CHINTA-MAN NI NAKARATMAK KALPANIKATA books and stories free download online pdf in Gujarati

CHINTA-MAN NI NAKARATMAK KALPANIKATA

"ચિંતા એ ચિતા સમાન છે. પરંતુ બંનેમાં ફરક એટલોજ છે કે એક અદશ્ય છે જયારે બીજી પ્રત્યક્ષ છે."

આજનો મનુષ્ય ડગલે ને પગલે ચિંતા થી પીડાય છે. મનુષ્યના હૃદયમાં ચિંતા એવી ઘર કરી ગઈ છે કે મનુષ્ય તેનાથી છુટકારો મેળવી શકતો નથી. મનુષ્ય ચિંતાને લીધે સતત અસ્વસ્થ બનતો જાય છે. માનસિક તથા શારીરિક હાલત પણ બગડતી જાય છે. આજનું વાતાવરણ એવું બની ગયું છે કે જેનાથી મનુષ્ય ચિંતાથી છુટકારો મેળવી શકતો નથી. આજે ચિંતા એ મોટાભાગના મનુષ્યો ની આદત બની ગઈ છે.ચિંતા એ ખરેખર મનની કાલ્પનિક નકારાત્મકતાનું જ એક વિનાશી પરિણામ છે, જે મનુષ્ય ને નરકના પંથે પણ લઇ જઈ શકે છે.

"સતત ચિંતા મનોવિકારને જન્મ આપે છે."

કોઈપણ નાની અમથી નકારાત્મક બાબત પર મનુષ્ય ચિંતા કરવા લાગે ત્યારે તેના મગજમાં સતત એ જ વિષયનું પુનરાવર્તન થતું રહે છે. તેને ખબર હોય છે કે એ ચિંતા નાહકની છે છતાં પણ તે ચિંતાથી મુક્ત બની શકતો નથી. ચિંતા તેના મનની આદત બની જાય છે તથા તેને અન્ય હકારાત્મક વસ્તુઓમાં પણ નકારાત્મકતા જોવા મળે છે. ધીરે ધીરે ચિંતા તેના મગજને ઘેરી લે છે અને વ્યક્તિ ચિંતાતુર બની જાય છે. ત્યારબાદ ચિંતા ના ઘેરાં વાદળો મનુષ્ય નો પીછો છોડતા નથી અને સતતને સતત ઘેરાં બનતા જાય છે. ત્યારબાદ મનુષ્ય માટે આ ચિંતા કરવાની આદત છોડવી બહુ જ અઘરું કાર્ય થઇ જાય છે. એટલે જ તો ચિંતાને જીવતા માણસની કબર કહેવામાં આવી છે. ચિંતાને લીધે વ્યક્તિના આસપાસનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે.અમુક પ્રકારની ચિંતાઓ જીવન નો એક ભાગ છે. વધુ પડતી ચિંતાને લીધે માથાના વાળ જલ્દીથી સફેદ થઇ જાય છે તથા ચહેરા પર કરચલીઓ પડી જાય છે. સતત ચિંતા કરવાથી અનિદ્રા, ગભરામણ તથા માથાના દુખાવા જેવી તકલીફો પણ ઉભી થાય છે.

ચિંતાથી મનુષ્યે ગભરાવવું જોઈએ નહિ પરંતુ તેનો સામનો કરવો જોઈએ. સતત કામ માં વ્યસ્ત રહેવું જોઈએ, જેથી ખોટે ખોટા વિચારો મનમાં આવે જ નહિ. આપને જે ખોટા વિચારો આવે છે તેનાથી આપણે શું ફાયદો થશે એ વિચારો.... ખરેખર જરા પણ ફાયદો થવાનો નથી, ઉલટું નુકસાન થશે.

એ કહેવું સહેલું છે કે ચિંતામુક્ત રહેવું જોઈએ અને સતત હકારાત્મક વિચારો જ કરવા જોઈએ પરંતુ તેને જીવનમાં ઉતરવું સામાન્ય લોકમાનસ માટે નિ:શંકપણે અશક્ય છે.

"The Secret" મૂવી માં કહેવામાં આવ્યું છે કે હકારાત્મકતા વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોચાડી જાય છે. હકારાત્મકતા જ એ ચિંતાને ખાળવાની એકમાત્ર ચાવી છે. તેનાથી જ ચિંતા ઘટી શકે છે તથા નાબૂદ થઇ શકે છે. માત્ર કાલ્પનિક હકારાત્મકતા વ્યક્તિને ચિંતાની સામે લડવાની હિંમત બક્ષે છે. તો શા માટે આ કાલ્પનિક હકારાત્મકતાની આદતને જીવન માં ન કેળવવી?

