vidhva hirali - 18 books and stories free download online pdf in Gujarati

વિધવા હીરલી - 18

ભાગ (૧૮) આશા

સવલી રઘુની મનોદશામાં ફરક જુવે છે.તે શાંત, વિચારોમાં ડૂબેલો અને મૂંઝવણમાં લપેટાયેલો હતો.એની આવી દશા જોઈને સવલી ફરી હીરલીની કહેલી વાત મસ્તિષ્કમાં દોહરાવે છે.રાધા સુંદર તો હતી અને તેની સાથે ગુણવાન પણ.
"જો રાધા કુંવારી હોત તો એની હારે રઘુના લગન કરાવવામાં વાધો ન્હોતો પણ વિધવા હારે લગન કરાવવા એ સમાજની આડમાં જવું પડે એમ સ." સવલી સતત આજ વાત મનમાં ખટકી રહી હતી.
સમાજના રિવાજો એ માનવ માટે દૃષ્ટિબિંદુ બની જાય છે. જે એના વિરુદ્ધમાં જાય તે ગુનેગાર અથવા પાપી ઠેહરે છે. એ જ દશા સવલીની હતી. લોકોના કહેણ, મહેણા - ટોણા સાંભળવા ખૂબ અઘરા છે, અસહ્ય છે. સવલીથી રહેવાયું નહિ એટલે હીરલી પાસે જવા માટે નીકળે છે.

" હું થ્યું સવલીભાભી, શમ આ બાજુ પધરામણી થી?"
" તારી પાહે મૂંઝવણ લઇન આવી સુ."
" કયો ભાભી ત્યાર"
" રઘુ અબાકલો બની જ્યો સ. ન ખાય સ, ન વાત કર, બસ સૂપસાપ બેસી રહ્યો સ. મન હમજાતું નહિ ક એનો હું નીવેડો આવસે? "

" ભાભી, પરેમ થયો સ એટલ એમજ થવાનું. રાધા હારે લગન કરાવી દો તો બધો જ નીવેડો આવી જહ." હીરલીએ સરળતા થી કહ્યું.

" પણ તું જાણ જ સ ક સમાજ નઈ માન અન આબરૂના ધજાગરા થહી વધારાનાં."
" સમાજનો વીસાર કરશો તો દીકરો દુઃખી રે' શે."
" સમાજના રિવાજોન પણ નેવે ન મુકાય ક."

હીરલી સમસ્યાને બરાબર સમજતી હતી. રસ્તો બહુ કપરો છે, પણ વિધવા સ્ત્રીઓની જિંદગી એનાથી પણ વધારે કાંટે ભરેલી છે. ડગલે ને પગલે કાંટા ચુભતા રહે છે. અઘરા માર્ગ પણ ચાલવું તો પડશે જ. રાધા અને રઘુના લગ્ન તો થવા જ જોઈએ. એમ મનમાં મક્કમ ગાંઠ બાંધી દે છે.

" સવલીભાભી, હવારે ભરત કામ માટ જે બાઈઓ આવ સ, એમને મનાવી લઈએ. તો આપડો રસ્તો સીધો બનહે." એમ કહીને સવલીને આશ્વાસન આપીને ઘરે મોકલે છે. પણ સમસ્યા હજુ એ ત્યાંની ત્યાં જ હતી. તે લોકો સાથ આપશે કે પછી પાપ ઘણીને નકારી દેશે. એ સવાલ તો સવારે જ ઉકેલ મળવાનો હતો.

રાત વિતી, પણ ભારે લાગી.સૂર્યની મંદ મંદ ગતિમા વિચારોની ગતી મસ્તિષ્કમાં તેજ બની હતી. સર્વ ભરતકામ માટે આવતી સ્ત્રીઓ હીરલીના ઘરે સમય સાથે પહોંચી જાય છે.' કેવી રીતે વાત રજૂ કરું?' એ જ ખ્યાલ હીરલીના મનમાં ગૂંચવાયા કરતો હતો. જો તે લોકોને ન ગમે તો ભરતકામ પણ બંધ થઈ જશે અને વિધવા બાઈઓની આઝાદી પણ છીનવાઈ શકે છે. પણ સમસ્યા સામે પહેલ પણ કરવી જરૂર છે એટલે હીરલી બધા સમક્ષ વાતને છેડવાની તૈયારી કરે છે.

