Prinses Niyabi - 31 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 31

બીજા દિવસે સૈનિકોના મુખ્યા એવા કોટવાલે આ પરદેશીઓ કોણ છે એની માહિતી મેળવવા લાગ્યા.

ઓનીર, અગીલા અને માતંગી પોતાની તલવારની ધાર તેજ કરી રહ્યા હતા. ઝાબી એમની મદદ કરી રહી હતી. ને કંજ ત્યાં હાજર નહોતો. નિયાબી એ લોકોની પાસે જઈને બેઠી.

નિયાબી: અગીલા બધાની તલવારની ધાર તેજ કરાવી દે. હવે એની જરૂર પડશે.

અગીલા: જી રાજકુમારીજી.

નિયાબી: માતંગી આ લડાઈમાં તું અને કંજ સાવધાનીથી લડજો. ને ઝાબી આ બંનેની સુરક્ષા તારી જવાબદારી.

ઝાબીને નવાઈ લાગી એ બોલ્યો, રાજકુમારી મને લાગે છે કે માતંગી અને કંજ પોતાની સુરક્ષા જાતે કરી શકે છે. તો પછી.....

નિયાબી એને વચ્ચે જ બોલતા રોકતાં બોલી, ઝાબી ખોજાલ કેવી રીતે લડશે ખબર નથી. ને કંજ અને માતંગી માત્ર તલવારથી લડી શકે છે. આપણી જેમ જાદુઈ તાકાતથી પણ ના લડી શકે. અહીં કદાચ આપણને આપણી શારીરિક તાકાતની સાથે જાદુઈ તાકાતની પણ જરૂર પડી શકે છે. તું ઘાયલ છે એટલે તલવાતથી લડી નહિ શકે. પણ આ બંનેની સુરક્ષા તારી શક્તિઓથી જરૂર કરી શકીશ.

ઝાબી: જી રાજકુમારી હું ધ્યાન રાખીશ.

ઓનીર: ધન્યવાદ રાજકુમારીજી.

નિયાબીએ પ્રશ્નવાચક દ્રષ્ટિએ એની સામે જોયું.

ઓનીર એ સમજી જતા બોલ્યો, તમે જાદુઈ શક્તિનો ઉપયોગ કરવાની પરવાનગી આપી એ માટે.

નિયાબી: અહીં કદાચ એની જરૂર પડશે. ને શક્તિઓ કે વિદ્યા જરૂર પડે ત્યાં ચોક્કસ ઉપયોગ કરવી જોઈએ.

ઓનીરના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું. એ લોકો વાતો કરતા હતા ત્યાં કંજ આવી ગયો.

કંજ: ખોજાલના સૈનિકો આપણી માહિતી ભેગી કરી રહ્યા છે. લાગે છે હવે સમય કપરો રહેશે.

નિયાબી: કોઈ વાંધો નથી કંજ. આપણે તૈયાર છીએ. બસ તું એટલું ધ્યાન રાખજે કે ખોજાલની સામે લડવા ના જતો.

કંજે અચરજ સાથે પૂછ્યું, કેમ રાજકુમારીજી?

ઓનીર: એટલા માટે કે યામનને તારા જેવા બહાદુર લોકોની જરૂર છે. અમે તો પરદેશી છીએ. કાલે જતા રહીશું. પણ તું યામનનો રક્ષક છે. તારે હમેશા એની રક્ષા કરવા અહીં રહેવાનું છે.

કંજ તરત જ બોલી પડ્યો, એવું કોણે કહ્યું? હું કોઈ રક્ષક નથી. બસ અન્યાય સહન નથી થતો એટલે લડી પડું છું. ને યામનમાં સુખ શાંતિ આવી જાય પછી એને મારી કોઈ જરૂર નથી. હું બીજા કોઈની મદદ કરવા જઈશ.

અગીલા: ઓહ સમાજસેવા. સરસ છે.

