The humanity of the Mahabharata books and stories free download online pdf in Gujarati

મહાભારતની માનવતા

મહાભારતની માનવતા

કેટલાક ગ્રંથો દરેક જમાનાના પરામર્શ ના અધિકારી છે. ‘મહાભારત’ એક એવો ગ્રંથમણી છે.

હિંદમાં હિમાલય જેમ જુનો લાગવાનો નથી. તેમ ‘ મહાભારત’ એક એવો ગ્રંથ થવાની છે કે જે ક્યારેય જૂનો થશે નહિ. યુગે યુગે કંઈક ને કંઈક નવીનતાભર્યું તેમાંથી પામવાનું છે. હિંદમાં જન્મેલાની મન હિમાલયનું આકર્ષણ જિંદગીભર રહેવાનું. માનવીના વ્યક્તિત્વના ખૂણાને ચેતનના પ્રકાશથી ભરી દેવાની વિરાટ પકૃતિ દ્રશ્યોમાં અનોખી શક્તિ હોય છે. પ્રકૃતિના અનુસરણમાં માનવીએ સંસ્કૃતિને રચતી કલાઓને યોજી. હિન્દની શબ્દકલાએ બરોબર હિમાલયની સામે ગૌરવભેર ઊભા રહી શકે તેવા ‘મહાભારત’ની રચના કરી છે.

‘મહાભારત’ની માત્ર મહાકાવ્યનું નામ આપવાથી તેનું યથાર્થ ખ્યાલ આપી શકાશે નહીં. એને ‘વિરાટ કાવ્ય’ કહેવામાં આવી એ જ બરાબર છે. હિમાલય જેમ એકાદ છૂટા-છવાયા મહાશિખરવાળો ગીરી નથી પરંતુ ગિરિઓની હારમાળા છે, તેમ ‘મહાભારત’ પણ જાણે કે મહાકાવ્યો નો સમૂહ નો હોય ! ચિરંતર માનવભાવોની અમર પ્રતિમાઓ સમા એનાં પાત્રો કાંચનજંઘા, ધવલગીરી અને ગૌરીશંકરના શિખરોની જેમ ત્રિકાલની પલાઠીએ બેઠા છે.

‘ મહાભારત’ની મૂળ કથા અને આખ્યાનો-ઉપાખ્યાનોને ઉદરંભર પુરાણીઓએ છાસમાં પાણી નાખ્યે જ રાખીને સાવ સસ્તા અને નમાલાં બનાવી દીધા હતા. પણ હિમાલયના જળ ભંડારે જેમ હિન્દુસ્તાનના સારા એવા ભાગને લીલીવાડી જેવો બનાવ્યો છે તેમ ‘મહાભારત’ના રસ પ્રવાહને બડે હિન્દના સાહિત્યની લીલી કુંજો રચાઈ છે, એનું ભાન વધતી જતી કેળવણીની સાથે સાથે વધતું ગયું અને ‘મહાભારત’નું નવી રીતે મૂલ્યાંકન થવા માંડ્યું.

ભાગ્યે જ એવો કોઈ હશે જેને ‘મહાભારત’ની મુખ્ય ઘટનાઓનો પરિચય ન હોય. દ્રોપદી, ગાંધારી, કુંતી અને ઉત્તરા તથા ભીષ્મ, કૃષ્ણ, યુધિષ્ઠિર,કર્ણ, અર્જુન, અભિમન્યુ અને વિદુર ના નામ સંભાળી સંભાળીને આ દેશના સ્ત્રી-પુરુષો જીવનની તડકી છાયડીમાં ટકી રહેવાનું આંતરિક બળ મેળવતા રહ્યા છે.

આપણે ત્યાં ‘ મહાભારત’ને ગુજરાતીમાં ઉતારવાના પ્રયત્નો થયા છે. છતાં ‘ મહાભારત’ નું સમશ્લોકી happy ભાષાંતર આપણને ક્યારે પ્રાપ્ત થશે ? કંઈ નહીં તો, કથાના અનિવાર્ય સળંગ ભાગનો અનુવાદ થાય તો પણ સંસ્કૃત ન જાણનારને મૂળની ભવ્યતા અને તેજનું સહેજે ભાન થઇ શકે,

