Graam Swaraj - 17 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 17

૧૭

ખેતી અને પશુપાલન - ૪

ખાતર

કૉંમ્પોસ્ટ ખાતર

સાર્વજનિક પ્રચારાર્થે શ્રી મીરાંબહેનની પ્રેરણાથી ને ઉત્સાહથી દિલ્હીમાં આ માસમાં (ડિસેમ્બર ’૪૭) એક સભા બોલાવવામાં આવી હતી. તેમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રમુખ હતા. સરદાર દાતારસિંહ, ડૉં આચાર્ય વગેરે આ કામના વિશારદ એકઠા થયા હતા. તેઓએ ત્રણ દિવસના વિચારવિનિમય પછી કેટલાક અગત્યના ઠરાવ પસાર કર્યો છે. તેમાં શહેરોમાં ને સાત લાખ ગામડાંમાં શું કરવું તે બતાવ્યું છે. શહેરોમાં અને ગામડાંઓમાં થતા મનુષ્યના ને અન્ય પ્રાણીઓના મળનું, શહેર કે ગામડાંના કચરા, ચીંથરાં, કૂચા, કારખાનાંઓમાંથી નીકળતા મેલનું મિશ્રણ કરવાની કરવામાં આવી છે. આ ખાતે એક નાનકડી પેટા સમિતિ બનાવવામાં આવી છે.

જો આ ઠરાવ માત્ર છાપામાં જ ગુમ નહીં થઇ જાય ને તેનો અમલ કરોડો કરે તો હિંદુસ્તાનનું રૂપ બદલાઇ જાય. આપણી બેખબરીથી કરોડોની કિંમતનું સોના જેવું ખાતર બરબાદ થાય છે તે બચી જાય, જમીન રસાળ થાય ને પાક મળે છે તેના કરતાં બહુ વધારે મળે. પરિણામ એ આવે કે ભૂખમરો છેક જાય ને કરોડોને પેટપૂરતું અનાજ મળે ને તે ઉપરાંત બહાર પણ જાય.

આજ જેવી માણસોની ને ઢોરોની કંગાળ હાલત છે તેવી આપણા પાકની છે તેમાં દોષ જમીનનો નથી પણ મનુષ્યનો છે. આળસ અને અજ્ઞાન નામના બે કીડા આપણને ખાઇ જાય છે.૧

આપણી જમીનને પૂરું ખાતર નથી મળતું. આપણે ખાતર પણ બહારથી આયાત કરીએ છીએ ! એથી કેટલોય પૈસો નાહક બરબાદ થાય છે. વધારામાં જમીન પણ બગાડે છે...

જાનવરોનાં છાણ અથવા વિષ્ટાની સાથે કચરો વગેરે ભેળીને લોકો ખાતર બનાવે છે તો ખબર સરખી નથી પડતી કે આ ખાતર છે. હાથમાં લો તો વાસ પણ નથી આવતી. આમ કચરામાંથી કરોડો રૂપિયા પેદા થાય છે.૨

ખાતરના ખાડા

(ગામડાંઓમાં ખાતરના ખાડા કરવાની જરૂરિયાત સંબંધમાં શ્રી બ્રેઇનની ભલામણ સાથે સામાન્ય સંમતિ દર્શાવતાં તેમના ૬ ફૂટ પહોળા અને ૬ ફૂટ ઊંડા ખાડાની તેમની ભલામણ સાથે અસંમતિ દર્શાવતાં ગાંધીજીએ લખ્યું :)

હું જાણું છું કે મિ. બ્રેઇન સૂચવે છે એવા ખાડાની ભલામણ સામાન્ય રીતે થાય છે. છતાં મારો મત એવો છે કે પૂરે જે એક ફૂટના છીછરા ખાડાની ભલામણ કરી છે તે વધારે શાસ્ત્રીય ને લાભદાયક છે. એમાં ખોદવાની મજૂરી પણ ઓછી બેસે છે, એને ખાતર કાઢવાની મજૂરી બિલકુલ બેસતી નથી, અથવા હું જ ઓછી બેસે છે. વળી આ મળનું ખાતર બની જતાં લગભગ અઠવાડિયું જ લાગે છે, કેમ કે જમીનની સપાટીથી છથી નવ ઇંચની ઉચાઇ સુધીમાં રહેનારાં જંતુઓ, હવા અને સૂર્યાકિરણ મળની ઉપર અસર કરે છે; અને ખાતર ઊંડું દાટવામાં આવ્યું હોય તેના કરતાં છીછરા ખાડામાં ઉપલા કારણને લીધે મીઠું ખાતર ઘણું જલદી બની જાય છે.