=>ચિંતાને લગતી એક નાનકડી વાર્તા જોઈએ:

નાના ગામડાના એક વેપારીને તેના ભવિષ્ય અંગે બહુ જ ચિંતા રહ્યા કરતી. દરરોજ સાંજે દુકાનેથી ઘરે આવે ત્યારે તેની પત્ની તથા બાળકો પર નાની નાની વાતો પર ઉશ્કેરાઈ જાય તથા પત્ની અને બાળકો પર ગુસ્સે થઇ જાય.

તેની પત્નીને સમજાઈ ગયું કે નકારાત્મક વિચારો તથા ચિંતાને લીધે જ તેની આવી હાલત છે.પોતે તો દુખી થાય જ છે, સાથે સાથે પરિવારને પણ દુખી કરે છે. પતિને સમજાવવાનો કોઈ માર્ગ ન સૂઝતાં પત્નીએ એક દિવસ ચાલાકી કરી. તેને આખો દિવસ ઘરનું કશું જ કામ કર્યું નહિ, બસ પથારી માં જ પડી રહી. પોતે સખત બીમાર છે તેવો માહોલ ઉભો કર્યો.

પતિ સાંજે જયારે ઘરે આવ્યો તો તેની ચિંતા બીજી જ દિશામાં વળી ગઈ. પત્ની પાસે બેસીને તેની ખબર પૂછી. પત્નીએ કહ્યું,” ગામમાં એક વિદ્વાન જ્યોતિષ આવ્યા છે.અને હું પાડોશના ભાભી સાથે તેમને બતાવવા ગઈ હતી. તેમણે જે કહ્યું તેનાથી હું ભારે ચિંતામાં પડી ગઈ છું. જ્યોતિષે કહ્યું કે હું ૭૦ વર્ષ જીવવાની છું. આ સાંભળીને હું ભારે ચિંતામાં છું કે આટલા વર્ષો મને કેટલું ખાવા-પીવાનું જોઇશે, કેટલાં કપડા જોઇશે, કેટલાં ઘરેણાં જોઇશે?

ત્યારે પતિએ સાંત્વના આપતા કહ્યું કે,” અરે વ્હાલી, તું ભવિષ્યની આટલી ચિંતા શા માટે કરે છે? અત્યારે આપની પાસે જાહોજલાલી નથી, પણ સમય વીતી જશે અને આપને ભવિષ્યમાં ઘણી સારી રીતે રહી શકીશું.”

ત્યારે પત્નીએ પ્રેમથી પતિનો કાન પકડીને કહ્યું,” જો તમે આટલું સમજો છો તો પછી તમે જ તમારા ધંધા અને ભવિષ્યની ચિંતા કરીને શા માટે દરરોજ જીવ બાળો છો? શા માટે દરરોજ અમારા બધાંય પર ગુસ્સે થાઓ છો?”

ત્યારબાદ પતિ પત્નીએ આપેલી સમજણ સમજી ગયો અને તે દિવસ પછી હંમેશા શાંતિથી રહેવાનું અને ગુસ્સો ન કરવાનું વચન આપ્યુ.

આ વાર્તા પરથી એક વાત તો સમજાય જ છે કે ચિંતા તથા નકારાત્મક વિચારો એ મનુષ્યમાં ક્રોધ તથા અશાંતિ જેવા દુર્ગુણોનું સિંચન કરે છે.

=>ચિંતાને સંબંધિત સંત કબીરે આપેલા ઉપદેશ:

ચિંતા મત કર નચિંત રહે, પુરનહાર સમર્થ,

જલ થલમેં જો જીન હય, ઉનકી ગાંઠ ક્યા ગર્થ.

તેં ઉભી કરેલી ચિંતા છોડી, નચિંત એટલે ચિંતા વગરનો થઈ જા. જો તારે બુદ્ધિ વાપરી સમજવું હોય તો તારી જાતે જોઈ લો કે પાણીમાં અને જમીન પર જેટલા જીવો રહેલા છે, તેમની પાસે કઈ સમૃદ્ધિ છે? છતાં તે બધાંને પુરૂં પાડવા વાળો તે સમર્થ પરમાત્મા બેઠેલો છે.

ચિંતા ઐસી ડાકની, કાટ કલેજા ખાય,

વૈદ બિચારા ક્યા કરે, કહાં તક દવા લગાય.

ચિંતા એવી ડાકણ છે, કે જેને તે વળગેલી હોય તેના કલેજાને કોતરી ખાય છે. અર્થાત્ તનમનથી પાયમાલ થઈ જાય છે. તેવા ચિંતાના રોગીને બિચારો વૈદ કે ડોક્ટર ક્યાં સુધી અને કઈ દવાથી સારૂં કરી શકે?

સરજનહારે સરજીયા, આતા પાની લોન,

દેનેહારા દેત હય, મિટનહારા કોન?

