Prinses Niyabi - 4 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 4

આ સમયમાં કેરાક અને તેના લોકોએ રાયગઢની શોધ ચલાવી અને શોધી કાઢ્યું. ને મોઝિનો વિશે માહિતી ભેગી કરવા લાગ્યા. કેરાક સાથે બંસીગઢ માં જઈ નિયાબી વિશે અને એના ભાઈ ની પણ માહિતી એકત્ર કરી. ઓમતસિંહ હવે રાજા બની ને રાજ કરી રહ્યો હતો. રાજકુમારી નિયાબી વિશે લોકોમાં જાણકારી હતી કે એ જંગલમાં ક્યાં જતી રહી એની ખબર જ ના પડી. ને જંગલતો ખૂબ ભયાનક અને ડરામણું છે. બિચારા ઓમતસિંહે બહુ પ્રયત્ન કર્યા પણ રાજકુમારી નિયાબી હજુ મળી નહોતી. રાજા ઓમતસિંહ નિયાબીના જવા થી ખૂબ દુઃખી છે. હજુ પણ એ રાજકુમારીને શોધી રહ્યો છે.

આ સમય બધાએ પોતપોતાના કામમાં વ્યસ્ત રહી ને પૂરો કર્યો. કેરાકે મોઝિનોની શોધ માટે ઉંચી ચોટીનું જોર લગાવી દીધું હતું અને એટલે જ એ મોઝિનોને શોધી શક્યો હતો. ને એના વિશે માહિતી મેળવી શક્યો. અગીલા, નિયાબી, ઝાબી અને ઓનીરે તાલીમ મેળવવામાં કોઈ પાછી પાની નહોતી કરી. બધાએ પુરી ઈમાનદારી અને લગનથી તાલીમ પર ધ્યાન આપ્યું હતું.

પુરા પાંચ વર્ષ પછી આજે એ દિવસ હતો જ્યારે રાજકુમારી નિયાબી, ઓનીર, અગીલા અને ઝાબી વેસુક થી તાલીમ લઈ ને પોતાના ઘરે પાછા આવી રહ્યાં હતાં. ચારે તરફ ઉત્સાહ નો માહોલ હતો.

અસીતા આજે ખૂબ ખુશ હતી. તેનો ઉત્સાહ સમાતો નહોતો. પુરા પાંચ વર્ષ પછી એ ઓરીન ને મળવાની હતી.

પણ કેરાક એટલો ખુશ દેખાતો નહોતો. એના માટે આજ નો દિવસ ખૂબ મહત્વનો હતો. આજે તેને મોઝિનોને હરાવવા માટેના યોધ્ધાઓ મળવાના હતાં. ને આ યોધ્ધાઓ કેટલા કાબીલ બન્યા હશે તે એની ચિંતા નો વિષય હતો.

ત્યાં ઉપર આકાશમાં હલચલ થવા લાગી. ઓનીર, ઝાબી અને અગીલા નીચે ઉતરી રહ્યાં હતાં. અસીતા અને કેરાક તો ફાટી આંખે પોતાના દીકરાને જોઈ રહ્યાં. ઓરીન એકદમ મજબૂત અને કસાયેલા શરીર સાથે ગભરુ જુવાન લાગી રહ્યો હતો. તેની ચાલ એક યોદ્ધાને શોભે તેવી હતી. ઝાબી ખૂબ સરસ અને ઉંચો લાગી રહ્યો હતો. અગીલા તો એક સુંદર યુવતી બની ગઈ હતી. સરસ દેખાઈ રહી હતી.

ત્રણેય જણ નીચે ઉતરી આવ્યાં. બધાં લોકો તેમને જોઈ ખુશ થઈ ગયાં. ઝાબી પણ સફળતાપૂર્વક નીચે ઉતરી આવ્યો હતો. પણ નિયાબી આ લોકો સાથે નહોતી.

ઓનીર પિતાજી એમ કહી તેમને વળગી પડ્યો. ને પછી અસીતાને પણ ગળે લગાવી લીધી.

કેરાક: ઓનીર રાજકુમારી નિયાબી ક્યાં છે?

ઓનીર: પિતાજી એ અમારી સાથે નથી.

અસીતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ ઓનીર? નિયાબી ક્યાં છે?

