Sambandhone sumadhur banavi rakhvani rit books and stories free download online pdf in Gujarati

સબંધોને સુમધુર બનાવી રાખવાની રીત

એક વ્યક્તીના હમણાજ લગ્નના ૨૦ વર્ષ પુરા થયા. લગ્નના શરુ શરુમાતો સબંધો ખુબ મીઠાશ ભર્યા રહેતા પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ફર્યાદો-આરોપો, અનિચ્છાઓ અને નિરાશાઓ વધતી ગઈ. હવે તો સવારે નોકરી પર જતી વખતેય બન્ને જણા વાતચીત કરવાનુતો દુર નાનુ એવુ હસવાનો પણ પ્રયત્ન કરતા નહી. એક બીજા પ્રત્યેના આવા વર્તનથી સબંધોની બધીજ મીઠાશ જતી રહી. એક દિવસ તે વ્યક્તીએ આ બધી વાત પોતાના મીત્રને ખુબજ દુ:ખી મને જણાવી. તેનો મીત્ર સબંધવિદ્યામા ખુબજ માહેર હતો એટલે તે જળપથી સમજી ગયો કે મુળ સમસ્યા શું છે એટલે તેણે માત્ર એટલીજ સલાહ આપી કે એક અઠવાળીયા સુધી જ્યારે પણ તારી પત્ની તને સામે મળે ત્યારે તારે બધાજ પ્રશ્નો ભુલી નીઃસ્વાર્થ ભાવે તેની સામે સ્મીત આપવાનુ.

પોતાના મીત્રની આવી સલાહ દેખીતી રીતે તેને ગળે તો ન ઉતરી પણ સબંધોને ફરી પાછા સુમધુર બનાવવા માટે આ રીત પણ અજમાવી લેવાનો તેણે નિર્ધાર કર્યો અને બીજા દિવસથીજ તેનો અમલ કરવાનુ શરુ કરી દીધુ. બીજા દિવસે સવારે જ્યારે તેની પત્ની ઉંઘમાથી ઉઠી તેને સામે મળી કે તરતજ તેને હસતા મોઢે ગુડ મોર્નીંગ વીશ કર્યુ. પતીનુ ઘણા સમય પછી આવુ વર્તન જોઇને તેની પાત્નીતો ચોંકીજ ઉઠી. તેના આનંદનોતો કોઇ પારજ ન રહ્યો અને તેના ચહેરા પર પણ હાસ્ય છવાઇ ગયુ. આ રીતે વાતાવરણ થોડુ હળવુ થયુ અને બન્ને જણા સાથે બેસીને સમસ્યાનુ સમાધાન ગોતી એક વાત પર સહમત થયા કે સબંધોમા ગમે તેવી તકલીફો આવી જાય તો પણ આપણે એક બીજા પ્રત્યે હંમેશા હસમુખુ વર્તન રાખશુ અને બને તેટલા સબંધોને ટકાવાનો પ્રયત્ન કરશુ પણ ક્યારેય વાતચીત કરવાનુ બંધ કરશુ નહી. આમ ઘણી વખતતો માત્ર એક સ્માઇલ દ્વારાજ સમાધાન લાવી શકાતા હોય છે કારણકે મોટા ભાગના લોકો કંઈ કહે એ પહેલા વ્યક્તીનો ચહેરો જોઇને તેની સાથે વાત કરવી કે નહી તેવા જજમેન્ટ લેવા પ્રેરાતા હોય છે. જો સામેનો વ્યક્તી મોઢુ ચડાવીને ફરતો હોય તો લોકો તેને બોલાવવાનો પ્રયત્ન કરતા અચકારાતા હોય છે જેથી સબંધો પાછા સુધારી શકતા હોતા નથી, પણ જો વ્યક્તી લોકો સામે ચહેરા પર સ્માઇલ રાખે કે સ્માઇલ આપે તો એક પ્રકારના હળવાશભર્યા વાતવરણનુ નિર્માણ થતુ હોય છે અને લોકો એક બીજા સાથે વાત કરવા પ્રેરાતા હોય છે. આ રીતે હસતા મોઢેજ સમસ્યાના સમાધાન આવી જતા હોય છે.

