Karan Ghelo - 11 books and stories free download online pdf in Gujarati

કરણ ઘેલો - પ્રકરણ - 11

કરણ ઘેલો

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા

નંદશંકર તુળજાશંકર મહેતા

પ્રકરણ ૧૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૧૧

સૃષ્ટિનાં ઘણાં રમણીય સ્થળો જ્યાં અપ્સરાઓ પણ રમવા આવે, તથા સ્વર્ગવાસીઓને પણ વાસો કરવો ગમે, એવા એક રળિયામણા સ્થળમાં એક કિલ્લો બાંધેલો હતો, અને તેની નીચે એક સુંદર નાનું શહેર વસેલું હતું. એ શહેરની ચોતરફ ઊંચા ઊંચા પહાડોનો કોટ થઈ રહેલો હતો; અને તેમાંનાં ઘરો વચલા પોલાણમાં ચઢતાં-ઊતરતાં જ ખુબસૂરત હારબંધ બાંધેલાં હતાં. આ શહેરનું પહાડોને લીધે પરમેશ્વર તરફથી રક્ષણ થયેલું હતું, તોપણ તેનો વધારે બચાવ કરવા સારુ તેની આસપાસ ફરતો ઘણો મજબૂત પથ્થરનો કોટ હતો, અને તેની સાથે વળી એક ઊંચી ટેકરી, જેની નીચે સઘળું શહેર આવી રહ્યું હતું, તે ઉપર એક કિલ્લો બાંધેલો હતો. એ શહેરનું નામ બાગલાણ હતું, અને તે દેવગઢના રાજા રામદેવના તાબામાં હતું. કિલ્લો ઘણો મજબૂત તથા શોભીત હતો, અને તેમાં રહેવાને સારુ ઘણો વગ હતો. વળી તેની આસપાસની જગા પણ એવી શોભાયમાન હતી કે તેનું યથાસ્થિત વર્ણન કોઈ મોટા કવિની કલ્પનાશક્તિથી પણ થઈ શકે નહીં. ચોતરફ ઊંચા ઊંચા પહાડો હતા અને તેઓ સૂર્યોદય અથવા સૂર્યાસ્ત થતી વખતે એવા તો મનોહર લાગતા કે તે જોવાને જેટલો શ્રમ તથા પૈસો ખરચ કરીએ તેટલો સઘળો વળી જાય. તેઓના ઉપર પુષ્કળ ઝાડી હતી, અને સાગ, આંબા વગેરે ઝાડો નાટકશાળાની બેઠકની પેઠે એક ઉપર એક ઊગેલાં હતાં તે જોઈને આંખને આનંદ તથા સંતોષ ઊપજતો હતો. એ ઝાડીઓમાં વાઘ, રીંછ વગેરે રાની પશુઓ નિરંકુશ અમલ ચલાવતાં હતાં, અને તેઓના રાજ્યપદ વિષે તકરાર લેનાર માણસ તયાં ક્વચિત જ આવતું. નાનાંમોટાં પક્ષીઓ ઘણા ભરપૂર નાદથી તે સ્થળને ગજાવી મૂકતાં, અને તેઓનાં સુંદર રંગબેરંગી પીંછાંનો ઝળકાટ તડકામાં પડતો તે જોઈને ઈશ્વરની લીલાથી મન વિસ્મિત થયા વિના રહેતું જ નહીં. વળી ઠેકાણે ઠેકાણે નાની નાની નદીઓ વહેલી હતી, અને જ્યારે તેઓ ઊંચી જગાએથી ઊતરતી, અને પથ્થરાઓ ઉપર અથડાતી, નાના છોડવા તથા ફૂલોને છૂંદતી, તથા પહાડોના ઘસારાથી કાળા નાના કાંકરાઓમાં રમતી આગળ ચાલતી, ત્યારે તેમની સ્થિતિ જોઈને આપણને આપણી બાલ્યાવસ્થા યાદ આવ્યા વિના રહે નહીં. બીજી કેટલીક નદીઓ ઊંચા ટેકરાઓ ઉપરથી નીચે પડતી તેના મોટા ધોધથી ગર્જના થઈ રહેતી, તેની ઉપર ફીણના જે ગોટા આવતા, અને તેના ઉપર જ્યારે સૂર્યનાં કિરણ પડતાં ત્યારે તેઓનું વક્રીભવન થઈને તેઓમાંના સાત જુદા જુદા રંગો છૂટા પડીને ઈનદ્રના ધનુષ્ય જેવો આકાર તયાં થતો તે ઘણો જ આશ્ચર્યકારક લાગતો હતો. એવા ધોધ નીચે પડીને આગળ વહેતા, કેટલાક નીચે પડી ત્યાં એકઠા થઈ રહેતા, એટલે ત્યાં નીતર્યું કાચ જેવું તળાવ બનતું, અને કેટલીક નદીઓના જુસ્સાથી જમીન ઘસાઈને ત્યાં મોટી મોટી ખાઈઓ થતી, અને તેમાંથી તેઓ વીજળીને વેગે દોડતી. જ્યારે ચોમાસામાં અષાઢ મહિનામાં વાદળાંની ઘોર ઘટા થઈ રહેતી, તથા વીજળીના ચમકારા અને મેઘગર્જના કડાકા થતા ત્યારે તે જગાનો દેખાવ ખરેખરો દબદબાભરેલો તથા ભયાનક થઈ રહેતો હતો. વાદળાં તો જાણે આપણા પગ નીચે ગોટા અથવા ધુમ્મસની પેઠે પથરાયછેલાં દેખાતાં હતાં, અને તેઓ પીગળીને પાણીનાં ટીપાં થઈ નીચે પડતાં તે આપણને લાગતું જ નહીં. વીજળી ઝાડ અથવા ટેકરીઓની ટોચથી ખેંચાઈ આવીને પડતી તે વખતે પથ્થરોના ફાટવાથી તથા ઝાડોના પડવાથી મોટા મોટા અવાજ થતા હતા. વળી ગર્જનના શબ્દ પણ એક પહાડ ઉપર અથડાઈ બીજા ઉપર પડતા, અને ત્યાંથી અથડાઈ ત્રીજાને લાગતા, અને એવી રીતે થયાથી ગડગડાટના કડાકા ને કડાકા કેટલીય વાર સુધી પહોંચ્યા જ કરતા. વરસાદ પણ ત્યાં એટલો બધો વરસતો કે તેનો ખ્યાલ મેદાનમાં વસનારાઓથી થઈ શકે નહીં એ સઘળું પાણી એકઠું થઈ નદીઓમાં વહેતું તેથી તે સઘળાં ઝરણાં ભરપૂર થઈ જતાં હતાં. ઉનાળાના સખત તાપથી ઝાડો બળી ગયેલાં હોય, પથ્થરો તપી ગયેલા હોય, તથા પહાડો જે ખાવા ધાતા હોય એમ દેખાતા હોય ત્યાં સઘળું લીલું કુંજાર થઈ રહેતું. ઝાડો ઉપર આકાશમાંથી વૃષ્ટિરૂપી અમૃત પડતું, તેથી તેઓ સજીવન થઈ. પાછાં પ્રફુલ્લિત થઈ શોભાયમાન દેખાતાં, તથા પાણીનો પુષ્કળ મારો હોવાથી સઘળે ઠંડક ઠંડક થઈ રહેતી, તથા શીતળ વાયુથી અગણિત ફૂલોની સુગંધ ઘસડાઈ આવતી. ‘ડુંગર દૂરથી રળિયામણા’ એ કહેવત છે તે તે વખતે ખોટી પડતી, અને તેઓ આઘેના કરતાં પાસેથી વધારે રળિયામણા દેખાતા હતા. એવી જગાએ જે કિલ્લો હતો તેની છેક અંદરના ઓરડામાં બે જણાં બેઠાં બેઠાં વાત કરતાં હતાં.