કચરો ઠેકાણે પાડવાની રીતમાં ગમે તેટલી વિવિધતા હોય, પણ મુખ્ય વસ્તુ યાદ રાખવાની તે એ છે કે બધો કચરો દટાવો જ જોઇએ. એમ કરવાથી બે અર્થ સરે છે - એક તો ગ્રામવાસીઓનું આરોગ્ય સચવાય છે, અને દાટેલા કચરામાંથી બનેલા ખાતરને લીધે પાકમાં વધારો થવાની તેમની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. એટલું યાદ રાખવું જોઇએ કે મળ સિવાયના જાનવરોનાં શરીરના અવયવો વગેરે જુદા દટાવા જોઇએ. સફાઇ એ ગામડાંની પુનર્ઘટનાનું પહેલું પગથિયું છે એમાં કશી શંકા નથી.૩

મળમાંથી ખાતર

ફાઉલર નામના એક લેખકે ‘સંપત્તિ અને દુર્વ્યય, નામની અંગ્રેજી ચોપડીમાં કહ્યું છે કે મનુષ્યના મળને સારી રીતે ઠેકાણે પાડવામાં આવે તો તેમાંથી વરસેદહાડે માથાદિઠ રૂ. ૨ ઊપજે. ઘણીખરી જગાએ તો આજે સોના જેવું ખાતર વેડફાઇ જાય છે ને બદલામાં રોગ વહોરવામાં આવે છે. આ લેખકે પ્રો. બ્રુલટીનીના ‘કચરાનો ઉપયોગ’ નામના પુસ્તકમાંથી ઉતારો આપ્યો છે. તેમાં કહેલું છે કે, દિલ્હીમાં વસતાં ૨,૮૨,૦૦૦ માણસોના મળમાંથી જે નાઇટ્રોજન પેદા થાય છે તેથી ઓછામાં ઓછા ૧૦ હજાર અને વધારેમાં વધારે ૯૫ હજાર એકર જમીનને ખાતર પૂરું પડે.’ પણ આપણે આપણા ભંગીઓ સાથે સારી રીતે વર્તતાં શીખ્યા નથી, તેથી પ્રાચીન કીર્તિવાળી દિલ્હી નગરીમાં એવા નરકકુંડો છે જેને સારું આપણે શરમથી માથું નીચું ઘાલવું પડે. જો આપણે બધા ભંગીઓ બનીએ તો આપણે પોતાની પોતાની પ્રત્યે કેવી રીતે વર્તવું એ તો જાણીએ જ, અને આજે જે ઝેર છે તેનું વનસ્પતિને માટે ઉત્તમ ખાદ્ય કેમ બનાવી દેવું એ પણ આપણને આવડે. આપણે માત્ર જો મનુષ્યના મળનો સદુપયોગ કરીએ તો ડૉ. ફાઉલરની ગણતરી પ્રમાણે હિંદુસ્તાનની ૩૦ કરોડની વસ્તી પાછળ દેશને વરસે ૬૦ કરોડ રૂપિયાનો લાભ થાય.૪

કૉમ્પોસ્ટ ખાતર બનાવવાની પદ્ધતિ

(ઇન્દોરમાં ‘ઇન્સ્ટિટયુટ ઑફ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી’ નામની એક વૈજ્ઞાનિક સંસ્થા છે. જેમની સેવા માટે તે કાઢવામાં આવી છે તેમને માટે તે વખતોવખત પત્રિકાઓ કાઢે છે. આમાંની પહેલી પત્રિકામાં ખેતરના કચરાપૂંજામાંથી મિશ્ર ખાતર બનાવવાની રીત અને તેનીં ઉપયોગિતાનું વર્ણન છે. છાણ અને મળ ઉઠાવનાર કે ઠેકાણે પાડનાર હરિજનો અને ગ્રામસેવકોને માટે તે બહુ ઉપયોગી છે તેથી ખાતર બનાવવાની પ્રક્રિયાના ચાલતા વર્ણનમાં નોંધો ઉમેરીને લગભગ આખી પત્રિકા નીચે ઉતારું છું. - મો૦ ક૦ ગાંધી)

હિંદુસ્તાનની ખેતીની જમીનનાં ખૂટી ગયેલાં પ્રાણિજ તત્ત્વો તેને વ્યવસ્થિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાછાં આપવાં એ ખેતીનું ઉત્પાદન વધારવા માટેની સફળ યોજનાનો એક ભાગ છે એ વાત લાંબા વખતથી સ્વીકારાયેલી છે. ખેતરમાં કે બીજે કરેલા ઉકરડાનું ખાતર જોઇએ તેટલા પ્રમાણમાં મળી શકતું નથી તથી તે તૈયાર કરવામાં તેમાંથી નાઇટ્રોજનનો મોટો ભાગ નાશ પામે છે અને છેવટે જે ખાતર તૈયાર થાય છે, એ વાત પણ એટલી જ સ્પષ્ટતાપૂર્વક સમજાઇ છે. લીલું ખાતર કદાચ આને બદલે ચાલે. પણ હિંદના ઘણાખરા ભાગમાં ચોમાસું અનિશ્ચિત હોવાને કારણે તે મળવું અનિશ્ચિત હોય છે. વળી લીલું ખાતર જમીનમાં સડે છે. આ સગવડની ક્રિયા છોડના ખોરાકનાં ખૂટતા તત્ત્વો પૂરાં પાડવાની કુદરતી પ્રક્રિયામાં તે વખત પૂરતી બાધક થાય છે. ઉષ્ણકટિબંધમાં આ કુદરતી પ્રક્રિયા જમીનની ફળદ્રૂપતા જાળવી રાખવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જમીન હ્યુમસ તૈયાર કરવાના બોજામાંથી મુક્ત થઇને ખોેયેલાં તત્ત્વો મેળવવામાં અને કરશણની વૃદ્ધિ કરવામાં બધી શક્તિ ખરચી શકે એ સારામાં સારો રસ્તો છે. આમ કરવાનો સાદામાં સાદો ઉપાય એ છે કે ખેતરનો કચરોપૂંજો જે બળતણ કે ચારા તરીકે જરૂરનો ન હોય તેમાંથી ખેતીના ચાલુ કામકાજ દરમ્યાન આડપેદાશ તરીકે હ્યુમસ બનાવી લેવામાં આવે.

