THE CURSED TREASURE - 17 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 17

ચેપ્ટર - 17

વિક્રમના મનમાં વિચિત્ર ખયાલો આવી રહ્યા હતા. પ્લેનની બારી બહારથી નીચેનો નજારો ખુબ સુંદર દેખાય રહ્યો હતો. પ્લેનમાં એ અને રેશ્મા સાથે ધનંજય પણજી તરફ આગળ વધી રહ્યા હતા. પણજી જઇને એમને આગળનો પ્લાન અમલમાં મુકવાનો હતો.

ગઇકાલે રાત્રે જ ધનંજય અને વિક્રમ રેશ્મા વચ્ચે સાથે કામ કરવાની ડીલ થઇ હતી. અને ત્યારે જ એમણે આગળની પ્લાનિંગ કરી હતી. યોજના પ્રમાણે પણજી સુધી પ્લેનમાં જવાનુ હતું. અને ત્યાં ધનંજયના માણસો જરૂરી સામાન અને માણસોની વ્યવસ્થા કરવાનું કામ ધનંજયનું હતું. ત્યારબાદ પણજી થી કર્ણાટકના કારવર શહેર સુધી બધાએ બાય રોડ જવાનું હતું. અને ત્યાં જઇને એક રાત્રી ત્યાં રોકાઇને ત્યાંથી બીજે દિવસે વહેલી સવારે નીકળવાનું હતું જંગલ તરફ. કારવર શહેર ને અડીને જ જંગલ શરૂ થઇ જાય છે. હવે વિક્રમ અને રેશ્માને એ તો ખબર હતી કે સંબલગઢ કાલી નદીની દક્ષિણમાં આવેલ છે, પણ કાલી નદી તો 153 કિલોમીટર લાંબી છે. એના દક્ષિણે ચોક્કસ કઇ જગ્યાએ જવાનું છે એ નક્કી નહોતું કરવામાં આવ્યું. એટલા માટે એમણે કારવર શહેરમાં રોકાવા પર પસંદગી ઉતારી હતી. કારણ કે કારવર શહેર કાલી નદીના કિનારે વસેલું છે અને આ જ જગ્યાએ કાલી નદી અરબ સાગરમાં ભળે છે. ત્યાંથી આગળનો પ્રવાસ કઇ રીતે કરવો એના પર કારવર શહેર પહોંચીને પછી ચર્ચા કરવાની હતી.

પણ વિક્રમ અત્યારે બીજા જ વિચારોમાં ખોવાએલો હતો. ગઇકાલે મોડી રાત્રે એ જયપુરની હોટેલમાં સ્વિમિંગ પુલ પાસે બેઠો હતો. રાત વધારે થઇ ગઇ હતી એટલે ત્યાં કોઇ ન હતું. વિક્રમ આવી જ શાંતિ તલાશ કરી રહ્યો હતો. અત્યારે એનું મગજ ભુતકાળની યાદોમાં સરી પડ્યું હતું.

વિક્રમ પાંચ વર્ષનો હતો જ્યારે પહેલીવાર એના પિતાએ એને સંબલગઢની કહાની સંભળાવી હતી. ત્યારબાદ એ અવારનવાર આ કહાની એમને સંભળાવતા હતા. માસૂમ વિક્રમને એ કહાની સાંભળીને અત્યંત રોમાંચની લાગણીનો અનુભવ થયો હતો. વિક્રમ આઠ વર્ષનો થયો ત્યારે જ એના પિતાનું અવસાન થઇ ગયું હતું. એની માતાએ એનું પાલનપોષણ કર્યું. પછી જેમ જેમ વિક્રમ મોટો થતો ગયો એમ એમ સંબલગઢની કહાની એને મન બાળકોને સંભળાવા માટે બનાવવામાં આવેલી પરીકથા જેવી લાગવા માંડી હતી. આમેય મોટા થયા પછી નાનપણમાં સાંભળેલી વાર્તાઓ કાલ્પનિક અને અર્થહીન લાગવા લાગે છે. ધીરે ધીરે એ ભુલી ગયો એના વિશે.