એ બે જણમાંથી એક પુરુષ તથા એક સ્ત્રી હતી. પુરુષ હતો તેની .ંમર ચાળીશ વર્ષની લગભગ હતી, પણ તેટલા કાળની અસર સાધારણ માણસના શરીર ઉપર જોવામાં આવે છે તે કરતાં તેની ઉપર વધારે દેખાતી હતી. કોઈપણ તંદુરસ્ત માણસની જુવાની ચાળીશ વર્ષે જતી રહેતી નથી; અને કેલાક દેશમાં તો તે વદખતે માણસ ભરજુવાનીમાં ગણાય છે. પણ તે પુરુષનાં વર્ષ વધારે ઝડપથી દોડ્યાં હતાં, તથા કાળચક્રનો ઘસારો તેના ઉપર વધારે થયો હતો. તેનું શરીર પ૦ અથવા પપ વર્ષની ઉંમરના માણસના જેવું દેખાનું હતું. ઘણી ચિંતાથી તેના ગાલ બેસી ગયેલા હતા, તથા સર્વાંગે નિમાળા સફેદ થઈ ગયા હતા; તોપણ તેની આંખમાંથી જુસ્સો હજી મરી ગયેલો ન હતો, અને તેના બંને ડોળા અગર જો ઊંડા પેઠેલા હતા તોપણ તેઓમાં હજુ શૂરાતનનું તેજ હતું. તેની શિકલ ઉપરથી હજી જણાતું હતું કે તેનામાંથી તેનો અવિચારી હઠીલો સ્વભાવ ગયેલો ન હતો. તેનો સઘળો દેખાવ માન આપવા યોગ્ય હતો, અને તેણે કોઈ વેળા સારા દહાડા જોયા હોય એમ તેને જોતાં જ જણાતું હતું.

