Prinses Niyabi - 13 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 13

નુએન: દેવીસિંહજી આ સૈનિકો નું શુ છે? કયો સમાન લઈને એ આવશે?

દેવીસિંહ: નુએન દર ત્રણ દિવસે અહીં થી સૈનિકો ખાવાપીવાનો સામાન લેવા રાયગઢ જાય છે. ગઈકાલે સૈનિકો ગયા હતા. એટલે ત્યાં થી બીજા સૈનિકો સામાન લઈને સવારે નીકળ્યા હશે. જે આજે અહીં આવશે. હવે ત્રણ દિવસ પછી સૈનિકો ને પાછા રાયગઢ મોકલવા પડશે.

નુએન: તો હવે શુ કરીશું?

દેવીસિંહ: કઈ નહિ. હજુ ત્રણ દિવસનો સમય છે. ત્રીજા દિવસ સવારે સૈનિકો નહિ પહોંચે ત્યારે મોઝિનોને તપાસ માટે માણસો અહીં મોકલશે. ને પછી એને ખબર પડશે કે અહીં શુ થયું? ત્યાં સુધી અમે અહીં થી નીકળી જઈશું. ને તમે તો સવારે નીકળી જ જવાના છો.

નુએન: પણ હવે આપણે આગળ શુ કરવાનું છે?

દેવીસિંહ: તમે નીકળો સવારે. પછી તમારી રીતે લડાઈની તૈયારીઓ કરો. મોઝિનોને અહીં ના સમાચાર મળે એ પહેલા અમે બે દિવસ પછી મોઝિનો પર હલ્લાબોલ કરીશું. ને અમે સીધા મહેલ પર જ હુમલો કરીશું. તમે બહાર નું કામ સંભાળી લેજો.

નુએન: પણ તમે લોકો ખૂબ ઓછા છો? કેવી રીતે પહોંચી શકશો મોઝિનોને?

દેવીસિંહ હસતાં હસતાં બોલ્યો, અમે ગણતરીમાં ઓછા છીએ નુએન. પણ લડાઈ કે આત્મવિશ્વાસમાં નહિ. અમે આટલા લોકો મોઝિનો નો સામનો કરી શકીશું. બસ સવાલ માત્ર પેલા ત્રિશુલનો છે.

ઓનીર: એની ચિંતા તમે ના કરો. એનું અમે કઈક કરીશું.

નુએન અને દેવીસિંહ એ લોકો ને જોઈ ઉભા થઈ ગયા.

નુએન નિયાબી પાસે જઈ ને બોલ્યો, તમે ઠીક છો?

નિયાબીએ માથું હલાવી હા કહી.

દેવીસિંહ: રાજકુમારી નિયાબી ક્ષમા કરશો. હું આપને ઓળખી ના શક્યો.

નિયાબી: એ તો શક્ય જ નહોતું સેનાપતિજી. તમે જ્યારે મને છેલ્લે જોઈ હશે ત્યારે હું ત્રણ વર્ષ ની હતી અને અત્યારે? ઘણો સમય વહી ગયો છે.

દેવીસિંહ: હા રાજકુમારી ઘણો સમય વહી ગયો છે. હું વહી ગયેલો સમય તો પાછો નહિ લાવી શકું. પણ રાયગઢ માટે પહેલા જેવી સુખસમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકું એમ છું.

નિયાબીએ દેવીસિંહ સામે પ્રશ્નવાચક દ્રષ્ટિ થી જોયું.

દેવીસિંહ: હા રાજકુમારી. હું તમારા પિતાની અમાનત એટલે કે મીનાક્ષી રત્ન તમને સોંપવા માંગુ છું. મીનાક્ષી રત્ન એના મૂળ માલિકના હાથમાં જશે તો રાયગઢનું ભાગ્ય ફરી ચમકશે.

નિયાબી: એ રત્ન તમારી પાસે છે?

