Yeshwant Mehta

Yeshwant Mehta Matrubharti Verified

@yashvantmehta5119

(1.6k)

55

110.1k

223k

About You

૧૯—૬—૧૯૩૮ને દિવસે લીલાપુર, તા. લખતર, જિ. સુરેન્દ્રનગર ખાતે ખેડૂત દેવશંકર પુરુષોત્તમ અને ભાગીરથીબાને ઘેર જન્મેલા અને ઝાલાવાડના દુકાળિયા મુલકની હાડમારીઓ વેઠીને વિધવા માતા સાથે અથડાતા—કુટાતા લખતર—વિરમગામ થઈને ૧૯૫૧માં અમદાવાદ પહોંચેલા યશવન્ત મહેતા શાળાજીવનથી જ લેખનને રાહે ચડેલા. વર્ષો સુધી હસ્તલિખિત પત્ર પ્રગટ કરતાં, ૧૯૫૬માં 'સ્ત્રીજીવન'માં પ્રથમ વાર્તા છપાવ્યા પછી અનેક સામયિકોમાં લખતાં લખતાં ૧૯૫૯થી 'ગુજરાત સમાચાર'માં જોડાયા, જ્યાં અનેકવિધ સામયિકોનું સફળ સંપાદનકાર્ય સંભાળતા રહ્યા. આખરે ૧૯૮૯થી પૂરા સમયના લેખક બનવા નોકરીમુકત બની ગયા. હવે સંખ્યાબંધ દૈનિકોમાં નિયમિતપણે લખે છે. ૧૯૬૪માં એમની પહેલી જ પુસ્તિકાને રાજ્ય પુરસ્કાર મળ્યા પછી રાજ્યના મળી શકતા મહત્તમ પાંચ પુરસ્કાર, સાહિત્ય પરિષદના ત્રણ પુરસ્કાર તેમજ સંસ્કાર પરિવાર, પ્રેમાનંદ સાહિત્યસભા, રૂપાયતન—અમરેલી, નેશનલ કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ એજ્યુકેશન, ગુજરાત અખબાર સંઘ, ગુજરાત પત્રકાર સંઘ આદિ સંસ્થાઓના વિશિષ્ટ સેવા એવોર્ડ એમને મળ્યા છે. શિક્ષણ અને સાહિત્ય માટેની રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન—તાલીમ સંસ્થા ર્ક્ષ્ન્ચ્ૈત્જ્ઞના ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે. નવલિકાલેખન માટે પણ રાષ્ટ્રીય રાજાજી પુરસ્કાર અને 'નવચેતન' નવલિકા—ચંદ્રક એમને પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્યસભાનો પ્રતિષ્ઠિત ધ. કા. ગાંધી સુવર્ણચંદ્રક ૨૦૦૬ના વર્ષ માટે એમને એનાયત કરાયો છે. અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૦નો રૂ. ૫૦,૦૦૦નો બાલસાહિત્ય પુરસ્કાર પણ એમને ફાળે આવ્યો છે. આ સન્માન મેળવનાર એ પ્રથમ ગુજરાતી લેખક છે. વળી, ગુજરાત સાહિત્ય અકાદમીનો બાળસાહિત્ય માટેનો સૌથી મોટો ગિજુભાઈ બધેકા એવોર્ડ પણ ૨૦૧૮માં યશવન્તભાઈને એનાયત થયો. ૨૦૧૯માં અખિલ ભારતીય પત્રકાર સંઘે ઉત્તમ આજીવન પત્રકારત્વ બદલ સન્માન કર્યું. છ દાયકાના અર્થપૂર્ણ પત્રકારત્વ અને ૫૦૦ જેટલાં પુસ્તકોના લેખનનો વિપુલ અનુભવ ધરાવતા યશવન્ત મહેતા બાળકો માટેના પત્ર 'ઝગમગ'નું સંપાદન લગભગ દોઢ દાયકા સુધી સંભાળતા રહ્યા, પછી માસિક 'બાલઆનંદ'ના ઓગસ્ટ, ૧૯૯૯થી ૨૦૧૮ સુધી સંપાદક હતા. ગુજરાતી લેખક મંડળના ૨૦૦૩થી ૨૦૧૪ અધ્યક્ષ હતા અને મંડળની પુસ્તિકા—શ્રેણી 'લેખક અને લેખન'ના સંપાદક મંડળમાં હતા. છેક ૧૯૭૭થી પત્રકારત્વના વર્ગોમાં, નવગુજરાત, સહજાનંદ, ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન કરતા રહ્યા. વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય હતા. બાલસાહિત્ય અકાદમીના સ્થાપક કન્વીનર છે (૧૯૯૪થી). હવે ૯૮ વર્ષ જૂના સામયિક 'નવચેતન'ના સંપાદક છે. યશવન્ત મહેતાનાં પત્ની દેવીબહેન (જન્મ ૧૯૪૨) વૈદ્ય છે. પુત્રી ઋતમ્ભરા (૧૯૬૪) માનસચિકિત્સામાં એમ.ડી. અને પુત્રી પ્રતીચી (૧૯૬૮) આવકવેરા કર્મચારી છે તથા પુત્ર ઈશાન (૧૯૭૬) કોમ્પ્યુટર નિષ્ણાત છે. વિશેષ પરિચય માટે પુસ્તકોઃ 'યશગાથા' અને 'ફૂટનોટ'. પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદઃ ૧. ફોનઃ ૨૨૧૪૪૬૬૩ સરનામુંઃ ૪૭/એ, નારાયણનગર સોસાયટી, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭ ફોનઃ ૨૬૬૩૫૬૩૪ (મ્) ૯૪૨૮૦—૪૬૦૪૩ ૈ—માલિઃ યેસહભાનત.મેહતા.ઋક્ષટષધ્ગમાલિ.ચોમ