Uday - 8 books and stories free download online pdf in Gujarati

ઉદય ભાગ ૮

અઠવાડિયા પછી મોટીબેન અને દેવાંશી મુંબઈ જવા નીકળી ગયા . દેવાંશી ગામમાં હતી ત્યાં સુધી રોજ પલ્લવ ને મળતી અને કલાકો સુધી વાતો કરતી . ઘણા બધા કેસ અને અનુભવો પલ્લવે શેર કર્યા. દેવાંશી ના ગયા પછી પલ્લવ બે ત્રણ દિવસ તો દેવાંશી સાથે માણેલી પળો ને વાગોળતો રહ્યો પણ પછી મનને વાર્યું કે હવે શોભા ને દગો નહિ દઉં .

ચોમાસુ બેસું બેસું થયી રહ્યું હતું . છેલ્લે જયારે વાદળો એ દેખા દીધી એટલે ગામમાં આનંદ છવાયી ગયો ખેતર તો ખેડાયી ગયા હતા પણ વાવણી માટે એક વરસાદ ની રાહ જોવાઈ રહી હતી . આમ તો જ્યોતિષીઓ એ ૧૬ આની વરસાદ ની આગાહી કરી હતી અને હવામાન વિભાગે મોડા વરસાદ ની આગાહી પણ વરસાદ આ વરસે સમયસર આવ્યો . ગામમાં ઘણા બધા લોકો એ કહ્યું કે ભાઈ આ તો નટુ ના આગમન ને લીધે થયું છે . તે ખુબ જ ભાગ્યશાળી છે ગામ માટે. વરસાદ પડ્યા પછી પલ્લવ ની સૌથી મોટી રાજાશાહી પર કાપ આવ્યો તે બહાર ખેતર માં ખાટલો નાખીને આકાશના તારા ગણતા ગણતા સુવાનો. હવે તેને ઓરડી માં સુઈ જવું પડતું . રામલો હવે સુવા માટે ઘરે જવા લાગ્યો તે કહેતો ઓરડી માં બીક લાગે છે. પહેલા પહેલા પલ્લવ ને ડર લાગ્યો પણ પણ એક બે દિવસ શાંતિથી ઊંઘ આવી એટલે તેના મન માં થી ડર નીકળી ગયો .

પણ એક રાત્રે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો ઓરડી માં જયારે સુઈ રહ્યો હતો ત્યારે અડધી રાત્રે પલ્લવ ની આંખ ખુલી અને તેને એક પ્રકાશ પુંજ દેખાયો જાણે કોઈ લંબગોળ દરવાજો જેમાંથી પ્રકાશ આવતો હોય . પલ્લવ ને ડર લાગવા લાગ્યો તેને ઓરડી ના દરવાજે જવાનો પ્રયત્ન કર્યો પણ તેના પગે તેનો સાથ ના આપ્યો તે મનોમન હનુમાન ચાલીસ બોલવા લાગ્યો પણ જયારે અડધો કલાક થયો અને કોઈ ઘટના ના બની ત્યારે તેના મનમાંથી ડર દૂર થયો અને ઉત્સુકતા જાગી. તેણે વિચાર્યું કે નજીક જઈને જોઉં ત્યારે જ ખટલા પરથી ઉઠી શક્યો . પછી તે પ્રકાશ પુંજ પાસે જઈને જોયું તો કાઈ દેખાયું નહિ તો ઓરડી ના દરવાજે ગયો પણ ઓરડી નો દરવાજો ખુલ્યો નહિ. પાછો પ્રકશપુંજ પાસે ગયો અને વધારે તપાસ કરવાનું નક્કી કર્યું. એકદમ નજીક ગયો ત્યારે ખેંચાણ અનુભવ્યું અને તે સહજ ભાવે પ્રકાશપુંજ ની પાર નીકળી ગયો. ત્યાં પહોંચ્યો તો તે એક પહાડીની તળેટી માં હતો તે દિગ્મૂઢ થયીને જોઈ રહ્યો . પાસે એક સરોવર હતું તેમાં ખીલેલા કમળ લહેરાઈ રહ્યા હતા. એક બે હંસ પણ તારી રહ્યા હતા . પલ્લવ વિચારમાં પડી ગયો કે આ કઇ જગ્યા છે તે ત્યાંથી આગળ વધ્યો તો સુંદર વૃક્ષો અને પંખીઓ નો કલબલાટ સંભળાવા લાગ્યો . ઠંડો પવન હતો પણ વરસાદ નહોતો પડતો . ફૂલો ની સુવાસ આવી રહી હતી પણ આવી સુગંધ તેને જીવન માં અનુભવી નહોતી. પણ ત્યાં કોઈ વ્યક્તિ ના દેખાતા તેને પાછા વળવાનું નક્કી કર્યું પણ જયારે તે પાછો પહાડી ની તળેટી માં પહોંચ્યો ત્યારે પ્રકાશપુંજ અદ્રશ્ય થયી ગયો હતો . હવે પાછો કેવી રીતે જઈશ તેવા વિચારથી પલ્લવ ધ્રુજી ઉઠ્યો . એક કલાક જેટલું તે તળેટી માં બેસી રહ્યો કે કદાચ પ્રકશપુંજ પાછો દેખાય. પણ તેવા કોઈ અણસાર ના દેખાતા આગળ વધ્યો . સરોવર પાર કરી જંગલ માં પ્રવેશ્યો . તેને ડર લાગ્યો કે કદાચ કોઈ જંગલી જાનવર આવીને ફાડી ખાશે . અત્યારે તો કોઈ લાકડી પણ તેની પાસે નહોતી તેથી નીચે પડેલી એક ડાળખી ઉપાડી લીધી જો કે તેને ખબર હતી કે આનો કોઈ ઉપયોગ નથી પણ ડૂબતા ને તણખલા નો સહારો તે ન્યાયે ડાળખી હાથમાંજ રાખી . જંગલ પાર કર્યું ત્યાં સુધી ફક્ત પંખી જ દેખાણા કોઈ જાનવર દેખાયું તેથી નિરાંત થયી . આગળ ગયો ત્યારે દૂર એક જગ્યા પર ધુમાડો ઉઠતો દેખાણો ત્યારે તેના પગમાં જોમ આવ્યું. તેને વિચાર્યું કે નક્કી કોઈ વસ્તી હશે. જઈને પછી ગામ જવાનો રસ્તો પૂછી લઈશ .