ઓનીર: માતા નિયાબી બે વર્ષ થી અમારી સાથે નથી.

પણ કેમ? કેરાકે અધીરા થતા પૂછ્યું.

ઓનીર: પિતાજી તમે ધીરજ ધરો હું કહું છું. અમે બધા ત્રણ વર્ષ સુધી સાથે જ તાલીમ લીધી. પછી જેની આવડત જે વસ્તુ પર વધારે સારી હતી તેને તેના પર વધુ અભ્યાસ કરવાનો હતો. ને એટલે અમે બધાં અલગ થઈ ગયાં. ને રાજકુમારી નિયાબી ને જાદુ ની સાથે રાજનીતિ પણ શીખવાની હતી. એટલે તેમને અલગ તાલીમશાળામાં મોકલવામાં આવ્યાં. ને એટલે એ અમારી સાથે નથી.

કેરાક: પણ ઓનીર એનો અભ્યાસ પણ આજે જ પૂરો થઈ ગયો છે. તેમણે પણ.........

હજુ કેરાક બોલતો જ હતો ત્યાં હવામાં એક વર્તુળ બનવા લાગ્યું અને ધીરે ધીરે તે મોટું થવા લાગ્યું. ને એમાં થી નિયાબી બહાર આવી. બધા તેને જોઈ રહ્યાં. નિયાબી ખૂબ રૂપાળી દેખાતી હતી. નાકનકશો ખૂબ સરસ હતો. ને શરીર એક જુવાન યુવતી હોય તેવું સરસ ભરાવદાર અને લચીલું દેખાય રહ્યું હતું. તેના ચહેરા પર એક અજબ નું તેજ હતું અને તેની આંખો પહેલા કરતાં વધારે સુંદર દેખાતી હતી.

નિયાબી દોડી ને અસીતા ને વળગી પડી. અસીતા ખૂબ ખુશ થઈ ગઈ. એતો નિયાબી ને જોઈ ને જ અચરજ પામી ગઈ હતી. તેણે પ્રેમ થી તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો.

કેરાક: રાજકુમારી નિયાબી, કેમ છો તમે?

નિયાબી: કેરાક નો પ્રશ્ન સાંભળી તેની તરફ જોવા લાગી અને તેના તરફ આગળ વધી. પછી તેમનો હાથ પકડી ને બોલી, હું મઝામાં છું. ને તમે.....નિયાબી ની આંખોમાં આંસુ આવી ગયાં.

કેરાક: અરે! રાજકુમારી નિયાબી કેમ રડો છો? આજે તો ખુશી નો દિવસ છે.

નિયાબી: હા. પણ આ દિવસ આપના કારણે હું જોઈ શકી છું. હું આપની ખુબ આભારી છું રાજા કેરાક.

કેરાક અને અસીતા એ તેના માથા પર હાથ મૂક્યો. ત્યાં પેલા વર્તુળમાં થી એક ઋષિ બહાર આવ્યા. જેને જોઈ કેરાક એકદમ એમની તરફ દોડ્યો. ને એમના પગમાં પડી ગયો.

ઋષિએ હાથ ઉપર કરી કેરાક ને આશિષ આપતાં કહ્યું, આયુષ્યમાનભવ.

કેરાકે ઉભા થતાં કહ્યું, ઋષિ માર્કંડ આપ મારા ઘરે. મારુ તો ભાગ્ય ખુલી ગયું. પધારો ગુરુદેવ. પેલું વર્તુળ અદ્રશ્ય થઈ ગયું.

પછી બંને અંદર ઓરડામાં ગયાં ને બેઠાં.

કેરાક: બોલો ગુરુદેવ. હું શુ સેવા કરી શકું આપની?

ઋષિ: કેરાક હું નિયાબી વિશે વાત કરવા આવ્યો છું.

કેરાક: રાજકુમારી નિયાબી? ગુરુદેવ કઈ સમસ્યા છે?

ઋષિએ સુંદર સ્મિત સાથે કહ્યું, ના કોઈ સમસ્યા નથી. પણ કેરાક એના ભૂતકાળે એને થોડી બદલી દીધી છે. આટલા સમયમાં એણે માત્ર અભ્યાસ પર જ ધ્યાન આપ્યું છે. મેં એને જે શીખવ્યું એ એણે ખૂબ જ પ્રમાણિકતા અને ધીરજ થી શીખ્યું છે. એ શીખવામાં ખૂબ તેજ છે. ને મારી પ્રિય શિષ્યા છે. ને એટલે એની ચિંતા મને અહીં લઈ આવી છે.

