Graam Swaraj - 18 books and stories free download online pdf in Gujarati

ગ્રામ સ્વરાજ - 18

૧૮

ખેતી અને પશુપાલન - ૫

ખોરાકની તંગીનો સવાલ

અનાજની તંગી

કુદરતી અગર માણસની ભૂલોને કારણે પડેલા દુકાળનો અને તેમાંથી પેદા થતા ભૂખમરાને કારણે કરોડોનો નહીં તો લાકોનાં મરણનો અનુભવ હિંદને પહેલાંયે થયેલો છે. હું માનું છું કે, કોઇ પણ સુવ્યવસ્થિત સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો બંદોબસ્ત હમેશાં આગળથી કરી રાખવામાં આવેલો હોય. પણ સુવ્યવસ્થિત સમાજનું અને તેવો સમાજ આ બાબતમાં કેવી ઢબે કામ લે તેનું વર્ણન કરવાનો આ અવસર નથી. ઠીકઠીક સફળતાની આશા રાખી આજે કે નહીં એટલું જ આજે તો વિચારવાનું છે.

મને લાગે છે આપણે એવો ઇલાજ જરૂર કરી શકીએ. એને અંગે પહેલો પાઠ આપણે સ્વાશ્રય અને આત્મશ્રદ્ધાનો શીખવાનો છે. એ પાઠ બરાબર પચાવીએ તો પરદેશો પર ખોરાકની બાબતમાં આધાર રાખવાની અને આખરે તેમાંથી દેવાળું કાઢવાની આફતમાંથી આપણે તરત ઊગરી જઇએ. આ હું કંઇ ગુમાનમાં આવી જઇને કહેતો નથી, એ વસ્તુસ્થિતિ છે. આપણો દેશ કેવડો છે તેનો વિચાર કરો. બહારની મદદ પર પોતાની ખાધાખોરાકીને માટે નભી શકે એટલો એ નાનો નથી. આપણો મુલક એક ઉપખંડ જેવો વિશાળ છે અને આપણા રાષ્ટ્રની વસ્તી લગભગ ચાળીસ કરોડની છે. આપણે ત્યાં મોટી મોટી નદીઓ છે, ભાતભાતની ખેતી થઇ શકે એવી જાતજાતની જમીન છે અને આપણું પશુધન કદી ખૂટે એવું નથી. આપણાં ઢોર આપણી જરૂર જેટલું દૂધ આપતાં નથી તેમાં કોઇનો નહીં, આપણો પોતાનો જ વાંક છે. આપણે જેટલું જોઇએ તેટલું ટીપુંએ ટીપું દૂધ આપવીની આપણાં જાનવરોની ગુંજાશ છે. પાછલા થોડા સૈકા દરમિયાન આપણા મુલકની બરાબર સંભાળ રહી નથી. એની સંભાળ બરાબર રાખવામાં આવી હોત તો આજે આપણો દેશ પોતાની કુલ વસ્તીને પૂરતો કોરાક પૂરો પાડવાને સમર્થ થાત, એટલું જ નહીં, ગયા મહાયુદ્ધને પરિણામે આખી દુનિયાને માથે આજે ખોરાકના પદાર્થોની તંગીની જે આફત ઊતરી છે તેમાંથી તેને ઉગારી લેવાને જરૂરી એવું અનાજ પૂરું પાડવાના કામમાં પણ તેણે પોતાની ઘટતી ફરજ બજાવી હોત. દુનિયામાં વરતાતી અનાજની તંગીમાંથી તો આજે હિંદ પણ બાદ નથી. તંગીની આફત ઘટવાની વાત તો દૂર રહી, ઊલટી વધતી હોય એવાં લક્ષણો દેખાય છે. આ સવાલને અંગે હું જે દરખાસ્ત કરવા માગું છું તેમાં કોઇ પણ પરગજુ દેશ આપણને છૂટથી મફત અનાજપહોંચાડવા માગતો હોય તેને નગુરા થઇને ના પાડવાની વાત આવતી નથી. મારે એટલી જ વાત ભાર દઇને કહેવી છે કે આપણે ભીખ માગવાને જેની-તેની આગળ હાથ ન લંબાવીએ. એથી આપણી પ્રજા ભ્રષ્ટ થાય છે. આમાં વળી દેશમાં એક ઠેકાણેથી બીજા ઠેકાણે અનાજની હેરફેરની મુશ્કેલીનો ઉમેરો. એક સ્થળેથી બીજે સ્થળે ઝપાટાબંધ અનાજ લાવવા લઇ જવાને જરૂરી સાધનો ને સગવડ આપણી પાસે નથી. એમાં વળી ખાવાના કામમાં ન આવે તેવું અનાજ આપણે માથે પડે એ પણ કંઇ છેક ન બને તેવી વાત નથી. આ અનાજ આપવાલેવામાં આપણે સામાન્ય માનવસ્વભાવ સાથે કામ પાડવાનું છે એ ભૂલ્યે ચાલે નહીં. માનવીનો સ્વભાવ તદ્દન સંપૂર્ણ સારો અથવા લગભગ તેવો પણ દુનિયામાં કોઇ ભાગમાં જોવાનો મળતો નથી.