અહીં એ વાત પર ભાર મૂકવો જોઇએ કે વાડાના ખાતરનું સ્થાન લેનારું ખાતર બનાવટમાં હ્યુમસને વધારેમાં વધારે મળતું એટલે કે તેના જેવા ગુણવાળું હોવું જોઇએ. ઇન્દોર પદ્ધતિનું આ જ ધ્યેય છે અને તે તે સિદ્ધ કરે છે. આમ ઇન્દોર પદ્ધતિનું ધ્યેય બીજી પદ્ધતિઓથી તદ્દન જુદું છે. બીજી પદ્ધતિમાં ધ્યેય ખૂબ નાઇટ્રોજનવાળું સક્રિય ખાતર તૈયાર કરવાનું હોય છે જેની ખાસ ઉપયોગિતા કૃત્રિમ ખાતરો જેવી જ હોય છે.

ઇંદોરની ‘ઇન્સ્ટિટયૂટ ઑફ પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી’માં થયેલા કામથી જે મિ. એલબર્ટ હાવર્ડે આ દિશામાં ૨૦ વરસ સુધી કરેલી પ્રયાસોનું અંતિમ પરિણામ છે, - નિશ્ચિતપણે પુરવાર થયું છે કે આ સિદ્ધાંતોનો સેહલાઇથી અમલ થઇ શકે તેમ છે. કૉમ્પોસ્ટ બનાવવાની ઇંદોર પદ્ધતિ વહેવારુ પક્રિયા આપે છે અને વિકાસના નવા રસ્તા ખોલે છે. ખેતરો ને શહેરોમાં તથા ગામોમાં કચરાપૂંજાના તથા મળના રૂપમાં જે અપાર કુદરતી સાધનો મોજૂદ છે તેનો આમ મિશ્ર ખાતર બનાવીને ખેતીમાં ઉપયોગ કરી શકાય. ખોળની નિકાસ અને છાણનો બળતણ તરીકે થતો ઉપયોગ અટકાવ્યા સિવાય આ રીતે ઘણું ખાતર મળી શકે છે, અને કૃત્રિમ ખાતરોના ઉપયોગમાં કરકસર કરી શકાય છે, જે પ્રાણિજ તત્ત્વોની મદદથી જ સારામાં સારું પરિણામ બતાવી શકે છે.

‘યુટિલાઇઝેશન ઑફ એગ્રિકલ્ચરલ વેસ્ટ’ (હાવર્ડ ઍન્ડ વેડ, ઑકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૩૧) નામના પુસ્તકમાં આ સિવાયના પ્રશ્નો અને તેની પાછળ રહેલા સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. આ લેખમાં હિંદુસ્તાનના ખેડૂતની સ્થિતિને લાગુ પડે એટલી આ પક્રિયાની ટૂંકી રૂપરેખા આપી છે.

હિંદુસ્તાનના બાગાયત ખેતીના પાકો માટે ઉકરડાનું ખાતર કીંમતી મનાય છે. પણ જરાયત ખેતીમાં પણ આવું થોડું ખાતર આપતા રહેવું એટલું જ જરૂરી છે. કૉમ્પોસ્ટ બનાવવાની ઇંદોરપદ્ધતિ સારું ખાતર મોટા જથ્થામાં જલદી જલદી તૈયાર કરે છે. આ ખાતર નાખતાંની સાથે મોલને લાભદાયક થઇ પડે છે. વાડાના ખાતરનું આવું નથી. યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો ઇંદોર કૉમ્પોસ્ટ ત્રણ માસમાં તૈયાર થાય છે, અને ત્યારે તે ઝાંખા ભૂરા રંગનું ને છૂટું છૂટું હોય છે. તેમાં લગભગ ૨૦ ટકા જેટલો અરધોપરધો સડેલો જાડો પદાર્થ હોય છે જે આંગળીઓ વડે દબાવવાથી સહેલાઇથી ભૂકો થઇ જાય છે. બાકીનો ભાગ ભીનો હોય (અને તેથી તેના કણ ફૂલેલા હોય) ત્યારે એક ઇંચમાં છ કાણાંવાળી ચાળણીમાંથી ચાળી શકાય એટલો બારીક હોય છે. આ ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ તેમાં વપરાયેલ કચરાપૂંજાના ગુણ મુજબ ૮ થી ૧૦ ટકા અથવા તેથી પણ વધારે હોય છે. બળદથી એક જોડનું તાજું છાણ, ૧૦૦ થી ૧૨૫ ગાડાં ખેતર તથા કોઢનો બધી જાતનો કચરો અને કોઢમાંથી કાઢેલી મૂતરવાળી માટીનો અરધો ભાગ - આમાંથી દર વરસે ૫૦ ગાડાં મિશ્ર ખાતર સહેલાઇથી બનાવી શકાય. મૂતરવાળી માટી પોતે પણ સારું ખાતર છે અને તે સીધી ખેતરમાં નાખી શકાય. આથી વધારે કચરો મળે તો બાકીનું બધું છાણ અને મૂતરવાળી માટી મળીને તેમાંથી ૧૫૦ ગાડાં મિશ્ર ખાતર બનાવી શકાય. ઇંદોરમાં ચાલતા મજૂરીના દર ઉપરથી (પુરુષને આઠ આના અને સ્ત્રીને પાંચ આના) આ ખાતરની પડતર કિંમત ગણીએ તો ગાડા દીઠ સાડા આઠ આના આવે છે.