કેરાક: ચિંતા? કેવી ચિંતા ગુરુદેવ.

ઋષિ: કેરાક આ છોકરી ના જીવનમાં અત્યારે બે જ ધ્યેય છે. એક તારી અને તારી પત્નીના હમેશાં ઋણી રહેવું અને બીજું રાયગઢ ને મોઝિનોના હાથમાં થી છોડાવવું. એના જીવનનું બીજું કોઈ ધ્યેય કે ઈચ્છા નથી. ને એ મારા માટે ચિંતા છે. એને સબંધોમાં વિશ્વાસ નથી રહ્યો. એને એવા માર્ગદર્શક ની જરૂર છે જે એના જીવનને હકારાત્મક અભિગમ તરફ લઈ જાય. નહીં તો જો કોઈ નકારાત્મક વ્યક્તિ એના જીવનમાં આવી ગઈ તો આ છોકરી વિનાશ નોતરી શકે એટલી શક્તિશાળી છે. પહેલા એ બાપડી બિચારી હતી. પણ હવે એ એક શક્તિશાળી યોદ્ધા અને જાદુગર બની ગઈ છે. હવે એનામાં ઘણો બદલાવ આવી ગયો છે. એ બિલકુલ ઉદ્ધત કે નકારાત્મક નથી. પણ ઉદાસ છે. એ પોતાની તાકાત થી આગળ વધવા વિચારી રહી છે.

કેરાક: ચિંતા સાથે ગુરુદેવ આપનો ઈશારો કઈ તરફ છે?

ઋષિ: કેરાક બસ એજ કે નિયાબી ક્યારેય એકલી ના પડી જાય એ જોવાની જવાબદારી તારી છે. ને બીજું જે વધુ મહત્વનું છે એ કે નિયાબીના જીવનનું કોઈ રહસ્ય છે જે રાયગઢ સાથે જોડાયેલું છે. જ્યારે એ સામે આવશે ત્યારે પરિસ્થિતિઓ કેવી હશે તે ખબર નથી.

કેરાક: ગુરુદેવ રહસ્ય? કયું રહસ્ય? ને એ કેવું હશે?

ઋષિ: મને નથી ખબર કેરાક કે એ કેવું હશે? પણ એ રહસ્ય ઘણા બધાં બદલાવ લાવશે.

કેરાક: મારા માટે શુ આદેશ છે ગુરુદેવ?

ઋષિ: કોઈ આદેશ નથી કેરાક. બસ એટલી વિનંતી છે કે તારા પર બહુ મોટી જવાબદારી છે જે તારે પુરી કરવાની છે.

કેરાક: જેવી આપની આજ્ઞા ગુરુદેવ. હું મારી જવાબદારી કોઈપણ પરિસ્થિતિમાં નિભાવિશ.

ને પછી ઋષિ માર્કંડ એક વર્તુળ ખુલ્યું ને એમાં જતાં રહ્યાં. ને કેરાક થોડીવાર માટે ચિંતિત થઈ ગયો. પણ પછી એ બહાર અસીતા જોડે આવ્યો.

અસીતા: કેરા ગુરુદેવ?

કેરાકે સ્મિત સાથે કહ્યું, એ તો ગયાં.

ઓનીર અને ઝાબી હજુ નિયાબી ને જોઈ રહ્યાં હતાં.

અગીલા: કેમ શું જોઈ રહ્યાં છો?

ઓનીર: એકદમ સચેત થતાં, કઈ નહિ બસ એમજ. ને ઝાબી ને પણ ખૂણી મારી.

ઝાબી: હ..હ..હ..

નિયાબી: કેમ છો તમે બધાં? એણે ઓનીર, ઝાબી અને અગીલા ની પાસે જઈ પૂછ્યું.

અગીલા: બરાબર છીએ. ચાલો અંદર જઈએ.

પછી બધાં ઘરની અંદર ગયાં. બધાંએ સાથે બેસી પાંચ વર્ષ ની ખાટીમીઠી વાતો કરતાં કરતાં ભોજન કર્યું. ચારેબાજુ ખુશીનો માહોલ હતો.