સર્જન કરવા વાળાએ આટો-પાણી, મીઠું વિગેરે સરજ્યું છે. તે જે એ બધું આપવા વાળો છે, તેને કોણ મિટાવી શકશે? તેથી ભગવાન પર ભરોસો રાખો.

કાહેકો તલપત ફિરે, કાહે પાવે દુઃખ,

પહેલે રજક બનાયકે, પિછે દીનો મુખ.

તું શા માટે ચિંતામાં તડપતો ફરી, શા માટે દુઃખી થાય છે? ભગવાને પહેલા રજક એટલે ખાવા પીવાની વસ્તુ બનાવી, પછી તને મુખ આપ્યું છે.

અબ તું કાહેકો ડરે, શિર પર હરિકા હાથ,

હસ્તી ચઢકર ડોલિયે, કુકર ભસે જો લાખ.

હવે તને પરમાત્માનું જ્ઞાન ભાન થઈ ગયા પછી તને ડર કે ભય કોનો? હવે તો તારા માથે પ્રભુનો હાથ છે. તારી પાછળ આ દુનિયાનાં મોહમાયાનાં લાખો કુતરાં ભસતા હોય છે. છતાં તેની દરકાર કર્યા વગર તું જાણે હાથી પર સવાર થયો હોય તેમ ડોલ્યા કર. એટલે કે તારા આત્મસંતોષની મજામાં મોજ માણ્યા કર.

રચનહાર કો ચિન કર, ક્યા ખાવેકુ રોય,

દિલ મંદિરમેં પેંઠ કર, તાન પીછોડી સોય.

સંસારના વિષયોની ખાતર ફાંફા મારી શા માટે હતાશ થાય છે. એના કરતા એ બધું રચવાવાળાને તારા મનના મંદિરમાં પેંસી ઓળખી લઈ, આરામથી તેમાં મગ્ન થઈ, આત્મ સંતોષની પીછોડી ઓઢી સુઈ રહેજે.

સાહેબ સે સબ કુછ બને, બંદે સે કછુ નાય,

રાઈકો પરવત કરે, ઓર પરવત રાઈ માય.

મોહ માયામાં બંધાયેલા મનુષ્યથી કશું પણ બની શકતું નથી. આ બધું ઈશ્વર થકી જ બનેલું છે. તેની ઈચ્છા થાય તો તે રાઈના દાણામાંથી પરવત બનાવી દે અને પરવતને રાઈના દાણા જેટલો નાનો બનાવી શકે છે.

ચિંતો તો હરિ નામકી, ઓર ન ચિંતવે દાસ,

જો કોઈ ચિંતવે નામ બીન, સોહિ કાલકી પાસ.

તારે જો ચિંતા જ કરવી હોય તો હરિનામ એટલે તેને જાણી લેવાના જ્ઞાનની ચિંતા કર. પરમાત્માનો ભક્ત હોય તો તું બીજી કોઈ ચિંતા નહિં કર. જો કોઈ પણ તે પરમાત્માના જ્ઞાન શિવાય ફક્ત વિષયોનું જ ચિંતન કરશે, તે કાળનાં મુખમાં પહોંચી જશે. અર્થાત્ જનમ મરણના કાળચક્રમાં ભમતો રહેશે.

કબીર! મેં ક્યા ચિંતવું, હમ ચિંતવે ક્યા હોય?

હરિ આપહી ચિંતા કરે, જો મોહે ચિંતા ન હોય.

કબીરજી કહે! હું શું કામ ચિંતા કરૂં, મારી કરેલી ચિંતા થકી શું વળવાનું છે? જો હું ભગવાન પર ભરોષો કરી ચિંતા કરવાનું છોડી દઈશ, તો પરમાત્મા જાતે પોતે મારી ચિંતા કરશે.

મેરો ચેત્યો હર ના કરે, ક્યા કરૂં મેં ચિત્ત,

હર કો ચિત્યો હર કરે, તા પર રહું નચિંત.

મારી વિષયો પ્રત્યેની ચિંતા કરવાથી, ભગવાન મારા માટે કંઈ કરવાનો નથી. તો તેને માટે ચિંતા કરવાનો શું અર્થ? હું જે કર્મ કરી, ભાગ્ય કમાયને લાવેલો છું, તે પ્રમાણે ભગવાન પોતે ચિંતા કરી મને આપશે. તેથી હું તો નિશ્ચિંત રહું, તે જ સારૂં છે.

રામ હિ કિયા સો હુવા, રામ કરે સો હોય,

રામ કરે સો હોયેગા, કાહે કલ્પો કોય.

પરમાત્માએ જ બધું બનાવેલું છે, અત્યારે જે થઈ રહ્યું છે તે તેના વડે જ થતું છે. અને ભવિષ્યમાં પરમાત્મા કરશે તે જ બનવાનું છે. તો શા માટે કોઈએ આશા તૃષ્ણા ઉભી કરી, ખોટી કલ્પનામાં રાચી ચિંતા કરવી?

