Zanza Ane Jivan - 15 books and stories free download online pdf in Gujarati

ઝંઝા અને જીવન - 15

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પંદર

કૃપાશંકરે કેટલાક દિવસથી નગરપાલિકાના કામોમાં ધ્યાન આપ્યું નથી. તેથી દક્ષિણ ભારતનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો.

થોમસ પર મારિયાનો ફોન આવ્યો. ‘‘તારા પપ્પાની તબિયત ઠીક ન હોવાથી તારે અમેરિકા આવવું જરૂરી છે.’’ થોમસ તૈયાર થયો. ડ્રાઈવર આવી ગયો. સુનિતા એની સાથે અમદાવાદ સુધી ગઈ. થોમસનું વિમાન ઉપડ્યું ત્યાં સુધી એ એરોડ્રોમ પર રોકાઈ, થોમસે મુંબઈ પહોંચીને સુનિતાને ફોન કર્યો. એણે કહ્યું,

‘‘મુંબઈથી લૉસએન્જલીસ જતું વિમાન આવતીકાલે સવારે ઊપડતું હોવાથી મારે અહીં એરોડ્રામના સોફા પર રાત વિતાવવી પડશે. હોટલમાં રોકાવાથી સવારે સમયસર ઊઠીને એરોડ્રામ પર હોંચવું મુશ્કેલ બને. મોડા ઊઠવાની મારી આદતને તું જાણે છે. હવે પછીથી અમેરિકા પહોંચીને તને ફોન કરીશ. તું શાન્તિથી ભાણવડ પહોંચી જજે.’’

થોમસને વિચાર આવ્યો. હું ઘણા સમયે અમેરિકા જાઉં છું. તો મારી મમ્મી મારિયા માટે કોઈ ચીજ લઈ જવી જોઈએ. ટેક્સી દ્વારા એ મુંબઈની ઝવેરી બજારે પહોંચ્યો. ત્યાંની એક દુકાનમાં જઈને એણે ઈન્ડિયન ડિઝાઈનનો નેકલેસ પસંદ કર્યો. એનું બિલ બનતું હતું. એ કાઉન્ટર આગળ ઊભો હતો. બીજા ગ્રાહકો પણ હતાં. એ સમયે એની પાછળના કાચના દરવાજા આગળ બોમ્બ બ્લાસ્ટ થયો. ભયંકર આગ ચારે દિશામાં ફરી વળી. દુકાનોના કાચના ટુકડેટુકડા ઊડ્યાં. ધુમાડાના ગોટાની ગુંગળામણ વચ્ચે ચિત્કાર અને બૂમાબૂમ થતી હતી. પ્રચંડ અવાજ સાથે જ માનવ દેહના ફુરચે-ફુરચા ઊડી ગયા, ને એમાં થોમસ !!!

લૉસએન્જલીસ વિમાન પહોંચ્યાં પછીના સમયે થોમસનો ફોન ન આવ્યો, તે પછીના ચોવીસ કલાક સુધી સુનિતાએ થોમસને ફોન જોડવા પ્રયત્નો કર્યા. એ થાકી ગઈ. એના મમ્મી પપ્પાને અમેરિકા જાણ કરી. મારિયાને ખબર આપી. ત્યાં એ બધાં ચિન્તિત થયાં. ઈન્ડિયાથી આવેલા વિમાનમાં થોમસ ઊતર્યો જ નથી. તો પછીથી એ ક્યાં ગયો ?

કૃપાશંકર અને સુનિતા મુંબઈ પહોંચ્યાં, એરપોર્ટ ઓથોરિટીને મળ્યાં, એરોડ્રામ પોલીસમાં ફરિયાદ લખાવી. થોમસના કોઈ સગડ મળવાની શક્યતા જણાતી નહોતી. મુંબઈની ઝવેરી બજારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ત્યાં થોમસની હાજરી હોવી એ સંભવ નથી. તો પણ ત્યાનાં પોલીસ થાણાએ જઈને તપાસ કરી. ત્યાં જવાબ મળ્યો,

‘‘વણઓળખાયેલા માનવદેહના ભૂંજાઈ ગયેલા ટુકડા ભેગાં કરીને એનો નિકાલ કરી દેવાયો છે.’’

નિરાશ થયેલા દાદા અને દીકરી ભાણવડ પાછાં આવ્યાં. સુનિતાની પીડાનો પાર નહોતો. ધરાઈને એ ખાતી નથી. ઊંઘ એની વેરણ બની ગઈ છે. એ આવક્‌ થઈને જે તે જગ્યાએ અનિમેષ નેત્રે જોયા કરે છે. પોતાના દુઃખનો ઢાંકપિછેડો કરીને કૃપાશંકર સુનિતાને હિંમત રાખવાનું આશ્વાસન આપ્યા કરે છે. એ તો હાથી પર કીડી ફરતી હોવા જેમ બનતું હતું. ઉષાબા સુનિતાને સધિયારો આપે છે. એ પણ એને મૃગજલ જેવો લાગે છે. અમેરિકાથી મધુસૂદન, અનુબહેન, કમલ આવ્યાં. દીકરીના દુઃખથી એ અત્યંત વ્યથિત થયાં.