ઇંદોર પદ્ધતિની રૂપરેખા

ખેતરના નકામાં કચરાને તાજું છાણ, લાકડાની રાખ તથા મૂતરવાળી માટી સાથે ખાડામાં ઝપાટાબંધ સડાવવો એ આ પક્રિયાનું મુખ્ય અંગ છે. ખાડા ૧૪ ફૂટ પહોળા અને ૨ ફૂટ કરતાં ઊંડા ન હોવા જોઇએ. લંબાઇ ૩૦ ફૂટ રાખવી ઠીક પડશે. ખાડાનું આ માપ મોટા પાયા પરના કે નાના પાયા પરના બંને જાતના કામ માટે અનુકૂળ પડશે. દાખલા તરીકે ખાડાનો ૩ ફૂટ જેટલો ભાગ બે જોડ બળદોની કોઢમાંથી જે છાણ તથા કચરો મલે તેનાથી છ દિવસમાં ભરી શકાય. પછી તેની જોડેનો ભાગ ભરવો. આવા દરેક ભાગને સ્વતંત્ર એકમ ગણવું જોઇએ. ખાડામાંની વસ્તુઓને છાણ, લાકડાની રાખ, મૂતરવાળી માટી તથા જે ખાડામાં કચરો સડવાની પ્રક્રિયા ચાલી રહી હોય તેમાંની ફૂગ - આ બધું થોડું થોડું પાણીમાં નાખીને બનાવેલા મિશ્રણથી સરખી રીતે પલાળવામાં આવે છે. આ ઝપાટાબંધ સડતા ખાતર ઉપર ફૂગ આવવાથી તે જલદી સફેદ બની જાય છે. આ ફૂગવાળા ખાતરનો ઉપયોગ નવા ખાડામાના કચરાને જલદીથી સડાવવાના કામમાં કરવામાં આવે છે. પહેલી વાર જ્યારે સડાની ક્રિયા શરૂ કરાવનાર આ ફૂગવાળું ખાતર ન હોય ત્યારે ખાડામાં પહેલો થય પાથરતી વખતે થોડાં લીલાં પાંદડાં નાખવાથી ફૂગ લાવી શકાય છે. સડો શરૂ કરનાર આ ફૂગમાં પૂરો ગુણ ત્રણચાર વાર વપરાયા પછી જ આવે છે. ખાડાની સપાટી પર પાણી છાંટીને અને ખાડામાંની વસ્તુઓને ફેરવીને તથા ફેરવીને તથા બીજી વાર ફૂગ નાખીને ભીનાશ તથા હવાને નિયમિત બનાવીને સડવાની ક્રિયા ચાલું રાખવામાં આવે છે. આ વખતે ફૂગ ત્રીસ દિવસ પહેલાં શરૂ કરેલા ખાડામાંથી લેવામાં આવે છે. ખાડામાંનો ઢગલો જલદી ગરમ થઇ જાય છે અને લાંબા વખત સુધી ગરમ રહે છે વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવે તો એકસરખું સરસ મિશ્રણ તૈયાર થાય છે અને તેને ઘણી હવા પણ મળતી રહે છે. મધ્યમસર પાણી આપવાથી વસ્તુઓ સડવાનું એકદમ શરૂ થાય છે, જે છેવટ સુધી ચાલુ રહે છે. અને છેવટે એકસરખું ઉમદા તૈયાર થાય છે.

ખાડા બનાવવા

ઢોરો બાંધવાના માંડવા નજીક અને શક્ય હોય તો પાણીનું સાધન હોય ત્યાં સૂકી જમીન પસંદ કરવી. ૩૦ ટ ૧૪ ટ ૨ ફૂટના માપનો ખાડો કરવા માટે ૩૦ ટ ૧૪ના માપનો એક ફૂટ ઊંડો ખાડો ખોદી તેની માટી ચારે બાજુની ધારો પર પાથરવી એટલે ઊંડાઇ બે ફૂટ થશે. આવા ખાડાઓ બબ્બેની જોડીમાં કરવા અને તેમની લંબાઇ પૂર્વપશ્ચિમ રાખવી. બે ખાડા વચ્ચેનું અંતર છ ફૂટ હોવું જોઇએ, અને બે જોડકાં વચ્ચેનું અંતર બાર ફૂટ હોવું જોઇએ. તૈયાર થયેલા કૉંમ્પોસ્ટના ઢગલા અને વરસાદમાં કરવામાં આવતા ઢગલા ખાડાનાં બે જોડકાં વચ્ચેની આ ખુલ્લી જગ્યામાં કરવામાં આવે છે. આ જગ્યા દરેક ખાડામાંથી ખાતર સીધું ગાડામાં ભરીને લઇ જવા માટે પણ કામમાં આવે છે.