હવે પરદેશોમાંથી કેટલી મદદ મળી શકે તેનો આપણે જરા વિચાર કરીએ. મને જણાવવામાં આવ્યું છે કે, આપણી આજની જરૂરિયાતના ત્રણ ટકાથી વધારે સહાય બહારથી આપણને મળે તેવી નથી. આ માહિતી બીજા ઘણા નિષ્ણાતોને પૂછીને સાચી છે કે નહીં તેની મેં ખાતરી કરી લીધી છે. તો આ કેવળ ત્રણ ટકા પૂરતી સહાય મેળવવાને માટે ફાંફાં મારવાની આખી દલીલમાં કશો દમ રહેતો નથી. આપણે બહારની મદદ પર જરા જેટલોયે આધાર રાખવા જઇશું તો સંભવ છે કે અવળે રસ્તે ચડી જઇશું, આપણાથી દેશમાં ને દેશમાં જે બની શકે તે બધું કરી છૂટવાનું માંડી વાળીશું અને ખેતી થઇ શકે તેવી જમીનના તસુએ તસુમાં વેચીને નાણાં કમાવાના કામમાં આવે તેવા કપાસ વગેરે જેવા પાકો લેવાનું બંધ કરી રોજિંદા ખોરાકને માટે જરૂરી પદાર્થો ઉગાડવાનું પણ આપણને નહીં સૂઝે. જેને તરત ને તરત ખેડીને ખેતીના કામમાં લઇ શકાય તેવા ખરાબાઓમાં તો બેશક તરત ખેડાણ શરૂ થવું જોઇએ.

એક કેન્દ્રમાં ખોરાકની ચીજો એકઠી કરી ત્યાંથી જ બંદોબસ્ત કરવાથી મને ડર છે કે ઘણો બગાડ થશે. એથી ઊલટું અનેક કેન્દ્રી વ્યવસ્થા રાખવાથી સહેજે કાળાંબજારોને ફટકો પડશે અને અનાજની અહીંથી તહીં હેરફેર કરવાને અંગેના વખતનો અને ખરચનો બચાવ થશે. વળી હિંદના ગામડાનો વતની જે અનાજની ને કઠોળની ખેતી કરી જાણે છે તે ઉંદર, કોળ વગેરેથી પોતાના પાક કેમ બચાવી લેવા તે પણ બરાબર જાણે છે. એક સ્થળેથી બીજે સ્થળે એમ અનેક સ્થળો પર અનાજ લઇ જવામાં તેમાંનું ઘણું ઉંદરો વગેરે જીવ ખાઇ જાય એવો ભય રહે છે. આમાં દેશને કરોડોનું નુકસાન થાય છે અને આજે તો અનાજના એકએક દાણાની આપણને મોટી જરૂર છે ત્યારે ખાંડીબંધ દાણો નકામો જાય છે. જ્યાં જ્યાં ઊગી શકે ત્યાં એકેએક તસુમાં ખાઇ શકાય એવા પદાર્થો ઉગાડવાની આજે મોટી જરૂર ઊભી થઇ છે એ વાતનું એકેએક હિંદીને પૂરું ભાન થાય તો મુલકમાં ખોરાકની તંગી છે એ વાત પણ આપણે સંભવ છે કે ભૂલી જઇએ. વધારે અનાજ તેમ જ ખોરાકના પદાર્થો ઉગાડવાના મોહક તેમ જ રસમાં ડુબાડી દેનાર વિષયની મ અહીં બેશક પૂરી ચર્ચા કરી નથી. મેં જે કંઇ કહ્યું છે તેટલા પરથી મને આશા છે કે આ વખાણવાલાયક કામમાં હરેક માણસ કેવી રીતે ભાગ લઇ શકે એ હરેક સમજદાર માણસને સમજાશે અને હરેકના મનમાં એ વિષે રસ જાગશે.