સુનિતાએ અનુબહેનને કહ્યું, ‘‘હું મા બનવાની છું. મારા ઉદરમાં ચાર માસનું બાળક છે.’’ અનુબહેને મધુસૂદનને કહ્યું, ‘‘સુનિતા મા બનવાની હોવાથી એને આપણી સાથે જ અમેરિકા લઈ જવી જરૂરી છે. ત્યાં એની યોગ્ય રીતે દેખભાળ થઈ શકશે.’’ બા અને બાપુજીના વિઝા માટેની પ્રક્રિયા પૂરી થયા પછીથી તેઓ પણ અમેરિકા આવે એ સુનિતા માટે જરૂરી હતું.

સુનિતા સાથે બધાં અમેરિકા પહોંચ્યાં. ત્યાંના ગાયનેક ડૉક્ટરે સુનિતાને તપાસીને દૈનિક ખોરાક લેવાની સૂચના આપી. માનસિક પરિતાપથી મુક્ત રહેવા જણાવ્યું. સુનિતા ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી. એણે ગર્ભાવસ્થા અંગેના પુસ્તકોનું વાંચન શરૂ કર્યું.

ભાણવડમાં રોજ સવારે ઉષાબા અનાજનાં દાણા અને રોટલીના ટુકડા વાસણમાં લઈને આંગણામાં મૂકતાં હતાં, એ ચણવાં માટે અન્ય પંખીડાં સાથે મોર આવતા હતા. એ મોર જોવાનું સુનિતાને ગમતું હતું. અમેરિકાથી થોમસ આવ્યા પછીથી એ બન્ને રોજ સવારે અનાજ ચણતાં મોરને જોયાં કરતાં હતાં.

કાઠિયાવાડી ભરત ભરેલાં ચાકળામાં મોરનું સુશોભિત ભરત ભરેલું હોય છે. એવો એક ચાકળો દેશમાંથી ખરીદીને અનુબહેન લાવ્યાં હતાં. એને એમણે મુખ્યખંડની દીવાલે લટકાવ્યો છે. એ ચાકળાનો મોર રહી રહીને ટહુકા કરે છે. એ ટહુકા સુનિતા એકલી જ સાંભળે છે. એની રૂમમાં એ સૂતી હોય, વાંચતી હોય, લખતી હોય, બેઠી હોય, જ્યારે ને ત્યારે એ મોર જંપતો જ નથી.

ઘરમાં એકલી સુનિતા મોરના ટહુકા સાંભળીને કંટાળી ગઈ. એણે ભીંતેથી ચાકળો ઉતાર્યો, એની ગાડી વાળી ભોંયરામાં જઈને એક પેટીમાં એ ચાકળો મૂકી દીધો. એ ભોંયરામાંથી બહાર આવીને સોફા પર બેઠી. ત્યાં એને મોરનો ટહુકો સંભળાયો. એ કહી રહ્યો હતો, મને અહીં ગુંગળામણ થાય છે. બહાર કાઢ. તું આવી કઠોર શા માટે બને છે ?

કઠણ થયું કાળજું, પેટીએ પૂરી દીધો.

એટલી કરું આરજુ, દિલવટો ન દેતી.

એક લોકોકિત છે. ‘‘દુઃખનું ઓસડ દા’ડા.’’ નિયતિએ આપેલી યાતના, પીડા અને આઘાતનું અક્સીર ઔષધ એકમાત્ર કાળ છે. પ્રાણીમાત્રની પીડા અને વેદનાનો ઘટાડો કાળ કરે છે. કાળની ગર્તામાં દુઃખની ઘટનાઓ વિલુપ્ત બની જાય છે. પરિણામે ઘાવ રુઝાય છે. માણસ સ્વસ્થ બને છે અને સ્વાશ્રયતા પ્રાપ્ત કરે છે. પશુઓ પણ વેદના ભૂલી જાય છે. વૃક્ષનું છેદન થયાં પછીથી એ પણ સમયાંતરે અંકુરિત થાય છે.

સુનિતાએ કવિતા લખવાનું શરૂ કર્યું. એથી પણ એનું દુઃખ ભૂલવાં લાગ્યું. એની પર આવી પડેલાં દુઃખથી એ વિક્ષુબ્ધ બની હતી. ધીરે ધીરે દુઃખમાંથી મુક્ત થઈ રહી હતી. કવિતા કરવી એ અઘરી કલા છે. એ બાબતે એ સજાગ છે. એણે જાણીતા અંગ્રેજ કવિઓની કવિતાનું અધ્યયન કર્યું છે. એને કવિતા આત્મસાત્‌ કરી છે. એ પોતાની કવિતા સર્જનમાં રત બને છે તે સમયે એની વેદના અને કષ્ટ વિલુપ્ત બને છે. એ હળવાશની અનુભૂતિ પામે છે.

પરાયા અને વેદનાગ્રસ્તોની પીડા કવિને વાયરસથી થતા દર્દની જેમ વળગતી હોય છે. એવા પીડિતોની વેદનાને કવી સ્વકાયા પ્રવેશ આપે છે. તે પછી જ એનાથી કવિતા બને છે. કવિ પર કુદરતનો આ અભિશાપ છે. સુનિતાને ભારતના ગરીબોની ગરીબાઈ આંખનાં કણાની જેમ ખૂંચે છે. એના માટે કંઈક કરી છૂટવાનું એનું સપનું હતું. એ સપનું તૂટી ગયાનો એને રંજ છે.

ભારેખમ બોજ, વેંઢારતો એ કવિ હશે.

સારેગમ રોજ, આલાપતો એ કવિ હશે.