મારા સ્વભાવમા આટલો નાનો એવો ફેરફાર કરવાથી આટલુ મોટુ પરીણામ મને મળી જશે તેનોતો મને લગીરેય વિચાર નહોતો આવ્યો. પોતાના મીત્રને આ બધા અનુભવો વર્ણવતા તે વધુમા કહે છે કે હવેથી હું માત્ર મારી પત્નીનેજ નહી પણ દરેક ઓળખીતી વ્યક્તીને સ્મીત આપુ છુ અને તક મળે તો ૨ મીનીટ ઉભો રહી થોડી હસીમજાકની વાતો પણ કરી લઉ છુ. મારુ આવુ વર્તન જોઇ લોકો પણ વળતુ હાસ્ય આપે છે એટલે બધા સાથે મારે મીઠાશ ભર્યા સબંધો બંધાઇ ગયા છે. આ રીતે હવે હું મારા જીવનમા એ બધાજ સુખ, શાંતી, સફળતા અને સબંધો મેળવી શકુ છુ કે જેની હું હંમેશા અપેક્ષાઓ રાખતો હતો.

આ ઉદાહરણ પરથી એક વાત સાબીત થાય છે કે હસતો માણસ બધેય આવકાર પામે છે. હાસ્ય કરવાનો કોઇ ખર્ચ થતો હોતો નથી તેમ છતાય તે ઘણુ બધુ મેળવી આપતો હોય છે અને ઘણા સમય સુધી તેની અસર પણ જળવાઇ રહેતી હોય છે.

દુનિયાનો એવો ક્યો વ્યક્તી હશે કે જે પોતાના જીવનસાથી તરીકે દુ:ખી, નિરાશ અને ઉદાસ ચહેરો લઈને ફરતા વ્યક્તીને પસંદ કરે ? શું તમે એવા વ્યક્તીને પસંદ કરશો કે જેઓ આખો દિવસ પોતેતો દુ:ખી રહેતાજ હોય પણ પોતાની દુ:ખભરી વાતો કે વર્તન દ્વારા બીજાઓને પણ દુ:ખી કરતા ફરતા હોય ? જો તમને કોઇ વ્યક્તી પુછે કે તમે કેવા જીવન સાથી સાથે રહેવાનુ પસંદ કરશો તો તમારો જવાબ શું હશે ? આ સવાલના જવાબ તરીકે તમે જે કંઇ પણ જવાબ આપશો કે વાત કરશો તેનો આખરી સારાંશ તો એકજ હશે જે છે પ્લીઝન્ટ પર્સનાલીટી. આવુ હસમુખુ વ્યક્તીત્વ ધરાવતો વ્યક્તી સરળતાથી લોકોને ખુશ કરી તેઓનુ દિલ જીતી શકતા હોય છે.

દુનિયાના કોઇ પણ વ્યક્તીને દુ:ખી થવુ, નિરાશ થઇ ચુપ ચાપ બેસી રહેવુ ગમતુ હોતુ નથી. દરેક વ્યક્તી પોતાના જીવનમા હાસ્ય, આનંદ-કીલ્લોલ, મજાક મસ્તી કે ઉમંગની અપેક્ષા રાખતા હોય છે. તેઓ હંમેશા ખુશ રહેવા માગતા હોય છે એટલા માટેજ તેઓ એવા વ્યક્તીઓ સાથે રહેવાનુ વધારે પસંદ કરતા હોય છે કે જેઓ હસી મજાક કરી તેઓના જીવનમા થોડી આનંદની પળો ઉભી કરી શકતા હોય. જો તમે લોકોની આ અપેક્ષા કે શરત પુરી કરી બતાવો તો નક્કીજ છે કે તેઓ તમને પહેલી પસંદગી આપે. યાદ રાખો કે દુ:ખી, નિરાશ કે દરેક સમયે ચુપચાપ બેસી રહેનાર વ્યક્તીઓ કોઇનેય ગમતા હોતા નથી જ્યારે ચારેય બાજુ હાસ્યની મીઠી છોળો ઉડાળનાર, થોડુ મન હળવુ કરી આપનારા લોકો ખુબ જડપથી લોકોપ્રીય બની જતા હોય છે. આ રહસ્ય એ જીવનનુ એવુ સત્ય છે કે જેને બરોબર સમજી લેવામા આવે તો અનેક લોકોના દિલો પર રાજ કરી શકાતુ હોય છે. આજે બધા ફીલ્મસ્ટારો, રમતવીરો, સંગીતકારો, નર્તકો, લોકોના દિલમા કાયમી ઉંચુ સ્થાન ભોગવે છે તેનુ કારણ પણ એ જ હોય છે કે તેઓ લોકોને પોતાની સમસ્યાઓ ભુલવાળી તેમાથી થોડા સમય માટે બહાર કાઢી થોડી અનંદની પળો બક્ષે છે, તેઓ લોકોને ખુશ કરે છે અને તેઓના જીવનમા નવો રંગ ભરે છે. બસ આ કારણથીજ લોકો આવા સ્ટાર પર આફરીન થઇ જતા હોય છે. જો તમે પણ લોકોના દિલમા આવુ સ્થાન ભોગવવા માગતા હોવ તો હંમેશા ચહેરા પર હાસ્ય રાખો અને થોડી ઘણી પણ હસી મજાક કરતા શીખો, આ રીતે લોકો તમને સામેથી ગોતતા આવશે, તમને યાદ રાખશે અને આજીવન તમારા પક્ષધર બની જશે.