હવે ત્રણ ટકા જેટલી ખાધનું અનાજ જે બહારથી મળી શકે એવો સંભવ છે તેને વિષે શું થઇ શકે તેહું બતાવું. હિંદુઓમાં દર પખવાડિયે અગિયારસને દિવસે આખો અથવા અરધા દીવસનો ઉપવાસ કરવાનો રિવાજ છે. મુસલમાનોને પણ ખાસ કરીને કરોડોની સેવા કરવાની છે ત્યારે ઉપવાસનો સંયમ પાળવાનો બંધી નથી. એટલે આખા દેશને આવા થોડા વખતને માટે ખાવામાં સંયમ પાળવામાં રહેલી ખૂબીનું ભાન થાય તો સ્વેચ્છાએ જે બહારની મદદ જતી કરશે તેથી પોતાને પડતી ખોરાકની ખાધને હિંદ પહોંચી વળશે એટલું જ નહીં, તેને વધારાની બચત થશે.

અંગત રીતે મને પોતાને લાગે છે કે માપબંધીનો ઉપયોગ નથી અને હશે તો નજીવો છે. અનાજ પેદા કરનારા વર્ગને પોતાની મેળે જેમ કરવું હોય તેમ કરવાની છૂટ આપવામાં આવે તો તે લોકો પોતે નિપજાવેલો માલ બજારમાં લઇ આવશે અને આજે સહેલાઇથી મળતો નથી તે સારો ખાવા લાયક દાણો સૌને મળી રહેશે.

ભુખે મરતી યુરોપની પ્રજાને માટે અત્યંત જરૂરી એવો દાણો બચાવવાને માટે અમેરિકાના લોકોએ રોટીઓછી ખાવાનું શરૂ કરવું એવી જે સલાહ પ્રેસિડન્ટ ટ્રમૅનેપોતાના રાજ્યની પ્રજાને આપ્યાના સમાચાર આવ્યા છે તેના તરફ ધ્યાન ખેંચીને હું આપણી ખોરાકની પરિસ્થિતિ વિષેનું આજનું ટૂંક વિવેચન પૂરું કરીશ. પ્રમુખ ટ્રમૅને વધારામાં કહ્યું છે કે આવા પોતે સૂચવેલા સંયમના ઇલાજથી અમેરિકાની પ્રજાની તબિયતને કોઇ જાતનું નુકસાન થનાર નથી. માનવસેવાની ભાવનાથી પ્રેરિત આવી સલાહ પોતાની પ્રજાને આપવાને માટે પ્રેસિડન્ટ ટ્રમૅનને હું અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું. આ માનવસેવાની ભાવનાની ભીતરમાં ઊંડે ઊંડે અમેરિકાને માટે પૈસાનો ફાયદો કરાવી લેવાની હીનવૃત્તિ છુપાયેલી છે એવું જે સૂચન થાય છે તે મને મંજૂર નથી. માણસની પરીક્ષા કામને પ્રેરનારા આશયથી નહીં પણ પ્રત્યક્ષ કામ પરથી જ કરવી જોઇએ. કેમ કે, માણસોના હ્યદયને જાણનારો એક અંતર્યામી સિવાય બીજો કોઇ નથી. ભૂખે મરતા યુરોપને ખાતર અમેરિકા જો આવો સંયમ પાળવાને તૈયાર થાય તો શું આપણા પોતાના હિતને ખાતર આપણે એવો થોડો સંયમ નહીં કરીએ ? ઘણા લોકોને માટે ભૂખમરાથી મરવાનો ડર આવીને ઊભો હોય તે વખતે રાષ્ટ્રોને ઊંચે ચડાવનારા સ્વાશ્રયનો ઇલાજ ખાતર આપણે પણ જાત પર કાબૂ રાખવાને અંગે આપણાથી થાય તેટલું બધું કરી છૂટવાની પૂરી કોશિશ કરી હતી એવો યશ કેમ ન લઇએ ?૧