એ માણસ કોણ હતો તે વાંચનારાઓએ જાણ્યું તો હશે. તેને છેલ્લી વાર મળ્યાંને આજે લાંબાં નવ વર્ષ થયાં હતાં, તોપણ ઉપલા ટૂંકા વર્ણનથી તે ઓળખાઈ આવ્યો હશે. તે આપણો મિત્ર કરણ વાઘેલો ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો. જે દહાડે પાટણની પડોશમાં રજપૂત સૈન્ય કપાઈ ગયું, જે દહાડે મ્લેચ્છ લોકો જય પામી આખા ગુજરાતનું રાજ્ય લઈ બેઠા, જે દહાડે માધવનું વેર તૃપ્ત થયું, અને જે દહાડે ગુજરાતના શૂરા સામંતો અણહિલપુરને છેલ્લા રામરામ કરી ઘોડા દોડાવી મૂકી દેશ છોડી ચાલ્યા ગયા, તે દહાડે કરણ મરણતોલ ઘાયલ થયો, અને તેને ઓળખીને હરપાળ તેને સાંઢણી ઉપર બેસાડીને ગુજરાતની સરહદપાર લઈ જવાને નીકળ્યો, એ સઘળું આપણે કહી ગયા છીએ. જ્યારે કરણ બાગલાણ શહેર આગળ આવ્યો ત્યારે તે થાકથી તથા ઘાથી એવો અશક્ત થઈ ગયો હતો કે તેની આવરદા પૂરી થવા આવી છે, એમ જાણી હરપાળે તેને તે શહેરમાં રાખ્યો, અને તેની એવી અવસ્થાના સમાચાર રામદેવને દેવગઢમાં કહેવડાવ્યા. નિર્બળને આશ્રય આપવો એ રજપૂતનો તથા તે વખતના રાજાઓનો મુખ્ય ગુણ હતો; અને અગર જો તેને દિલ્હીના પાદશાહનો ઘણો ધાક હતો. અને તેને આશ્રય આપ્યાથી અલફખાંને ઘણો ક્રોધ ચઢશે એમ તે નક્કી જાણતો હતો, તોપણ આવે વખતે મહાપાપથી દુર્દશામાં આવી પડેલા, તેના કરતાં સઘળી વાતે શ્રેષ્ઠ એવા ગુજરાતના રાજાને મરવાને નિરાંતની જગા આપવાની તેનાથી ના કહેવાય નહી. ત્યાં રહેવાની રજા મળી એટલે તેને તે કિલ્લામાં રાખ્યો, અને જે વૈદ્યો મઈછ આવ્યા તેઓના ઉપચાર કરવામાં આવ્યા. પણ ઘા ઘણા કારી વાગેલા, તથા તેના મનમાં મહાભારત તોફાન ચાલતું, તે સાથે આ સઘળા બનાવથી તેની નિદ્રા અથવા આરામનો પણ નાશ થયો હતો, તેથી અગર જો મોત તો અટક્યું તોપણ પીડા ઘણી જ વાર પહોંચી, અને વૈદ્યોના ઉપાય તેના ઘા ઉપર કેટલીક વાર સુધી તો બિલકુલ ચાલ્યા જ નહીં. જ્યારે તે શરીરની તથા મનની પીડાથી ટળવળતો તથા બરાડા બરાડ પાડતો હતો, જ્યારે તે મહા વ્યથામાંથી છૂટવાને સારુ ક્ષણે ક્ષણે મૃત્યુની પ્રાર્થના કરતો હતો, તે વખતે પરમેશ્વરે તેની સામું જોયું. તેનું આટલું કષ્ટ જોઈને પરમ દયાળુ ઈશ્વરને કરુણા આવી તેના દુઃખ રૂપી અરણ્યમાં સુખનો પાણીનો ઝરો દેખાયો. તેની અવસ્થાના અંધારમાં શાંતિનું કિરણ પ્રકાશ્યું. તેની દુર્દશાની તપેલી ભોંય ઉપર દિલાસા રૂપી ઓસના ટીપાં પડ્યાં; અને આફતનો શેતાન તેને ઉપદ્રવ કરતો હતો તેમાંથી તેનું રક્ષણ કરવાને બે ફિરસ્તા જાણે આકાશમાંથી ઊતર્યા.