વ્યવહારમા પણ તમે જોશો તો જણાશે કે જે વ્યક્તી સાથે તમે વધુ હસી મજાક કરતા હોવ છો તે વ્યક્તી સાથે તમે વધુ જડપથી હળી મળી શકતા હશો, પણ જે લોકો સાથે તમે હસી મજાક નહી કરી શકતા હોવ તેઓ સાથે સબંધો વિકસાવવા થોડા અઘરા બની રહેતા હશે ખરુને ! જે વ્યક્તીઓ હસી મજાક કરતા કરતા જીવે છે તેઓ વધુ જડપથી તમારુ દિલ જીતી લેતા હોય છે પણ આવુ પેલા નિરાશ રહેનારા લોકો કરી શકતા હોતા નથી એટલા માટેજ તેમની સાથે ખાસ કશો સબંધ વિકસાવી શકાતો હોતો નથી. આમ હસીમજાક એ એવા નિર્દોષ અને આનંદીત વાતાવરણનુ નિર્માણ કરતુ હોય છે કે જેમા સબંધો વધુ જડપથી મજબુત થતા હોય છે અને લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે.

આપણે ગમે તેટલા હીરા મોતી જડીત અલંકારો પહેર્યા હોય, મોંઘા દાટ વસ્ત્રો પહેર્યા હોય અને ગમે તેવા આકર્ષક રીતે તૈયાર થઈ આવ્યા હોઈએ પણ આપણા ચહેરા પર એક નાનુ એવુ સ્મીત પણ ન આવી શકતુ હોય કે ઉદાસ ચહેરો લઈનેજ આપણે ફરતા હોઈએ તો આપણાથી વધારે કદરુપુ બીજુ કોઇજ હોઇ શકે નહી કારણકે વ્યક્તીની સુંદરતા તેણે ધારણ કરેલા વસ્ત્રો કે આભુષણોથી નહી પરંતુ તેના ચહેરા પર ખીલેલા હાસ્યથી વધતી હોય છે. આપણુ આવુ હાસ્ય કીંમતીમા કીંમતી ઘરેણાઓથી પણ વધારે મુલ્ય ધરાવતુ હોય છે કારણકે આપણુ આકર્ષક વ્યક્તીત્વ કે માત્ર એકજ મીઠી મધુરી સ્માઈલ જે આપી બતાવશે તે ક્યારેય કોઇ દ્રવ્ય આપી શકશે નહી. રુપીયા પૈસા, ધન દોલતની ચમક એ મોટે ભાગે સ્વર્થના સબંધો અપાવતુ હોય છે જ્યારે આપણુ હાસ્ય કે વિનોદવૃત્તી લોકોનુ દિલ જીતી તેઓનો સાચો પ્રેમ અપાવી બતાવતો હોય છે, તેઓને આપણી સાથે રહેવા પ્રેરતો હોય છે. માટે પરીસ્થીતિઓ ગમે તેવી હોય હંમેશા ખુશ રહો અને લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. આ જીંદગી આપણને રાજી ખુશીથી રહેવા માટે મળી છે, દુ:ખી થઈ મોઢા ચઢાવીને ફરવા માટે નહી. જે દિવસે તમે આટલી વાત સમજી જશો તેજ દિવસથી તમે જીંદગી જીવતા શીખી જશો.

સખત મહેનત કરવાથી સફળતા મળે છે તે વાત ભલે સાચી હોય પણ આજના ભાગા દોડીના જમાનામા જે વ્યક્તી હસતા-રમતા, આનંદ કિલ્લોલ કરતા કરતા પોતાના કામ કરી બતાવે છે તેઓજ વધુ સફળતા મેળવી શકતા હોય છે. ચીંતા, નિરાશા કે ડીપ્રેશનમા રહેનાર વ્યક્તીની વિચારશક્તી કે સમજશક્તી કુંઠિત થઇ જતી હોય છે. પછી તેઓ સામાન્ય એવી બાબતો પણ સમજી શકતા હોતા નથી તો પછી જટીલ બાબતોને સમજી તેમા સફળ થવાનોતો પ્રશ્નજ ઉદ્ભવતો નથીને ! આમ જો વ્યક્તી ઉત્સાહ, વિશ્વાસ અને આનંદથી પોતાનુ કામ કરે, ટેન્શન લીધા વગર હળવાશથી સમજદારીથી પોતાની જવાઅદારીઓ નિભાવે તો તેઓની વિચારશક્તી અને સમજશક્તી વધારે સતેજ કે કાર્યક્ષમ બની જતી હોય છે જેથી તેઓ જટીલમા જટીલ બાબતોને પણ સરળતાથી ઉકેલી સફળતા મેળવી શકતા હોય છે. આમ દુઃખ, નિરાશા, હતાશા, લઘુતાગ્રંથી કે કાર્યબોજ તળે દબાઇ હાર માની લેવાને બદલે વધુ ઉત્સાહથી હસતા ખેલતા કામ કરવુ જોઇએ, આ રીતે સફળ થવાની શક્યતા ઘણીજ વધી જતી હોય છે અને વધુમા નવા નવા સબંધો પણ કમાઈ શકાતા હોય છે.

