Sathvaro - 10 books and stories free download online pdf in Gujarati

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 10

ગુલમહોર

●●●●□□□□□●●●●●□□□□●●●●●□□□□●●●●

અશ્ર્વિનીબહેન ગયા ત્યારે સાકરમા માટે નાની-મોટી તમામ વ્યવસ્થા કરતાં ગયાં હતાં,સાડીઓની પણ.બંને બાજું ઉચાટ હતો.

અમોઘા તો આ બંનેનો સ્પર્શ જ ઓળખતી,જાણે નાળનો
જ સબંધ.એની દેખરેખમાં કોઈ વધારે યત્નો નહોતા કરવા
પડતાં.

અશ્ર્વિનીબહેન ત્યાં ગયાં અને એક બે દિવસમાં જ ગોઠવાઈ ગયાં.નવી સંસ્થા હતી અને પોતે જ કર્તા હર્તા. ટ્રસ્ટી તો છેક ત્રીજા દિવસે મળ્યાં,ત્યાં એમનું સ્વાગત
કરવા યતીન ભાઈ હતાં ,જે બધું સંચાલન કરતાં,શાળા નવી અને નવું સત્ર ચાલું થવાને વાર હતી ,ઉનાળું વેકેશન
ચાલતું હતું,કોઈ વિદ્યાર્થી હતાં નહીં.અશ્ર્વિનીબહેનને ફાળવેલું રહેણાંક સૌથી અલાયદું અને મોટું હતું.

મનમાં પત્રનો જવાબ શું આવશે?અમોઘાને પરત કરવી પડે તેવો ઉચાટ,અને અત્યારે સંકુલમાં ખાસ ચહલપહલ નથી ત્યાં સાકરમા આવી જાય તો ,સહજ રીતે સવાલ જવાબ ઓછા થાય એવી ભાવના એટલે ટ્રસ્ટી ભગવાનજીભાઈને મળ્યાં ત્યારે જ એમણે" પરિવાર ને લેવા જવાનો છે, બે ત્રણ દિવસમાં આવી જઈશ "એવી વાત કરી.

સાકરમાને થોડું અતડું તો લાગતું નવો પહેરવેશ નવું ઘર,અજાણ્યાં ઘરમાં થોડાં અટવાઈ જતાં એમાંય જરા દરવાજો ખખડે ને જીવ ઉંચો થઈ જતો.ચોથા દિવસે ટપાલ મારફતે પરબિડીયું આવ્યું ઉપર અંગ્રેજીમાં સરનામું એટલે ખોલવું ન ખોલવું ની અવઢવ.સાંજ સુધીમાં તો કેટલીયવાર પરબિડીયું હાથમાં લીધું અને મુક્યું.અમોઘાને જુએ ને ડરનાં લીધે આંખ ડબડબી જાય.

બીજા દિવસે વહેલીસવારે અશ્ર્વિનીબહેન આવી પહોચ્યાં
અમોઘાને સુતેલી જોઈ એમને હાશકારો થયો.આવતાવેત
ઉપાધિ નહોતી આપવી છતાં સાકરમાથી પરબિડીયું સામે ધરાઈ ગયું.એ કાગળ વાંચતા અશ્ર્વિનીબહેનનાં ભાવપલટા સાકરમા જોઈ રહ્યાં.અંતે નિર્લેપ ભાવે એ બોલ્યાં"છુટા છેડાંની નોટિસ છે,સારું ને અહીંની બધી લેણાંદેણી ચૂકતે કરીને જઈએ એટલે નિરાંત.આમ પણ સંબંધ તુટી જ ગયો હતો."

હવે એ નિરાંત હતી કે અમોઘાને લેવા કોઈ આવવાનું નથી,જોકે એ ઉપરછલ્લું આશ્ર્વાસન હતું સાકરમાને દેવા માટે ,મનમાં અશ્ર્વિનીબહેન જાણતાં હતાં કે આટલે દૂર પોસ્ટ પહોંચતાં અઠવાડિયું તો લાગે જ,એટલે એમણે શક્ય તેટલી ઉતાવળથી જવાની તૈયારી કરી લીધી,.જરૂર
પડે તો એકલા આવી જવું એવું વિચારીને.

આખરે જવાનો દિવસ આવી ગયો,સંસ્થાની "મેટાડોર"માં જરૂર પુરતો સામાન લઈ અને ત્રણ સ્ત્રીઓનાં એ નાનકડાં પરિવારે નવી જિંદગી તરફ પ્રયાણ કર્યુ.રસ્તામાં મલકાતાં
સાકરમા બોલી પડ્યાં"ગુલમહોર ને ગરમાળો ખૂબ ખીયલા(ખીલ્યા) સારા વરહનું એંધાણ છે".એનાં માટે તો
બધું જ નવું ,લોકો પહેરવેશ ,પ્રદેશ.ગામનો સીમાળો ન વટાવનાર સ્ત્રી નવા પ્રદેશમાં જતી હતી.એને પોતાને વિશ્વાસ નહતો આ અણધાર્યા વળાંકો પર.

