Heaven's door and heaven's door books and stories free download online pdf in Gujarati

સ્વર્ગ નો દરવાજો ને દરવાજે સ્વર્ગ

મધ્ય રાત્રિ નો સમય, પાંચેય પાંડવો અને માતા કુંતી બહાર જંગલ માં ઉભા રહી ને ભડકે બળી રહેલા લાક્ષાગૃહ ને જોઈ રહ્યા હતા, અર્જુન, ભીમ, નકુલ તેમજ સહદેવ ને ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ ધર્મરાજ યુધિષ્ઠિર શાંત ઉભા હતા. અર્જુન બોલ્યા :

અર્જુન : અત્યારે ને અત્યારે આ કૌરવો પર આક્રમણ કરીએ આપણે અને ખતમ કરી દઈએ આ સો ભાઈઓ ને.?!!!!

ધર્મરાજ : નહીં અનુજ, અત્યારે નહીં, સમય આવવા પર આપણે જવાબ આપીશુ.

મહાભારત કે જે સૌ કોઈ ભારતીય ના હ્રદય નું કેન્દ્ર છે, પરંતુ મહાભારત નું એક એવું પાત્ર કે જેમના વ્યક્તિત્વ અને જીવન સૌ કોઇને પ્રેરણા આપે છે અને તે છે ધર્મરાજ યુધિષ્ઠિર. યુધિષ્ઠિર એક એવા પાંડવ હતા કે જે ધીરગંભીર હોવાની સાથે સાથે સ્વભાવથી શાંત પણ હતા. માતા કુંતી દ્વારા કહેવામાં આવેલ મંત્ર થી તેમણે અને પાંડુ રાજાએ યમરાજા નું આવાહન કર્યું જેથી તેમને ફળ સ્વરૂપ યમરાજ નો પુત્ર એટલે કે યુધિષ્ઠિર નો જન્મ થયો.
યુધિષ્ઠિર બાળપણથી જ શાંત સ્વભાવના અને સત્ય ના હિમાયતી હતા, તેઓ ધર્મદેવ એટલે કે યમરાજ ના પુત્ર હોવાથી તેમના માં ધર્મ ના લક્ષણો હતા. સામાન્ય રીતે યમરાજ નું નામ સાંભળી ને એક ભયાનક છબી મગજ માં આવી જાય છે કે એક ભયાનક હાસ્ય કરતો, કાળા રંગનો, રાક્ષસ જેવો દેખાતો વ્યક્તિ મૃત્યુના સમયે આત્મા ને તેડવા માટે આવે છે અને જે અતિ ભયાનક વાત કહેવાય પરંતુ સત્ય એ છે કે આ યમરાજ નથી, યમરાજ તો શાંત સ્વભાવના છે તેમની છાપ લોકોએ ખબર નહીં કેમ પણ આટલી ભયાનક બનાવી દીધેલ છે, તેઓ તો ધર્મ ને જાણે છે,ધર્મદેવ છે.

અન્ય શબ્દો માં કહીએ તો યુધિષ્ઠિર ધર્મનો જ એક અવતાર હતા જેમની નસે નસ માં લોહી ને બદલે ધર્મ વહેતો હતો. અન્ય પાંડવ કરતા તેઓ અલગ તરી આવતા કેમ કે તેમના કુથલી, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ અને મોહ જેવા એક પણ લક્ષણ ના હતા. આપ સૌને યુધિષ્ઠિર અને યક્ષ ના પ્રશ્નો નો કિસ્સો યાદ જ હશે, જ્યારે ધર્મરાજ ને પૂછવામાં આવ્યું કે તું તારા ચારેય ભાઈઓ માથી કોઇ એક ભાઈ ને જીવિત કરવા માગે તો કોને પસંદ કરીશ? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે "હું સહદેવ ને જીવિત કરવા માગું છું" ત્યારે યક્ષે પુછ્યું કે આવી ઇચ્છા માગવાનું કારણ શું? ત્યારે આ મહાત્મા એ જવાબ આપ્યો કે "સહદેવ મારી સાવકી માતા માદ્રી નો પુત્ર છે અને હું માતા કુંતી નો પુત્ર, જેથી મારા પિતા ની બંને પત્નીઓ ના એક એક પુત્રો જીવિત રહેશે"