" શમ રાધા સુપસાપ બેઠી સ?" હીરલી આડકતરી રીતે વાતની શરૂઆત કરી.
રાધાએ માત્ર મુખથી ઈશારો કર્યો. જે માત્ર પોતાના તનની જ હયાતી બતાવતો હતો , મન તો હતું જ નહિ ત્યાં.

" બિસારી રાધા , આટલી નાની ઉંમરે વિધવા થઈ અન જિંદગીના બધા જ રંગોમો કાળો રંગ લાગી ગ્યો."
" હાસી વાત કરી. આપણું વિધવા હોવું કષ્ટ દાયક સ. ન હરખ ક ન કોઈ મોજ શોખ, બસ શોકમાં જ રેવાનું." સવલી સાદ પુરાવતા કહ્યું.

" સમાજ માટ આપડે કલંક રૂપ હોઈ એમ બધા વર્તન કર સ." વિજુડી બોલી.

" વિધવાપણું બાઇઓન જ નડ સ. આદમીઓ વિધુર થયા પસ ફરી પરણી લે સ. પણ આપણે તો ભોગવવું જ પડ સ."

" હીરલી, આદમીઓ ન તો વંશનો વેલો આગળ ધપે એટલ લગન કર સ....."

વાક્ય પૂર્ણ થાય તે પેહલા જ હીરલી બોલી પડી, " શમ વિધવા બાઈ કોઈના ઘરનો વેલો આગળ વધારી ન શક.તોઇ સહન તો બાઈઓને જ કરવું પડ સ. રાધા હજુ તો કાસી ઉંમરની સ , એનું આખું આયખું શી રીતે વિતસે, એ વિસારથી જ દર્દ થાય સ....
સમાજના શેવા રિવાજ સ જેમો બાઈઓને જ વેઠવું પડ સ. પણ હવ નહિ સહાય વધારે. જો બધી બાઈઓ સાથ આપ તો રાધાના અન એના જેવી બીજી બાઈઓના લગન થઇ શક સ."

હીરલીને રોકતા એક સ્ત્રી બોલી, " હીરલી તુ હું બોલી રહી સ એનું ભાન સ ખરું? આતો સમાજ વિરુદ્ધ કેવાય, પાપ કેવાય."

" પાપ પુણ્ય કોને નક્કી કર્યું સ? મનેખે જ ક. સ્ત્રીઓ ન શો હુધિ એમ જ પીડાવાનું. આજ અમારો વાળો તો કાલે તમારામાંથી કોઈનો પણ આવી શક સ.સમય હારે રિવાજો પણ બદલાવા જોઈએ. નહિ તો સ્ત્રીઓની જ કુરબાની લેવાતી રેહસે."

હીરલીની વાતથી સર્વ સ્ત્રીઓ વિચારમાં ડૂબી જાય છે.તેની વાત અને વિધવાનું દુઃખ સમજાય છે.સર્વ સ્ત્રીઓ જાણતી હતી કે તે સાચી છે.પણ કેવી રીતે સમાજનો સામનો કરવો, એ હિંમત નહોતી.એવા મા જ એક આધેડ ઉંમરની સ્ત્રી બોલી, " પરમ દહાડે સમાજના લોકો આપડા ગામે ભેગા થવાના સ , આપડે એક થઈને વાત મુકીશું, જરૂર પડે દબાણ કરીશું. હું નીવેડો આવે સે તે જોવું રહ્યું."

"હંસાકાકીની વાત થી બધા એક મત તો સો કે, એક થશું તો જ લડી શકીશું." હીરલી આશા સાથે બોલી.

હવે, બધી સ્ત્રીઓ પરમ દિવસની રાહ જોવા લાગી.

ક્રમશઃ.