અછત સમયે શું ?

જે માણસ બચાવે છે તે તેટલું નફામાં મેળવે છે, એટલે કે તેટલું નિપજાવે છે. તેથી જેમને ગરીબો માટે લાગણી હોય, જેમને તેઓની સાથે એકતા સાધવી હોય તેમણે પોતાની હાજત પર કાપ મૂકવો ઘટે છે. એમ કરવાના ઘણા રસ્તા છે. એમાંના કેટલાકનો જ હું અહીં ઉલ્લેખ કરીશ.

ધનિકો ઘણો - વધારે પડતો - ખોરાક ખાય છે ને બગાડે છે. એક ટંકે એક જ અનાજ રાંધવું જોઇએ. સામાન્ય ઘરોમાં એકીસાથે રોટલી, ભાત, દાળ, દૂધ, ઘી, ગોળ ને તેલ ઉપરાંત શાકભાજી ને ફળ પણ વપરાય છે. આ મિશ્રણ આરોગ્યને હાનિકારક છે એમ હું માનું છું. જેમને દૂધ, પનીર, ઇંડાં કે માંસના રૂપમાં પ્રાણિજ પ્રોટીન મળી રહે છે તેમને દાળ ખાવાની કશી જરૂર રહેતી નથી. ગરીબ લોકોને કેવળ વનસ્પતિનાં પ્રોટીન જ મળે છે. જો ધનિકો દાળ અને તેલનો ત્યાગ કરે તો જે ગરીબોને પ્રાણિજ પ્રોટીન કે પ્રાણિજ ચરબી મળતાં નથી તેમનેઆ બે અતિ આવશ્યક વસ્તુઓ ખાવા મળી શકે. વળી જે અનાજ દાળના પાણીમાં કે શાકભાજીના રસામાં ભીંજવીને નહીં પણ કોરું ખાધું હોય, ત્યારે પ્રમાણમાં અડધા અનાજથી તૃપ્તિ થઇ રહે છે. કાંદા, ગાજર, મૂળા, સેલેડની ભાજી, ટમાટાં વગેરે કાચી વસ્તુઓના કચુંબર સાથે તે ખાઇ શકાય. અધોળ કે નવટાંક કચુંબર અચ્છેર રાંધેલા શાકની ગરજ સારે છે. રોટલી કે રોટલા દૂધ જોડે ન ખાવા જોઇએ. આરંભમાં, એક ટંક કાચાં શાક ને રોટલી કે રોટી, ને બીજે ટંકે બીજાં રાંધેલાં શાક સાથે દૂધ કે દહીં એવી યોજના કરી શકાય.

મિષ્ટાન્નનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. તેને બદલે થોડોક ગોળ કે ખાંડ દૂધ કે રોટલીની સાથે કે એકલાં લઇ શકાય.

તાંજા ફળ ખાવાં સારાં છે, પણ શરીરને પોષણ આપવા માટે તે થોડા જ પ્રમાણમાં લેવાં બસ હોય છે. એ ખર્ચાળ ચીજ છે, અને ધનિકો તે ઘણા વધારે પ્રમાણમાં ખાય છે તેને લીધે, ગરીબો ને માંદા જેમને એ ચીજની જરૂર ધનિકોના કરતાં ઘણી વધારે છે તેમને તે અલભ્ય થઇ પડી છે.

