Gandhivichar Manjusha - 11 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 11

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૧. કોમી એકતાઃ સ્વરાજ ઇમારતની દીવાલ

ગાંધીજીએ ૧૯૪૦માં રચનાત્મક કાર્યક્રમ આપ્યો. એ વેળાએ તેમણે કહેલું કે ‘અત્યારે મારી પાસે દેશને આપવાને સારૂ આનાથી વિશેષ કોઇ કાર્યક્રમ નથી.’ રચનાત્મક કાર્યક્રમ તરીકે રજૂ કરેલાં કાર્યોમાં ચારને સ્વરાજ ઇમારતની દીવાલો તરીકે ઓળખવામાં આવે છે. આ ચાર દીવાલો એટલે કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, અને ખાદી. આ ચાર પૈકી કોમી એકતા વિશે અહીં કેટલુંક ટાંચણ આપવાનો પ્રયાસ કર્યો છે.

ભારતમાં કોમ ધર્મ સાથે જોડાયેલી છે. ધર્મ કોમ રચનાનો માપદંડ ગણાયો છે. ભારતમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ વગેરે ધર્મો આધારિત કોમો વસવાટ કરે છે. ઐતિહાસિક રીતે તપાસતા ભારતમાં આવી કોમી સમાજ વ્યવસ્થા બહુ પ્રાચીન છે. દરેક સમુદાય પોતાના શ્રદ્ધેયને ઉપાસતો હોય છે અને આમ તેમનામાં એકતાનો તંતુ સહજ પણે બંધાઇ જાય છે. આમાં કશું ખોટું નથી, આમ થાય તે સ્વાભાવિક ગણાય. પરંતુ આમ એકતા થવી જ્યારે જડતા કે કટ્ટરતામાં પરિણમે ત્યારે મુશ્કેલી સર્જાય છે. ‘મારી કોમ અને તેથી મારો ધર્મ જ શ્રેષ્ઠ’ એવો ખ્યાલ ભૂલ ભરેલો ગણાય. ‘મારો ધર્મ શ્રેષ્ઠ’ તેમ માનવામાં કશો વાંધો નથી, પણ ‘મારો ધર્મ જ શ્રેષ્ઠ’તે માન્યતા ખોટી ગણાય. દરેક ધર્મ શ્રેષ્ઠતાઓ ધરાવે છે. તેમાં રહેલાં સુલક્ષણોને સ્વીકારવા પડે તેમાં ચાલે તેમ નથી. કોઇ ધર્મ અસ્તિત્વમાં આવે છે તેની પાછળ તેમાં રહેલી સારપ જ કારણભૂત હોય છે. આવી સારપ દરેક ધર્મમાં હોવાની. તે ધર્મને અનુસરી જીવન જીવતા લોકોએ આ વાત સ્વીકારી લેવી જોઇએ.

દસમી-અગિયારમી સદીમાં ભારતમાં થયેલાં મુસ્લિમ આક્રમણોએ ઘણું શીખવ્યું છે. ભારતની પ્રજા તો પહેલેથી જ સમન્વયની આગ્રહી રહી છે. આપણી પ્રજાએ ગુણાનુગ્રહણનો માર્ગ પહેલેથી જ અનુસર્યો છે. તેથી આપણે ત્યાં હિંદુ શાસકોની છત્રછાયામાં મુસલમાનો અને મુસલમાન શાસકોની છત્રછાયામાં હિંદુઓએ એખલાસ દાખવી જીવન જીવી દેખાડયું છે. મુસ્લિમ આક્રમણોએ હિંસાના જોરે ધર્મધજા ફરકાવવા કરેલા પ્રયત્નોને પણ ભારતે પચાવી લઇ શાંત કરી દીધા છે. ઇતિહાસ તેની ગવાહી આપે છે કે ભારતમાં વિધર્મીઓને પણ શાસક તરીકે સ્વીકારવામાં પ્રજાએ ભારે ઉદારતા દાખવી છે. ઇસ્લામના ફેલાવાના આશયથી આચરવામાં આવેલી હિંસાને ઉદાર બનીને હિંદુઓએ વેઠી લીધી અને છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે.

