Gandhivichar Manjusha - 12 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 12

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૨. વાલીપણાનો સિદ્ધાંત

ગાંધીજીના વિચારોમાં પીઠિકા તરીકે અધ્યાત્મ છે. તેમના પ્રત્યેક વિચારને તપાસતા આ વાત સિદ્ધ થાય છે. વાલીપણાનો યાને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ આ પ્રકારનો જ ગાંધી-વિચાર છે. ગાંધીજીની મૌલિકતા ઝબકાવતા આ આર્થિક સમાનતાના નવતર સિદ્ધાંતનો મહિમા જોઇએ તેટલો થયો નથી. આમ છતાં, વાલીપણાના આ વિચારનો પ્રભાવ ઘણો છે. ગાંધીના જીવન-કાળમાં તેની પક્ક્ડ ઘણી ઊભી થઇ હતી તેવું લાગે છે. તેમની ગેરહાજરીમાં આ વિચાર નબળો પડયો હોય તેમ લાગે પરંતુ તેની સમાજ પર ચોક્ક્સ અસર જોવા મળે છે.

વાલીપણાનો સિદ્ધાંત

સાબરમતી નદીના કિનારે બેઠેલા ગાંધીએ લોટી ભરી પોતાના ખપ પૂરતા પાણીને અલગ તારવ્યું તે જોઇ નદીમાં વહેતા પાણીની બહુલતા છતાં આવું કરવા વિશે તેમને પૂછવામાં આવ્યું. ગાંધીજીએ ઉત્તર આપ્યો કે નદીમાં વહેતું પાણી પૂરા સમાજ માટે છે તેમની જરૂરિયાત તો એક લોટીની જ છે. આ પ્રસંગને વાલીપણાના સિદ્ધાંત સાથે જોડવાથી સમજવામાં સરળતા રહેશે. સમાજમાં પ્રત્યેક વ્યકિત આજીવિકા માટે પ્રયત્નશીલ હોય છે. તેમાંથી કેટલાક મજૂરી કરે છે અને શ્રમની તુલનાએ ઓછું વળતર મેળવે છે જ્યારે કેટલાક માલિકની ભૂમિકામાં હોય છે અને અઢળક કમાય છે. ગાંધીજી આ આર્થિક અસમાનતાનો ઉકેલ તેમના વાલીપણાના સિદ્ધાંતથી આપે છે.

ગાંધીજીના દ્રષ્ટિકોણ મુજબ કેટલાક લોકો પોતાની જરૂર કરતાં વધારે કમાણી કરે છે. પરંતુ તે તેમની કમાણીના માલિક નથી. માલિક તો છે સમાજ. તેમણે જે કમાણી કરી તેમાંથી તેમની જરૂરિયાત પૂરતો જ તેમનો અધિકાર છે. તેથી આ સમગ્ર કમાણી પોતાની માલિકીમાં ન ગણતા તેમાંથી ખપ પૂરતું જ પોતાના માટે ઉપયોગમાં લઇ અન્ય ભાગને સમાજના હિતમાં વાપરવામાં પોતાને તે કમાઇના સંદર્ભમાં વાલી ગણી વાલીપણું કરવું જોઇએ આવી ગાંધીજીની સમજ હતી. તેમના આ ખ્યાલને વાલીપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે.

વાલીપણાના સિદ્ધાંતનો આધાર

વાલીપણાનો સિદ્ધાંત કાયદાકીય રીતે અમલમાં મૂકવામાં રાજ્ય દબાણ કરે તેવી ગાંધીજીની સમજ ન હતી. તેમણે તો તેવું જ્યાં થયું છે તેવા સામ્યવાદી સમાજોમાં પણ આર્થિક સમાનતા લાવી શકાઇ નથી તે હકીકત નોંધી છે. તેમણે માનવીય દૃષ્ટિકોણથી આ સિદ્ધાંતનો અમલ કરવાની વાત કરી છે. તેમના આ સિદ્ધાંતમાં તેમણે અધ્યાત્મને જોડયું છે. ઉપનિષદના અભ્યાસે તેમને આ માટેની પ્રેરણા આપી છે. ઈશોપનિષદના ત્યાગીને ભોગવી જાણો એ સંદેશનો આધાર વાલીપણાના સિદ્ધાંતનો આધાર છે. સમાજે જે આપ્યું તેના માલિક બનવાને બદલે વાલી બનવામાં મેળવેલાનો ત્યાગ કરી સમાજ માટે ઉપયોગ કરવાની માનવીય વાત તેમાં રહેલી છે. તેઓ માનતા કે આમ થવાથી પ્રેમનું વાતાવરણ સર્જાશે અને વાલી બનેલાઓ પોતાના આત્મસંતોષથી પોતાની સંપત્તિ ત્યાગીને ભોગવી શકશે. આનો પૂર્ણ અમલ દેખીતી રીતે શક્ય જણાતો નથી. પરંતુ, તેઓ કહેતા કે જો આ શક્ય બને તો સમાજમાં પ્રેમનું વાતાવરણ બને.