મહાભારત નું યુદ્ધ પણ યુધિષ્ઠિર નહોતા ઇચ્છતા, તેઓ દાર્શનિક ક્ષત્રિય હતા, તેમને યુદ્ધ અને હિંસા બિલકુલ પસંદ નહોતું, પણ એનો અર્થ એ પણ નહતો કે તેઓ યુદ્ધ થી ડરતા હતા, યુદ્ધ માં તેમણે વીરતા અને પરાક્રમ દાખવ્યુ હતું અને કૌરવો ના અનેક યોદ્ધાઓ ને હણી નાખ્યા હતા. યુદ્ધ માં જ્યારે આચાર્ય દ્રોણ ને હરાવવા માટે આગલે દિવસે યોજના બનાવાઈ રહી હતી ત્યારે શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિર ને બીજે દિવસે યુદ્ધ મેદાન માં દ્રોણ ને અશ્વત્થામા વિશે અસત્ય બોલવા કહ્યું ત્યારે ધર્મરાજે ના પાડી દીધી, તેમની ના સાંભળી ને કૃષ્ણ મનોમન વિચારમાં પડી ગયા કે હું સ્વયં ધર્મ, સ્વયં પરમાત્મા આને અસત્ય બોલવા કહું છું તોય ના પાડી રહ્યો છે આ. અને અંતે યુદ્ધ માં પણ સત્ય જ બોલ્યા, થયેલું એવું કે એમના મુખે થી નીકળેલ પહેલું વાક્ય "હા અશ્વત્થામા માર્યો, પરંતુ નર નહીં હાથી" આમાં નર નહીં હાથી એ વાકય યુધિષ્ઠિર એ અચકાતા કહ્યું, આ વાકય સાંભળ્યા પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણ એ શંખ વગાડી દીધેલો જેથી દ્રોણાચાર્ય એ એમ માની લીધેલ કે તેમનો પુત્ર માર્યો ગયો, ધર્મ ના આ સેવકે અહીં પણ પોતાનો ધર્મ ના છોડ્યો.

યુદ્ધ ના પ્રથમ દિવસે અર્જુન વિડંબણા માં પડી ગયો હતો ત્યારે ભગવાને તેને જ્ઞાન આપી ને મોહ થી મુક્ત કરી દીધો હતો અને તે જ્ઞાન આજે ભગવત ગીતા તરીકે ઓળખાય છે પરંતુ સત્ય એ છે કે આ જ ગીતા નું જ્ઞાન ધર્મરાજ યુધિષ્ઠિર ને પહેલા થી જ હતું કેમકે ગીતા ઉપદેશ માં આખરે કહેવાયું છે તો ધર્મ વિશે જ. યુધિષ્ઠિર નું જીવન સાધારણ જીવન ન હતું, તેઓ મોટા ભાઈ હતા જેથી તેમની માથે પિતા તરીકેની જવાબદારી નિભાવવા નું કામ આવેલું અને તેઓ તેમના બધા ભાઈઓ અને માતા કુંતી માટે હમેશાં ચિંતાતુર રહેતા. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થયેલું ત્યારે પણ તેમના મન માં યુદ્ધ થયેલું, એક તરફ ધર્મ તો બીજી તરફ પતિ તરીકે થયેલું દુઃખ ત્યારે પણ તેઓ કહેતા કે " હું મારા ધર્મ ને કઈ રીતે છોડી શકું?"

કહેવાય છે કે મહાભારત ના યુધ્ધ બાદ યુધિષ્ઠિરે 36 વર્ષ સુધી શાસન કર્યું અને તેમના શાસનકાળ દરમિયાન તેમના રાજ્યમાં તેમણે જન્મ ના આધારે રહેલ જાતિ વ્યવસ્થા પ્રથા ને રદ્દ કરેલી, તેઓ માનતા કે જેમ લાકડા નો હાથી, અસલી હાથી નથી હોતો તેવી જ રીતે પિતાનો વર્ણ પુત્ર અથવા પુત્રી ને સીધો લાગુ ક્યારેય નથી તેમણે તો કર્મો ના આધારે વર્ણ વ્યવસ્થા લાગુ કરેલી ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કે જે ઉદાર સ્વભાવ વાળો, શાસ્ત્રો નો જ્ઞાની, પ્રકૃતિ પ્રેમી, વફાદાર ત્થા ઈમાનદાર હોય તો તેને બ્રાહ્મણ જાહેર કરવામાં આવતો, કોઈ ને ક્ષત્રિય જાહેર કરાતો તથા કોઈ સેવા ધર્મી છે તેને શૂદ્ર જાહેર કરાતો, અને તેમના રાજ્ય માં શૂદ્ર અછૂત કહી ને ઢોર માર મારવામાં આવતો નહીં, પણ હર કોઈ તેમનો આદર કરતું. યુધિષ્ઠિર, તેમના રાજ્ય માં મોટા થી મોટા ગુનેગાર ને પણ તે માફ કરી દેતા હતા.

