Safed Kaajal - 7 books and stories free download online pdf in Gujarati

સફેદ કાજળ - 7

સફેદ કાજળ

(પ્રકરણ – ૭)

સંજય રાજકારણીઓનો એક મોટો હાથો હતો. કરોડોની લેનદેન કરનાર એક મુત્સદી વ્યક્તિ હતો. શિક્ષણ ઓછુ હતું પણ કાવાદાવા અને શબ્દોની રમત રમનાર લુચ્ચો માણસ હતો. એની ઈચ્છા આશ્રમનો વ્યવહાર છીનવી લેવાની હતી પરંતું આજ સુધી એ પૂરી થઇ નહોતી અને એનાં માટે જ એ વલખાં મારી રહ્યો હતો. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. દિશાંક ને ઉડાવી દેવાની ભૂલ કરી બેઠો.

કાલીસિંગ પૈસા માટે સંજય ડોરાને પરેશાન કરી રહ્યો હતો. સંજયને પોતાની ભૂલ ભારે પડી. દિશાંકનું ખુન થયું છે પરંતું લાશ મળી નહી અને દિશાંક જીવંત છે એ કહી શકાય એમ નથી. પૈસાનો વ્યવહાર ઠપ થયો. ઉપરાંત ડબલ પૈસા ચુકવવાની ભૂલ કરી બેઠો હતો. કાલીસિંગ પૈસા માટે જાન પણ લઇ શકે છે એ વિચારથી સંજય ડરી ગયો હતો.

આખરે એક દિવસ હિંમત કરી સંજય ડોરા આશ્રમમાં ગયો. સ્વામીજીના પગે લાગી પોતાની ઓળખ આપતાં બહુજ નમ્રતાથી વાત કરતાં એને પૂછ્યું કે દિશાંક શેઠ થોડાંક દિવસોથી દેખાયાં નથી અને કોન્ટેક્ટમાં નથી આવતાં. શું આપ કહી શકશો કે એ ક્યાં હશે ?

હસતાં હસતાં દેવહર્ષએ જવાબ આપ્યો - “ખબર તો આપને જ હોવી જોઈએ. આપ જ છેલ્લાં એને મળ્યાં હતાં તે દિવસે.”

સંજય ગુચવાયો – “ હા, પણ પછી મળ્યાં નહી એટલે જાણવું હતું કે શું ફોરેન તો નથી ઉપાડી ગયાને ?”

દેવહર્ષ – “ શું વાત કરો છો ? એવી કોઈ વાત એમણે કરી નહોતી.”

દેવહર્ષ – “તે દિવસે રાત્રે અમે વાતો કરી રહ્યાં હતાં ત્યારે બે વ્યક્તિઓ આવી હતી અને શેઠને કાનમાં વાત કરી એમની સાથે લઇ ગયાં હતાં.”

સંજયના ચહેરાં ઉપર ઘબરાટ જોઈ શકાય એમ હતો. આમતેમ વાત કરી એ તરત નીકળી ગયો. પોતાની વાતનું પ્રૂફ મળી ગયુ હતું. દિશાંકને લઇ જનાર કાલીસિંગના જ માણસો હશે અને એ લોકોએ જ એને શુટ કરી લાશનો નિકાલ કરી નાંખ્યો હશે એટલે હજુ સુધી વાત જાહેર થઇ નથી. પોતાનો જીવ બચાવવા ખાતર બંગલે જઈ કાલીને પૈસા લઇ જવા કહયું.

બીજાં દિવસે બંગલાના કમ્પાઉન્ડમાં ઘણાં લોકો ભેગાં થયેલ હતાં. પોલીસ, એમ્બ્યુલન્સ, મીડિયા અને બીજાં ઉપલા વર્ગ અને સમાજના લોકો.

સંજય ડોરા આ દુનિયામાં નહોતાં. છાનબીન દરમિયાન ખબર પડી કે ઘરની તિજોરી ખુલ્લી હતી. એકદમ ખાલી. લુંટફાટની શંકાના આધારે પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. બંગલાના સીસીટીવી કેમેરા ફૂટેજમાં રાત્રે બંગલામાં દાખલ થનાર વ્યક્તિઓમાં એક સુંદર સ્ત્રી હતી.