પછી સમય જતા એણે આર્કિયોલોજી નું ભણણર પુરું કરીને ગ્રેજ્યુએટ થઇ ગયો. અને થોડા સમય માટે એણે કચ્છ મ્યુઝિયમ માટે કામ કરવાનું શરૂ કર્યું.
આર્કિયોલોજીની કોલેજમાં એને એનો પ્રથમ પ્રેમ એવી રેશ્મા મળી. પ્રથમ વર્ષમાં શરૂ થયેલી મિત્રતા અંતિમ વર્ષ આવતા આવતા પ્રેમમાં પરિણમી. એ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને એ પ્રેમમાં બંનેએ અનેક વખત શારીરિક સીમાઓ પાર કરી નાખી હતી. બંનેએ લગ્ન કરવાનુ પણ નક્કી કરી રાખ્યું હતું.

પણ એક દિવસ એક તામ્રપત્ર એના હાથ લાગ્યું. એ તામ્રપત્રનમાં એણે પહેલી વખત સંબલગઢનો ઉલ્લેખ જોવા મળ્યો. એ જોઇને એનું મગજ કામ કરતું બંધ થઇ ગયું. મતલબ નાનપણમાં એના પિતા પાસેથી સાંભળેલી સંબલગઢની કહાની કોઇ કહાની નહીં પણ વાસ્તવિકતા હતી. એને વિશ્વાસ ન આવ્યો આ વાત ઉપર. એણે તરત જ રેશ્માને બોલાવીને એને તામ્રપત્ર બતાવ્યું. એ જોઇને એને પણ વિશ્વાસ ન આવ્યો. પછી એ બંનેએ ભેગા મળીને સંબલગઢ શોધવાનું નક્કી કર્યું. તામ્રપત્ર પ્રમાણે એમણે સંબલગઢ શોધવા માટેનો નકશો પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટી ની લાયબ્રેરીમાં હતો. પણ કમનસીબે 12મીં સદીમાં બખ્તિયાર ખિલજી દ્વારા એનો નાશ કરી દેવામાં આવ્યો હતો. હવે ત્યાં માત્ર ખંડેરો જ વધ્યા છે. કદાચ નાલંદાની લાયબ્રેરીના બધા ગ્રંથો એ હુમલામાં નાશ પામ્યા હતા. પણ કદાચ બિહારના લોકલ આર્કિયોલોજીસ્ટ સાથે વાત કરવાથી કદાચ કંઇ જાણવા મળે એમ વિચારીને વિક્રમ રેશ્માને લઇને પટના ગયો. બે ત્રણ દિવસ સુધી એ અલગ અલગ આર્કિયોલોજીસ્ટ પાસે ફર્યા. પણ એમને કંઇ જ જાણવા ન મળતાં એ નિરાશ થઇને એ ઘરે પાછા આવવા માટે નિકળ્યા. આ બધામાં એ એકવાર પણ પોતાની માતા સાથે વાત કરી શક્યો ન હતો.

પણ જ્યારે વિક્રમ અમદાવાદ પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે એના પગ નિચેથી જમીન સરકી ગઇ. ઘરે આવીને એને ખબર પડી કે એ જ્યારે બહાર હતો ત્યારે અડધી રાતે એના મમ્મી સીડી પરથી પડી જતા એમને માથા પર વાગ્યું હતું. અને પડતા ભેર જ બેભાન થઇ ગયા હતા. જ્યારે સવાર પડી ત્યારે પાડોશીઓને ખબર પડતા એ એમને દવાખાને લઇ ગયા હતા. દવાખાને એમને થોડીવાર હોશ આવ્યો હતો. પણ માંથામાં ઘાવ લાગવાથી અને એમ ને એમ આખી રાત પડ્યા રહેવાથી ઘણું લોહી વહી ચુક્યું હતું. સમયસર સારવાર ન મળતા એમનું મૃત્યુ નિપજ્યું હતું.

વિક્રમ આ સાંભળીને એકદમ ભાંગી પડ્યો. એને વિશ્વાસ ન આવ્યો કે એની માતા હવે આ દુનિયામાં નથી. એના માટે આ ખૂબ જ આઘાતજનક સમાચાર હતા. રેશ્માએ માંડ એને સાચવ્યો હતો. પણ થોડા દિવસ સુધી એની સાથે રહીને કોઇ કારણોસર રેશ્મા એક મહિના માટે અમેરિકા ચાલી ગઇ હતી. જ્યારે વિક્રમને એની જરૂર હતી ત્યારે એ ખબર નહી શું કામ પણ એને છોડીને અમેરિકા ચાલી ગઇ.

