Justice books and stories free download online pdf in Gujarati

ન્યાય

સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતું એક દર્દી. જેની હાલત ખુબ જ ગંભીર. જેને છેલ્લા ત્રણ વર્ષથી દવાખાનામાં સારવાર હેઠળ રાખવામાં આવેલ. તેનું નામ રાધિકા. રાધિકા છેલ્લા નવ વર્ષથી કોમામાં હતી. આજ રોજ આઈ. સી. યુ. માં પથારીવશ રાધિકાની માતા એ તેમના પતિને પૂછ્યું કે - " આજે કોર્ટની મુદ્દત છે, તો આજે તો ન્યાયાધીશ સાહેબ આપણી દીકરીને ન્યાય આપશે ને ?". એક કાળ સમો દિવસ યાદ આવતા રાધિકાના પિતા તે દિવસ ની યાદમાં ખોવાઈ ગયા હતા. એટલે રાધિકાની માતાએ તેમના પતિને થોડા ઝંઝોડીને ફરીથી એજ પ્રશ્ન કર્યો. પરંતુ રાધિકાના પિતા કોઈ ઉત્તર આપે એના પહેલા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.

સુરતમાં રહેતા એક મધ્યમ વર્ગના કુટુંબની બે દીકરીઓ, રાધિકા અને દેવિકા. બંને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી હતી. બંને બહેનોને અભ્યાસની સાથે સાથે ગરીબ વર્ગના સમાજને શિક્ષણ આપવાના કાર્યમાં ખુબ રસ હતો. અઠવાડિયામાં બે દિવસ તે બંને બહેનો સાંજના સમયે ગરીબ વર્ગના લોકોને શિક્ષણ કાર્ય કરાવતી હતી. તેણીના આ કાર્ય થી તેઓ ખુબ પ્રતિષ્ઠિત થઈ ચૂકી હતી. જે સમાજ ને તેઓ શિક્ષણ કાર્ય કરાવતી હતી તે સમાજ દ્વારા ૫ સપ્ટેમ્બર ( ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મ દિવસ નિમિત્તે ) ૨૦૧૬ના રોજ બંને બહેનોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો.

બંને બહેનોની ખુબ જ ઈચ્છા હતી કે તેમના માતા પિતા તેમના સન્માન સમારંભમાં હાજરી આપે અને બંને દીકરીઓને એવોર્ડ મેળવતાં જોવે. પરંતુ તેમની માતાની તબિયત સારી ન હોવાથી તેઓ (માતા પિતા) સન્માન સમારંભમાં હાજરી આપી શકે તેમ ન હતા.

આખરે ૫ સપ્ટેમ્બરે સાંજનો સમય આવી પહોંચ્યો. બંને બહેનોની સન્માન ની વિધિ આરંભ કરી દેવામાં આવી. બંને બહેનો ખુબ જ ખુશ જણાતી હતી. પણ અંદરથી થોડું દુઃખ પણ હતું કે તેમના માતા પિતા હાજર હોત અને તેમને જોતા હોત તો તેમને પણ આનંદ થાત. પરંતુ બંને બહેનોએ એવું વિચારી ને મન વાળી લીધું કે ઘરે જઈને એવોર્ડ માતા પિતાના હાથમાં આપીને ખુશી વ્યક્ત કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ મોડેથી આવવાને કારણે સમય ખુબ થઈ ગયો હતો. મોડી રાતના એક વાગ્યાનો સમય થઈ ગયો હતો. અને વરસાદ પણ ધીમો ધીમો પડી રહ્યો હતો. બંને બહેનો રીક્ષાની રાહ જોઈ રહી હતી. પરંતુ દૂર દૂર સુધી કોઈજ વાહન નઝરે ચઢતું ન હતું.

અચાનક એક લાલ રંગની બી એમ ડબલ્યુ કાર તેમની નજીક આવીને ઉભી રહી. તેમાં રાજનેતાઓના બગડેલા દીકરાઓ હતા. જેઓ દારૂ પીને રખડવા નીકળી પડ્યા હતા. તેઓએ કારનો દરવાજો ખોલી બંને બહેનોને કારમાં બેસાડવાના પ્રયત્નો કર્યા. દેવિકા તેઓના હાથમાંથી છૂટવામાં સફળ થઈ. પરંતુ રાધિકાને તેઓ કારમાં બેસાડીને લઈ જવામાં સફળ થયા. થોડી જ ક્ષણોમાં કાર અદ્રશ્ય થઈ ગઈ. દેવિકા ખુબ જ ગભરાઈ ગઈ હતી. જેમ તેમ કરી રીક્ષા મેળવી તે ઘરે પહોંચી. ઘરે જઈને તેણીએ તેના માતા પિતાને સમગ્ર ઘટના કહી સંભળાવી. તેણીના માતા પિતાને કંઈ સુજતું ન હતું. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો વિચાર કર્યો, પણ દીકરી અને પોતાની બદનામી થશે એવું વિચારીને ફરિયાદ કરી નહીં. આખી રાત રડી રડીને પસાર કરી.