***

દેવહર્ષ અને સ્વામીજી કલાકો સુધી સાધનાઓ અને સિદ્ધિઓ ઉપર વાતો કરતાં. દેવહર્ષ ઘણાં વર્ષો સુધી હિમાલયમાં હતો અને એનાં ગુરુજી દ્વારા અનેક સિદ્ધિઓ પામી શક્યો હતો. હિમાલયમાં સાધુ સંતોનો બહુ મોટો કાફલો છે. કુંભ મેળો અથવા ધાર્મિક પ્રસંગોએ એ લોકો સામાન્ય જનતાની વચ્ચે આવે છે. સમાજના, રાષ્ટ્રના તાગ મેળવે છે અને પરત ફરી પોતાની સાધનાઓ અને તપસ્યામાં તલ્લીન થઇ જાય છે. જગત કલ્યાણ જ એમની ભાવના હોય છે. સ્વામીજીની પણ એજ ઈચ્છા હતી કે આશ્રમના પરિસરના દરેક ગામો અને લોકો સુખી રહે. એમનું કલ્યાણ થાય. ભાઈચારો રહે. જાતિવાદ અને કોમવાદના વિચારો લુપ્ત થાય. દેવહર્ષ ની સિદ્ધિઓ પણ સારા કામ માટે જ હતી. એમણે એક પ્લાન કર્યો.

આશ્રમની બાજુમાં ઘણી જગ્યાઓ ખાલી હતી. આશ્રમની પ્રગતિથી ઘણાં લોકો ખુશ હતાં અને એમની સાથે વાતચીત કરતાં ઘણી જગ્યા દાનમાં મળી અને સાથ સહકારની આશા પણ બંધાઈ. ખેડૂત અને શ્રમજીવીઓની સમસ્યાઓ ધ્યાનમાં લઇ કાર્યક્રમના શ્રીગણેશ કર્યા કોઈપણ પ્રચાર કે શોરબકોર વિના કારણ આશ્રમને અને સ્વામીજીને કોઈપણ શ્રેય લેવાની ઈચ્છા નહોતી ફક્ત કામને સફળતાં મળે એ જ સદભાવના હતી.

પ્રથમ તો આશ્રમની જે સ્કુલ હતી તે વધુ સગવડવાળી અને અદ્યતન બનાવી. ઉત્તમ શિક્ષકોની નિમણુંક કરી જેથી આજુબાજુના ગરીબ તથા ધનિકોના દરેક કોમના બાળકો ત્યાં એક સાથે ભણી શકે અને ઉત્તમ શિક્ષણ પામી શકે. સંસ્થાની અને સંસ્થાના સેવાર્થીઓની મહેનત રંગ લાવી અને સ્કૂલમાં બધાં વર્ગો ફૂલ થયાં. સ્કુલમાં લેવાતી તે બંધ કરવામાં આવી. મોફત શિક્ષણ.

વર્ષોથી સ્વામીજીના મનમાં એક વિચાર કોરી ખાઈ રહ્યો હતો કે અનાજના સંગ્રહ માટે ગોડાઉનની સગવડ નહી હોવાતી લાખો ટન અનાજ સડીને ફેકાઇ જતું. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે તો પ્રથમ અનાજ સંગ્રહ કરવા માટે ગોડાઉનોની જરૂર છે નહી કે થોડાંક દિવસની થોડીક મેચો માટે ક્રિકેટ સ્ટેડીયમોની. મહિનાઓ સુધી ખેડૂત મહેનત કરી અનાજ પકવે છે એની મહેનત એળે જાય એ પણ ફક્ત ગોડાઉનોના અભાવે એ ગણતરી પૂર્વકનું નહોતું. બહારની જગ્યાઓમાં નાનાં મોટા અનેક ગોડાઉન બનાવવામાં આવ્યાં. ગામનાં તથા આજુબાજુનાં ગરીબ ખેડૂતો માટે પેદા થયેલ પાકને સાચવવાં માટે સગવડ કરી આપી જેથી તેઓ પોતાનો પાક સંગ્રહિત કરીને વેચી શકે કોઈ પણ ઉતાવળ વગર. ખેડૂતો માટે આ સગવડ પણ મોફત હતી.

પાણીની સમસ્યા આવનાર દિવસોમાં વધવાની જ છે એ લક્ષમાં રાખી દરેક ચાર ચાર ખેતરો વચ્ચે શક્ય હોય તો મોટા મોટા કુવાઓ અથવા બોર બનાવવાં અને તેમાં આજુબાજુનું વહી જતું પાણી એકઠું કરવું (Water Harvesting). દરેક ખેતરોની પાળ ઉપર વૃક્ષો લગાવવા. ગામમાં એક મોટું તળાવ ઉભું કરવું. પાણી વહી ના જાય તે માટે બધાં પ્રયત્નો કરવા અને પાણીનો બગાડ ના થાય તેનું ધ્યાન રાખવું. દરેકને આ વાત ગમી અને પ્રયત્નો પણ ચાલું થયાં.