માટી અને ઢોરનું મૂતર

ઢોરોના મૂતરમાં ખાતરનાં કીમતી તત્ત્વો હોય છે, જે ખાતર બનાવવાની સામાન્ય પદ્ધતિમાં મોટે ભાગે નાશ પામે છે. ઢોરના માંડવાની જગ્યાનું ભોંયતળિયું પાકું બાંધવું એ ખરચાળ અને બળદો માટે સારું નથી હોતું. ઢોરોને ઊઢવા બેસવા અને ઊંઘવા માટે છૂટી માટીનું નરમ, ગરમ અને સૂકું પાથરણું સસ્તું બનાવી શકાય છે. આને માટે ખળામાંથી વાળેલો કચરો, ઢાળિયામાંનો કાંપ અને ઘાસ સાચવી રાખવા માટે કરેલા ખાડામાંથી માટી ઠીક પડે છે. આ માટીના થરમાંથી રોજ મૂતર પીધેલી માટી ઉઝરડી લઇને તેની જગ્યાએ તાજી માટી નાખી તેના ઉપર ઢોરોનો ઓગાટ પાથરવામાંઆવે તો છ ઇંચનો થર કશી ગંદકી વગર ઢોરોનું બધું મૂતર ચૂસી લેવા માટે પૂરતો છે. આ મૂતરવાળી માટી દર ચાર મહિને કાઢી લઇને નવો થર બનાવવો જોઇએ. મૂતરવાળી માટીનો બારીક ભાગ કૉંમ્પોસ્ટ બનાવવા માટે રાખીને મોટા ગાંગડા સીધા ખેતરમાં નાખવા. આ ખાતરની અસર તરત થવા માંડે છે. ખાસ કરીને બાગયત ખેતીમાં આ ખાતર ઉપરથી આપી શકાય છે.૫

છાણ અને રાખ

રોજ જે છાણ ભેગુંથાય તેમાંથી કેવળ તાજા છાણનો ઉપયોગ કરવાનો છે. તેને પાણીમાં પલાળીને પ્રવાહીરૂપે છાંટવામાં આવે છે. બાકીના છાણનાં, જોઇએ તો બળતણ માટે છાણાં બનાવી શકાય. રસોડામાંથી અને બીજેથી લાકડાની રાખ ચીવટપૂર્વક એકઠી કરવી જોઇએ, અને તે ઢાંકીને ભરી રાખવી જોઇએ.

ખેતરનો કચરો

ખેતરમાં બીજી રીતે ઉપયોગી ન હોય તેવા દરેક પ્રકારનાં ઘાસપાનનો કૉંમ્પોસ્ટ બનાવવામાં ઉપયોગ કરી શકાય. જેવાં કે, નકામું ઊગી નીકળતું ઘાસ, કપાસના છોડની સાંઠી, તલસરાં, કસૂંબી, અળસી, સરસવ, ચણા-આ બધાનાં ડાંખળાં-પાંદડાં, શેરડી, જુવાર, મકાઇ વગેરેનાં સાંઠાના કૂચા તથા મૂળિયાં, ઝાડનાં પાંદડાં, ઘાસનો ઓગાટ, પરાળ વગેરે. આમાંની સખત વસ્તુઓ કચરવી પડશે. સિંધમાં કાચા રસ્તા ઉપર પણ ગાડાના ચીલામાં આવી વસ્તુઓ પાથરીને અને થોડે થોડે વખતે કચરાયેલો ભૂકો કાઢી લઇ નવી વસ્તુઓ ઉમેરતા જઇને આ કચરવાની ક્રિયા સરળતાપૂર્વક કરી લેવામાં આવે છે. મૂળિયાં અને ખાંપા વગેરે વધારે સખત ભાગને કચરાયા પછી ઓછામાં બે દિવસ સુધી પલાળી રાખવો જોઇએ. અથવા બે-ત્રણ મહિના સુધી પલાળી રાખવો જોઇએ. અથવા બે-ત્રણ મહિના સુધી ભીની માટીમાં દાટી રાખવો જોઇએ, પછી તે વાપરી શકાય. ચોમાસામાં આ સહેલાઇથી થઇ શકે. લીલી વસ્તુઓ થોડી સૂકવી લઇને તેની ઢગલી કરવી. જે વસ્તુઓ થોડી થોડી હોય તે બધી જુદી પાડીને તેમની એક ઢગલી કરવી અને જે ચીજો મોટા પ્રમાણમાં હોય તેમની દરેકની જુદી જુદી ઢગલી કરવી. આ બધું કૉમ્પોસ્ટના ખાડામાં લઇ જતી વખતે બધી વસ્તુઓનું મિશ્રણ લેવું અને કોઇ એક વસ્તુ કે કરતાં વધારે ન આવે તેનો ખ્યાલ રાખવો જોઇએ. પાણીમાં ભીંજવી રાખેલાં અથવા નરમ બનાવેલાં લેવાં જોઇએ. સામાન્ય રીતે મળી આવે એવી વસ્તુઓ એકઠી કરીને આંખું વરસ ચાલે એટલા પ્રમાણમાં વાપરવામાં આવે તો આ સહેજે થઇ શકે એમ છે. શણ અથવા એવા બીજા ખરીફ પાકના ઉપયોગથી કૉમ્પોસ્ટને વધારે ગુણકારી બનાવી શકાય છે. તે લીલા લીલા કાપવા જોઇએ અને સુકાય એટલે ઢગલો કરવો જોઇએ. આથી રવીની મોસમ વખતે સાફ જમીન મળશે અને શણના વાવેતરથી રવી પાકને ફાયદો થશે.

