Prinses Niyabi - 16 books and stories free download online pdf in Gujarati

પ્રિંસેસ નિયાબી - ભાગ 16

આખો દિવસ બધા જ લોકો માટે ઉચાટ અને ચિંતા નો રહ્યો. મોઝિનો ચિંતામાં હતો કે, દેવીસિંહ માનશે? શુ એ પોતાની દીકરી માટે દેશભક્તિ છોડી દેશે? કે પછી દીકરીની બલી ધરી દેશે?

લુકાસા પણ આવા જ વિચારોમાં હતી કે, શુ દેવીસિંહ એ સ્વીકારશે કે માતંગી એની જ દીકરી છે? શુ એ મારી વાત માની મને મીનાક્ષી રત્ન આપશે? માતંગી શુ વિચારશે? શુ માતંગી ને સંભાળવી મુશ્કેલ બનશે?

માતંગી વિચારી રહી હતી કે, પોતે પોતાની જાત પર કાબુ રાખી શકશે પિતાને જોઈ? શુ મારા પિતા મારી માટે મીનાક્ષી રત્ન લુકાસા ને આપશે? શુ ખરેખર લુકાસા મીનાક્ષી રત્નના બદલામાં મારી આપલે કરશે કે પછી એની કોઈ બીજી યોજના છે?

ઓનીર અને એનો પરિવાર આવનાર કાલ કેવી હશે એ વિચારી રહ્યા હતા, શુ અમે મોઝિનો નું ત્રિશુલ શોધી શકીશું? કેરાક સમયસર મદદ માટે પહોંચી જશે? મોઝિનો શુ કરશે? એને નબળો ના ઘણી શકાય. એવું વિચારવું મોટી મૂર્ખામી હશે અમારી.

ને નિયાબી હજુ પણ દાદી ઓનામાં હતી. એણે નક્કી કરી લીધું હતું કે લડાઈમાં ભલે કંઈપણ થાય. પણ પોતે આજીવન દાદી ઓના ની દેખરેખ રાખશે. ને એમને પોતાની પાસે જ રાખશે. એ દાદી ઓના ને કઈ નહિ થવા દે.

પણ બધાથી અલગ બધી પરિસ્થિતિઓ થી વાકેફ એવા દાદી ઓના બિલકુલ શાંત હતા. એમને કોઈ ચિંતા હતી નહીં. એમણે બધી વ્યવસ્થા કરી દીધી હતી. એમણે દેવીસિંહને પણ આ બધી જાણ કરી દીધી હતી. જેથી એને કોઈ સમસ્યા ના નડે. બસ હવે લુકાસા શુ કરશે એ જોવાનું હતું.

સંધ્યા થવા આવી હતી. લુકાસા અને માતંગી ગુફા પાસે પહોંચી ગયા હતા. પણ ગુફાનું દ્વાર ખુલ્લું જોઈ લુકાસા ને નવાઈ લાગી. આ સમયે દ્વાર ખુલ્લું હોવો જ ના જોઈએ. એને કઈક અજુગતું બન્યું છે એવી શંકા ગઈ. એણે બધાં ને રોકી લીધાં અને પોતે ધીરે થી ઘોડા પર થી નીચે ઉતરી. પોતાની તલવાર હાથમાં લઈ એ ધીરે ધીરે ગુફાના દ્વાર આગળ વધવા લાગી. માતંગી પણ તેની પાછળ ગઈ. પણ ગુફામાં કોઈ હતું નહિ. ગુફા એકદમ ખાલી હતી. લુકાસાએ સૈનિકોને આજુબાજુ તપાસ કરવા કહ્યું.

લુકાસાનો ચહેરો ગુસ્સામાં લાલ થઈ ગયો હતો. એ વિચારી રહી હતી કે, આ કેવી રીતે બન્યું? દેવીસિંહ અને તેના માણસો ભાગ્યા કેવી રીતે? ભીમદેવ ક્યાં છે?

પણ માતંગી ચુપચાપ ઉભી હતી. એ મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી કે ખરેખર એના પિતા કેદમાં થી મુક્ત થઈ ગયા છે.

એક સૈનિક: લુકાસા આજુબાજુમાં કોઈ નથી.

લુકાસા: તો પછી બધા ગયા ક્યાં?