જેણે આહારશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એવો કોઇ પણ ડૉક્ટર એવું પ્રમાણપત્ર આપશે કે મેં જે આહાર સૂચવ્યો છે તેનાથી કોઇને કશું નુકસાન થવાનું નથી, પણ ઊલટું એથી આરોગ્યમાં સુધારો જ થશે.

આ તો આહારના પદાર્થોની બચત કરવાની માત્ર એક રીત થઇ. એ દેખીતી છે. પણ માત્ર એટલું કરવાથી નજરે જોઇ શકાય એવું ઝાઝું પરિણામ નહીં આવે.

દાણાના વેપારીઓએ લોભવૃત્તિ અને લેવાય એટલો નફો લેવાની ટેવ છોડવી રહી છે. જેટલો ઓછો નફો મલે તેટલાથી સંતોષ માનવો જોઇએ. તેઓ ગરીબોને માટે દાણાનો સંગ્રહ ને રક્ષા કરનાર હોવાની શાખ નહીં મેળવે તો લૂંટાવાનું જોખમ વહોરી લેશે. તેમણે પોતાની આસપાસના લોકોના સંસર્ગમાં રહેવું જોઇએ. મહાસભાવાદીઓએ પોતાના ગાળાના દાણાના વેપારીઓને મળીને તેમને યુગધર્મનો સંદેશો આપવો ઘટે છે.

આ કામનો સૌથી અતિમહત્ત્વનો ભાગ તો ગ્રામવાસીઓનએ એવી કેળવણી આપવાનો છે કે, તેઓ પોતાની પાસે જે કંઇ હોય તેનો સંચય કરી રાખે અને જ્યાં પાણીની સગવડ હોય ત્યાં નવા પાક ઉગાડે. આને માટે વિશાળ પ્રમાણમાં ને સમજપૂર્વક પ્રચારકાર્ય કરવાની જરૂર રહે છે. ઘણા લોકોને એ ખબર નથી કે કેળાં, બટાટા, બીટરૂટ, રતાળુ અને સૂરણ, અને અમુક અંશે કોળું, એ ખાદ્ય ચીજો છે ને સહેલાઇથી ઉગાડી શકાય છે. ભીડ પડ્યે તે રોટીની જગા લઇ શકે.

પૈસાની તંગી પણ છે. દાણા બજારમાં તો મળતા હોય પણ ગરીબો પાસે ખરીદવાના પૈસા નથી. પૈસા નથી કેમ કે ઉદ્યમ નથી. તે આપણે પૂરો પાડવો જોઇએ. એમાં કાંતણ સૌથી સુલભ ને સુગમ છે. પણ બીજા સ્થાનિક ઉદ્યોગ ધંધામાંથી પણ લોકોને મજૂરી આપી શકાય. જે જે કામ કાઢી શકાય એવું હોય તે કાઢવું જોઇએ, જેથી લોકોને ઉદ્યમનો તોટો ન રહે. કેવળ એદી લોકોને જ ભૂખ્યા રહેવાપણું હોય, ને તે રહેવા જોઇએ. આ વર્ગ જોડે પણ ધીરજપૂર્વક કામ લેવાથી તે પોતાનું એદીપણું છોડશે.૨

ખોરાકને અંગે કટોકટીના સંજોગોમાં નીચે ગણાવેલી બાબતો તરત હાથ પર લેવાવી જોઇએ.