થોડીવાર પછી પલ્લવ એક આશ્રમ ની નજીક ઉભો હતો . તે જેવો આશ્રમ ના વંડીએ પહોંચ્યો ત્યાં એક જવાન સાધુ તેની નજીક આવતો દેખાયો અને તેણે આવકારતા કહ્યં આવો ડૉક્ટર પલ્લવ તમારું બાબા ભભૂતનાથના આશ્રમ માં સ્વાગત છે . તમારી જ રાહ જોવાતી હતી . બાબા ભભૂતનાથ તમને થોડીવાર પછી મળશે ત્યાં સુધી તમે આ બાજુની કુટિર માં આરામ કરો . હાથ પગ કુવા પાસે જઈને ધોઈ નાખો. તમારી માટે જળપાન ની વ્યવસ્થા કરું છું. પલ્લવે તરત પૂછ્યું કે તમારું નામ શું છે અને આ કઇ જગ્યા છે ? અને ભભૂતનાથ બાબા તો ૭૦ વરસ પહેલા ગામમાં રહેતા હતા અત્યારે અહીં ક્યાંથી ? સાધુ એ કહ્યું મારુ નામ સર્વેશ્વરનાથ છે અને હું બાબા ભબૂતનાથ નો શિષ્ય છું અને તમારા બાકી પ્રશ્નો નો જવાબ બાબા જ આપી શકશે. હું સ્પષ્ટીકરણ કરવામાં અસમર્થ છું અમને કઇ પણ કહેવાની આજ્ઞા નથી તો થોડીવાર વિશ્રામ કરો અને બાબા ભભૂતનાથ તમને મળશે એટલે તમારા બધા સવાલો ના જવાબ મળી જશે . પલ્લવે હાથપગ ધોઈને થોડો નાસ્તો કર્યો અને એક ઘાસ ની બનેલી ચટાઈ પર લંબાવ્યું . આમેય તેને ઊંઘ આવતી હતી થોડીવારમાં બધી ચિંતાઓમાંથી મુક્ત થઈને સુઈ ગયો. જયારે તે ઉઠ્યો ત્યારે ઘડિયાળ માં જોયું ત્યારે સવાર ના ૧૧ વાગ્યા હતા પણ બહાર આવ્યો ત્યારે તેને જોયું કે તે સુવા ગયો હતો તે વખતે જેવું વાતાવરણ હતું તેવું જ વાતાવરણ અત્યારે હતું. સામેથી સર્વેશ્વરનાથ આવતો દેખાયો. તે આવીને પલ્લવ ને એક બીજી કુટિર માં દોરી ગયો ત્યાં એક સાધુ પદ્માસન ની મુદ્રા માં બેઠો હતો અને તેના ચેહરા પરના તેજથી પલ્લવ અંજાઈ ગયો અને અજાણતાંજ તેના હાથ સાધુ સામે જોડાઈ ગયા અને તેને પ્રણામ કર્યા .

ભભૂતનાથ , ભવ્ય કપાળ , તેજસ્વી આંખો , કાલી ફરફરતી દાઢી , મજબૂત હાથ અને ટેક માટે એક દંડ અને ખૂણામાં એક ત્રિશુલ , તલવાર અને ગદા મૂકી હતી . બાબા એ હસીને પલ્લવ સામે જોઈને કહ્યું આવો તમારું મારા આશ્રમ માં સ્વાગત છે . શું નામ થી બોલવાઉ તમને નટુ કે પલ્લવ કે પછી ઉદયશંકરનાથ ?

પલ્લવે પૂછ્યું આ કઇ જગ્યા છે બાબા અને નટુ અને પલ્લવ બન્ને મારા નામ છે પણ આ ઉદયશંકરનાથ તે મારુ નામ નથી તે કોનું નામ છે?

ભભૂતનાથે જવાબ આપ્યો કે આ જગ્યા છે ચતુર્થ પરિમાણ .