બીજા દિવસે સવારે કેરાકે બધાં ને બોલાવ્યા.

કેરાક: રાજકુમારી નિયાબી અમે આ પાંચ વર્ષમાં રાયગઢ શોધી ને તેની મુલાકાત લઈ લીધી છે. આજે પણ જાદુગર મોઝિનો ત્યાં રાજ કરે છે. એણે રાયગઢને એક જાદુઈ નગરી બનાવી દીધી છે. ત્યાં ના માણસો મોઝિનો ના ગુલામ બની ગયાં છે. તેણે રાજ્ય ની આજુબાજુ એક વિચિત્ર પહેરો લગાવી દીધો છે. કોઈ ને પણ રાજ્યની અંદર જવું હોય તો આ પહેરેદારો ની પરવાનગી લેવી પડે છે. જો એ પરવાનગી આપે તોજ તમે અંદર પ્રવેશ કરી શકો છો.

ઓનીર: ને આ પહેરેદારો કોણ છે?

કેરાક: આ પહેરેદારો જાદુથી બનાવેલા લાકડાના યાંત્રિક માણસો છે. જે ખૂબ તેજ અને ચપળ છે. અંદર પ્રવેશ્યા પછી તમે ક્યાંય પણ જઈ શકો છો અને રહી શકો છો. મોઝિનો નો મહેલ લાલ રંગ ના પથ્થરો થી બનેલો છે. તેની આજુબાજુ સખત પહેરો છે. મોઝિનો પાસે લાકડાના પહેરેદારો સિવાય ધાતુના મજબૂત પહેરેદારો પણ છે. જે મહેલની રક્ષા કરે છે. મહેલની અંદર જવા માટે આ પહેરેદારો ની પરવાનગી લેવી પડે છે. આ પહેરેદારો ખુબ મજબૂત છે. હજુ સુધી એની કોઈ યાંત્રિક પ્રક્રિયા ની માહિતી મળી નથી.

આ સિવાય એની પાસે માનવ પહેરેદારો પણ છે. આખો મહેલ કડક સુરક્ષામાં છે. પણ મહેલની પાછળના ભાગમાં એક ગુલાબી રંગનો ધોધ છે. તેની અંદર એક છૂપો રસ્તો છે જે મહેલની અંદર જાય છે. પણ એમાં પ્રવેશ્યા પછી તમે એજ રસ્તે બહાર આવી શકતાં નથી. એના માટે તમારે બીજો રસ્તો શોધવો પડે.

એ રસ્તા પર થી જવા માટે બે મહાકાય ગરોળીઓનો સામનો કરવો પડે છે. જે ખૂંખાર છે. મોઝિનો ત્રિશુલ હંમેશા પોતાની સાથે રાખે છે. પણ રાત્રે સૂતી વખતે એ ત્રિશુલ ક્યાં મૂકે છે તેની હજુ ખબર પડી નથી. મોઝિનોની પોતાની જાદુની શક્તિઓ છે. પણ ત્રિશુલ જો એની પાસે હોય તો તે વધુ તાકતવર હોય છે.

મોઝિનો ની સાથે તેના કામ ને જોવા માટે એક જાદુગરની છે લુકાસા. જે દરેક કામ નું ધ્યાન રાખે છે. તે મોઝિનો ની શિષ્યા છે. તે પણ એક ઉમદા જાદુગર છે. તે ખૂબ હોંશિયાર અને ચપળ છે. મોઝિનો સુધી પહોંચવા માટે આ લુકાસા નો સામનો કરવો પડે છે. જે ખૂબ મુશ્કેલ કામ છે.

અગીલા: કઈ વાંધો નહીં હું એને જોઈ લઈશ.

કેરાક: એટલું સહેલું નથી અગીલા. એની પાસે એવી શક્તિ છે કે એ કોઈપણ વસ્તુ કે માનવી ને કાચના બનાવી દે છે. માનવી બધું જોઈ શકે પણ કઈ કરી ના શકે. એ જાદુ તોડવા માટે કાચસોરીની નામની વિદ્યા ની જરૂર પડે છે જે તેમાં થી મુક્તિ આપાવે છે. ને એટલે મેં તમને બધાં ને વેસુક અભ્યાસ કરવા મોકલ્યા હતાં. જેથી તમે બધી વિદ્યાઓ શીખી શકો. ને મને આશા છે કે હવે તમે મોઝિનો અને તેની શિષ્યા લુકાસા નો સામનો કરવા તૈયાર થઈ ગયાં છો.