‘ મહાભારત’ના મૂળ કવિ શ્રી કૃષ્ણ દ્વેપાયન ગણાય છે. ‘ વેદો’ની એમણે ગોઠવણી કરી એ ઉપરથી એ ‘વ્યાસ’ નામે પ્રચલિત થયા. વ્યાસ મહાપંડિત હશે; જ્ઞાની, ઋષિ, ચિંતક, ગમે તે હશે; પણ મુખ્યત્વે તો એક કવિ છે. ‘મહાભારત’માં ડગલેને પગલે દેખાય છે કે એક ખૂણે પડ્યા પડ્યા તત્વ ચિંતન કર્યે જનાર ઋષિ માત્ર એ નથી; તેમ નથી જડ જ્ઞાની કે નથી બોધ આપવાને તલપાપડ કોઈ ગુરુ , વ્યાસ તો છે માનવજાતના સામાન્ય ગુણદોષ, ક્ષુલ્લક હર્ષશોક, પરસ્પર વેરઝેર દરેક વસ્તુ પ્રત્યે પરમ સહાનુકંપાથી જોનાર કવિ.

એ મહાકવિના હૃદયમાં સૌ કોઈને માટે જગ્યા છે. ધર્મનીષ્ઠ યુધિષ્ઠિરને માટે જ વ્યાસ નું હૃદય ખીલી ઊઠે છે, એમ નહિ માની દુર્યોધન માટે પણ એ હૃદયમાં અવકાશ છે. આ દૃષ્ટિએ, માનવતાની દ્રષ્ટિએ, જોતા મહાભારત યુદ્ધમાં સંડોવાયેલા મહાપુરુષોમાં શ્રીકૃષ્ણની સરખામણીમાં પણ વ્યાસના હૃદયની વિશાળતા આગળ તરી આવે છે. શ્રીકૃષ્ણના હૃદયમાં પાંડવો માટે અને ભીષ્મ,દ્રોણ, દ્રુપદ માટે જ જગ્યા છે. ભીષ્મના હૃદયમાં કર્ણ જેવા માટે તલપુર જગ્યા નથી. દ્રોણને દ્રપદ ડંખે છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર ભેગા થયેલા અઢારે અઢાર અક્ષૌહિણી સૈન્યમાંના કોઈપણ વીરનરને આત્મીય ગણનાર, વિધાતા સિવાય કોઈ હોય તો તે માત્ર એક વ્યાસ જ છે. વ્યાસ સૌ કોઈના મિત્ર છે. સૌ કોઈના હર્ષશૉક સાથે તેમનું હૃદય કોઈ સૂક્ષ્મ તંતુ થી જોડાયેલું છે. કૌરવોને પાંડવોના કે પાંડવોને કૌરવના ક્ષયથી વિજય મળવાનો. વ્યાસને મન હવે વિજય કોઈ રહ્યો જ નથી. માત્ર વેદના. આ માનવીમાત્ર પતિની પરમ સહાનુકંપાના , અગાધ કારુણ્યના દર્શન વ્યાસે એ યુદ્ધના આલેખેલા ઈતિહાસમાં, એટલે કે ‘મહાભારત’ કાવ્યમાં વારંવાર થાય છે.

‘મહાભારત’માં કવિ કૌરવોના પક્ષમાં આપણી લાગણી જગાડે છે તે માટે આપણે એને છૂટે હાથે અભિનંદન આપવા જોઈએ. પાંડવોની સામે મુડદાલ લડવૈયા હોય, ધર્મની સામે નિર્ભેળ અધર્મ જ હોય, તો એવી લડાઈનો ઇતિહાસ જાણવામાં રસેય શાનો હોય ? શું જીવનમાં, શું કલામાં સો એ સો ટકા સાધુચરિત કે સો એ સો ટકા દુષ્ટત્મા કોઈ છે જ નહીં. અર્જુન સામે કર્ણ, કૃષ્ણ સામે ભીષ્મ, ભીમ સામે દુર્યોધન, એવી સરખે સરખી જોડી ન હોય, તો બીપી’મહાભારત’ લાખ શ્લોકને બદલે સાત શ્લોકમાં જ સમેટી લેવું પડત. વળી, પાંડવોની સામેના પ્રતિપક્ષીઓ મોટા હોય, તો તેમને જીતવામાં પણ કંઈ સારુ ગણાય, પ્રતિપક્ષી- કૌરવો પ્રત્યે સમભાવની લાગણી જન્માવવાથી કવિ કાવ્યને અનેકગણું વાસ્તવિક બનાવે છે. દુર્યોધનને અથથી ઇતિ સુધી પાપને જ વળગી રહેલો બતાવવામાં તો ભારે અસ્વાભાવિકતાનું જ પ્રદર્શન થાય. એક તો, એવો માણસ સંભવી શકે નહીં; અને બીજું, એવો હોય તોયે કળામાં તો એવાં, નીતિની કળ ચાંપવાથી અમુકતમુક સીધે રસ્તે ચાલ્યા જતા ઢીંગલાને સ્થાન જ ન હોઈ શકે. બીપી