૧. દરેક સ્ત્રી અને પુરુષે પોતાની તંદુરસ્તીને માફક આવે તે રીતે રોજની ખોરાકની ચીજોની સંખ્યામાં જેટલો કાપ મૂકી શકાય તેટલો મૂકી દેવો અને શહેરોની પેઠે જ્યાં જ્યાં દૂધ, શાકભાજી, તેલ અને ફળો મળી શકે ત્યાં અનાજ અને કઠોળમાં ઘટાડો કરી નાખવો. આ ઘટાડો સહેલથી કરી શકાય. ખોરાકમાં જરૂરી સ્ટાર્ચ અથવા ખાંડ તત્ત્વ ગાજર, શક્કરિયાં, બટાટા, સૂરણ અને રતાળુ જેવાં કંદો તેમ જ કેળાં વગેરેમાંથી મેળવી શકાય; આમાં ખ્યાલ એ છે કે આપણા ચાલુ ખોરાકની ચીજોમાંથી જે જે અનાજ તેમ જ કઠોળ બાદ રાખી ચલાવી શકાય તેમને સંઘરી ને ભરી રાખવાં. જ્યાં કરોડો લોકોને શાકભાજી જોવાનાંયે મળતાં નથી અને આજે તેમને માથે અનાજ તેમ જ કઠોળની અછતને લીધે ભૂખમરાની આફત ઝઝૂમી રહી છે ત્યાં શાકભાજી પણ મજા કે સ્વાદને ખાતર ઉડાવવાનાં હોય નહીં.

૨. જ્યાં જ્યાં જે જે પાણી મેળવી શકે તેણે, પુરુષોએ તેમ સ્ત્રઓએ પોતાના અંગત અથવા સામાન્ય વપરાશને માટે કંઇ ને કંઇ ખાદ્ય પદાર્થ ઉગાડવાની કોશિશ કરવા માંડવી. આને માટે સૌથી સહેલો રસ્તો એ છે કે થોડી ચોખ્ખી માટી એકઠી કરવી, જેમાં જ્યાં બની શકે ત્યાં થોડું પ્રાણિજ ખાતર મેળવવું - છાણાનો નાનો સરખો કટકો પણ સરસ પ્રાણિજ ખાતર છે - તેને એકાદ પતરાના ડબ્બામાં કે માટીના ઠીબામાં ભરવું અને તેના પર રાઇ અને કોઇ પણ જાણીતી ભાજીનાં બિયાં ભભરાવવાં, ને રોજ કૂંડામાં કે ડબ્બામાં માફકસર પાણી આપવું. આમ વાવેલાં બિયાં જે ઝડપથી પીલા કાઢે છે ને ખાઈ શકાય તેવાં પાંદડાં આપે છે તે જોઇને પ્રયોગ કરનારાં અજબ થઇ જશે; અને આ પાંદડાંઓને રાંધવાની પણ જરૂર પડતી નથી. તેમની કચુંબર કરીને સીધાં ખાઇ શકાય.

૩. એકેએક ફળઝાડના બગીચાને ખાદ્ય પદાર્થો ઉગાડવાને ઉપયોગમાં લેવો જોઇએ. અને આ બાબતમાં વાઇસરૉય, ગવર્નરો તેમ જ ઊંચા હોદ્દાવાળા અમલદારોને પહેલ કરી આગેવાન થવાને મારી ભલામણ છે. ઉપરાંત દરેક પ્રાંતિક ભાષામાં ખેતી કે બગીચાની વાત ન જાણનારા લોકોને પણ સહેલમાં કઇ કઇ ચીજો કેવી રીતે ઉગાડવી તે બતાવનારી પત્રિકાઓ ધોધમાર બહાર પાડવાને વડી તેમ જ પ્રાંતિક સરકારોનાં ખેતીવાડીખાતાંઓના વડાઓને કહેવું જોઇએ.

૪. ખોરાકની ચીજોમાં કાપ મૂકવાનું કામ એકલી મુલકી વસ્તીએ જ ઉપાડવાનું નથી; તેમનાથી વધારે પ્રમાણમાં નહીં તો તેમના જેટલા જ પ્રમાણમાં લશ્કરે પણ તે ઉપાડી લેવું જોઇએ. મોટા પ્રમાણમાં હું એટલા માટે કહું છું કે સૈન્યના સિપાઇઓ કડક લશ્કરી શિસ્તમાં કેળવાયેલા હોવાથી કાપકૂપનો અમલ રમતાં રમતાં કરી શકે.