હાસ્યમા ખુબ ઉંડો જાદુ હોય છે, તેના દ્વારા સામેથી આવતા કોઇ પણ વ્યક્તીના દિલમા આપણા પ્રત્યે હકારાત્મક છાપ પાળી શકાતી હોય છે. જ્યારે તમે કોઇને સામે મળતા હસો છો ત્યારે એવો સંદેશો વહેતો થતો હોય છે કે તમને તેઓની કદર છે અને તમે તેઓ સાથે સબંધો રાખવા આતુર છો, અથવાતો તમને તેઓને મળવાથી આનંદ થાય છે. આવો સંદેશો જ્યારે સામેની વ્યક્તીને મળતો હોય છે ત્યારે તેઓના હ્રદયમા આપણી હકારાત્મક છાપ ઉત્પન્ન થતી હોય છે જેથી તેઓ આપણી સાથે વધુ કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે અને જડપથી હળી મળી જતા હોય છે.

નિખાલસ કે પાક્કા સબંધો કેળવતી વખતે સૌથી વધારે નડતરરુપ થતા પરીબળો જો કોઇ હોય તો તેમા એક બીજા પ્રત્યેના ડર, શરમ, સંકોચ, ઇગ્નોરન્સ, ઇગો, અવિશ્વાસને મુખ્ય કારણો ગણાવી શકાય. જ્યારે હસી મજાકથી ચર્ચા કરવામા આવે છે ત્યારે એક બીજા વચ્ચેથી આવા તમામ પરીબળો દુર થઈ જતા હોય છે અને એવી સમજ કે વાતાવરાણનુ નિર્માણ થતુ હોય છે કે જેમા એક બીજા પ્રત્યેના ડર, શરમ-સંકોચ, શંકા એ બધુજ દુર થઇ જાય. આ રીતે એક બીજા પર વિશ્વાસ વધવાથી મીત્રતાની એક નવીજ શરુઆત કરી શકાતી હોય છે. કુતરાઓ સાથે માણસ જાતને સૌથી વાધારે રહેવુ ગમતુ હોય છે તેનુ કારણ પણ આજ વાત હોય છે. તેઓ જ્યારે આપણને જુએ છે કે તરતજ ખુશ ખુશાલ થઇ ઉછળ કુદ કરવા લાગતા હોય છે, આપણી સાથે રમવા લાગતા હોય છે કે હાથ ચાટવા લાગતા હોય છે. આ રીતે તેઓ આપણુ મહત્વ સ્થાપીત કરી પોતેતો ખુશ થતાજ હોય છે પણ લોકોને પણ ખુશ કરી મુકતા હોય છે. ઘણી વખતતો માત્ર કુતરાઓને લીધેજ વ્યક્તીના બધાજ થાક, ડર, દુ:ખ, ચીંતા દુર થઇ જતા હોય છે. તો આ બધુ એ કુતરાની નીઃસ્વાર્થ વફાદારી અને રમુજવૃત્તીથીજ શક્ય બનતુ હોય છે. તો હવે નક્કી આપણે કરવાનુ છે કે લોકોને આપણાથી દુર ભગાળવા છે કે પોતાના તરફ આકર્ષીત કરવા છે. જો તમે એવુ ઇચ્છતા હોવ કે લોકો તમને ખુશ રાખે, તમારી સાર સંભાળ રાખે, તમારાથી આકર્ષીત થાય તો તમારે પણ તેમજ કરવુ જોઇએ. મોટા કચરાના ઢગલા જેવુ મોઢુ કરીને બેઠા રહો તો કોણ તમારી પાસે આવે? શું તમને આવા વ્યક્તીઓ સાથે ચોવીસે કલાક નિરાશ થઈને બેસી રહેવુ ગમે ? જો તમને ન ગમતુ હોય તો પછી અન્યોને પણ ક્યાંથી ગમે ? માટે ખુશ રહો, ખરા દિલથી, અંતરના ઉંડાણથી ખુશ રહો અને અન્યોને પણ ખુશ રાખો.