જ્યારે કૌળારાણીએ મહેલને આગ લગાડી ત્યારે તેની બે નાની દિકરીઓ કનકદેવી તથા દેવળદેવીને તેણે એક ચાકરને સોંપી પોતાના બાપ પાસે ઝાલાવાડામાં મોકલી હતી. રસ્તામાં તે ચાકરને ખબર મળી કે કરણ રાજા હજી જીવે છે, તથા તે બાગલાણમાં રહેલો છે, સાંભળીને તેણે તેનો રસ્તો બદલ્યો, અને તેના મહાભારત દુઃખમાં તેની પુત્રીઓના મેળાપથી તેને જે સુખ થશે તે ઉપર વિચાર કરીને, તથા છોકરીઓ ઉપર માના બાપ કરતાં પોતાના બાપનો વધારે હક્ક છે, એમ જાણીને તેઓને તેની પાસે લઈ જવાને નીકળ્યો. રસ્તામાં ઘણી અડચણો ભોગવીને તથા ઘણાં સંકટોનું નિવારણ કરીને અંતે તે બાગલાણના કિલ્લા પાસે સહીસલામત પહોંચ્યો, અને કરણ રાજાની બે બાથમાં તેની કુમળી વયની બે દીકરીઓ ભરાઈ. આવે વખતે આવી અવસ્થામાં બાપ તથા દીકરીઓનો મેળાપ થયો તે વખતે દુર્ભાગી રાજાને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન થઈ શકતું નથી. મોટી છોકરી આઠ વર્ષની હતી. તે ઘરમાં સઘળું સ્ત્રીનું કામકાજ કરતી, અને તેની સંભાળથી તથા તેની ઘરબાબતની સઘળી ગોઠવણથી કરણ રાજાના ઘા ધીમે ધીમે રૂઝાવા લાગ્યા, અને તે કેટલીક વાર પછી બિલકુલ સારો થયો. માણસના સુખને વાસ્તે બૈરાં કેટલાં અગત્યનાં થઈ પડે છે તે જ્યાં તેમની ખોટ પડે ત્યાં જ જાણવામાં આવે છે. તેઓનો ઉપયોગ ઘણા લોકો બરોબર સમજતા નથી, તથા તેઓની કિંમત જોઈઈએ તેટલી તેઓ કરતા નથી. માણસ અને બૈરીના ગુણોમાં પરમેશ્વરે મોટો તફાવત રાખેલો છે. અગર જો કેટલાક માણસોમાં બૈરાંના ગુણો અને કેટલીક સ્ત્રીઓમાં માણસના ગુણો હોય છે, તોપણ તેઓ સાધારણ નિયમથી ઊલટાં છે. સામાન્ય નિયમ તો એવો છે કે પુરુષોમાં કામકાજ કરવાના અને એવા બીજા સખત ગુણો હોય છે; અને સ્ત્રીઓમાં સહન કરવાના અને નરમ ગુણો માલૂમ પડે છે. દયા, મનની કોમળતા, ધૈર્ય વગેરે બીજાને સુખી કરવાને જરૂરના ગુણો ઘણું કરીને સ્ત્રીવર્ગમાં વધારે હોય છે. એ જ કારણને લીધે તેઓ ઘર ચલાવવાને તથા પોતાના ધણીને સુખ ઉપજાવવાને વધારે લાયક છે. જ્યારે માણસ કોઈ આફતમાં આવી પડે છે ત્યારે તેને બૈરી સિવાય બીજું કોઈ શાંત કરી શકતું નથી. જ્યારે તેના મનમાં જુસ્સો ચઢી જાય છે ત્યારે તેની મનોવૃત્તિઓને નરમ પાડવાને તેને ઈશ્વરે સર્જેલી છે; પણ વિશેષે કરીને જ્યારે તેના ઉપર મંદવાડ આવી પડે છે, જ્યારે તેની એક નાના બાળકની પેઠે બરદાસ્ત લેવી પડે છે, જ્યારે તેનો સ્વભાવ એવો ચીઢિયો થઈ જાય છે કે તેનો બોલ બીજા કોઈ સાંખી શકતા નથી, તે જ વખતે બૈરીનું ખરેખરું કામ પડે છે; તે જ વખતે તેની ખરી કિંમત થાય છે; અને તે જ વખતે તેનું દુઃખ મટાડવાને પરમેશ્વરે તેને મોકલી હોય એમ પુરુષને લાગે છે. તેની ચાકરી કરવાની રીતથી જ અર્ધું દરદ ઓછું થાય છે. તેના મધુર શબ્દો રામબાણ ઓસડ જેવા થઈ પડે છે, અને તેના નરમ હાથ શરીર ઉપર ફરે છે એટલે જ ઘણી ઠંડક થાય છે; માણસને તેની જિંદગીના હરેક ભાગમાં સ્ત્રીથી સુખ મળે છે. નાનપણમાં માની ઘણી જ જરૂર હોય છે, બલ્કે તેની આવરદાનો આધાર ઘણું કરીને તેની મા અથવા એવી બીજી કોઈ સ્ત્રી હોય છે. મોટપણે તેની પત્ની વડે તે સંસારરૂપી સાગરમાં વધારે ચેનથી સફર કરી શકે છે, અને જો કમનસીબથી તેની સ્ત્રી તેના પહેલાં મરણ પામે તો કેટલુંક સ્ત્રીનું કામ તેની છોકરી ચલાવી શકે છે. કરણ રાજાને પણ તે જ પ્રમાણે થયું. કનકદેવીનું સઘળું લક્ષ પોતાના બાપને આરામ કરવા તરફ તથા તેની પીડા જેમ બને તેમ ઓછી કરવા તરફ હતું, અને તેમ કરવા સારુ તેની ઉંમર પ્રમાણે તેનાથી જેટલો બની શક્યો તેટલો તેણે શ્રમ કર્યો, અને પરમેશ્વરની કૃપાથી તે સઘળો સફળ થયો. નાની છોકરી જે દેવળદેવી હતી તે તે વખતે માત્ર ચાર વર્ષની હતી, તથા તેનાથી પોતાની બહેનના જેવું કામ થઈ શકતું ન હતું, તોપણ તેના બાળપણના જુદા જુદા ખેલથી, તેના કાલાવાલા બોલથી, તથા ખરા દિલથી પોતાના બાપને ખુશ કરવાને તે જે પ્રયત્ન કરતી હતી તેથી કરણ રાજાને અર્ધો આરામ થયો. એ બે છોકરીઓ તેના બાપને ખરેખરાં રત્નો હતાં, અને અગર જો તેણે દુનિયામાં સઘળું ખોયું હતું તોપણ તે મોટો ખજાનો તેને નસીબે રહી ગયો હતો. તેઓ તેના ઘા ઉપર ઠંડા મલમની જેવી હતી. જેમ ભૂખ્યાને અન્ન, જેમ તરસ્યાને પાણી, જેમ દરદીને ઔષધ તેમ કરણ રાજાને એ બે છોકરીઓ હતી. જેમ જેમ સઘળી દુનિયાએ તેનો વધારે ત્યાગ કર્યો, તેમ તેમ તેઓએ તેને પ્રેમની જાળમાં વધારે સાંકળી લીધો. જ્યારે બીજા લોકો તેને આડી આંખે જોવા લાગ્યા તે વખતે તેઓ પ્રીતિથી ભરપુર નેત્રથી તેને નિહાળતી હતી. જ્યારે તેના ખોટા મિત્રો લીલા વનના સૂડાની પેઠે ઊડી ગયા ત્યારે ઈશ્વરે તેને શુદ્ધ પ્રેમવાળી પુત્રી મેળવી આપી, અને જ્યારે તેના ચાકરો, સિપાઈઓ વગેરે કામ કરનારા જતા રહ્યા ત્યારે તેને ભાડૂતી નહીં પણ ખરા હેતવાળી મદદ કરનાર પુત્રી આવી મળી.