અગીલાની વાત સાંભળી કંજ ખુશ થઈ ગયો. ને અગીલા સામે જોઈ બોલ્યો, હા માત્ર સમાજની નહિ રાજ્યની પણ સેવા કરી શકું છું. ને એ મને ગમશે.

ઓનીરે એની પીઠ પર ધબ્બો મારતા કહ્યું, વાહ ખૂબ સરસ વિચાર છે. પણ સંભાળીને આ કોઈ સામાન્ય વાત નથી. એમા સતત મુશ્કેલીઓ સામે બાથ ભીડવી પડે છે.

કંજ હસતા હસતા બોલ્યો, હા તો શુ થયું? જીવનમાં જો મુશ્કેલીઓ, દુઃખ, રોમાંચ એવું બધું ના હોય તો જીવન શુ કામનું? ને મારા જેવા એકલા માટે તો બધું જ શક્ય છે.

ઓનીર: સરસ કંજ. આ સિવાય પણ જીવનમાં બીજું પણ કઈક હોય તો સારું રહે. જીવન સુગંધિત થઈ જાય.

કંજે અચરજ ભરેલી આંખોએ ઓનીર સામે જોતા પૂછ્યું, બીજું શુ હોય શકે? બધું તો આવી ગયું.

ઓનીરે અગીલાની પાછળ આવી આંખ નચાવતા કહ્યું, જીવનમાં કોઈ એવું પણ હોવું જોઈએ જેને જોઈ જીવન જીવવા જેવું લાગે. જેના માટે જીવવું ગમે.

કંજે નીચે બેસતાં કહ્યું, ઓહ પણ એની જરૂર તો દરેકના જીવનમાં હોય છે. જીવનસાથી વગર જીવન નકામું હોય છે.

કંજની વાત સાંભળી ઓનીરના હાથની તલવાર નીચે પડી ગઈ. જાણે કોઈ ઝટકો લાગ્યો હોય એમ એ સડક થઈ ગયો.

કંજે લોટામાંથી પાણી પીતા કહ્યું, ને એ જીવનસાથી જો આપણી પસંદગીનો હોય તો જીવન વધુ સુગંધીત અને મધુર બની જાય છે. શુ કહેવું છે ઓનીર? હું બરાબર કહી રહ્યો છું ને?

કંજની વાત સાંભળી બધા ઓનીરની સામે જોવા લાગ્યા. નિયાબી પણ ઓનીરને જોઈ રહી હતી.

ઓનીર સમજી ગયો કે કંજે બરાબર એની પટ્ટી પાડી છે. એ એમ કઈ જાય એવો નહોતો. એ નીચે નમ્યોને તલવાર ઉઠાવી મ્યાન કરી. પછી ઓનીર પાસે થી લોટો લીધોને પાણીનો ધૂંટડો ભરતા કહ્યું, હા સાચી વાત છે કંજ. પણ બધાના નસીબ એટલા સારા નથી હોતા કે જેને પ્રેમ કર્યો એ એને મળે. પણ તું ચિંતા ના કર તારા માટે એવું કોઈ હશે તો હું જરૂર મદદ કરીશ.

કંજે હાથ લાંબો કરી કહ્યું, સાચે જ?

ઓનીરે તેના હાથમાં હાથ આપતા કહ્યું, સાચે જ. હું તને વચન આપું છું. પછી બંને ભેટી પડ્યા.

ત્યાં પંડિતજી આવ્યા ને નિયાબીનું અભિવાદન કરતા બોલ્યાં, રાજકુમારીજી ખોજાલના લોકો તમારી માહિતી મેળવવા અહીં આવ્યા હતા.

કંજ: તો તમે શુ કહ્યું?

પંડિતજી: બસ જે સત્ય હતું. કે તમે બધા મુસાફર છો. ને અહીં રોકાયા છો.

નિયાબી: કઈ નહિ પંડિતજી ચિંતા ના કરો બધું સારું થઈ જશે.