ભારતની પ્રજા પહેલેથી જ સમન્વયકારી અભિગમથી ચાલી છે પરંતુ અંગ્રેજી શાસને ગુનાહિત અભિગમ લઇ તેમના મનમાં કોમી એકતા વિરૂદ્ધ ઝેર ભર્યું. ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિએ તેઓ ચાલ્યા. તેમાં કોઇ શંકા નથી કે અંગ્રેજી શાસને જ કોમી એકતા વિરૂદ્ધ લોકોને ભડકાવવાનું ષડયંત્ર કર્યું છે. કોમી એકતા સમાજની સ્વસ્થતાનો આધાર છે. આ વાત ભારતની પ્રજાએ સમજી લીધી હતી અને સમાજ બરાબર ગોઠવાતો ચાલ્યો હતો. પરંતુ અંગ્રેજોએ આગમાં ઘી હોમી તેને પ્રજ્જવલિત કરી અને ભડકો કર્યો હતો.

‘હિંદ સ્વરાજ’માં છેક ૧૯૦૯માં ગાંધીજીએ કોમી એકતા વિશે લખ્યું હતું. તેમાં દસમું પ્રકરણ કોમી એકતા વિશેના તેમના વિચારો રજૂ કરે છે. વાચક દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અધિપતિ જે છણાવટ કરે છે તેમાં કોમી એકતાની ઐતિહાસિકતા, કોમી એકતાનું મહત્ત્વ, તેને અમલમાં લાવવાના ઉપાયો એ બાબતે ગાંધીજીએ પોતાના સ્પષ્ટ વિચારો આપ્યા છે. ‘હિંદ સ્વરાજ’તેમણે ચાલીસ વર્ષની ઉંમરે લખેલું પુસ્તક છે. તે ઉંમરે પણ ગાંધીજીમાં રહેલું દર્શન(દૃૈર્જૈહ) કેટલું સ્પષ્ટ છે! તેમણે સ્વરાજ ધરાવતા હિંદુસ્તાનનો ચિતાર આ પુસ્તકમાં બાખૂબી રજૂ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે સ્વતંત્ર ભારતની બાબતમાં જે પાસાંઓ પર પ્રકાશ પાડયો છે તેમાં હિંદુ-મુસલમાન એકતાના મુદ્દે ખૂબ અસંદિગ્ધ રીતે લખાયું છે.

ગાંધીજીએ એમના જીવનકાળ દરમિયાન અનેક વખત કોમી એકતા માટે ઝઝુમવું પડયું છે. તેમણે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે પણ આ અંગે કાર્ય કર્યું છે. તેમના નાનપણથી -કિશોરાવસ્થાથી જ તેમના વ્યક્તિત્વ સાથે કોમી એકતા વણાઇ હતી. તેમના અનેક મિત્રો -જેમને તેમણે ભાઇઓની જેમ ગણ્‌યા હતા- મુસ્લિમ હતા. મૌલાના કે શૌકત અલીના નામ તરત જ જીભે ચડે તેવાં છે.

વિરોધાભાસ ગણીએ કે અકસ્માત પણ ૧૯૪૦માં ગાંધીજી રચનાત્મક કાર્યક્રમ આપે છે તેમાં પ્રથમ સ્થાને કોમી એકતાને મૂકે છે અને તે જ વર્ષે મુસ્લિમ લીગ દ્વારા ભારતના ભાગલાનો ઠરાવ થાય છે. ગાંધીજીએ કાયમ માટે કોમી એકતાને અગ્રસ્થાને રાખી હતી. તેમણે ૧૯૨૧માં મુંબઇ ખાતે ત્રણ દિવસના ઉપવાસ કરી કોમી એકતા માટે પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી ૧૯૨૪માં દિલ્હીમાં કરેલા ૨૧ દિવસોના પ્રલંબ ઉપવાસો પણ નોંધનીય છે. વળી, આ ઉપવાસો તો તેમણે કોમી તોફાનોની સામે તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ મહમ્મદ અલીના નિવાસ સ્થાને કર્યા હતા. અમદાવાદમાં ૧૯૪૧માં કોમી હુલ્લડો થયાં તેની સામે તેમણે ઉપવાસો કર્યા. આઝાદી ટાણે ભડકેલી કોમી આગને ઠારવા નોઆખલીમાં એકલે હાથે મોરચો સંભાળવા નીકળી પડયા. આ કોમી દાવનળ ભારતના માથે કાળી ટીલી સમાન હતો. છેવટે તેમણે પાંચ દિવસના ઉપવાસો ૧૯૪૮માં કર્યા, જેના પછી તેમની હત્યા થઇ. આ અર્થમાં ગાંધીજીએ તેમના સમગ્ર જીવન દરમિયાન કોમી એકતા માટે કાર્ય કર્યું અને છેવટે તેમના જીવનનું બલિદાન આપ્યું.