પાણી

જ્યાં કૉમ્પોસ્ટ બનાવવાનું હોય ત્યાં નજીકમાં એક નાનો ખાડો બનાવીને ઘરના વપરાશનું ગંદું પાણી એકઠું કરવામાં આવે, ને તે રોજ વાપરવામાં આવે તો ઘણી મહેનત બચી જશે. લાંબા વખત સુધી બંધિયાર રહેલું પાણી નુકસાનકારક છે. એટલે આથી વધારે પાણીની જરૂર હોય તો બીજી ગોઠવણ કરવી જોઇએ. એક ગાડું કૉંમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઋતુ પ્રમાણે ૪ ગૅલનનાં ૫૦ થી ૬૦ પીપ પાણીની જરૂર પડે છે.

વિગતવાર વર્ણન

ખાડા ભરવા

ચાર ફૂટ લાંબો અને ત્રણ ફૂટ પહોળો એક ટાટનો ટુકડો લો અને તેની લાંબી બાજુની બંને કિનારો ૭ાા ફૂટ લાંબા બે વાંસ સાથે સીવી લો એટલે સ્ટ્રેચર જેવું સાધન તૈયાર થશે. આને ઝોળી કહીશું. ઢોરના માંડવામાં બળદ નીચે એક અને ભેંસ નીચે ૧ાા ઝોળીના હિસાબે ખેતરનો કચરો રોજ પાથરો. આ કચરામાંં ઢોરનું મૂતર શોષાતું રહે છે. અને ઢોરો તેને કચરીને સરખો કરે છે. વરસાદમાં ઢોરોનું પાથરણું, તેને માટે ખાસ રાખી મૂકેલા સૂકા કચરાના બે થરોની વચ્ચે જરા ચીમળાયેલા લીલા કચરાનો થર નાખીને બનાવવામાં આવે છે. પ્રવાહી બનાવી લીધા પછી જે છાણ વધે તેનાં છાણાં બનાવી શકાય અથવા નાની નારંગી જેવડાં લોંદા કરીને તે ઢોરની નીચે પાથરી શકાય. પ્રવાહી બનાવ્યા પછી મૂતરવાળી માટી અને ફૂગવાળા ખાતરનો બચેલો ભાગ બીજે દિવસે સવારે ઢોરોના પાથરાણા ઉપર છાંટી દેવામાં આવે છે. પછી પાથરાણું પાવડાથી ઉઝરડી લઇને સીધું ખાડામાં આછું આછું પાથરી દેવામાં આવે છે. પછી લાકડાની રાખ, તાજું છાણ, મૂતરવાળી માટી અને ફૂગવાળું ખાતર બધું થોડું લઇ તેનું પ્રવાહી બનાવી તેનાથી દરેક થરને એકસરખો પલાળવામાં આવે છે. સૌથી ઉપરના થરને પાણી છાંટીને ભીંજવવામાં આવે છે અને સાંજે તથા બીજે દિવસે સવારે વધારે પાણી છાંટીને પૂરેપૂરો ભીંજવી દેવામાં આવે છે. જેટલો કચરો મળે એમ હોય તેના પ્રમાણમાં એક ખાડો અથવા તેનો અમુક ભાગ છ દિવસમાં પૂરેપૂરો ભરી દેવો જોઇએ. ત્યાર પછી ખાડાનો બીજો ભાગ અથવા બીજો ખાડો એ જ રીતે ભરવાનું શરૂ કરવામાં આવે. કચરો ભરતી વખતે કતેને પગથી દબાવવો નુકસાનકારક છે, કારણ કે, તેમ કરવાથી હવા અંદર જતી અટકે છે.

વરસાદમાં ખાડા પાણીથી ભરાઇ જાય છે. વરસાદ આવે એટલે ખાડામાંથી કચરો જમીન પર એકઠો કરવો જોઇએ. વરસાદમાં ૮ ટ ૮ ટ ૨ ફૂટના ઢગલા જમીન પર કરીને નવું કૉમ્પોસ્ટ બનાવવું જોઇએ. આ ઢગલા ખાડાનાં જોડકાંની વચ્ચેની જગ્યા પર પાસે પાસે અને સીધા કરવા જોઇએ જેથી તેમને ઠંડો પવન ન લાગે.

કૉમ્પોસ્ટને ફેરવવું અને તેના પર પાણી છાંટવું

સડતા કૉમ્પોસ્ટની ઉપર દર અઠવાડિયે પાણી છાંટીને તેનો ભેજ સાચવી રાખવામાં આવે છે. ખાડાની અંદર વચ્ચે વચ્ચે ભેજ અને હવા પહોંચાડવી જરૂરી છે એટલે ખાતરને પાણીના છંટકાવ સાથે ત્રણ વાર ફેરવવું જોઇએ જેથી ભેજ સચવાઇ રહે. વરસાદના દિવસોમાં પાણી ઓછું છાંટવું અથવા મુદ્દલ ન છાંટવું. પરંતુ પહેલી વાર ખાડો ભરવામાં આવે ત્યારે તો ગમે તે ઋતુ ચાલતી હોય. તોપણ પાણી છાંટવું જ જોઇએ.