ઓનીર: પણ પિતાજી શું એ ત્રિશુલ લેવું સહેલું હશે?

કેરાક: ના ઓનીર. પણ તમે ચારેય જો સાથે મળી ને કામ કરશો તો જરૂર થી ત્રિશુલ મેળવી શકશો.

નિયાબી: તમે બિલકુલ ચિંતા ના કરો અમે એ ત્રિશુલ લઈને જ આવીશું. ને મોઝિનો ને તેણે કરેલા ગુના માટે દંડ પણ આપીશું.

આ બોલતી વખતે નિયાબી નો ચહેરો લાલ થઈ ગયો હતો. એની આંખોના ભવા ખેંચાઈ ગયા હતા. જેની નોંધ કેરાકે લીધી.

કેરાક: તો આરામ કરો. કાલે તમારે રાયગઢ જવાનું છે. હવે આપણે વધુ રાહ ના જોઈ શકીએ.

પછી બધા ત્યાં થી જતા રહ્યા. પણ કેરાક હજુ ત્યાં જ બેસી નિયાબી વિશે વિચારી રહ્યો હતો. ઋષિ માર્કંડે જે કહ્યું હતું એ એને વિચલિત કરી રહ્યું હતું.

અસીતા: કેરા કેમ આમ બેઠો છે? કોઈ સમસ્યા છે?

કેરાક અસીતાનો હાથ પકડી પોતાની પાસે બેસાડતા બોલ્યો, ના અસી. બસ બાળકોની થોડી ચિંતા છે. હું જે જવાબદારી એમને આપી રહ્યો છું એ જવાબદારી એ લોકો નિભાવી શકશે કે નહીં? એ વિચારું છું.

કેરકના હાથ ને હાથમાં લેતા અસીતા બોલી, ખોટું બોલે છે કેરા? શુ ખરેખર તને એ ચિંતા છે? કે પછી ઋષિ માર્કંડે કઈક કહ્યું?

કેરાકે અસીતાની સામે જોયું ને પછી કહ્યું, હા અસી.

અસીતા: કઈ ચિંતાની વાત છે?

કેરાક: ખબર નહિ અસી. પણ ગુરુદેવે કહ્યું કે નિયાબી થોડી બદલાઈ ગઈ છે. એનો ભૂતકાળ એને ઉદાસી તરફ લઈ ગયો છે. એ ખૂબ મજબૂત બની રહી છે પણ જીવનના એક મોટા ભાગને અવગણી રહી છે.

અસીતા: કેરા નિયાબી ને સમયની જરૂર છે. તું ચિંતા ના કરીશ. સમય રહેતા બધું સારું થઈ જશે. નિયાબીનું જીવન અત્યારે એકલવાયું છે. એના જીવનમાં પોતાનું કહી શકાય એવું કોઈ નથી. પણ સમય આવશે કે એનું જીવન પણ હર્યુભર્યું બનશે.

કેરાકે અસીતાને આશભર્યા સ્વરે પૂછ્યું, અસી તને વિશ્વાસ છે કે એવું બનશે? હજુ આપણે નિયાબી ને પૂરેપૂરી રીતે સમજ્યા નથી. એટલે મને ડર લાગી રહ્યો છે.

અસીતા: હા એવું બનશે. તું ચિંતા ના કરીશ. સમય આવે આપણે નિયાબીનો મજબૂત સહારો બની ઉભા રહીશું. હું તને વિશ્વાસથી કહું છું કે બધું બરાબર થઈ જશે. તું ચિંતા મુક્ત થઈ જા.

કેરાકે અસીતાની વાતો ને સકારાત્મક લીધી અને એ સમયે એણે પોતાને સંભાળી લીધો.

ને કાલનો વિચાર કરતાં કરતાં બધાં સુઈ ગયાં. આવનાર કાલ એમના જીવનનો એક નવો અધ્યાય લખવાની હતી.


ક્રમશ...........