ગાંધીજીના જીવન કાર્યની ફલશ્રુતિરૂપે આપણને સૌથી અગત્યની બે બાબતો મળી છેઃ અગિયાર વ્રતો અને રચનાત્મક કાર્યક્રમ. ગાંધીજીએ અગિયાર વ્રતોમાં ‘સર્વધર્‌મ સરખાં ગણવા’એ વ્રતનો સમાવેશ કરી કોમી એકતાને વ્રતનો દરજ્જો આપ્યો છે. વળી, તે અગિયાર મહાવ્રતો વિશે તેમણે એ પણ કહ્યું છે કે ‘નમ્રપણે દૃઢ આચરવા’. એટલે કે કોમી એકતાનું આચરણ નમ્રપણે અને દૃઢતાથી કરવાનું છે. વ્યક્તિગત સ્તરે આ વ્રતોનું પાલન કરતો સમાજ બને તેમાં તેમને કોઇ શંકા જણાઇ ન હતી. વૈશ્ણવજનનાં લક્ષણોની યાદી રજૂ કરતાં ભક્ત કવિ નરસિંહ મહેતાના ભજનને તેમણે પોતાનું પ્રિય ભજન ગણાવી તેને પ્રાર્થનાનું સાધન ગણ્‌યું હતું. ગાંધીજીએ પૂરા ભક્તિભાવથી કોમી એકતાનો આગ્રહ સેવ્યો હતો અને સૌ કાર્યકર્‌તાઓ પાસે આ માટે અપેક્ષા રાખી હતી.

સ્થાનિક પરિસ્થિતિના સંદર્ભમાં કોમી એકતાની માવજત વિશે વિચારીએ તો બહુ દુઃખ થાય તેવી બાબતો સામે આવે છે. અમદાવાદમાં ૧૯૮૫માં અનામત આંદોલન સમયે ફાટી નીકળેલી કોમી હિંસાએ અનેક લોકોને બેઘર બનાવ્યા હતા. તેમાં વૈમનસ્ય ચરમ સીમાએ પહોંચ્યું હતું. હજુ તેમાંથી કળ વળે ત્યાં તો ૨૦૦૨માં ગોધરાકાંડ થયો અને સમગ્ર ગુજરાત કોમી દાવાનળમાં સપડાયું. આ વેળાએ થયેલી હિંસા તો ભયાનક હતી. તેના પડઘા આજે પણ ગાજે છે. અમદાવાદ જ નહીં, ગુજરાતનાં છેવાડાનાં ગામો સુધી હિંસાએ કોમી સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં અનેક નિર્દોષ લોકોએ જાનમાલની નુકસાની વેઠવી પડી હતી. હજુ તેની કળ વળી નથી. વર્તમાનપત્રોમાં આજ સુધી તે વિશે સતત ઘરઘરાટી થયા કરે છે.

આ તો મોટી ઘટનાઓ હતી, પરંતુ નાના સ્તરે તો દેશના અનેક પ્રાંતોમાં આવી ઘટનાઓ થયા જ કરે છે. દેશની પ્રજાનું મન કોમી એકતા બાબતે આળું છે તે આ વાતને પ્રગટાવે છે. ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમમાં કોમી એકતાને આટલા મહત્ત્વની ગણી હોવા વિશેની તેમની તાર્કિકતા આ પરથી સમજી શકાય તેમ છે. આજે પણ કોમી એકતાનો કાર્યક્રમ એટલા જ મહત્ત્વનો છે. સરદાર પટેલે તેથી જ સ્વરાજ ઇમારતની દીવાલોમાં તેનો સમાવેશ કર્યો હતો. આ કાર્યક્રમની આજે પણ એટલી જ પ્રસ્તુતતા છે.