૫. અત્યાર સુધીમાં તેલીબિયાં, તેલો, ખોળ, મગફળી અથવા મગફળી જેવી શિંગો વગેરે પદાર્થોની બધી નિકાસ અટકાવવામાં ન આવી હોય તો હવે એકદમ અટકાવી દેવી જોઇએ. તેલીબિયાં જેવાં કે તલ વગેરેમાંથી માટી ને બાજું એવું વિણામણ બરાબર ચાળી નાખવામાં આવ્યું હોય તો તેમનો ખોળ ઉત્તમ પ્રકારના પ્રોટીન તત્ત્વથી ભરેલો માણસોને માટેનો સરસ ખોરાક છે.

૬. જ્યાં જ્યાં બની શકે ને જરૂર હોય ત્યાં ઊંડા કૂવા પીતની ખેતીને માટે કે પીવાના પાણીને માટે સરકારે ખોદવવા જોઇએ.

૭. સરકારી નોકરો અને જાહેર જનતાનો ઊલટભેર સહકાર મળે તો દેશ આ મુશ્કેલીને પાર કરી જશે એમાં મને રજભાર શંકા નથી. જેમ નાહકનો ગભરાટ આ કામમાં પાછા પાડવાનો અચૂક રસ્તો છે તેવી જ રીતે બહોળી વસ્તી પર ઝઝૂપી રહેલા સંકટને સમયે ઘટતાં પગલાં તાબડતોબ લેવામાં નહીં આવે તોપણ આપણે ખત્તા ખાવાના છીએ. આ આફતનાં કારણોમાં અત્યારે ઊતરવાની જરૂર ન હોય. કારણ ગમે તે હો, હકીકત છે કે સરકાર તેમ જ જનતા આ વસમાં પ્રસંગનો મુકાબલો ખામોશી રાખીને હિંમતથી નહી કરે તો ભારે આફત ચોેક્કસ ઊતરવાની છે. આપણે આ પારકી સરકારનો આ એક સિવાય બાકીને બધે મોરચે સામનો જારી રાખીશું અને આ વિષયમાં પણ એ લોકો લાગણીશૂન્ય થઇને બેપરવા રહેશે અગર જનતાના સમજદાર અભિપ્રાયની અવગણના કરશે તો તેમની સાથે લડી લઇશું. સરકાર આજે જે બોલી બતાવે છે તેનો દેખીતી રીતે જે અર્થ થતો હોય તે આપણે સ્વીકારી લેવો અને સ્વરાજ થોડા જ મહીનામાં પ્રત્યક્ષ પ્રગટ થવાનું છે એવી શ્રદ્ધા રાખવી એ મારો અભિપ્રાય સ્વીકારીને ચાલવાની પ્રજાને મારી ભલામણ છે.

૮. અને સૌથી વધારે તો કાળાં બજાર અને અપ્રામાણિક વહેવાર સદંતર બંધ થવાં જોઇએ, અને આ કટોકટી પૂરતી સર્વ પક્ષો વચ્ચે ખુશીના સહકારની સર્વસામાન્ય થવી જોઇએ.૩

અન્નની તંગી અને અતિવસ્તી

વસ્તીમાં અઘટિત વધારો ન થાય એટલા માટે જનનમર્યાદા આવશ્યક છે એમ કોઇ કહે તો હું તેની ના પાડું છું. તે કોઇએ કદી સાબિત કર્યું નથી. મારા મત પ્રમાણે જમીનની યોગ્ય વહેંચણી થાય, ખેતી સુધરે અને તેને અંગે બીજો ઉદ્યોગ હોય તો આ જ દેશમાં અત્યારે છે તેથી બમણી વસ્તીનો નિર્વાહ થઇ શકે.૪

આપણો આ નાનો પૃથ્વીનો ગોળો એ કંઇ ગઇ કાલનું રમકડું નથી. એના અગણિત વર્ષોના જીવનમાં એણે વધી પડેલી વસ્તીની પીડા કદી અનુભવી નથી. ત્યારે કેટલાક લોકોના મનમાં એકાએક આ સત્યનો ઉદય ક્યાંથી થયો કે જો કૃત્રિમ ઉપાયોથી જન્મપ્રમાણ પર અંકુશ મૂકવામાં નહીં આવે તો પૃથ્વીનો નાશ થઇ જશે ?૫