Graam Swaraj - 14 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 14

૧૪

ખેતી અને પશુપાલન - ૧

કિસાન

ગામડાંના લોકોનું ગુજરાન ખેતી પર ચાલે છે અને ખેતીનું ગાય પર હું આ વિષયમાં આધળા જેવો છું. જાતઅનુભવ મને નથી. પરંતુ એવું એક પણ ગામ નથી જ્યાં ખેતી નથી અને ગાય નથી. ભેંસો છે પણ તે કોંકણ વગેરે સિવાય ખેતીને માટે વધારે ઉપયોગી નથી. છતાં ભેંસોનો આપણે બહિષ્કાર કર્યો છે એવું નથી. એટલા માટે ગામડાના પશુધનનો, ખાસ કરીને પોતાના ગામનાં ઢોરોનો આપણા કાર્યકર્તાએ પૂરો ખ્યાલ આપવો પડશે. આ ઘણી મુશ્કેલ સવાલને જો આપણે હલ નહીં કરી શકીએ તો હિંદુસ્તાનની બરબાદી થવાની છે. અને સાથે સાથે આપણી પણ, કારણ કે એવી સ્થિતિમાં આપણે માટે આ પશુઓ આર્થિક દૃષ્ટિએ બોજારૂપ બનતાં હોઇ, તેમની પશ્ચિમના દેશોની જેમ કતલ કર્યા સિવાય બીજો ઉપાય નહીં રહે.૧

મને પહેલેતી જ શ્રદ્ધા છે કે આ દેશના વાસીઓને માટે ખેતી જ એકમાત્ર અતૂટ અને અટલ સહારો છે. એની પણ ખોજ કરીશું અને જોઇશું કે એને સહારે ક્યાં સુધી જઇ શકાય છે. જો આપણા લોકો ખાદીને બદલે ખેતીમાં પારંગત થઇને લોકોની સેવા કરશે તો મને અફસોસ નહીં થાય. હવે ખેતી તરફ ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આજ સુધી હું માનતો હતો કે જ્યાં સુધી સરકારી તંત્ર આપણા હાથમાં આવે નહીં ત્યાં સુધી દેશની ખેતીમાં સુધારો કરવો શક્ય નથી. હવે મારા એ વિચારોમાં કાંઇક પરિવર્તન થઇ રહ્યું છે. હું જોઇ શક્યો છું કે વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણે અમુક હદ સુધી સુધારો કરી શકીશું. એમ થાય તો ખેડૂત મહેસૂલ વગેરે આપીને પણ જમીનની મદદથી પોતાને માટે કંઇક બચાવી શકશે. જવાહરલાલ કહે છે કે ખેતી સુધારશો તોપણ જ્યાં સુધી વિદેશી સરકાર આપણા પર છે ત્યાં સુધી તે ગમેતે બહાને ખેડૂતની કમાઇ લૂંટવાની. હવે હું વિચાર કરું છું કે એટલા ખાતર શું ખેતી વિશેના જ્ઞાન અને માહિતીનો પ્રચાર કરતા અટકી જઇશું ?સરકાર ભલે આપણું કર્યું કારવ્યું લૂંટી લે. લૂંટશે તો આપણે લડીશું. લોકોને લડવા કહીશું, શીખવશું, સરકારને જણાવી દઇશું કે તમે આવી રીતે નહીં લૂંટી શકો. એટલે હવે આપણે એવા કાર્યકર્તા શોધવા છે કે જેને ખેતીમાં રસ હોય.૨

ગામડાંના લોકોની સ્થિતિ સુધારવા માટે ખેતી, ગોપાલન અને બીજા ઉદ્યોગો ગામડાંમાં કેવી રીતે બેઠા થાય તેનો વિચાર કરું છું. બે ચાર ગામોમાં પણ સફળ થાઉં તો તો મારી સમસ્યાનો ઉકેલ મળી જશે. ‘યથા પિંડે તથા બ્રહ્માંડે.’૩