મુખસે રહે સો માનવી, મનમેં રહે સો દેવ,

સુરતે રહે સો સંત, ઈસ બિધ જાનો ભેવ.

મુખથી ભગવાનનું નામ ફક્ત બોલવા ખાતર બોલતા હોય, તે સામાન્ય માણસ છે. જે ખરા મનથી તેનું ચિંતન કરતો હોય તે દેવ જેવો છે. પણ જેની સુરતે રહે એટલે જે પરમાત્મા સાથે એક થઈ ગયો છે તે સાચો સંત પુરૂષ છે. આ પ્રમાણે આ ભેદ જાણો.

=>ચિંતાને લગતા અમુક સર્વેક્ષણો:

-જગતવ્યાપી ૪૧ દેશોમાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણોનું કરવામાં આવેલું સર્વેક્ષણ જણાવે છે કે આજના તરુણોની મુખ્ય ચિંતા સારા પગારની નોકરી મેળવવાની છે. એ પછી તેઓ પોતાના માં-બાપના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તથા પોતે ખુબ ચાહતા હોય તેમને ગુમાવવાનો ડર પણ તેમને હોય છે.

-અમેરિકાના એજ્યુકેશન વિભાગને સર્વેક્ષણ કાર્ય પછી માલૂમ પડ્યું કે અમેરિકાના ઘણા જ યુવાનોની સૌથી મોટી ચિંતા પરિક્ષામાં "સારા ગુણ લઇ આવવાનું દબાણ" હતું.

-અમેરિકામાં થયેલા ૧૯૯૬ના સર્વેક્ષણ મુજબ જાણવા મળ્યું કે અમેરિકાના લગભગ ૫૦% યુવાનોને લાગે છે કે તેમની શાળાઓમાં વધારે હિંસા થતી જાય છે.

-અમેરિકાના ૩૮% જેટલા તરુણો ગોળી મારીને ઉડાવી દેવામાં આવી હોય અથવા ઘાયલ કરી નાખવામાં આવી હોય એવી વ્યક્તિને જાણતા હતા.

-યુવાનો પોતાના મિત્રો વિશે ચિંતા કરતા હોય છે, પરંતુ તેમને સૌથી વધારે ચિંતા તેમના મિત્ર ન હોવાની હોય છે.

-૧૫ વર્ષનો ખ્રિસ્તી યુવક નટેનીયલ કહે છે કે શાળામાં બાળકો તેમની બોલવા ચાલવાની ઢબને બીજા લોકો કઈ રીતે જુએ છે તેની ચિંતા રહે છે તથા તેમને ફેશનની ચિંતા રહે છે. આ જ બાળક એમ પણ જણાવે છે કે ત્યાના બાળકોને એ પણ ચિંતા રહે છે કે તેઓ હાંસીપાત્ર બનતા નથી ને.

-મૈગન નામની યુવતીને પોતાના દેખાવને લીધે મૂંઝવણ છે અને તેને લીધે તે સતત ચિંતામાં રહે છે.

(સૌજન્ય: WOL)

તો આ હતાં વાસ્તવિક જીવનના ઉદાહરણો.

ચિંતાના લક્ષણો:

-ઓછી ભૂખ

-ઓછી ઊંઘ

-હતાશા

-ધબકારા વધી જવા.

-ધ્રૂજારી

-પરસેવો વળવો.

-બેચેની

ખરેખર ચિંતામુક્ત રહેવા માટે શું કરવું જોઈએ?

આપણે બાળપણથી એક ઉદાહરણ અનેકવાર શીખવવામાં આવ્યું છે કે પાણી નો અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ખાલી છે એ આપણી વિચારવાની દિશા પર આધારિત છે. તો હકારાત્મક દિશામાં આપણી વિચારશૈલીને વાળવાથી જ ચિંતામુક્ત રહેવાનું શક્ય બનશે. આ એક જ રસ્તો છે જે આપણે ખુશી આપી શકે છે. ઘણીવાર વધુ પડતું કામ પણ ચિંતાનું કારણ બને છે. તેથી જે કામમાં મન લાગતું હોય તે જ કામ યોગ્ય સમયકાળ માટે કરવું જોઈએ. મૂડ પણ મનોરંજક તથા ખુશનુમા બનાવવો જોઈએ જેથી કામનો ભાર ન લાગે. મિતસારી બનવું જોઈએ જેથી બધા લોકો આપણી સાથે સારો વ્યવહાર કરે.

કોરી ટેન બૂમ એ કહ્યું છે કે "Worry does not empty tomorrow of its sorrow, it empties today of its strength.".

-સમાપ્ત-