શ્રી કૃષ્ણ ના વૈકુંઠગમન બાદ યુધિષ્ઠિરે જ સર્વપ્રથમ બધા પાંડવો ને સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કરેલો, તેમની વાત સૌ કોઈને સાચી લાગી અને તેમણે સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું, અભિમન્યુપુત્ર પરીક્ષિત ને રાજા જાહેર કરીને પાંચેય પાંડવો અને દ્રૌપદી સ્વર્ગગમન ના રસ્તે આગળ વધ્યા, રસ્તામાં એક પછી એક ભાઈઓ ઢળી પડવા લાગ્યા ત્યારે યુધિષ્ઠિરે તેમના દરેક ભાઈ માટે મૃત્યુનું કારણ જણાવ્યું, અને છેલ્લે તેઓ એકલા આગળ વધવા લાગ્યા તેમને ખ્યાલ ન હતો કે તેમને શરીર સાથે સ્વર્ગ મળશે અરે તેઓ તો સ્વર્ગનો રસ્તો શોધી રહ્યા હતા, એવા માં હિમાલય પર્વતની એક શિખર પર દેવરાજ ઈન્દ્ર પોતાનો રથ લઈને આવે છે અને તેમને સ્વર્ગે લઈ જવા માટે તૈયાર કરે છે પણ એક કૂતરું તેમનો પીછો અંતિમ સફર ના આરંભથી જ કરી રહ્યો હતો, ત્યારે તેને પણ સાથે સ્વર્ગે લઈ જવા માટે ઈન્દ્ર ને ભલામણ કરી, ત્યારે ઈન્દ્ર, કૂતરા ના પ્રવેશ માટે સાફ ના પાડી દે છે, તેની ના સાંભળી ને યુધિષ્ઠિર પણ ના પાડી દે છે. દેવરાજ કહે છે કે "તમારા કોઈ જ સંબંધી ને સ્વર્ગ નથી મળ્યું, અરે પૃથ્વી પર કોઈ એવું માનવ નથી જે જીવતેજીવત સ્વર્ગ ગયું હોય, તમને એક ને જ આ તક મળે છે તો કેમ નથી આવવું?" ત્યારે આ પરમપુરુષે જવાબ આપ્યો કે "કૂતરું મારો પીછો આરંભથી કરે છે માટે તેનો પણ હક્ક છે કે મંજિલ સુધી તે પહોંચે અને એવું કેવું સ્વર્ગ કે જ્યાં પરમાત્માના સંતાન માં ભેદભાવ હોય, હું આ કૂતરા વગર સ્વર્ગમાં નહીં જ આવું, આપ જાઓ " બસ આટલું જ બોલતા એ કૂતરા માથી સ્વયં યમરાજા પ્રગટ થયા કે જેઓ કૂતરા ના વેશમાં પાંચેય પાંડવો ની સાથે આવી રહ્યા હતા.

યુધિષ્ઠિર ને શરીર સાથે સ્વર્ગ એટલે નહોતું મળ્યું કેમકે તેઓ સત્ય બોલતા હતા, તેમને સ્વર્ગ એટલે મળેલું કેમકે તેઓએ આજીવન ધર્મનું આચરણ કરેલું અને ધર્મ એટલે અહીંયા સનાતન ધર્મની વાત નથી પણ ધર્મ નો સાચો અર્થ તો એ છે કે ઈશ્વર ના બનાવેલા નિયમો નું પાલન કરવું, સૌમાં સમાનતા રાખવી, કામ, ક્રોધ મોહ અને લોભ થી દૂર રહેવું, આજના સમયમાં આવું કોઈને કહીએ તો તે સાધુ ની વાત સમજવા લાગે , અસલી સાધુ પણ એ કે જે સંસારમાં રહીને પણ સંસાર ની મોહમાયા થી દૂર રહે, ઈશ્વર ક્યારેય પોતાના સંતાનો માં ભેદભાવ નથી કરતો પરંતુ અન્ય પાંડવો ને તેમના આજીવન કરેલા કર્મો (સત્કર્મો અને દુષ્કર્મો) ના આધાર પર મૃત્યુ થયું હતું, પણ યુધિષ્ઠિર એકમાત્ર એવા પાંડવ હતા કે જેમના માં એકપણ અશુદ્ધિ નહોતી માત્ર આજ કારણ છે કે નિરાકાર પરમાત્મા એ જ મૃત્યુ ને કહ્યું હશે કે બાકીના બધા પાંડવો પાસે જજે પણ આ યુધિષ્ઠિર ને કાંઇ ના કરીશ આને દેહ સહિત સીધો આવવા દેજે મારી પાસે અને તેમના ધર્મનો દૃષ્ટાંત સ્વર્ગગમન ના પ્રકરણ માં મળી જાય છે.