કોઇ પણ સબંધમા કેટલી ગુણવત્તા, સ્વસ્થતા કે પરીપક્વતા છે તેનો અંદાજ લોકો એક બીજા સાથે મળીને કેટલુ હસે છે કે કેટલા હસીમજાકના ટોપીક પર વાતો કરી શકે છે તેના પરથી કાઢી શકાતુ હોય છે. જો કોઇ પરીવાર કે ગ્રુપના લોકો સાથે મળીને ખુબ હસી મજાકથી રહેતા હોય તો તેઓ વચ્ચે આપસી સમજણ ખુબજ મજબુત છે તેમ કહી શકાય, આવા લોકો પછી દરેક પરીસ્થીતિમા એક બીજાનો સાથ જાળવી રાખતા હોય છે. બીજી તરફ જો લોકો આખો દિવસ સાથે રહે તેમ છતાય એક મીનીટ પુરતાય હસતા ન હોય તો તેઓનો સબંધ હજુ કાચો છે તેમ કહી શકાય, પછી આવા લોકો વચ્ચે જરાક પણ મુશ્કેલીઓ આવે કે તરતજ તેઓનો સબંધ તુટી જતો હોય છે. કોઇ બે વ્યક્તી સાથે બેસીને ત્યારેજ હસી શકે જ્યારે તે બન્ને વચ્ચેનો મનમેળ પુર્ણ કક્ષાનો હોય. જે લોકોને એક બીજા સાથે ભળતુ નથી, જેઓ એક બીજાને જોવા પણ નથી માગતા તેઓ શા માટે સાથે મળીને હસીમજાક કરે? આમ સબંધોમા હસીમજાક એ મનમેળ, નીખાલસતા અને સુમેળતાની નીશાની છે. આવી સુમેળતા ધરાવતો સબંધ લાંબા સમય સુધી ટકી રહેતો હોય છે.
માત્ર એક સ્મીત કે હાસ્ય દ્વારાજ વ્યક્તીનુ મહત્વ સ્થાપીત કરી તેઓના અહમને સંતોષી શકાતુ હોય, તેઓને માન આપી તેઓની લાગણીઓને સ્પર્ષી શકાતુ હોય, તેઓના ડર, શરમ, સંકોચ કે ચીંતા દુર કરી તેઓના હ્રદયમા પોતાના પ્રત્યેનો આદરભાવ વિકસાવી કાયમી મીત્રતા વિકસાવી શકાતી હોય તો પછી આટલા બધા અસરકારક પરીબળને શા માટે પોતાના જીવનમા સ્થાન ન આપવુ જોઇએ? શું હવે કોઇ કારણ બચે છે ખાલી ખોટા દુ:ખી, નીરાશ થઇ આટાફેરા મારવાનુ? શું નીરાશ, દુ:ખી, બીચારા બાપડા બની ફરવાનો કોઇ ફાયદો છે? આ રીતે જો દરેક વ્યક્તી નીરાશ કઠોર થઇ ફરવાનુ મુકી દે, નીંદાઓ કરવાને બદલે તારીફ કરવાનુ શરુ કરી દે, પોતાના સ્વાર્થને બાજુએ મુકી અન્યોના દ્રષ્ટીકોણથી સમજવાનો પ્રયત્ન કરે તો સુખ–શાંતી, સબંધો અને સમૃધ્ધી એ બધુજ પ્રાપ્ત કરી જીવનમા ખુબ મોટા ફેરફાર લાવી શકાતા હોય છે.

દરેક માણસ પોતાની લાગણી પ્રમાણે કામ કરતો હોય છે, તે જેવુ અનુભવી રહ્યો હોય છે તેના જેવુજ તે મોટેભાગે કામ કરવા પ્રેરાતો હોય છે. જો તે ખુશ હોય તો ખુશી ઉપજાવે તેવા કામ કરશે જ્યારે તે ગુસ્સે હોય, દુ:ખી કે નીરાશ હોય તો અન્યોને પણ ગુસ્સો ઉપજાવે તેવાજ પરાક્રમો કરી બતાવશે. હાસ્યનો જાદુ અહીજ જોવા લાયક બનતો હોય છે એટલે કે દુ:ખ, શનીરાશાના સમયમા પણ જો ખુશ રહેવાનો પ્રયત્ન કરવામા આવે, થોડા મનગમતા ગીતો ગુનગુનાવી લેવામા આવે, એકાંતમા સીટી વગાળી થોડુ પ્રેશર હળવુ કરવામા આવે કે પરીવારજનો સાથે હસીમજાકની વાતો કરવામા આવે તો ફરી પાછા પોતાને ખુશ કરી નકારાત્મક ઉર્જાને સકારાત્મક દિશા તરફ વાળી શકાતી હોય છે. આ રીતે કોઇ હાસ્યને વારંવાર દોહરાવતા રહેવાથી તેને નીયમીત કરી નકારાત્મક લાગણીઓ કે પ્રવૃતીઓ પર કાબુ મેળવી શકાતો હોય છે એટલે કે ખુશ મીજાજ રહેવાથી કે દરેક સ્થળે ખુશમીજાજીનો અનુભવ કરવાથી ખુશમીજાજી પ્રાપ્ત કરી શકાતી હોય છે.