એ પ્રમાણે કરણનું સુખ માત્ર પાંચ વર્ષ સુધી પહોંચ્યું. પરમેશ્વરની ગતિ અકળ છે, તથા તેનાં કામોનાં કારણો શોધી કઢાય એવાં નથી. આટલું બધું સંકટ ભોગવ્યા પછી કરણ રાજાને જે થોડું સુખ મળ્યું તે તેને ઘણી મુદત સુધી અથવા તેના જીવતાં સુધી પહોંચશે એવી આશા રાખવામાં આવે, અને ઈશ્વર મરતાને વધારે મારશે નહીં એવી કલ્પના થાય; પણ એ આશા તથા કલ્પના ઘણી વાર ખોટી પડે છે. માણસ ઉપર જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે ઘણું કરીને સામટું જ આવી પડે છે, અને એ સઘળી આફતોમાં જે માણસ પોતાનું ધૈર્ય છોડતો નથી; તથા પરમેશ્વર ઉપરનો જેનો દૃઢ વિશ્વાસ જરા પણ ડગતો નથી તે માણસ ખરેખરો ધર્મી, તથા તે જ ખરેખરો ઈશ્વરનો ભક્ત જાણવો. માણસના વિશ્વાસની તથા ભક્તિની એ પ્રમાણે પરમેશ્વર પરીક્ષા લે છે; તેમાંથી ઘણા જ થોડા પસાર થજાય છે. હમણાં તો કરણ રાજાનો વારો આવયો, અને જે વખતે તેનાં આગલાં દુઃખોના ઘા પુરેપુરા હજુ રૂઝયા ન હતા, તથા જે વખતે સુખનો જરા સ્વાદ ચાખવા માંડ્યો હતો, તે વખતે તેને એક બીજો કારી જખમ લાગ્યો. મોતના દૂત તેના અંકાંત કિલ્લા ઉપર ઊતર્યા, અને એક ઝપાટો મારી તેની વહાલી છોકરી કનકદેવી જે હમણાં તેર વર્ષની થઈ હતી, જે તેનાં સઘળાં સુખનું મૂળ હતી, જે તેની નિર્બળ અવસ્થાનો આધાર હતી તેને ઘસડી ગયો. આ અકસ્માત્‌ આવી પડેલા દૈવકોપથી કરણને જે મહાવ્યથા થઈ તેનું વર્ણન કરવાની જરૂર નથી. તે યથાસ્થિત થઈ શકે પણ નહીં; ને થાય તોપણ તેથી વાંચનારાઓને સંતાપ માત્ર ઊપજે, તેથી તે ઉપર પડદો ઢાંકી દઈ બીજાં ચાર વર્ષ કૂદી જઈને ઈ.સ.૧૩૦૬ના વર્ષના અષાઢ મહિનામાં કરણ તથા તેની નાની છોકરી દેવળદેવી એક ઓરડામાં એકઠાં બેઠાં હતાં તે વખતનો દેખાવ બતાવવાનો પ્રયત્ન કરીએ.