હવે લુકાસાનું મગજ વીજળીની ગતિએ દોડવા લાગ્યું. હવે એને એક વિચાર આવી રહ્યો હતો. ને એ હતો દેવીસિંહનો આગળ નો વિચાર. એ હવે ચોક્કસ મોઝિનોને મારવા રાજમહેલ જશે. એ બહુ સારી રીતે જાણતી હતી કે મોઝિનો નબળો નથી. એની પાસે શક્તિઓ છે. પણ એ દેવીસિંહને પણ જાણતી હતી. એને ખબર હતી કે દેવીસિંહ હવે મરણીયો બની ગયો છે. ને એક મરણીયો 100ને ભારે પડી શકે છે. ને દેવીસિંહની હિંમત અને તાકાત પર જરા પણ શંકા કરવી અયોગ્ય હતી. માણસની ઇચ્છાશક્તિ આગળ ભલભલી શક્તિઓ પણ પાણી ભરે છે. આ વિચારથી જ એ વિચલિત થઈ ગઈ. એકપણ પળનો વિલંબ કર્યા વગર એણે પોતાનો ઘોડો અને લોકોને પાછા રાયગઢ તરફ જવા કહ્યું. એ લોકો હવાની ગતિ થી રાયગઢ તરફ આગળ વધી રહ્યા હતા. અંધારું જામતું જતું હતું.

ઓનીર: અગીલા અને નિયાબીએ મોઝિનોના ઓરડામાં થી ત્રિશુલ લેવા જવા તૈયાર થઈ ગયા હતા.

રીનીતા: નુએન બધું બરાબર થશે. પણ કોઈ સમસ્યા થઈ તો?

નુએન: એટલે?

રીનીતા: નુએન માની લો કે આ લોકોના જાદુની કોઈ અસર મોઝિનો ઉપર ના થઈ તો? કદાચ ઓનીર કે બીજું કોઈ પકડાઈ જાય તો?

રીનીતા ની વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા.

ઓનીર: હા તો પછી એવું કરીએ જો કઈ પણ ના થવાનું થાય તો રાજકુમારી નિયાબી તમે પિતાજીએ આપેલો દંતિની મણકો ગળી જજો.

નિયાબી: ને તું ઓનીર?

નિયાબીએ એની ચિંતા કરી એ જોઈ ઓનીરને સારું લાગ્યું.

નુએન: એની તમે ચિંતા ના કરો એ અમે જોઈ લઈશું. અગીલા જો સમય રહેતા ઓનીર અને નિયાબી તારી પાસે ના આવે તો તું અમારી પાસે આવી જજે. પછી આપણે દેવીસિંહના આવવાની રાહ જોઈશું.

ઓનીર: ને હું મારી રીતે પરિસ્થિતિ પ્રમાણે કઈક કરી લઈશ.

એક તરફ લુકાસા રાયગઢ આવી રહી હતી. આ તરફ કેરાક પણ પોતાની સેના સાથે નીકળી ગયો હતો.

દેવીસિંહ પોતાના દસ્તા સાથે ગુલાબી ધોધ પાસે આવી ગયો. હવે એણે પેલા ગુપ્ત રસ્તાથી આગળ વધવાનું હતું. જેમાં પેલી બે ખૂંખાર ગરોળીઓ હતી.
દેવીસિંહ: યોદ્ધાઓ હું પહેલા જાવ છું. હું તમને કહું પછી તમે લોકો પ્રવેશ કરજો.

દેવીસિંહે પોતાની તલવાર કાઢી. રાત કાળી હતી અને એનો અંધકાર પણ. દેવીસિંહ એક હાથમાં તલવાર અને બીજા હાથમાં સળગતી મશાલ લઈને આગળ વધ્યા. એ ખૂબ સાવધાની થી આગળ વધી રહ્યો હતો. મશાલનું અજવાળું જોઈ એક ગરોળી સતેજ થઈ ગઈ. એ દેવીસિંહની સામે આવી ઉભી રહી ગઈ. એની આંખો મોટી મોટી હતી. એનું શરીર વિકરાળ હતું. એણે ગુરકીને દેવીસિંહ સામે જોયું. એણે પોતાની પૂંછડીથી દેવીસિંહ પર પ્રહાર કર્યો. પ્રહાર એટલો જોરદાર હતો કે દેવીસિંહ 30 ડગલાં દૂર ફંગોળાઈ ગયો. એના હાથમાં થી મશાલ અને તલવાર બંને છૂટી ગયાં.

પેલી ગરોળી દેવીસિંહ તરફ આગળ વધવા લાગી. દેવીસિંહ માટે હવે મુશ્કેલ હતું એનો સામનો કરવો. એણે મશાલ તરફ જોયું. હવે મશાલ જ તેને બચાવી શકે. એ મશાલ તરફ આગળ વધવા લાગ્યો. પણ પેલી ગરોળી એના રસ્તામાં આવી ગઈ. જેવી ગરોળીએ પોતાની પૂંછડી ઉઠાવી દેવીસિંહ નીચે થી સરકીને મશાલ જોડે પહોંચી ગયો. એણે મશાલ ઉઠાવી લીધી ને ગરોળીની સામે કરી દીધી. મશાલની આગ જોઈ ગરોળી પાછી પડવા લાગી. દેવીસિંહ એની તરફ વધવા લાગ્યો અને ગરોળી પાછી પડવા લાગી. દેવીસિંહે નક્કી કરી લીધું કે એ આજ રીતે ગરોળીને બહાર ધોધ તરફ લઈ જશે.