પહેલી ફેરવણી - લગભગ ૧૫ દિવસ પછી

ખાડામાંથી ઉપરનો સડ્યા વગરનો થર કાઢી લઇ તેનો નવો ખાડો ભરવાના કામમાં ઉપયોગ કરવો. પછી ખુલ્લી થયેલી સપાટી પર ૩૦ દિવસનું જૂનું કૉમ્પોસ્ટ પાથરવું અને તેના પર એટલું પાણી રેડવું કે તે લગભગ છ ઇંચ સુધી સારી રીતે ભીંજાઇ જાય. પહેલા પલટા વખતે ખાડાના બે ઊભા કરવામાં આવે છે અને હવાની દિશા તરફનો અડધો ભાગ જેમનો તેમ રાખી બાકીનો અડધો ભાગ કાઢીને તેના ઉપર નાખવામાં આવે છે. (આ ફેરવણી માટે સેંથલો ઠીક પડશે.) કચરાનો એક એક થર વારાફરતી ન ઉપાડવો પણ ઉપરથી નીચે સોંસરો જેંસલો મારીને ઉપાડવો પણ ઉપરથી નીચે સોંસરો જેંસલો મારીને ઉપાડવો જેથી બધા થરમાંનો કચરો આવે. ફેરવાયેલા કચરાનો દરેક થર, જે લગભગ છ ઇંચનો હશે, તેને પાણી છાંટીને સારી રીતે પલાળવો જોઇએ. વરસાદમાં આખોય ઢગલો ફેરવવો.

બીજી ફેરવણી - એક મહિના પછી

ખાડાના અર્ધા ભાગનો કચરો ઉપર પ્રમાણે બાકીના ખાલી ભાગમાં સેંથલાથી ફેરવી નાખવો અને તેના પર પૂરતું પાણી છાંટવું. આમાં પણ ઉપરથી નીચે સુધીના ખાતરનું મિશ્રણ થાય તેનું ધ્યાન રાખવું જોઇએ.

ત્રીજી ફેરવણી - બે મહિના પછી

એ જ રાતે પાવડાથી કૉમ્પોસ્ટ ખાડાની પાસેની ખુલ્લી જગ્યા પાસે ફેલાવીને તેના પર પાણી છાંટવામાં આવે છે. બે ખાડાનું ખાતર કાઢીને તેની વચ્ચેની ખુલ્લી જગ્યા પર ૧૦ ફૂટ પહોળો અને ૩ાા પૂટ ઊંચો ઢગલો કરી શકાય. ઢગલાની લંબાઇ ગમે તેટલી રાખી શકાય. અમે આમ ઘણા ઠગલા સાથે સાથે કરી શકાય. સગવડ હોય તો ખાતરને સારી રીતે પાણી છાંટીને ખાડામાંથી ગાડામાં ભરીને સીધું ખેતરમાં લઇ જઇ શકાય. જે જમીનમાં ખાતર નાખવાનું હોય ત્યાં જ તેનો ઢગલો કરવો જોઇએ. એમ કરવાથી વાવણીની મોસમમાં કીમતી સમય બચી જશે. બધા ઢગલા સીધા અને ઉપરથી સપાટ હોવા જોઇએ જેથી તે વધારે સુકાઇ ન જાય અને કોહવાની ક્રિયા અટકી ન જાય.

સારા ખાતરમાં કોઇ પણ તબક્કે દુર્ગંધ નથી આવતી અને તેનો રંગ એકસરખો રહે છે. દુર્ગંધ મારે કે માખીઓ બેસે તો જાણવું કે તેને વધારે હવાની જરૂર છે; અને તેથી ખાડાના ખાતરને ફેરવવું જોઇએ અને તેમાં થોડી રાખ અને છાણ નાખવું જોઇએ.

દરેક દાખલામાં કચરો, છાણ, વગેરે કેટલા પ્રમાણમાં જોઇએ તે સાદી ગણતરીથી નીચેના આંકડાના આધારે સહેલાઇથી જાણી શકાશે.

૪૦ ઢોરો માટે જરૂરી માત્રા

છ દિવસ સુધી રોજ ખાડા ભરવા : ૪ તગારી (૧૮ ઇંચ વ્યાસવાળી અને છ ઇંચ ઊંડી) ફૂગવાળું ખાતર, ૧૫ તગારી મૂૂરતવાળી માટી અને બળતણમાં ન વપરાતું હોય તો, ફાલતું છાણ ખાડામાં પાથર્યા પછી તેના પર કોઢમાંનુ પાથરણું અને પાથરણું ઉઠાવ્યા પછી ઝાડુથી વાળીને એકઠો કરેલો બારીક કચરો એક દિવસમાં ખાડામાં નાખવાનું પ્રમાણ - ૪૦ થી ૫૦ ઝોળી.

મિશ્રણ : કોઢના એક દિવસના કચરા વગેરે માટે ૨૦ પીપ (૧૮ પીપ = ૪ ગૅલન) પાણી, ૫ તગારી છાણ, ૧ તગારી રાખ, ૧ તગારી મૂતરવાળી માટી અને ૨ તગારી ફૂગવાળું ખાતર.

પાણી : ઢોરની કોઢના એક દિવસના કચરા માટે ૬ પીપ ખાડો ભરવાની સાથે, ૧૦ પીપ સાંજે અને ૬ પીપ બીજે દિવસે સવારે.