પણ હવે પ્રશ્ન એ થાય છે કે હરદમ ખુશ રહેવુ કેવી રીતે? તો આ પ્રશ્નનો જવાબ માત્ર એટલોજ છે કે તમે તમારા વિચારો પર કાબુ રાખો, તેને દુ:ખી થતા બચાવો અને ખુશ રહેવા માટે બાહરી પરીસ્થીતિઓ કે ઘટનાઓ પર આધાર રાખવાને બદલે પોતાના પર આધાર રાખો. કોઇ બાબતમા દુ:ખી થવુ કે નહી તેને પોતાના હાથની વાત બનાવી દો. કોઇ પણ વ્યક્તી કે પરીસ્થીતિ આપણને આપણી મરજી વગર દુ:ખી કરી શકે નહી તેવુ સ્પીરીટ જગાળો. આ રીતે પોતાના વિચારો પર આધારીત બનો. તમારા વિચારો શ્રેષ્ઠ હશે, પ્રોત્સાહક હશે તો નીરાશાના સમયમા પણ સુખી થવાનુ કોઇને કોઇ કારણ મળીજ આવશે. મે એવા ઘણા વ્યક્તીઓ જોયા છે કે જેઓની પાસે પુરતી સુખ સાહ્યબીઓ હોવા છતા પણ દુઃખી થઇ અનેક ફર્યાદો લઈને ફરતા રહેતા હોય છે જ્યારે આવી કશીજ વસ્તુઓને નજરે પણ ન જોનાર કે તડકા નીચે કાળી મજુરી કરનાર લોકો પણ હળીમળીને આનંદ કીલ્લોલ કરતા હોય છે. તો આવુ થવાનુ કારણ તેઓનો આનંદી સ્વભાવ અને વિચારોની હકારાત્મકતાજ હોય છે. તેઓને જેટલુ મળે છે તેમા તેઓ સંતોષ અનુભવતા હોય છે અને વધારે કશાની ચીંતા કરી હાથે કરીને દુ:ખી થતા હોતા નથી. આવા લોકો સામાજીક દ્રષ્ટીએ ગરીબ હોય છે, વિચારોથી નહી એટલા માટેજ તેઓ ધનીકો કરતા પણ વધારે મોજથી જીવન જીવી બતાવતા હોય છે.
સબંધોમા હાસ્યનુ ખુબજ મહત્વ હોય છે, જે લોકોને પોતાની ખામીઓ કે ટીકાઓ પર પણ હસતા આવળતુ હોય છે તેઓ ખુબજ હળવાશથી તેનો સ્વીકાર કરી કડવાહટ ઉત્પન્ન થતા બચાવી શકતા હોય છે અને પછળાટ ખાધા પછી પણ ફરી પાછા પ્રયત્નો કરી શકતા હોય છે. પણ જે લોકો પહેલેથીજ નીરાશ થઈને ફરે છે તેઓ આવી ટીકાઓ સહન કરી શકતા હોતા નથી એટલા માટેજ તેઓ મુળ વાત કે એક નાની એવી મજાક પણ સમજવાને બદલે લોકો સાથે જઘડી સબંધો બગળી મુકતા હોય છે. આમ રમુજી સ્વભાવ ધરાવતી વ્યકતી વાતની ગંભીરતા સમજી વધારે કડવાહટ ઉત્પન્ન થતા બચાવી લોકોના દિલમા પોતાનુ સ્થાન જાળવી શકતા હોય છે.