ધીરે ધીરે કરતા એ લોકો ગુપ્ત રસ્તાના દ્વાર આગળ આવી ગયા.

દેવીસિંહએ જોર થી બૂમ પાડી સાથીઓ સાવધાન. દેવીસિંહનો અવાજ સાંભળી બધા યોદ્ધા તલવાર લઈ તૈયાર થઈ ગયા. ને દેવીસિંહે મશાલની જોર થી હલાવી ને સીધી ગરોળીના મુખ આગળ કૂદયો.

અચાનક થયેલા હુમલા થી ગરોળી ડગી ગઈ ને બહાર ફેંકાઈ ગઈ. જેવી એ બહાર પડી. બધા લોકોએ તલવાર થી એકસાથે એના પર ઘા કરવા લાગ્યા અને એક ગરોળીના રામ રમી ગયા. હવે બીજી ગરોળીનો વારો. આ વખતે દેવીસિંહ સાથે બધા યોદ્ધા પણ અંદર ગયા. ઘણા આગળ ગયા એટલે એમને ત્યાં બીજી ગરોળી મળી. એ બરાબર તૈયાર થઈ ઉભી હતી.

દેવીસિંહ: સાથીઓ આજે આ જીવતી ના બચાવી જોઈએ. ખતમ કરી દો.

દેવીસિંહની વાત સાંભળી બધા એક સાથે એની ઉપર તૂટી પડ્યા. ગરોળી પણ કઈ જાય એવી નહોતી. એણે પણ એની પુરી તાકાત લગાવી દીધી. બેઉ બળિયા બાથે પડ્યા જેવી હાલત થઈ હતી. પણ અહીં બે ની જગ્યાએ ઘણા બળિયા બાથે પડીયા એ યોગ્ય હતું. ગરોળી પોતાની પૂંછડીથી બધાને હંફાવી રહી હતી. એની પૂંછડીનો ઝપાટો જોરદાર હતો. પણ હનુમાન દસ્તો પણ કઈ કમ નહોતો. મરણીયા બની તૂટી પડ્યા હતા બધાં. ગરોળીના પ્રહાર થી દેવીસિંહના ત્રણ વ્યક્તિ બરાબર ઘાયલ થઈ ગયા હતાં. પણ જંગ હજુ ચાલુ જ હતી.

આ તરફ ઓનીર, અગીલા અને નિયાબી મહેલ તરફ આગળ વધ્યા. સમય થઈ ગયો હતો. ઓનીર અંદર કેવી રીતે જવું એ સારી રીતે જાણતો હતો.

ઓનીર: અગીલા તું તૈયાર છે?

અગીલા: હા ઓનીર. હું તૈયાર છું.

ઓનીર: તો પછી અમે આગળ જઈ રહ્યા છીએ. તું હવે અહીં સંભાળી લેજે.

અગીલા: હા ઓનીર. સંભાળી ને.

ઓનીરે નિયાબીની સામે જોયું. નિયાબીએ માથું હલાવી હા કહ્યું. પછી આંખો બંધ કરી મનમાં કઈક બોલી. પછી આંખો ખોલી પોતાના હાથ થી કઈક હવામાં નાંખ્યું. આ નિયાબીએ કાલનિંદ્રાચક્ર ચલાવ્યું હતું. ધીરે ધીરે આ ચક્ર બધે ફરી વળ્યું. બધા લોકો સુવા લાગ્યા. આ ચક્રની અસર આ લોકો પર કોઈ થઈ નહોતી. કેમકે આ લોકોએ પહેલાથી તોડ કાઢી લીધો હતો.

પછી ઓનીર અને નિયાબી ત્યાં થી આગળ વધ્યા. કાલનિંદ્રાચક્ર ના કારણે દેવીસિંહ અને એના માણસો પણ ગુફામાં સુઈ ગયા. ને પેલી ગરોળી પણ સુઈ ગઈ.