વાલીપણાથી અહિંસક સમાજની રચના

ગાંધીજીની વાલીપણાના સિદ્ધાંતની વિચારણા પાછળ અહિંસક સમાજની રચના કરવાની નેમ હતી. આર્થિક અસમાનતા હિંસાને જન્મ આપે છે તેમ તેઓ માનતા. આર્થિક અસમાનતા પાછળ મૂડીવાદી વિચારધારા જવાબદાર છે. તેમનું દૃઢ માનવું હતું કે જો આ કાર્ય માટે રાજ્ય સક્રિય બને અને મૂડીવાદને ડામવામાં ભૂમિકા ભજવે તો તેનાથી હિંસાનો જ પ્રભાવ વધે. પરંતુ જો સમાજમાંથી જ આની સ્વૈચ્છિક પહેલ થાય તો આર્થિક સમાનતા ધરાવતા સમાજની રચના થઇ શકે. તેમણે કહ્યું છે કે, “રાજ્ય એક આત્મહીન યંત્ર છે, જ્યારે વ્યક્તિને આત્મા છે”. હિંસા છોડવી તે યંત્રનું નહીં- આત્મહીન યંત્રનું નહીં બલ્કે આત્મા ધરાવતા વ્યકિતનું કાર્ય છે. આથી તેઓ રાજ્યની ભૂમિકાને પસંદ કરતા ન હતા. તેમણે જો કે એ વાત કરી હતી કે વ્યકિત સમજપૂર્વક આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે પણ તેમ ન થઇ શકે તો ઓછામાં ઓછી હિંસા થાય તેમ રાજ્યનો હસ્તક્ષેપ સહી લઇ લોકોની વધારાની સંપત્તિ પડાવી લેવી જોઇએ. પણ તેઓ આ બાબતને અંગત રીતે પસંદ કરતાં ન હતા. તેઓ કહેતા કે રાજ્યના હાથમાં સત્તા આવે તે કરતાં વાલીપણાની ભાવનાનો વિકાસ થાય તે તેમને ગમે. કારણકે રાજ્યની હિંસા કરતાં ખાનગી માલિકીની હિંસા ઓછી નુકસાનકારક છે. છતાં રાજ્યની માલિકી અનિવાર્ય જ બને તો તે બને તેટલી ઓછી રાખવાના પક્ષમાં તેઓ હતાં. "સમાજનું સંગઠન અહિંસાની પદ્ધતિથી ન થઇ શકે એમ કહેવાની આજકાલ ફેશન થઇ પડી છે. હું તેમાં સંમત થતો નથી.” આવું કહેનારા ગાંધીજીની શ્રદ્ધા લોકોના સંદર્ભમાં અખૂટ હતી. તેમનો હકારાત્મક અભિગમ-ર્ઁજૈૈંદૃી ટ્ઠર્િટ્ઠષ્ઠર પ્રેરણાદાયી હતો. તેમની આ વાત તેમના શબ્દોમાં આ રીતે કહેવાઇ હતી. “અહિંસા એ કેવળ વ્યકિગત સદ્‌ગુણ છે એવું હું માનતો નથી. એ સામાજિક સદ્‌ગુણ પણ છે. ને બીજા સદ્‌ગુણોની માફક એને પણ પ્રયત્નપૂર્વક કેળવવો પડે છે. બેશક સમાજના માંહોમાંહેના વ્યવહારમાં મોટે ભાગે અહિંસાથી જ કામ ચાલે છે. એ અહિંસાનો વિસ્તાર કરીને તેનો વિશાળ, એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પ્રયોગ કરી જોઇએ એટલી જ મારી માગણી છે.”

તેઓ કહે છે કે “વાલીપણાનો સિદ્ધાંત કામચલાઉ ઉકેલ નથી. ધોખાની ટટ્ટીતો નથી જ નથી. મારો તો વિશ્વાસ છે કે બીજા બધા ઉકેલોથી એ વધુ ચિરંજીવ નીવડશે. એની પાછળ તત્ત્વજ્ઞાન અને ધર્મની પ્રતિષ્ઠા રહેલી છે. ધનિકોએ એ સિદ્ધાંતને અપનાવ્યો નથી કે એનો અમલ નથી કર્યો એ બીના એની વ્યર્થતા સિદ્ધ નથી કરતી. એ તો ધનિકોની નબળાઇ માત્ર સિદ્ધ કરે છે. બીજા એકે સિદ્ધાંતનો અહિંસા જોડે મેળ બેસે એમ નથી. અહિંસાની રીતમાં બૂરાઇ કરનાર જો કરેલી બૂરાઇનું ક્ષાલન કરતો નથી તો પોતાને જ હાથે પોતાનો અંત સાધે છે. કારણ કે કાંતો અહિંસક અસહકારને પરિણામે એની ભૂલ જોવાની ફરજ પડે છે, નહીં તો એના તમામ સંબંધો છૂટી જઇને એ સાવ એકલો અટૂલો થઇ પડે છે ”.

વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજીની અર્થ વિચારણામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને તેમના તત્ત્વજ્ઞાનને વ્યવહારમાં લાવવાનો- અહિંસક સમાજની રચના કરવાનો માર્ગ ખોલે છે. સર્વોદય સાધનારી સમાજરચના સ્થાપવી હોય તો તેને માટે આ જ નિશ્ચિત રીત છે.