જેને અહિંસાનું પાલન કરવું છે, સત્યની આરાધના કરવી છે, બ્રહ્મચર્યને સ્વાભાવિક બનાવવું છે તેને તો જાતમહેનત રામબાણરૂપ થઇ પડે છે. આ મહેનત ખરું જોતાં તો ખેતી જ છે. પણ સહુ તે નથી કરી શકતા તેવી અત્યારે તો સ્થિતિ છે જ. એટલે ખેતીના આદર્શને ધ્યાનમાં રાખીને ખેતીની અવેજીમાં માણસ ભલે બીજી મજૂરી કરે - એટલે કે કાંતવાની, વણવાની, સુથારની, લુહારની ઇત્યાદિ ઇત્યાદિ.૪

ઘણાં વરસો પર મેં એક કવિતા વાંચી હતી, જેમાં ખેડૂતને જગતના તાત તરીકે વર્ણવવામાં આવ્યો છે. ઇશ્વરજો આપનાર છે, તો ખેડૂત તેના હાથ છે. તેનું ઋણ ચૂકવવા માટે આપણે શું કરીશું ? આજ સુધી આપણે એની મજૂરીના પરસેવા પર જીવ્યા. આપણે ખેતીથી આરંભ કરવો જોઇતો હતો, પણ તે ન કરી શક્યા. એ માટે, કંઇકે અંશે હું દોષિત છું.

કેટલાક લોકો કહે છે કે, રાજકીય સત્તા હાથમાં આવ્યા વિના ખેતીમાં મૂળભૂત સુધારો કરવો શક્ય નથી. વરાળ અને વીજળીનો મોટા પાયા પર ઉપયોગ કરીને મોટા ઉદ્યોગોના સ્વરૂપની ખેતીનાં સ્વપ્નાં આ લોકો સેવે છે. એકદમ લાભ લૂંટવાને લોભે જમીનની રસાળતાને વેચવામાં આવશે, તો છેવટે ભારે આપત્તિ આવી પડશે અને એ નીતિ ટૂંકી દૃષ્ટિની પુરવાર થશે. એને પરિણામ જમીનનો રસકસ ખૂટી જશે. ખોરાક પકવવા માટે જમીનમાં પરસેવાનું ખાતર પૂરવાની જરૂર રહે છે.

આ દૃષ્ટિની લોકો કદાચ ટીકા કરશે અને કહેશે કે, એ પ્રગતિવિરોધી છે અને એથી કામ બહુ મંદ ગતિથી થશે. એમાંથી કંઇક આંજી નાખે એવું પરિણામ આવવાની આશા નથી. આમ છતાંયે, એમાં ભૂમિની તેમ જ તેના પર વસતા લોકોની સમૃદ્ધિની ચાવી રહેલી છે. આરોગ્યદાયી તથા પોષક ખોરાક, એ ગામડાંની અર્થવ્યવસ્થાનો પાયો છે ખેડૂતની આવકનો મોટો ભાગ પોતાના અને પોતાના કુટુંબના ઉદરનિર્વાહમાં વપરાય છે. બીજી વસ્તુઓ એ પછી આવે છે. ખેડૂતને ધરાઇને ખાવા મળવું જોઇએ, તેેને પૂરતા પ્રમાણમાં તાજું સ્વચ્છ દૂધ, ઘી તથા તેલ મળવાં જોઇએ અને તે માંસાહારી હોય, તો મચ્છી, ઇંડાં, અને માંસ મળવું જોઇએ. દાખલા તરીકે, પેટ ભરિને અને પૂરેપૂરો પોષક ખોરાક ન મળતો હોય, તો સારાં સારાં કપડાં તેને શા ખપનાં ? પીવાના પાણીની જોગવાઇ અને બીજી વસ્તુઓ એ પછી આવે. આ પ્રશ્નોનો વિચાર કરતાં સ્વાભાવિક રીતે જ એ મુદ્દો ઊભો થશે કે, ટ્રેકટરથી જમીન ખેડવાને તેમ જ ખેતીને માટે મશીનથી પાણી પૂરું પાડવાને મુકાબલે ખેતીના બળદનું ને હળનું સ્થાન માટે મશીનથી પાણી પૂરું પાડવાને મુકાબલે ખેતીના બળદનું ને હળનું સ્થાન શું છે ? અને એ રીતે એક એક વસ્તુનો વિચાર કરતાં કરતાં ગામડાંની અર્થવ્યવસ્થાનું આખું ચિત્ર તમારી સમક્ષ ખડું થશે. એ ચિત્રમાં શહેરો તેના સ્વાભાવિક સ્થાને હશે - આજની પેઠે સમાજશરીર પર થયેલા ફોલ્લા કે ગૂમડાં જેવાં અસ્વાભાવિક નહીં લાગે. આજે તો આપણે આપણા હાથનો ઉપયોગ ભૂલી જવાની જોખમકારક સ્થિતિમાં આવી પડ્યા છીએ. જમીન કેમ ખોદવી તથા તેની બરદાસ કેવી રીતે કરવી એ ભૂલી જવું, એ આપણી જાતને ભૂલી જવા બરાબર છે. કેવળ શહેરોની સેવા કરી એટલે પ્રધાનનો હોદ્દો ધરાવ્યાનું કારગત થયું, એમ માનવું, એ સાચું હિંદ તેનાં સાત લાખ ગામડાંઓમાં વસે છે, એ વાતને વીસરવા સમાન છે. આત્મા ખોઇને માણસ આખી પૃથ્વી મેળવે, તો એ સોદામાં તે શું કમાયો ?૫

