોકોને આપી આવે તેમજ આજ રાત્રિનું ભોજન તમામ ગામલોકોનું હવેલીમાં રાખવામાં આવ્યું છે તેથી સૌએ અહીં આવીને જમવું... આવા સંદેશ સાથે નોકરને ગામમાં મુક્યો.


થોડા સમય બાદ આ ખુશીના સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરી ગયા. ગામલોકોના માનીતા માનસિંહને ત્યાં લક્ષ્મી એ અવતાર લીધો છે આથી મોટી ખુશીની વાત તો હોય જ શું...! માનસિંહનું વર્તન જ એટલું સરસ હતું કે ગામ લોકો તેને પોતાના સગા દીકરાની જેમ જ માનતા. ગામની કેટલીયે દીકરીઓ એ માનસિંહ ને રાખડી બાંધીને ધર્મનો ભાઈ પણ બનાવ્યો હતો. તેથી સૌ ગામલોકો સમાચાર મળતાની સાથે જ હવેલી જવા નીકળી પડ્યા.


કેટલા વર્ષો બાદ હવેલીમાં આજે ખુશીનો અવસર આવ્યો હતો, બાકી દુર્લભરાજ સાથે દરેકના દિવસો ખરાબ જ જતાં અને તેનું વર્તન એટલું ખરાબ હતું કે લોકો જેમ બને તેમ તેનાથી દૂર જ રહેતા અને હવેલીમાં પણ ભાગ્યે જ જતાં પરંતુ, આજે તો ખુશીનો દિવસ, લોકો દુર્લભરાજને થોડા સમય માટે ભૂલીને આખરે હવેલીમાં પહોંચી ગયા.


ગામલોકો તો હવેલીમાં એકઠાં થવા લાગ્યાં પરંતુ કોઈને જણાવ્યાં વગર હવેલી બહાર ગયેલાં માનસિંહ હજુ સુધી પરત ફર્યા નહોતાં તેથી બકુલાદેવીને ચિંતા સતાવવા લાગી. એકબાજુ ગામના લોકો હવેલીમાં નાચતાં ગાતા પહોંચી ચૂક્યા હતા તો બીજી બાજુ અંધારું પણ ઢળી રહ્યું હતું. ધીમે ધીમે સ્થિર વાતાવરણ ગંભીર બનવા લાગ્યું. વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો અને કાળાડિમાંગ વાદળોથી જોત જોતામાં આકાશ આખું ઘેરાઈ ગયું.


પ્રસંગ તો ખુશીનો હતો પરંતુ એકાએક આ અણધારી આફત આવી પહોંચી. રાત્રિનું ભોજન પણ તૈયાર થઈ ગયું હતું પરંતુ હજુ માનસિંહની ખબર સુધ્ધા પણ ન્હોતી લાગી. વિરમસિંહ, અમરસિંહ તેમજ તેમના વફાદાર માણસો માનસિંહની શોધખોળ ચાલુ કરી.


આ બાજુ હવેલીમાં ગામલોકો ભોજન જમવા બેસી ગયા.

“ માનસિંહ કેમ ક્યાંય દેખાતા નથી ?" એકાએક એક ગામ વાસીએ ભોજન જમતાં જમતાં બકુલાદેવીને પૂછ્યું.


બકુલાદેવી ખુદ ચિંતામાં હતા તેઓ જાણતા હતા કે ગામલોકોનો સ્નેહ માનસિંહ પ્રત્યે કેટલો છે. ગામલોકો માનસિંહને પોતાના સગા પુત્ર ની માફક સમજતા, જો એમને એમ જાણ થશે કે માનસિંહ સવારથી ક્યાંય ગુમ છે તો તેઓ પણ ચિંતા કરવા લાગશે તેમને ખામખા ચિંતા શું કામ આપવી. મનમાં આવા વિચાર આવતાની સાથે જ બકુલાદેવી એ કહ્યું.....“ માનસિંહ મા કાલીના મંદિરે ગયા છે." ( બકુલાદેવીએ પોતાની ચિંતાને છૂપાવીને એક અસત્ય બોલ્યા. )


મા કાલીના મંદિરનું નામ પડતાં જ ગામ લોકો એ આગળ કઈ પણ ના પૂછ્યું અને ફરી બધાં પોતાના ભોજન તરફ ધ્યાન આપ્યું.


બકુલા દેવીની નજર એકાએક બહાર પ્રવેશ દ્વાર પર પડી. કોઈ વ્યક્તિ લાંબો કાળો ધાબળો ઓઢીને હવેલી અંદર આવી રહ્યો હતો. બહારનું વાતાવરણ જોઈને કોઈ પણ હાલમાં ઘરની બહાર નીકળવાની હિંમત ના કરે તો આ બહાદુર વ્યક્તિ કોણ.......?????




વધુ આવતા અંકમાં....