ખોજાલનો કોટવાલ માહિતી લઈને ખોજાલ સામે ઉભો થઈ ગયો.

કોટવાલ: સેનાપતિજી પરદેશીઓ વિશે માહિતી મેળવી લીધી છે.

ખોજાલે આંખો ઝીણી કરી કોટવાલની સામે જોયું ને બોલ્યો, સરસ કામ કર્યું. બોલો શુ માહિતી છે?

કોટવાલ: સેનાપતિજી પરદેશીઓ રાજ્યના સૌથી મોટા મંદિરની ધર્મશાળામાં રોકાયા છે. એ લોકો છ વ્યક્તિઓ છે. જેમાં ત્રણ યુવાનો અને ત્રણ યુવતીઓ છે. એ લોકો કોણ છે? ક્યાં થી આવ્યા છે? કેમ આવ્યા છે? એની કોઈ માહિતી મળી નથી. એ લોકો યામનમાં ફરીને બધું જોતા હતા. એમને હજુ સુધી કોઈ ઉપદ્રવ કર્યો નથી. કે કોઈ માહિતી ભેગી કરવાનો પ્રયત્ન પણ કર્યો નથી. તેઓ મંદિરના પંડિત સિવાય બીજા કોઈના સંપર્કમાં નથી.

ખોજાલ શાંતિથી સાંભળી રહ્યો હતો.

કોટવાલ: મંદિરના પંડિત પણ એમના વિશે કઈ જાણતા નથી. એ લોકો હજુ કેટલું રોકવાના છે? એની કોઈ માહિતી મળી નથી. પણ સૈનિકો સાથેની લડાઈ પછી યામનમાં લોકો એમના પર ખુશ છે. લોકો એમની વાતો કરે છે. પોતાના મદદગાર સમજી રહ્યા છે એમને.

આ સાંભળી ખોજાલની આંખો લાલ થઈ ગઈ. એણે કડક અવાજમાં કહ્યું, એ બધાને બંધી બનાવી અહીં લઈ આવો. ને જોઈ કોઈ એમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો એને જીવતા ના મુકશો.

કોટવાલ: જી સેનાપતિજી. પછી કોટવાલ ત્યાંથી જતો રહ્યો.

40 સૈનિકોની ટુકડી લઈને કોટવાલ નિયાબી અને એમના મિત્રોને પકડવા મંદિર તરફ નીકળ્યો. જ્યાં જ્યાં થી એ લોકો પસાર થયા ત્યાં બધા ચુપચાપ ઘરમાં ભરાઈ ગયા. મંદિરે પહોંચીને એ લોકોએ ધર્મશાળાને ચારેતરફથી ઘેરી લીધી.

કોટવાલ જોરથી બોલ્યો, પરદેશીઓ બહાર આવી જાવ. રાજના સૈનિકોએ તમને ઘેરી લીધા છે. હવે તમે બધા યામનના બંધીઓ છો.

કોટવાલનો અવાજ સાંભળી બધા બહાર આવી ગયા. એમણે જોયું ચારેબાજુ તલવાર લઈને સૈનિકો ઉભા હતા. બધાએ એકબીજાની સામે જોયું.

કંજ: કોટવાલ લાગે છે કે તમારા સૈનિકોને હાલત જોઈ તમને કઈ સમજ નથી પડી લાગતી? ફરી પાછા માર ખાવા આવી ગયા?

કોટવાલ ગુસ્સા સાથે બોલ્યો, ચુપચાપ મારી સાથે ચાલો. નહીંતો મારે તમને બધાને બાંધીને લઈ જવા પડશે.

ઓનીર: તો કોઈ વાંધો નહિ. અમને બાંધીને લઈ જાવ કેમકે ચુપચાપ આવવાની અમારી કોઈ ઈચ્છા નથી.

ઓનીરની વાત સાંભળી કોટવાલ એની સામે ઘુરકયો ને પછી સૈનિકો સામે જોઈ બોલ્યો, બંધી બનાવી લો બધાને.