કોઇ પણ વ્યક્તી જ્યારે અપંગ બને છે ત્યારે તેઓને ખુબજ આઘાત લાગતો હોય છે, તેઓ રીતસરના નીરાશાઓમા સરી પડતા હોય છે. પરંતુ જ્યારે તેઓ પોતાની પરીસ્થીતિઓનો સ્વીકાર કરી લેતા શીખી લે છે, દરેક બાબતમાથી સુખ ગોતતા શીખી લે છે ત્યારે અનેક પ્રકારની તકલીફો હોવા છતા પણ તેઓના ચહેરા પર હાસ્ય જોઇને તેમને સલામ કરવાનુ મન થઇ જતુ હોય છે અને આપણે તેઓમાથી પ્રેરણા મેળવતા હોઇએ છીએ. જો વાતે વાતે દુ:ખી થનારા, કાયમને માટે ઉદાસ ચહેરો લઈને ફરવા વાળા લોકો આટલી વાત સમજી લે તો તેઓ પોતાના જીવનમા હર્ષોલ્લાસનુ અજવાળુ કાયમને માટે પાથરી શકતા હોય છે. આમ હાસ્ય એ અનેક લોકોના દિલ જીતી લેવાનુ સામર્થ્ય પુરુ પાડતુ હોવાથી આવા હાસ્યને ખીલવવામા જરા પણ કંજુસી દાખવવી જોઇએ નહી.

છેલ્લે તો એટલુજ કહીશ કે દરેક વ્યક્તીને ખુશ રહેવુ ગમતુ હોય છે માટે તેઓ એવા વ્યક્તીઓ સાથે વધારે રહેવાનુ પસંદ કરતા હોય છે કે જેઓ ખરા દિલથી ખુશ રહેતા હોય અને અન્યોને પણ ખુશ રાખતા હોય. જો તમે પણ લોકોના દિલમા સ્થાન મેળવવા માગતા હોવ, લોકો તમારી સાથે રહે તેવુ ઇચ્છતા હોવ તો ખુશ રહો અને ખુશ રાખો. હસતો માણસ બધેય આવકાર પામતો હોય છે, આજે નહિ તો કાલે અને વહેલા નહિ તો મોળા મોળા પણ લોકો તેનો સ્વીકાર કરતાજ હોય છે. આમ સબંધોને મજબુત બનાવવાનો સૌથી મજેદાર ઉપાય જો કોઇ હોય તો એ હસીમજાક છે. હસતા હસતા જો આપણા સબંધો મજબુત બની જતા હોય તો આનાથી મોટો ચમત્કાર બીજોતો વળી શું હોઇ શકે.

સ્માઇલ આપો

જરા વિચારો જોઇએ કે તમે કોઇ દુકાને વસ્તુ ખરીદવા ગયા હોવ અને દુકાનમા પ્રવેશતાજ દુકાનદાર તમારી સામે મોઢુ ચઢાવીને પુછે કે શું લેવુ છે તમારે ? તો તમને કેવો જટકો લાગે ? તમે કોઇ વ્યક્તી સાથે વાત કરવા માગતા હોવ પણ તે વ્યક્તી તમારી સામે મોઢુ બગાળતા હોય તો તમને તેઓ સાથે વાત કરવાનુ મન થાય? શું આવા લોકો સાથે તમે કમ્ફર્ટેબલ ફીલ કરી શકો? નહી ક્યારેય નહી? હવે જરા એમ વિચારો જોઇએ કે તમે રસ્તા પર પર ચાલ્યા જાવ છો અને એવામા તમારી શાળા કોલેજમા અભ્યાસ કરતો મીત્ર કે તમારી આસ પાસ રહેતા કોઇ વ્યક્તી તમને સામે મળે અને સ્માઇલ કરે તો તમને કેટલુ સારુ લાગે? જાણે કે કોઇ તમારુ સમ્માન કરી રહ્યુ હોય એવુ લાગે કે નહી! પછીતો તમે બીજી વખત આવા વ્યક્તીઓ સાથે સામે ચાલીનેજ વાત કરવાની પહેલ કરતા હોવ છો અને નવો સબંધ વિકસાવી લેતા હોવ છો ખરુને! જરા વિચારો જોઇએ કે આવો સબંધ વિકસાવવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? જવાબ સ્પષ્ટ છે પેલા વ્યક્તીના સ્માઇલ પરથી. આમ માત્ર એક નાનુ એવુ સ્માઇલ પણ ઘણી વખત સબંધોને મજબુત કરી આપતુ હોય છે.
જ્યારે કોઇ વ્યક્તી તમારી સામે સ્માઇલ કરે છે ત્યારે તેઓ તમને નોટીસ કરી રહ્યા છે કે તમારો નીઃસ્વાર્થ ભાવે સ્વીકાર કરી રહ્યા છે, તમને માન આપી રહ્યા છે, તમારા મહત્વનો સ્વીકાર કરી રહ્યા છે તેવુ તમે અનુભવતા હોવ છો જેથી તમે તેઓ સાથે સબંધો વિકસાવવા ઉત્સુક બની જતા હોવ છો. જો સામેની વ્યક્તી એક પણ પૈસા ખર્ચ્યા વગર માત્ર એક સ્માઇલથીજ તમારા દિલમા પોતાનુ સ્થાન બનાવી શકતા હોય તો તમે પણ તેમ કરીજ શકોને !
એક નાનુ એવુ પણ ની:સ્વાર્થ સ્માઇલ વ્યક્તીના દિલને પરીવર્તીત કરવાની તાકાત રાખતુ હોય છે. જે લોકોને દરરોજ અનેક પ્રકારના વ્યક્તીઓ સાથે કામ કરવાનુ થતુ હોય, જેઓના ધંધા રોજગાર અન્ય લોકોના સહકાર પર આધારીત હોય તેવા લોકોએતો હાસ્યની તાકાત બરોબર સમજીજ લેવી જોઇએ. આ કોઇ સ્ટ્રેટેજી નથી પણ જીવનનુ રહસ્યમયી સત્ય છે જેને આત્મસાત કરી લેવાથીજ સબંધોમા સફળતા મેળવી શકાતી હોય છે. માટે હવે જ્યારે પણ કોઇને મળો, ગર્મજોષી અને ચહેરાપર નીખાલસ સ્માઇલ સાથે મળો, તમારુ આવુ વર્તન લોકોને તમારા તરફ આવવા માટેનો માર્ગ મોકળો કરી આપશે.