નિયાબી અને ઓનીર મોઝિનોના ઓરડામાં આવી ગયા. ઓનીર મોઝિનોના પલંગ નીચે સરકયો. નીચે એક જાજમ હતી. એ એણે ઉંચી કરી. તો નીચે એને એક ઘીસી દેખાઈ. જગ્યા ઓછી હતી એટલે થોડી તકલીફ પડી રહી હતી. ઓનીરે તલવારની અણી એ ઘીસીમાં નાંખી ઊંચું કરવાનો પ્રયત્ન કયો. ને એ ઊંચું થઈ ગયું. એ એક નાનકડો દરવાજો હતો. ઓનીરે ધીરેથી ખોલ્યો. તો અંદર પેલું ત્રિશુલ હતું. ઓનીરે ધીરે રહીને ત્રિશુલ ઉપાડી લીધું. ને પછી બધું હતું એમના એમ પાછું કરી દીધું. જેથી કોઈને શંકા ના જાય.

ઓનીર પલંગ નીચે થી બહાર આવ્યો. તો એણે જોયું કે મોઝિનો નિયાબીના ગળા પર તલવાર મૂકી ઉભો છે. ઓનીર ડઘાઈ ગયો.

મોઝિનો: વાહ અતિ ઉત્તમ. કોઈ ની તાકાત નથી કે મોઝિનોનું અહિત વિચારે અને તમે બેએ તો મોઝિનોનું અહિત કરવાનું સાધન ઉઠાવી લીધું. વાહ ધન્યવાદ છે તમારી બહાદુરીને.

ઓનીર કઈ બોલ્યો નહિ. નિયાબી એની સામે જોઈ રહી હતી.

મોઝિનો: છોકરાઓ બહાદુર છો. પણ અફસોસ કે ખોટી જગ્યાએ તેનો ઉપયોગ કર્યો. ચાલ હવે ત્રિશુલ આપી દે નહિ તો ..... એને તલવાર વધુ નિયાબીની નજીક કરી.

ઓનીર માટે ધર્મ સંકટ ઉભું થઈ ગયું. મોઝિનોએ નિયાબી પર તલવાર તાણી હતી. કદાચ બીજું કોઈ હોતું તો એ કઈક કરતો. પણ આતો નિયાબી હતી.

મોઝિનો: ત્રિશુલ આપ....

ઓનીરે નિયાબી સામે જોયું. નિયાબીએ પોતાના હાથ તરફ ઈશારો કર્યો. ઓનીરે એના હાથ તરફ જોયું. એ સમજી ગયો. નિયાબીના હાથમાં દંતિની મણકો હતો. જે કેરાકે એને પોતાની સુરક્ષા માટે આપ્યો હતો. એણે સાવચેતી રૂપે પહેલા થી જ હાથમાં રાખ્યો હતો.

ઓનીરે નિયાબી સામે જોયું. ને ત્રિશુલ એની તરફ ફેંક્યું. નિયાબી નીચે ઘૂંટણ પર બેસી ગઈ અને થોડી આગળ વધી ત્રિશુલ ઝીલી લીધું.

અચાનક થયેલા ફેરફાર થી મોઝિનો જોર થી બરાડ્યો, તારી એટલી હિંમત. પછી એણે પોતાનો જાદુ ઓનીર પર અજમવાની કોશિશ કરી. પણ ઓનીર છટકી ગયો. ને નિયાબી પાસે પહોંચી ગયો.

ઓનીર: નિયાબી તમે નીકળો. હું આને જોઈ લઈશ.

નિયાબીએ માથું હલાવી હા કહી અને પેલો મળકો મોંમાં મૂકી દીધો. જેવો મણકો એણે મોંમાં મુક્યો એ ગાયબ થઈ ગઈ. ઓનીરે પોતાના જાદુનો ઉપયોગ કરવા પ્રયત્ન કર્યો પણ એ પહેલા જ મોઝિનોએ એને પોતાના જાદુ થી બાંધી દીધો.
આ તરફ લુકાસા મારતે ઘોડે રાયગઢની સીમા પર આવી ગઈ. પણ એ ત્યાં થી આગળ ના વધી શકી. કેમકે ત્યાં પહેલા થી જ કેરાક પોતાના લોકોને લઈ ઉભો હતો. દાદી ઓનાએ પત્ર દ્વારા કેરકને લુકાસા ને રોકવાનું કામ આપ્યું હતું. ને લુકાસાને બંધી બનાવવા કહ્યું હતું. જે એણે સ્વીકારી લીધું હતું. એટલે એ સીમા પર એની રાહ જોઈ ઉભો હતો.

લુકાસા કેરાક અને એની સેના જોઈ સમજી ગઈ કે કઈક તો અજુગતું થયું છે. પણ શુ એ એને ખબર નહોતી. એ કેરકને પણ જાણતી નહોતી. માતંગી પણ આ જોઈ નવાઈ પામી. પણ એણે વિચાર્યું કે આ એના પિતાની કોઈ યોજના હશે.

લુકાસા અને તેના સૈનિકો આગળ વધવા લાગ્યા.



ક્રમશ....................