દેવળદેવી તે વખતે તેર વર્ષની ઉંમરની હતી, અને તેનું રૂપ કોઈ રંભા અથવા અપ્સરાને લજવે એવું હતું. તેની ચામડીનો રંગ એવો તો ગૌર હતો, તથા તેમાં તેના લોહીના રાતા રંગનો એવો તો આભાસ પડતો હોત કે તેને જોઈ કોઈ ગુલાબનું ફૂલ પણ પોતાનું માથું નીચું નમાવે. તેની સાથે તેની ચામડી એવી પાતળી તથા પારદર્શક હતી કે તેમાંથી તેની લોહીની નસો દેખાતી હતી. તેનું કદ તેની ઉંમર પ્રમાણે જેટલું જોઈએ તે કરતાં કાંઈક મોટું હતું. તેનાં અવયવોનો ઘાટ એવો સુંદર તથા નાજુક હતો કે તેને પરમેશ્વરે પોતાને જ હાથે ઘડી હોય એમ કહી શકાય. તેની ચાલ હંસના જેવી, તથા તેના બોલવામાં મધના જેવી મીઠાશ હતી. તેના બાપને સુખી કરવાને તથા તેની ઉદાસી કાઢી નાંખવાને તે જ્યારે ગાતી તયારે તેના શબ્દો મોહનમંત્રની પેઠે સઘળાને મોહિત કરતા, તથા જેમ ઓરફ્યુસની વીણાના મધુર નાદથી મોહ પામી જંગલમાંનાં પશુપક્ષીઓ પોતપોતાનો સ્વાભાવિક વૈરભાવ એક બાજુ પર મૂકી તેની આસપાસ આવી વીંટળાતાં