ભારતના ખેડૂતોની જોડે વાત કરો ને તેઓ બોલવા માંડે તે ક્ષણે તમે જોશો કે એમની જીભમાંથી જ્ઞાન ઝરે છે. બહારનો અણઘડપણાનો દેખાવ છે તેની પાછળ આધ્યાત્મિક વૃત્તિનો ઊંડો ઝરો પડેલો છે. એને હું સંસ્કારિતા કહું છું. એવી વસ્તુ તમને પશ્ચિમમાં નહીં જોવા મળે. યુરોપના કોઇ ખેડૂતની જોડે તમે વાત કરી જુઓ તો તમને દેખાશે કે એને ઇશ્વર કે આત્માની વાતમાં કશો રસ નહીં હોય.૬

હિંદી ગામડિયામાં તો અણઘડપણાના પોપડાની નીચે જુગજૂની સંસ્કારિતા છુપાયેલી પડી છે. એ પોપડો ઉખાડી નાખો, એ ગ્રામવાસીનાં દારિધ્ર ને નિરક્ષરતા દૂર કરો તો શિષ્ટ, સંસ્કારી, સ્વતંત્ર નાગરિક કેવો હોવો જોઇએ એનો સુંદરમાં સુંદર નમૂનો તમને જોવા મળશે.૭

સમય, આરોગ્ય ને ધનનો બચાવ કેમ થઈ શકે એ આપણે એમને શીખવવાનું છે... લાયોનલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તો ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણા ગામડાંની આસપાસ તાજી હવાની કંઇ ખોટ છે ? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી. એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે, છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખોરાકની બાબતમાં હું મિશનરીની પેઠે બોલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે, મારું જીવનકાર્ય છે.૮

આપણી સામે ગામડાને પોતાના જડબામાં જકડી રાખનાર આ ત્રિમૂર્તિ રાક્ષસ છે : (૧) સામુદાયિક સ્વચ્છતાનો અભાવ; (૨) ઓછો ખોરાક; (૩) આળસ ને જડતા... .

પોતાના જ ભલામાં એમને રસ નથી. આધુનિક સ્વચ્છતાના માર્ગોની એમને કદર નથી. કરતા આવ્યા છે એ જાતની મજૂરી ને જમીન ખેડી ખાવા ઉપરાંત શરીર તોડવા તે તૈયાર નથી. અને આ મુશ્કેલીઓ મોટી છે ને સાચી છે. પણ એનાથી આપણે પાછા પડવાનું નથી. આપણા કર્તવ્યમાં આપણે અખૂટ શ્રદ્ધા રાખવાની છે; ધીરજથી લોકો જોડે વર્તવાનું છે. અને આપણે પણ ગ્રામસેવાના કાર્યના નવા બિનઅનુભવી છીએ. ઘર કરી બેઠેલા રોગની દવા આપણે કરવાની છે. આપણી પાસે જો ખંત અને ધૈર્ય હશે તો મોટા વિઘ્નદુર્ગો પણ તૂટી જશે. રોગીને અસાધ્ય રોગ છે. માટે નર્સ શું એને છોડી જશે ? આપણું કામ પણ આવા નર્સ જેવું છે.૯