વિક્રમ માટે માતાની મૃત્યુના આઘાતમાંથી બહાર આવવાનું ખુબ જ અઘરું હતું. ધીરે ધીરે એને લાગવા માંડ્યું કે એને લીધે જ એની માતાની મોત થઇ છે. જો એ સંબલગઢ શોધવા માટે ન ગયો હોત તો આ કંઇ ઘટત જ નહી. એ ઘરે હોત અને મમ્મીને સમયસર હોસ્પિટલ લઇ જાત. અને એના મમ્મી જીવતા હોત. પાડોશીઓએ કહ્યું હતું કે એમણે વિક્રમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ એનો ફોન નહોતો લાગતો. એની માતા મૃત્યુ પહેલા એને એકવાર મળવા માંગતી હતી. પણ પોતે ત્યાં ન હતો. કેવો બદનસીબ દિકરો હતો એ! પોતાની માતાના અંતિમ સમયમાં એની સાથે ન રહી શક્યો. પોતાને કઇ રીતે માફ કરશે એ! સંબલગઢની શોધ એની પાસેથી આવડો મોટો ભોગ લેશે એની એને સ્વપ્નેય કલ્પના કરી ન હતી. આવેશમાં આવીને એણે એક નિર્ણય કરી લીધો. કે એ ક્યારેય સંબલગઢની શોધ કરવા નહીં જાય.

એક મહિના પછી જ્યારે રેશ્મા પાછી આવી ત્યારે વિક્રમ હજુ પણ એની માતાનો શોક મનાવી રહ્યો હતો. એને એ પણ જાણવા મળ્યું કે વિક્રમ પોતાને જ એની માતાના મૃત્યુ માટે દોષિત માનવા લાગ્યો હતો. અને એણે સંબલગઢને શોધવાનું બંધ કરી દીધું હતું. રેશ્માએ એને મનાવીને સંબલગઢ શોધવા માટે એની સાથે ચાલવા ઘણા પ્રયત્નો કર્યા. રેશ્માના વર્તનમાં વિક્રમે એક ફેરફાર નોંધ્યો. જ્યારથી એ અમેરિકાથી પાછી આવી હતી ત્યારથી એ સંબલગઢ શોધવા માટે ખૂબજ જીદ અને ઉતાવળ કરવા લાગી હતી. વિક્રમને આનું કારણ ન સમજાયું. પછી તો બંને વચ્ચે આ બાબતે ઝગડા થવા લાગ્યા હતા. વિક્રમ સંબલગઢ શોધવા નહોતો માંગતો અને રેશ્મા એને એમ કરવા માટે ફોર્સ કરી રહી હતી. અને એક દિવસ વિક્રમને ખબર પડી કે રેશ્મા પ્રોફેસર આદિત્ય નારાયણ સાથે કામ કરવા ચાલી ગઇ છે. જેની સાથે વિજય, એનો પરમ શત્રુ કામ કરતો હતો. વિક્રમ માટે આ બીજો આઘાત હતો. મતલબ એણે સંબલગઢ શોધવાની ના પાડી તો રેશ્મા એને છોડીને વિજય સાથે કામ કરવા ચાલી ગઇ. બસ આટલો જ પ્રેમ હતો! ગુસ્સામાં આવીને એણે રેશ્મા સાથે બધા સંપર્ક તોડી નાખ્યા. રેશ્માએ એને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ વિક્રમે એને કંઇ જ પ્રતિભાવ ન આપ્યા.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો. વિક્રમને એની માતાના મૃત્યુ અને રેશ્મા દ્વારા મળેલા દગાના આધાતમાંથી બહાર આવવા લાગ્યો હતો. એના અને રેશ્મા વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો. કદાચ ગુસ્સામાં આવીને પોતે રેશ્માની વાત સાંભળ્યા વગર જ એને પોતાનાથી દૂર કરી નાખી એ વાતનો અફસોસ હવે એને થઇ રહ્યો હતો. વિક્રમ પોતે ક્યારેય સંબલગઢની શોધ ન કરવાના પોતના નિર્ણય પર પણ વિચારણા કરીને એને રદ્દ કરવા તૈયાર હતો. પણ હવે એનો કંઇ ફાયદો ન હતો. રેશ્માએ પણ એની સાથે વાત કરવાના પ્રયત્નો પડતાં મૂકી દીધા હતા. એ પોતે રેશ્મા સાથે વાત કરવા માગતો હતો પણ એનો અહમ એને એમ કરતા રોકતો હતો. કદાચ રેશ્મા સામેથી આવશે એ આશાએ એણે ફરીથી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું.