ઉપરથી સપાટી પર છંટકાવ : દરેક વખતે પચીસ પીપ.

ફેરવણી વખતે પાણી : પહેલી ફેરવણી વખતે ઋતું અનુસાર ૬૦ થી ૧૦૦ પીપ, બીજી ફેરવણી વખતે ૪૦ થી ૬૦ પીપ, ત્રીજી ફેરવણી વખતે ૪૦ થી ૮૦ પીપ.

ફૂગવાળું ખાતર : પહેલી ફેરવણી વખતે ૧૨ તગારી.

કોષ્ટક

એક તગારીમાં જુદી જુદી વસ્તુઓ કેટલી ભરી શકાય.

વસ્તુ પોશ વજન પાઉંડમાં

તાજું છાણ ૬ થી ૭ ૪૦

મૂતરવાળી માટી ૨૦ થી ૨૧ ૨૨

લાકડાંની રાખ ૧૫ ૨૦

ફૂગવાળું ખાતર ૪ ૨૦

પહેલી ફેરવણી વખતે

ફૂગવાળું ખાતર ૬ ૨૦

કામનું સમયપત્રક

કામ

૧ લે દિવસે ખાડા ભરવાનું શરૂ થાય છે.

૬ ઠ્ઠે દિવસે ખાડા ભરવાનું પૂરું થાય છે.

૧૦ મે દિવસે ફૂગ જામે છે.

૧૨ મે દિવસે પાણીનો પહેલો છંટકાવ

૧૫ મે દિવસે પહેલી ફેરવણી અને એક મહિનાનું

૧૬ મે દિવસે જૂનું કૉમ્પોસ્ટ ઉમેરવું

૨૪ મે દિવસે પાણીનો બીજો છંટકાવ

૩૦,૩૨ મે દિવસે બીજી ફેરવણી

૩૮ મે દિવસે પાણીનો ત્રીજો છંટકાવ

૪૫ મે દિવસે પાણીનો પાંચમો છંટકાવ

૬૦ મે દિવસે ત્રીજી ફેરવણી

૬૭ મે દિવસે પાણીનો પાંચમો છંટકાવ

૭૫ મે દિવસે પાણીનો છઠ્ઠો છંટકાવ

૯૦ મે દિવસે કૉમ્પોસ્ટ તૈયાર

ઇંદોર પદ્ધતિ પૂરેપૂરી અમલમાં મૂકી શકાય એવા સંજોગો ન હોય ત્યારે નીચે આપેલી પદ્ધતિથી ઇંદોર પદ્ધતિના લાભ કેટલેક અંશે મેળવી શકાશે.

આ પદ્ધતિમાં અનેક પ્રકારના કચરાનું મિશ્રણ ઢોરોના પાથરણા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજે દિવસે સવારે આ કચરો ખસેડતા પહેલાં તેના પર આગળ વર્ણવ્યું છે તેમ જોઇતા પ્રમાણમાં છાણ, મૂતરવાળી માટી અને રાખ પાથરવામાં આવે છે. ત્યારે પછી આ બધો કચરો જે ખેતરમાં તેનો ઉપયોગ કરવાનો હોય તે ખેતરને શેઢે અથવા બીજી કોઇ સૂકી જગ્યાએ લઇ જવામાં આવે છે અને તેના ૮ ઇંચ પહોળા અને ૩ ઇંચ ઊંચા ઢગલા કરવામાં આવે છે. ઢગલાની લંબાઇ અનુકૂળતા પ્રમાણે ગમે તેટલી રાખી શકાય. વરસાદ શરૂ થયા પછી લગભગ એક મહિને તેના પર ફૂગ વળી જશે. પછી એક દિવસ, જ્યારે આકાશમાં વાદળાં ઘેરાયાં હોય અથવા થોડો વરસાદ વરસતો હોય ત્યારે તેનેસારી રીતે ઉપરતળે કરીને ફેરવી નાખવામાં આવે છે. એક મહિના પછી તેને ઉપર પ્રમાણે એકબે વાર ફેરવવામાં આવેછે, જેથી મોસમ પૂરી થતામાં જો વચ્ચે વચ્ચે સારો વરસાદ થયો હોય તો તે સડી જાય છે.

અલબત્ત ખાતર તૈયાર થાય તે પહેલાં એક વરસ થોભવું આવશ્યક છે. અને ચોમાસું નિષ્ફળ નીવડે તો વધારે પણ થોભવું પડે.

આ રીતે જે ખાતર તૈયાર થશેતે ઇંદોર પદ્ધતિથી બનાવેલા ખાતર કરતાં હલકું હશે, પણ વાડાના સામાન્ય ખાતર કરતાં જરૂર વધારે સારું હશે; કારણ કે આ પદ્ધતિથી પણ સખત વસ્તુઓ સહેલાઇથી કહોવડાથી શકાય છે અને આ રીતે ગામડામાં પ્રચલિત પદ્ધતિથી જે ખાતર તૈયાર થાય છે તેના કરતાં ઘણું વધારે ખાતર બને છે.૬

ગામડાના પાકો

પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની દરેક ગામડાની પહેલી ફરજ ગણાશે. પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાંઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય, એવા પાકો લેવાશે. ઉપયોગી એટલે કે તેમાં ગાંજો, તમાકુ, અફીણ વગેરે પાકો નહીં.