ગામડાંમાં તો મોટામાં મોટું શિક્ષણ એમાં રહેલું છે કે ગ્રામવાસીઓને આખું વરસ કાં તો ખેતીમાં, કાં તો ગામડાંને લગતા ઉદ્યોગમાં લાભ મળે એવી રીતે આખું વરસ કામ કરવાનું શીખવવું જોઇએ. ને તેમ કરવા તેમને સમજાવવા જોઇએ.૧૦

હું કામ કરીને એટલું કહું છું કે ગ્રામવાસીઓમાં જે અણઘડપણું દેખાય છે તે છતાં, એક વર્ગ તરીકે વિચાર કરતાં, મનુષ્યસ્વભાવનો જે સારો અંશ છે તેની બાબતમાં તેઓ જગતના કોઇ પણ દેશના ગ્રામવાસીઓને મુકાબલે કંઇક ચડે એવા જ છે. હ્યુએનસંગના કાળથી અત્યાર લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંના મોટા લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંના મોટા ભાગના લખાણ આ પુરાવાને ટેકો આપે છે. ભારતવર્ષનાં ગામડાં જે સ્વભાવસિદ્ધ સંસ્કારિતા બતાવે છે, ગરીબોનાં ઘરમાં જે કળાનું દર્શન થાય છે, ગ્રામવાસીઓ જે સંયમથી વર્તે છે, તે બધાનો યશ એમને અનાદિ કાળથી એક ગ્રંથિ વડે બાંધી રાખનાર ધર્મને જ છે.૧૧

ખેડૂત પોતે ભૂમિહીન હોય કે જાતે મજૂરી કરનારો જમીનમાલિક હોય, તેનું સ્થાન સૌથી મોખરે છે. તે ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં. પણ અહિંસક પદ્ધતિમાં મજૂર જમીનદારને બળજબરીથી કાઢી મૂકી નહીં શકે. પણ તેણે એવી રીતે કામ કરવું જોઇએ કે જેથી જમીનદાર તેનું શોષણ કરી જ ન શકે. ખેડૂતો વચ્ચે ગાઢ સહકાર હોવો જરૂરી છે. એ ઉદ્દેશ પાર પાડવા માટે ખેડૂતોનું સંગઠન કરનારાં ખાસ મંડળો કે સમિતિઓ ન હોય ત્યાં રચવી જોઇએ અને હોય ત્યાં તેમાં સુધારો કરવાની જરૂર હોય તો કરવો જોઇએ. ખેડૂતો મોટે ભાગે નિરક્ષર છે. પ્રૌઢ તથા શાળામાં જવાની ઉંમરનાં બાળકોને કેળવણી આપવી જોઇએ - આમાં સ્ત્રીપુરુષ બન્ને આવી જાય. ભૂમિહીન ખેતમજૂરોના મજૂરીના દર એટલા વધારવા જોઇએ કે જેથી તેઓ સારી રીતે જીવન ગાળી શકે એટલે કે તેમને યુક્તાહાર મળે અને તંદુરસ્તીની દૃષ્ટિએ સંતોષકારક ઘર અને વસ્ત્ર મળી રહે.૧૨

મારું ચાલે તો આપણો વડો હાકેમ ગવર્નર જનરલ પણ ખેડૂત હોય, આપણો વડો પ્રધાન ખેડૂત હોય, બધા જ ખેડૂત હોય આનું કારણ એ કે અહીંનો, આ મુલકનો રાજા ખેડૂત છે. મને બચપણમાં એક કવિતા ભણાવવામાં આવી હતી કે “હે ખેડૂત તું બાદશાહ છે.” ખેડૂત જમીનમાંથી પેદા ન કરે તો આપણે ખાઇશું શું ? હિંદુસ્તાનનો સાચો રાજા ખેડૂત છે. પણ આજે આપણે તેને ગુલામ બનાવીને બેઠા છીએ. આજે ખેડૂત શું કરે? બી. એ. બને ? એવું થાય એટલે તે ખેડૂત મટ્યો. પછી તે કોદાળી નહીં ઊંચકે. જે આદમી પોતાની જમીનમાંથી પેદા કરીને ખાતો હોય તે જનરલ બને, પ્રધાન બને, તો હિંદની સૂરત પલટાઇ જાય. આજે જે સડો છે તે બધો નાબૂદ થાય.૧૩