દેવીસિંહ: હા રાજકુમારી. જ્યારે તમારા પિતા તમને લઈને નીકળ્યા ત્યારે એમણેને મીનાક્ષી રત્ન ક્યાં છે તે જણાવ્યું હતું. એમણે મને કહ્યું હતું કે સમય આવે એ હું તમને સોંપી દઉં. પછી એણે નુએન સામે જોતા કહ્યું, તમે રાયગઢ પહોંચો. હું રત્ન લઈ ને બે દિવસ પછી તમને મળીશ. ચાલો પહેલા જમી લો પછી વ્યુરચના બનાવીએ કે કેવી રીતે આગળ વધીશું

નુએન: હા...હા.... ચાલો.

પછી બધાએ સાથે ભોજન માટે બેઠા.

લુકાસા આજની નોંધણી લઈ ને મોઝિનો પાસે આવી.

લુકાસા: જાદુગર મોઝિનો આજે ત્રણ યુવતીઓ આવી છે.

મોઝિનો: હમમમમમ......

મોઝિનોનો આમ ઉદાસ જવાબ સાંભળી લુકાસા એની પાસે ગઈ ને બોલી, જાદુગર મોઝિનો તમે ઠીક તો છો ને?

મોઝિનો: લુકાસા ક્યાં સુધી આપણે આમ યુવતીઓ ગણીશું? આપણી શોધનો કોઈ જવાબ મળતો નથી. ને ત્યાં પેલો દેવીસિંહ કઈ બોલતો નથી.

એટલા માં માતંગી ત્યાં થી પસાર થઈ રહી હતી એણે આ સાંભળ્યું. એટલે એ ત્યાં જ ઉભી રહી સાંભળવા લાગી.

લુકાસા: મોઝિનો તમે ધીરજ ધરો. આપણ ને જરૂર સફળતા મળશે.

મોઝિનો ગુસ્સા સાથે બોલ્યો, પણ ક્યારે લુકાસા....ક્યારે? સમય વહી રહ્યો છે. દેવીસિંહ કંઈપણ બોલતો નથી. મને તો હવે નથી લાગતું કે એ મોં ખોલે. એ રીઢો થઈ ગયો છે. કોઈ સજા એને ડગાવી નથી રહી.

લુકાસા: જાદુગર મોઝિનો તો પછી છેલ્લો દાવ રમી નાંખો. ક્યાં સુધી યોગ્ય સમય ની રાહ જોઈ ને બેસી રહેશો? આપણે હજુ પેલી યુવતીને પણ શોધી શક્યા નથી. ને એ મળશે કે નહીં? એ પણ એક પ્રશ્ન છે. પણ દેવીસિંહ તો આપણી પાસે જ છે.

મોઝિનો: હા હવે એવું જ કરવું પડે એમ લાગે છે. પણ એ યોગ્ય રહેશે ને? દેવીસિંહ મોં ખોલશે?

લુકાસા ગર્વ સાથે બોલી, જરૂર ખોલશે. કોઈ પણ પિતા પોતાના બાળક માટે ક્યારેય કશું પણ કરવા તૈયાર થઈ જાય છે. ને એમાં પણ એ બાળક દીકરી હોય તો પિતાનું મન અવશ્ય પીગળી જાય છે.

મોઝિનો: મને નથી ખબર. પણ દેવીસિંહની દેશભક્તિ જોઈ હું ખરેખર પ્રભાવિત થઈ ગયો છું. એ એક સાચો દેશભક્ત છે. ને એટલે મને લાગે છે કે એ દેશ માટે પોતાની દીકરી કુરબાન કરતા ખચકાશે નહીં.

લુકાસા: ના જાદુગર મોઝિનો. દીકરી તો પિતાનું ગર્વ હોય છે..માનસન્માન હોય છે. દરેક પિતા એની દીકરીના પ્રેમમાં આંધળો હોય છે. ને દેવીસિંહ તો વર્ષો પછી પોતાની દીકરીને મળશે. એની દશા તો કઈક અલગ જ હશે.

મોઝિનો: જો તું કહે છે એ સાચું હોય તો પછી કરો કંકુના.. અરે ના ના કરો લોહી ના... એનો રંગ પણ લાલ જ હોય છે. પણ ધ્યાન રાખી ને. હવે એની દીકરી નાની નથી. એક બાહોશ સેનાપતિ છે. ને એ એના પિતા જેવી જ હોશિયાર ને ચાલાક છે.