આશ્રમમાં એક નાનું દવાખાનું હતું તેને મોટું કરવામાં આવ્યું. શક્ય એટલું અદ્યતન બનાવ્યું. થોડાંક સેવાભાવી ડોક્ટરો પણ સેવા માટે તૈયાર થયાં. ગામમાં તથા આજુબાજુમાં સફાઈ અભિયાન શરૂ થયું અને સ્વચ્છતા હોય તો રોગચાળો નહી થાય એ વાત લોકો સમજ્યા. બધો જ વિસ્તાર હવે સ્વચ્છ હતો.

સ્વચ્છ પીવાના પાણીની યંત્રના ગોઠવી અને દરેકને સ્વચ્છ “આર. ઓ” નું પાણી મળતું થયું. આશ્રમના માર્ગદર્શન હેઠળ લોકોની મહેનત રંગ લાવી રહી હતી. આશ્રમ કમીટીના સભ્યો સેવાભાવી અને મહેનતકશ હતાં. કોઈને લાલચ નહોતી.

બહુ ઓછાં વરસોમાં ‘શાંતિ આશ્રમ’ નો આજુબાજુનો વિસ્તાર નવું રૂપ પામ્યો હતો. શિક્ષિત લોકોએ અહીં પોતાની રોજી રોટી ઉભી કરી હતી. બેન્કો, દુકાનો, એમની પોતાની જ હતી. હવે બધાં સાથે મળીને કામ કરતાં. કોઈએ શહેર જવાની ઈચ્છા નહોતી. ગામની સંસ્થાઓ પણ બધી સગવડો માટે મદદ કરતી. ટૂંકમાં મફતમાં સારું શિક્ષણ, સારું આરોગ્ય, અને શાંતિ હતી. બાળકોએ વડીલોને શિક્ષણ આપવાની જવાબદારી લીધી હતી.

સ્વામીજી એમનાં પ્રવચનમાં કહેતાં અને સમજાવતાં હતાં કે મફતમાં કંઇ મળતું નથી અને કદાચ કોઈ એમ માનતું હોય તો એ ખોટું છે. આપણે એ કોઈ બીજાનાં હકનું અને મહેનતનું છીણવીએ છીએ. હરામનું કોઈ દિવસ ટકતું નથી એ દુઃખ આપીને જાય. એમાં બરકત નથી હોતી. દરેક જગ્યાએ નફો અને નુકસાન છે ચાહે એ ધંધો હોય કે ખેતી. નુકસાન માટે કોઈ પ્રયત્ન કરતાં નથી. દરેક નફા માટે જ કરે છે છતાં નુકસાન એક ભાગ છે જે હંમેશ સારું અને ઉત્તમ કરવા પ્રેરે છે. જો બધાં જ કર્જ માફી અને બેકાર ભથ્થું માંગે તો પૈસા આવશે ક્યાંથી ? લાલચ આપનારથી ચેતવું એ મોટી સમજણ છે કારણ તિજોરીને પણ તળિયા હોય છે. લાલચ બુરી બલા છે. મહેનતથી કમાવેલ ટકે છે. ખર્ચી શકાય એટલું કમાવીએ એ પારાશીશી છે. કરોડો કમાવીને જો ખર્ચી નહી શકવાના હોય તો એ પૈસાનો કોઈ અર્થ નથી. સ્વામીજીના શબ્દો લોકોના ગળે ઉતરતાં અને દરેકને હવે અંતરમાં શાંતિ લાગતી કારણ હવે જરૂરિયાતો સંતોષાતી હતી એટલે જ કહેવત પડી છે ને ‘સંતોષી નર સદા સુખી’. હવે લોકો સમજ્યા હતાં કે સંપ કરતાં સમજણની જરૂર છે. જ્યાં સારી સમજણ હશે ત્યાં દુઃખ નહી હશે અને કોઈ સારી સમજણ વાળાને ગેરમાર્ગે દોરી નહી શકે.

***

દિશાંક નો ઘા હવે રૂઝાઈ ગયો હતો પરંતું એ બેભાન એટલે કે કોમામાં હતો. દેવહર્ષ અને સ્વામીજી પ્રયત્નો કરી રહ્યાં હતાં. પૈસાની લેણદેણમાં હવે ગતિ વધી હતી. પૈસા બધાં દિશાંક ના બંગલે જમા હતાં.

આશ્રમ પરિસરમાં બે સુંદર સ્ત્રીઓ નિયમિત આવી રહી હતી એમનું આગમન કંઇક શંકાસ્પદ હતું.

(ક્રમશઃ)