અને લગભગ દોઢ વર્ષ પછી એક દિવસ રેશ્માનો ફોન આવ્યો. વિક્રમને આશ્ચર્ય તો થયું પણ રેશ્માએ મળવા બોલાવ્યો છે તો કદાચ એને મળીને પોતાના બગડેલા સંબધને સુધારી શકાશે એ આશાએ એ રેશ્માને મળવા ગયો.

રેશ્મા એને મળવા આવી ત્યારે એને પ્રોફેસર મૃત્યુ પામ્યા છે અને એમણે 1999 માં સંબલગઢની શોધ કરી હતી એ જણાવ્યું ત્યારે ઘડીક તો વિક્રમને ગુસ્સો આવ્યો હતો. આજે પણ આ સંબલગઢને લઇને જ એને મળવા આવી છે. અને એને એમ હતું કે રેશ્મા કદાચ એ બેય વિશે વાત કરવા આવી છે. સંબલગઢનું ભૂત હજુ આના માથા પરથી નથી ઉતર્યું. કદાચ ભલે એની માતાની મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણવાનું બંધ કરી દીધું હતું. પણ સંબલગઢ શોધવા માટે એ હજુ પણ તૈયાર ન હતો. પણ રેશ્માએ એને જણાવ્યુ કે વિજય મહેરા પણ સંબલગઢના ખજાના પાછળ છે ત્યારે એણે રેશ્માની મદદ કરવા માટે હા પાડી દીધી. કદાચ એ બહાને એ પોતાની ભૂલ સુધારી શકશે અને વિજય પહેલા સંબલગઢ શોધી શકશે.

એ વિચારોમાં ડુબેલો હતો ત્યારે રેશ્મા ત્યાં સ્વિમિંગ પુલ પાસે આવી. એણે વિક્રમને પુછ્યું, "વિક્રમ તું હજુ સુધી કેમ જાગે છે?"

"કંઇ નહી બસ નીંદર નહોતી આવતી."

"ઓ.કે."

બંને વચ્ચે ઘડીક શાંતિ પ્રસરી ગઇ. રેશ્મા એની પાસે આવીને બેસી ગઇ હતી. શાંતિ સન્નાટમાં પરીવર્તિત થવા લાગી છે એવું વિક્રમને લાગતા એણે રેશ્માને પુછ્યું, "રેશ્મા એક પ્રશ્ન પુછું તને?"

"હાં પુછ."

વિક્રમે એક ઉંડો શ્વાસ લીધો. પછી એણે પુછ્યું, "જ્યારે મે કહ્યું હતું કે હું સંબલગઢ શોધવા નથી માગતો ત્યારે તું મને છોડીને પ્રોફેસર અને વિજય સાથે કામ કરવા ચાલી ગઇ? શું સંબલગઢની શોધ આપણા પ્રેમ કરતા વધારે મહત્વની હતી?" વિક્રમે આખરે પૂછી જ નાંખ્યું. એણે રેશ્માની આંખોમાં જોયું. રેશ્માના હાવભાવમાં કંઇ ફેર ન પડ્યો. પણ એ એ જ ભાવે બોલી, "આપણા પ્રેમ ખાતર જ હું સંબલગઢ શોધવા માગતી હતી." કહીને એ ચાલી ગઇ. વિક્રમે નોંધ્યું હતું કે જતા જતા એની આંખ માંથી આંસુ સરી પડ્યા હતા.

વિક્રમ જાણે કે શૂન્યાવકાશ હોય એમ ત્યાં જ ઉભો હતો. એને કંઇ જ ગતાગમ ન પડી કે રેશ્મા એ શું કહ્યું. અને એના કહેવાનો મતલબ વળી શું હતો. આખરે ચાલી શું રહ્યું છે આની સાથે?

એટલામાં પ્લેન લેન્ડિંગની જાહેરાત થતા વિક્રમ વિચારોમાંથી બહાર આવી ગયો. એ લોકો પણજી પહોંચી ગયા હતા. એરપોર્ટની બહાર આવીને એમણે ટેક્સી કરીને ધનંજયે જે જગ્યાએ મીટિંગ રાખી હતી ત્યાં આવ્યા. ત્યાં એક બંગલો હતો જે પણજીથી થોડે દૂર મેઇન રોડ પર આવેલો હતો. અહીંયા આવીને ધનંજયે વિક્રમને કહ્યું, "વિક્રમ, તારી જણાવેલી જરૂરિયાતો પ્રમાણે મે બધી વ્યવસ્થા કરી રાખી છે."