જીવન બહું સહજતાંથી ગોઠવાઈ ગયું,સાકરમા છાત્રાલયની બાળાઓથી ઘેરાયેલ રહેતાં,અમોઘા અને એ
તો જાણે એ માટી સાથે પરભવનો નાતો હોય એમ જોડાઈ ગયાં,પરંતું અમોઘા પર ઓળઘોળ થતાં અશ્ર્વિનીબહેનનો વ્યવહાર બીજાઓ સાથે બહું રૂક્ષ રહેતો,સાકરમાને આ પરિવર્તન સમજાતું નહીં.

અશ્ર્વિનીબહેને પોતાની આસપાસ એક અભેદ્ય કીલ્લો
રચી લીધેલો.એટલે જ સાકરમાનાં છુંદણાં,પરિવારમાં પુરુષોની ગેરહાજરી કે પોતાની કાલીઘેલી બોલીમાં મા અને મમ્મા જેવા બે સંબોધનો કરતી અમોઘા વિષે ઉઠતાં
સવાલો વણપુછાયેલાં જ રહેતાં.

જોતજોતાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં ,"બાળ સંગમ" અને અશ્ર્વિનીબહેન એક બીજાનાં પર્યાય બની ગયાં.એ
સંસ્થા અશ્ર્વિનીબહેનનાં નામથી વધુ ઓળખાવા લાગી.
અર્વાચીન સંસ્કાર અને પ્રાચીન તાલીમનાં સંગમને કારણે
સંસ્થાની ખ્યાતિ વધવા લાગી.એનાથી ખુશ થવાને બદલે
અશ્ર્વિનીબહેનનો ઉચાટ વધી જતો,અજાણ્યાં ભયની ભીંસ વધી જતી.

સાકરમા તો અમોઘામાં એટલાં રચ્યાપચ્યા રહેતાં કે પાછલી જિંદગીનાં ઘાવ ખોતરવાની એમને ફુરસદ ન હતી અને એ ચટ્ટાન જેવી સ્ત્રીને દુઃખ તોડી નહોતા શક્યાં જોકે એની જાણ એને પોતાને પણ મા બન્યાં પછી થઈ.અશ્ર્વિનીબહેન જરૂર અકાળે પીઢ લાગતાં જાણે સતત કોઈ ભાર હેઠળ જીવતાં હોય.હા ઘરની ચાર દીવાલ વચ્ચેતો એ માત્ર ને માત્ર અમોઘાની મા જ બની રહેતાં અને માસ્તરાણીને પહેલાં જેવી જોઈ સાકરમાની આંખો ઠરતી.


અશ્ર્વિનીબહેન વતન કામ સબબ જતાં એકાદ દિવસ
માટે,પાછાં આવતાં ત્યારે થોડા દિવસ તાણમાં રહેતાં,આત્મીયતાથી બંધાયેલ સાકરમા ચહેરો વાંચી લેતાં પણ કારણ ન પુછતાં.

અમોઘાની હાજરીથી જિંદગી એટલી મેઘધનુષી બની ગયેલી કે આવાં નાનાં મોટાં ઓછાયાં એમાં કોઈ બાધ રૂપ નહોતાં. બોલવામાં એકદમ હાજરજવાબી અને નાનપણથી સ્પષ્ટવક્તા એ ઢીંગલી થોડી જિદ્ કે તોફાન કરે તો ક્યારેય ગુસ્સે ન થતાં અશ્ર્વિનીબહેન એને એક ગીત પર 'ડાન્સ " કરતાં જોઈ એટલાં વધારે ગુસ્સે થયા કે
અમોઘા હેબતાઈ ગઈ. એને ડરનાં માર્યાં તાવ આવી ગયો.સાકરમા આખી રાત જાગતા રહ્યાં.

બે દિવસ કોઈ કઈ બોલ્યું નહીં ,જાણે આખા ઘરે ભારેખમ મૌન ઓઢી લીધું.

અમોઘા તો પાછી હસતી રમતી થઈ ગઈ,પણ
બેઉઁ મા જાણે એકબીજાને ટાળતી,અશ્ર્વિનીબહેનને સવાલોનો ડર તો સાકરમાને જવાબોનો. થોડાં દિવસ થયાં
અશ્ર્વિનીબહેન શાળાનાં સમયે જવાની તૈયારી કરતાં હતાં,સાકરમાએ સહસા પુછી લીધું,"તે તો દુનિયા જોઈ ,ભણેલી ગણેલી તોય...મારી જેમ થોડી ખીલે બાંધેલા ઢોરની જેમ જીવી છો કે ગમાણનો ચારો જ દેખાય?"

અશ્ર્વિનીબહેનને મનમાં ખયાલ હતો કે ગમે ત્યારે જવાબ આપવો જ પડશે, સાકરમાને તો હકીકત જણાવવી પડશે.

શું જવાબો થાળે પડેલી જિંદગીને તહસનહસ કરવાનાં હતાં કે ખાલી કડવી વાસ્તવિકતા પચાવવાની હતી.?
@ડો.ચાંદની અગ્રાવત

જોડાયેલાં રહો અમોઘા ને તમારા સાથની જરૂર પડશે.