ચાર સૈનિકો દોરડું લઈને ઓનીર અને કંજ તરફ આગળ વધવા લાગ્યા. ઓનીર, કંજ અને બીજા બધા તલવાર લઈ તૈયાર થઈ ગયા. પેલા દોરડું લઈને આવેલા સૈનિકોને તો ઓનીર અને કંજે પોતેજ પકડીને બંધી દીધા. પછી કંજે ભ્રમર ઊંચી કરી કોટવાલ તરફ જોયું.

ગુસ્સે ભરાયેલો કોટવાલ જોરથી બરાડ્યો, તૂટી પડો. એકેય ને છોડશો નહિ. કોઈ બચવું ના જોઈએ.

કોટવાલનો હુકમ સાંભળી બધા સૈનિકો તલવાર લઈને હુમલો કરવા દોડ્યા. નિયાબી, અગીલા, માતંગી બધા એમનો સામનો કરવા તૈયાર થઈ ગયા. પછી બાકી શુ રહે? બંને બાજુના લોકો એકબીજા પર વાર કરી પોતાને બચાવવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો. તલવારની ખણખણ ચાલુ થઈ ગઈ. ઝાબી બેસીને બધું જોઈ રહ્યો હતો. પુરો અડધો કલાક લડાઈ ચાલી. ને નિયાબી અને એની ટુકડીએ ખોજાલના સૈનિકોની હાલત પતલી કરી નાખી. એક પણ સૈનિક લોહીલુહાણ ના થયો હોય એવું નહોતું. પણ કોઈ મૃત્યુ નહોતું પામ્યું. કોટવાલે પણ ઓનીર જોડે બાથ ભીડી હતી. પણ એ વધુ ના ટકી શક્યો.

ઓનીરે કોટવાલની ગરદન પર તલવાર મૂકી કહ્યું, તને જીવતો જવા દઉં છું. જા તારા ખોજાલને જઈ કહી દે કે આજ પછી એની કોઈ ધાક, ધમકી નહિ ચાલે. યામનની મદદ માટે અમે છીએ. આજ પછી યામનમાં કોઈ અત્યાચાર કર્યો છે તો આવા જ હાલ થશે. ચલ જા અહીં થી.

કોટવાલ બરાબર ડરી ગયો હતો. એ ઘાયલ પણ હતો. માંડ માંડ ઉભો થઈને લથડાતો ત્યાંથી જતા રહ્યો. બીજા સૈનિકો પણ પોતપોતાની રીતે ધીરે ધીરે ઉભા થઈને ત્યાંથી ભાગવા લાગ્યા.

લડાઈ કરીને બધા થાકી ગયા હતા.

પંડિતજી: હવે લડાઈ આરપારની થશે. પોતાના માણસોની હાલત જોઈ ખોજાલ ચૂપ નહિ બેસે.

ઝાબી બધા માટે પાણી લઈને આવ્યોને બોલ્યો, કોઈ વાંધો નહિ. હવે તો લડી જ લઈશું. શુ કહો છો મિત્રો? આરામ કરો. ખોજાલ આવતો જ હશે.

બધાએ ઝાબીની વાતને સમર્થન આપ્યું. ને આરામ કરવા લાગ્યા.

ખોજાલ પોતાના માણસો સાથે બેઠો હતો. પોતાના સૈનિકોની હાલત જોઈ ખોજાલ ખુબ ગુસ્સે થઈ ગયો. એ પગ પછાડતો બરાડા પાડવા લાગ્યો. એ ઉભો થયોને બોલ્યો, તૈયાર થઈ જાવ. હવે એ લોકોની ખેર નથી. ખોજાલના લોકોની પર હુમલો કરવો એટલે શું? એ સમજાવવાનો સમય આવી ગયો છે. મારી સેના તૈયાર કરો.


ક્રમશ...................