વિક્રમ ધનંજય અને રેશ્મા ત્રણેય એ બંગલાના હોલમાં આવ્યા. હોલમાં જે હતું એ જોઇને વિક્રમ અને રેશ્મા બંને ચોંકી ઉઠયા.

હોલમાં માણસોનો કાફલો ઉભો હતો. ત્યા એકસાથે ઘણા બધા માણસો હાથમાં બંદુક લઇને ઉભા હતા. બધાએ એક સરખા કાળા રંગના કપડા પહેર્યા હતા. સાથે એમના કમરના ઉપરના ભાગે બુલેટ પ્રૂફ જેકેટ પણ પહેર્યા હતા. કમરમાં ટોટલ અગીયાર એવા લોકો હતા જેમણે આવા કપડા પહેર્યા હતા. એક બીજી સ્ત્રી પણ હતી. ધનંજયે એની ઓળખાણ કરાવી.

એ સ્ત્રી હતી ડો.વનિતા. વિક્રમે એક ડોક્ટરને એમની સાથે લઇ જવા માટે ધનંજયને ભલામણ કરી હતી. કારણ કે જંગલમાં કેવા પ્રકારના મચ્છર અને જીવજંતુઓ ફરતા હશે એ એમની કલ્પના બહારનું હતું. એટલે જરૂર પડ્યે આ ડોક્ટર કામ આવશે. અને ડોક્ટર તરીકે મહીલાને બોલાવવાની ભલામણ પણ વિક્રમે જ કરી હતી. જેથી રેશ્માને કંપની મળી રહે. તેર ચૌદ પુરૂષો સાથે એકલી સ્ત્રી તરીકે જવામાં એને અસુવિધા ઉભી ન થાય એટલા માટે વિક્રમે એક મહીલાની ભલામણ કરી હતી. એ સાથે જ બધો જરૂરી સામાન જેમકે બધા માટે ટેન્ટ, હથિયારો માટે વધારાની ગોળીઓ, જંગલમાં અઠવાડિયા સુધી બધા માટે ચાલે એટલું પેક્ડ ફુડ, ડો.વનિતાની મેડિકલ સપ્લાય અને વિક્રમ અને રેશ્માને શોધખોળ કરવા માટે જે જરૂરી સામગ્રી જોઇતી હતી એ બધી જ આવી ગઇ હતી. વિક્રમે બધી જ વસ્તુઓ ચકાસીને જોઇ લીધું કે કંઇ ઘટે છે કે નહી. પછી એક ટ્રકમાં બધું લોડ થઇ ગયું. અહીથી કારવર સુધી બધા હથિયારો ધારી વ્યક્તિઓ અને બધો જ સામાન એ ટ્રકમાં જવાનો હતો. અને વિક્રમ, રેશ્મા, ધનંજય અને ડો.વનિતા કારમાં જવાના હતા. ધનંજય તરફથી યોગ્ય સુચનાઓ મળી જતા બધા કારવર તરફ રવાના થયા.

પણજીથી કારવર બે કલાકનો રસ્તો હતો. બે કલાકના સમયગાળામાં રેશ્મા અને ડો.વનિતાની સારી એવી ઓળખાણ થઇ ગઇ હતી. બંનેને એકબીજા સાથે સારું એવું ફાવી ગયું હતું. રેશ્માએ આખા રસ્તા દરમિયાન વિક્રમ સાથે ફક્ત ઔપચારિક વાતો કરી હતી. જેમાં ડો.વનિતાની ભલામણ કરવા માટેનો આભાર પણ શામેલ હતો. વિક્રમ પણ ડોક્ટર સાથે હળીમળી ગયો હતો. આગળ જઇને એમને સાથે એક મુશ્કેલ સફર પર જવાનું છે એટલે અત્યારે એકબીજા પર ભરોસો કરવો જરૂરી હતો.

કારવર પહોચીને બધા જે હોટેલમાં એમના રહેવાની વ્યવસ્થા હતી ત્યાં પહોંચી ગયા. આજે બધા માટે આરામ કરવો ખૂબ જરૂરી હતો. આવતીકાલથી સવારે એ એક એવા સફર પર નિકળવાના હતા જેમાં એમને કેવી કેવી મુસીબતો સામે મળશે એનો કોઇ જ અંદાજો વ હતો. એ સફર પુરી થાય ત્યારે આ પંદર જણાના કાફલા માંથી કેટલા જીવતા બચશે એનો પણ કોઇ અંદાજો ન હતો...

(ક્રમશઃ)

* * * * *