લુકાસા: હા જાણું છું હું. ખૂબ હોંશિયાર છે. પણ એ મારી ચાલાકી નથી જાણતી. આટલા વર્ષોમાં એને ક્યાં કોઈ ખબર પડી છે કે એ કોણ છે? એ તો માત્ર પોતાને તમારી ઋણી સમજે છે. ને તમને જ પિતા માને છે.

બહાર ઉભેલી માતંગી આ બધો વાર્તાલાપ સાંભળી રહી હતી. એની આંખો એકદમ સજળ થઈ ગઈ હતી. એનું મગજ હજારો સવાલો વિચારો સાથે હજારોની ગતિએ ચાલવા લાગ્યું હતું. આ બધું શુ છે? આ વિચારે એને ઢંઢોળી નાંખી.

મોઝિનો: લુકાસા.....સા....આ..તારો પણ જવાબ નથી. ને એટલે જ તું મને ગમે છે. મને તારા પર ભરોસો છે. જાવ હવે ફતેહ કરો.

લુકાસા પોતાની નાજુક કમ્મરને લચક આપતી ત્યાં થી નીકળી.

બહાર ઉભેલી માતંગી એકદમ ભાનમાં આવી ગઈ અને તરત જ પોતાના ઓરડા તરફ દોડી. તેણે ઓરડામાં જઈ દરવાજો બંધ કરી દીધો અને પોતે જમીન પર ફસડાઈ પડી. ચાલક માતંગી ને સમજતા વાર ના લાગી કે મોઝિનો અને લુકાસા તેની જ વાત કરી રહ્યા હતાં. પણ એને એ વાત નો વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પોતે રાયગઢના સેનાપતિ દેવીસિંહની દીકરી છે. એનું મન ભરાઈ આવ્યું. એ ખૂબ રડી. ને રડતા રડતા ત્યાં જ સુઈ ગઈ.

માતંગી દેવીસિંહની જ દીકરી છે. જ્યારે મોઝિનોએ રાયગઢ પર હુમલો કર્યો ત્યારે દેવીસિંહની પત્ની ગર્ભવતી હતી અને બાળકના જન્મ માટે પોતાના પિયર ગઈ હતી. જ્યારે માતંગી નો જન્મ થયો ત્યારે દેવીસિંહ મોઝિનો ની કેદમાં હતો. એને ખબર નહોતી કે એના ત્યાં સંતાનમાં દીકરી જન્મી છે. એની પત્ની માતંગી ને લઈ મોઝિનો પાસે ગઈ હતી. ને એણે દેવીસિંહને છોડી મુકવા આજીજી કરી હતી. પણ મોઝિનોએ એની વાત ના સાંભળી ને એની દીકરી ને લઈ લીધી અને એને પણ કેદી બનાવી લીધી. પણ સમય જતાં એ પણ કેદખાનામાં જ મૃત્યુ પામી. મોઝિનોએ જ દેવીસિંહની દીકરીનું નામ માતંગી રાખ્યું હતું. ને એણે જ એને એ અનાથ છે એમ કહી પાલવી હતી. મોઝિનો એ વિચાર્યું હતું સમય આવે એ માતંગી નો ઉપયોગ એના પિતા સામે કરશે. ને આજે એ સમય આવી ગયો હતો. એ હવે માતંગીને ઢાલ બનાવી દેવીસિંહ પાસે થી મીનાક્ષી રત્ન મેળવવા ઈચ્છતો હતો.

પણ મોઝિનો ની બદકિસ્મતી કે આ વાત ની જાણ માતંગી ને થઈ ગઈ.

ભોજન પછી નુએન, દેવીસિંહ બધા મોઝિનો સામે કેવી રીતે લડવું એની વ્યુરચના બનાવવા બેઠા.

દેવીસિંહ: બે દિવસ પછી હું મારા સાથીઓ સાથે રાયગઢ આવી જઈશ. હું સીધો મહેલના ગુપ્ત રસ્તા થી મહેલમાં જ જઈશ.