વહેલી સવારે એક કાર , લાલ રંગની, બી એમ ડબલ્યુ તેમના ઘરની બહાર આવીને ઊભી રહી. તેમાંથી રાધિકાને નીચે ફેંકવામાં આવી. અને તરત જ કાર તીવ્ર ગતિથી અદ્રશ્ય થઈ ગઈ. ત્રણેય સભ્યો રાધિકાને ઉઠાવીને ઘરમાં લઈ આવ્યા. માતાને ગઈ રાતે બનેલી ઘટનાનો સંપૂર્ણ તાગ મળી ચૂક્યો હતો. રાધિકાને એક પથારીમાં સુવડાવવામાં આવી અને એક સાલ પણ ઓઢાડવામાં આવી. ત્યારબાદ ડૉકટર ને બોલાવવામાં આવ્યા. પરંતુ રાધિકાની હાલત એટલી ખરાબ હતી કે તેને આઇ.સી યુ.માં દાખલ કરવી પડી અને તે કોમામાં ચાલી ગઈ હતી.

રાધિકાના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. દેવિકા દ્વારા પેલા ચાર નબિરામાંથી બે જણ ને ઓળખી લેવામાં આવ્યા હતા. તેમની સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અને આજે સુનાવણી નો દિવસ હતો. આજે ન્યાયાધીશ સાહેબ ન્યાય કરવાના હતા. તેમનો નિર્ણય સંભળાવવાના હતા. એટલે રાધિકાની માતાએ તેમના પતિને ન્યાય માટેનો પ્રશ્ન કર્યો હતો.

પરંતુ અજીબ તાસીર છે આપણા ભારત દેશની, ન્યાય મેળવવામાં વર્ષો નીકળી જાય છે અને છતાં પણ ન્યાય મળશે કે નહિ એ પણ ચોક્કસ નહિ. રાધિકાના માતા પિતા બંને કોર્ટમાં પહોંચ્યા. સુનાવણી શરૂ કરવામાં આવી. બંને પક્ષોના વકીલોને સાંભળ્યા બાદ ન્યાયાધીશ સાહેબનો નિર્ણય સાંભળી રાધિકાના પિતાના હોશ ઉડી ગયા. જો કોઈએ તેમને ટેકો ન આપ્યો હોત તો નીચે જ પડી ગયા હોત. થોડા સ્વસ્થ થાય એટલામાં સામેથી પેલા ચાર અપરાધીઓના હસતા ચહેરા તેમની નજરો સામે તરી આવ્યા. પતિ પત્ની બંને નિરાશ થઈ દવાખાને પરત ફર્યા. ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા.

એવામાં જ સમાચારમાં બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા હતા. એક લાલ રંગની બી એમ ડબલ્યુ કારનો એક ટ્રક સાથે ભયંકર અકસ્માત. અકસ્માતમાં કારમાં સવાર ચાર નબીરાઓના મૃત્યુ. આ સમાચાર સાંભળતા જ દવાખાના માં બેઠેલા તમામ લોકો શોકની લાગણી અનુભવવા લાગ્યા. માત્ર દેવિકા અને તેમાં માતા પિતા ત્રણેયના મુખ પર સ્મિત ઝળકી રહ્યું હતું. કારણ કે જે ચાર વ્યકિતઓના અકસ્માતમાં મૃત્યુ થયા હતા તે પેલા ચાર અપરાધીઓ જ હતા.

દેવિકા દોડતી આઇ.સી.યુ. વોર્ડ માં ગઈ અને અર્ધમૃત અવસ્થામાં પડેલી રાધિકાને આ સમાચાર કહી સંભળાવ્યા. અને ત્યાં તો કુદરતનો ચમત્કાર જોવા મળ્યો. રાધિકાના મુખ પર હળવું સ્મિત ફરકી ઉઠ્યું. આખા પરિવારની ખુશીનો પાર ન રહ્યો. કહેવાય છે ને કે - " ભગવાનના ત્યાં દેર છે અંધેર નહીં ". છેવટે ભગવાને ત્રણ વર્ષ બાદ પણ ન્યાય તો અપાવી દિધો.

ત્યારબાદ રાધિકા , દેવિકા, અને તેમના પતા પિતા સુરત છોડીને અન્ય જગ્યાએ ચાલ્યા ગયા અને બંને દીકરીઓને પ્રેમ પૂર્વક ભણાવી ગણાવીને આગળ વધારવાના પ્રયત્નમાં લાગી ગયા. અને એક સુખી અને સંપૂર્ણ જીવન જીવવા લાગ્યા.