હાસ્ય ઉત્પન્ન કરતી વખતે નીચેની બાબતોનુ ખાસ ધ્યાન રાખો.

૧) કોઇની કમજોરી, નીષ્ફળતા કે ભુલો પર હાંસી ન ઉડાવો
૨) કોઇની ઠેકડી ઉડાવી તેઓને ઉતારી પાડવાનો પ્રયત્ન ન કરો.

૩) કોઇને તકલીફ થાય, જીવન મરણનો પ્રશ્ન બની જાય એ રીતે સ્વાર્થી મજાક ન કરો.

૪) દરેક વ્યક્તી નીઃસંકોચ પણે તમારા હાસ્યમા સામેલ થઇ શકે તેવુ હાસ્ય ઉત્પન્ન કરો.

૫) કોઇને મેણા ટોણા, અપમાનજનક કે વિકૃત ભાષાનો ઉપયોગ ન કરો.

૬) કોઇની ભાવના, સ્વાભીમાન ઘવાય, તેઓએ નીચુ જોવુ પડે, બધા વચ્ચે શરમાવુ પડે તેવુ હાસ્ય ન ઉડાવો.

૭) કેટલાક લોકોને વિકૃત મજાક ઉડાળવામા વિકૃત આનંદ આવતો હોય છે પણ તેઓ એટલુ સમજતા હોતા નથી કે આ રીતે તેઓ શું ગુમાવી રહ્યા હોય છે. આ રીતે તો તેઓ પોતાનીજ બદનામી કે નુક્શાનીઓ પર હસી રહ્યા હોય છે અને સમાજમા મુર્ખ સાબીત થતા હોય છે.
નીર્દોષ હાસ્યનો સૌ કોઇ સ્વીકાર કરતા હોય છે અને આવા લોકો મનદુ:ખ ઉત્પન્ન કર્યા વગર લોકપ્રીય બની શકતા હોય છે. વિકૃત હાસ્ય ઉત્પન્ન કરનાર વ્યક્તી પોતે કંઈક છે તેવુ સાબીત કરવામા કે એક સબંધ મેળવવાના ચક્કરમા ત્રણ સબંધો ગુમાવી બેસતા હોય છે જ્યારે નીર્દોષ હાસ્ય ઉપજાવનાર વ્યક્તી એક પણ સબંધ ગુમાવ્યા વગર નવા સબંધો મેળવી શકતા હોય છે.
આમ હાસ્યનો પ્રયોગ સબંધોને મજબુતી પ્રદાન કરવા માટે થવો જોઇએ, દુશ્મનાવટ ઉભી કરી મુર્ખ સાબીત થવા માટે નહી.

૮) ઘણા લોકોનુ સેંસ ઓફ હ્યુમર બીજા લોકોની સરખામણીમા ડેવલપ નથી હોતુ એટલે તેઓ લોકોને હસાવી શકતા હોતા નથી. તો આવા સમયે દુ:ખી થવાને બદલે એમ વિચારવુ જોઇએ કે આપણે કોઇને હસાવી ન શકીએ તો કંઈ વાંધો નહી, પણ તેઓના દુ:ખનુ કારણ તો ન જ બનવુ જોઇએ. જો હું કોઇને હસાવી ન શકુ તો મારે તેઓના દુ:ખ દુર કરી તેમને સુખ આપવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ રીતે પણ હું લોકોના જીવનમા સુખ પાથરી શકુ છુ. આમ તમે લોકોને હસાવો કે તેમના દુ:ખ દુર કરો તો પણ વાત તો બન્ને એકજ કહેવાશે !