દુર્યોધનની પાપવૃતી અને અભિમાનને બહુ કાળા રંગથી રંગવામાં આવેલ છે, છતાં જે રીતે એક પછી એક મહાવીરો યુદ્ધમાં ખપે છે તો પણ પોતાનું ધૈર્ય એ સાચવી રાખે છે. અને તેમની ગેરહાજરીમાં હવે સંધિ કરીને પાંડવોનો આપ્યો બટકું રોટલો ઓશિયાળા થઈને ખાવા કરતા સ્વર્ગમાં ફરી સ્વજનોનો સંગમ સાધવા તૈયાર રહે છે, એ બધામાં એના સ્વભાવની ઉદાત્તાના સ્પષ્ટ દર્શન થાય છે. ભીમે અધર્મયુદ્ધથી ગદા વડે દુર્યોધન વધ કર્યો અને વિજયોન્માદમાં એના માથા પર પગ મૂક્યો. યુધિષ્ઠિર ભીમને વારે છે ને ગદગદ કંઠે દુર્યોધનને આશ્વાસન આપે છે.

જોશું શી રીત વિધવા વધુઓ શોકમગ્ન સૌ ?

તું ખરે સુખીયો, રાજન ! સ્વર્ગ વાસ નકી તવ;

અમે નરકશું દુખખ્ ભોગવીશું ભયંકર.

પણ દુર્યોધનનો આત્મા રડતો નથી મૃત્યુ વખતે પણ એના સ્વભાવમાં જે ઉદાત્તતા દીપી ઉઠી છે એ આપણામાં એની પ્રત્યે માણ, પ્રેમ વગેરે ભાવ જગાડે છે, છેવટે પોતાના અંત કરતાં કોઈનો પણ અંત વધારે સારો નહી હોય. એમ દુર્યોધન ભારે ચિત્તસ્વાસ્થયથી બોલે છે.

મહાભારતમાં માનવતાનું આમ આપણને અનેક વખત સુભગ દર્શન થાય છે, એને લીધે એનું કાવ્ય આપણા સમગ્ર ચિત્તતંત્રનો અજબ સહેલાઇથી કબજો મેળવી લે છે. મનુષ્ય હૃદયના રાગવેગોનું તાંડવ ‘મહાભારત’ કાર જેવું બહુ ઓછા જ કવિઓએ આલેખ્યું હશે. અને આલેખન વખતે એ જે સ્વાસ્થ્ય જાળવે છે એ તો અપૂર્વ જ છે. માનવીના મનોરાગોની ભીષણ રમણા હોમળે અને ગ્રીક નાટ્યકારોએ અસાધારણ નિરૂપી છે. શેક્સપિયરે પણ અલોકીક કૌશલ એના આંકલનમાં ઠાલવ્યું છે. પણ ‘મહાભારત’ કારની એક વિશિષ્ટતા છે. ‘મહાભારત’ કાર માનવીના ચિત્તવેગોની તાંડવ લીલા નિરૂપીને અળગા ખસી જતા નથી.પરમ સ્વાસ્થય પૂર્વક સકલ તત્વોને સંયમમાં રાખે છે. ક્ષુલ્લક કે મહાન રાગદ્વેષ, સરલ કે કુત્રિમ સુખ દુખ અનિવાર્ય અશ્રુ અને આપાતરમ્ય સ્મિત બધા તત્વોને જીવનમાં અનિવાર્યપણે રહેલી ધર્મભાવનાથી એમણે રસ્યાં છે.

માનવતા એટલે માત્ર માણસ પ્રત્યેની લાગણી કે માનવસુલભ ભાવ, એવા સંકુચીત અર્થથી આપણે મહાભારત કારને અન્યાય કરીશું. માનવતા એટલે પરમ કારુણ્ય જેના દર્શન યુધિષ્ઠિર પોતાની સાથેના કુતરાને છોડીને એકલા સ્વર્ગમાં જવાની ના પાડે છે ત્યારે થાય છે કે, અને ખાંડવવનદહન આ વખતે ચાર ખિસકોલીનઓ બચી જતી બતાવવામાં આવી છે. એ ઘટના પાછળ પણ બીજો કયો ભાવ છે ?