ઓનીર: ને એ ગુપ્ત રસ્તો કયો હશે સેનાપતિજી?

દેવીસિંહ: મહેલની પાછળનો ગુલાબી ધોધ. એ રસ્તો જ યોગ્ય છે અંદર પ્રવેશવા માટે.

ઓનીર: પણ દેવીસિંહજી કદાચ તમે જાણતા નથી કે એ રસ્તો પાર કરવા માટે બે મહાકાય ગરોળીઓ નો સામનો કરવો પડશે તમારે.

દેવીસિંહ: જાણું છું ઓનીર. પણ એ ગરોળીઓ મારું કઈ નહિ બગાડે. કેમકે એ જાદુઈ ગરોળીઓ છે. ને એ મોઝિનોએ બનાવી છે. એમને કેવી રીતે રસ્તામાં થી હટાવવી એ મને ખબર છે.

ઓનીર: પણ તમને કેવી રીતે ખબર? તમે તો વર્ષો થી અહીં કેદ છો?

દેવીસિંહ હસતાં હસતાં બોલ્યો, ઓનીર ભલે હું બંધ રહ્યો. પણ મને આજે પણ બધી જ ખબર છે કે ક્યાં શુ છે? હજુ પણ અમારા લોકો મહેલમાં જ મોઝિનો ના ગુલામ બની એની સેવા કરી રહ્યા છે. પણ એ સેવા પોતાની દેશભક્તિ માટે કરી રહ્યા છે. મોઝિનો જે ઓરડામાં રહે છે એ ઓરડો પણ મને ખબર છે. ને પેલું ત્રિશુલ એ ક્યાં રાખતો હશે એ પણ હું તને કહું છું.

આશ્ચર્ય સાથે ઓનીર દેવીસિંહની સામે જોઈ રહ્યો હતો.

દેવીસિંહ: મોઝિનોના ઓરડામાં કોઈ કબાટ કે ગોખલો નથી. પણ એના પલંગ નીચે એક ગુપ્ત જગ્યા છે. ને મોઝિનો રાત્રે પોતાનું ત્રિશુલ એ ગુપ્ત જગ્યાએ રાખે છે. પણ ત્યાં સુધી તમારે આ બે દિવસમાં પહોંચી જવાનું છે. ત્રિશુલ એને અમે આવીએ એ દિવસે સવારે જ એને ના મળે એવી વ્યવસ્થા તમારે કરવાની છે. કેમકે ત્રિશુલ ના મળતા એ સમજી જશે કે કોઈ એનું દુશ્મન આવી ગયું છે. એટલે એ ચૂપ નહિ બેસે.

નુએન: કોઈ વાંધો નહિ અમે એ કરી લઈશું દેવીસિંહજી.

દેવીસિંહ: પણ એ કોઈ ખાવાના ખેલ નથી નુએન. પકડાઈ ગયા તો મોત જ મળશે.

નિયાબી: એની ચિંતા તમે ના કરો સેનાપતિજી. અમે એ ત્રિશુલ ત્યાં થી ઉઠાવી લઈશું. અમને એ ત્રિશુલ ક્યાં છે એ ખબર નહોતી. નહીંતો એ ત્રિશુલ ક્યારનુએ ત્યાં થી બહાર નીકળી ગયું હોત.

નુએન: હા દેવીસિંહજી રાજકુમારી બરાબર કહે છે. મેં કહ્યું એમ અમે બધા જાદુગર જ છીએ. ને મોઝિનોનો સામનો કરી શકીએ એમ છીએ. સવાલ માત્ર ત્રિશુલનો હતો. જે હવે અમને ખબર છે કે એ ક્યાં છે. તમે એની ચિંતા ના કરો. અમે એ કામ કરી લઈશું. તમે ભરોસો રાખો.

દેવીસિંહે વારાફરતી બધાની સામે જોયું. એને ત્રણેયની આંખોમાં વિશ્વાસ દેખાયો.


ક્રમશ..................