તેમ દેવળદેવીનો મધુર કંઠ સાંભળવા જાણે પવન પણ સ્થિર ઠરતો, તથા તેનાં પાળેલાં હરણાદિ બીજાં પશુઓ તથા પક્ષીઓ તેના નાદથી આકર્ષાઈ તેની પાસે દોડતાં આવતાં. જ્યારે પોતાની વાડીમાં ફરતી, ત્યારે જાણે પોતાના અનુપમ રૂપથી બધાંને ભૂરકી નાખ્યાં ના હોય, તેમ તે વાડીનાં જનજનાવરો તેની પાછળ દોફડતાં, અને તેના વિના તેઓને જરા પણ ચાલતું ન હતું. તે તેની મા કૌળારાણીના જેવી જ અથવા તે કરતાં પણ અધિક રૂપાળી નીકળશે, એ કહેવું કંઈ મુશ્કેલ ન હતું. ઈશ્વરની કારીગરીનો સંપૂર્ણ નમૂનો જોઈને કોને સાનંદાશ્ચર્ય લાગ્યા વિના રહે ?

વળી તેની ઉંમર તેર વર્ષની ! એ વયમાં જ એક જાતનો મોહ રહેલો છે. આપણા અને આપણા જેવા બીજા ઉષ્ણ દેશોમાં તેરમું વર્ષ બાલ્યાવસ્થા તથા યુવાવસ્થાની મર્યાદા ગણાય છે. એ વખતે શરીરે આરોગ્ય અને સુખમાં ઊછરેલી છોકરીઓમાં ઘણા અગત્યના ફેરફાર થાય છે. મોંનો ભરાવ થાય છે તથા તેના ઉપર તાજું લોહી આવેલું માલૂમ પડે છે. વળી તે ઉપર પહેલાં જે બાળપણનું સ્વચ્છંદપણું હતું તે જતું રહીને તે ગંભીર વિચારવંત દેખાય છે. આંખનો દેખાવ પણ તે જ પ્રમાણે બદલાઈ જાય છે. ખભા તથા છાતી પહોળાં થાય છે; તથા શરીરનાં બીજાં અવયવોમાં પણ તેવો જ વધારો થાય છે. શરીરનું કદ મોટું થાય છે, અને તેનું યથાસ્થિત પોષણ થવાને લોહીનો પણ ઉમેરો થાય છે. જેવો શરીરનો ફેરફાર થાય છે તેવો જ મનનો પણ થયા વિના રહેતો નથી. તેર વર્ષની ઉંમર ! એ ઠેકાણે ઊભી રહીને કોઈપણ બાળા જ્યારે ભૂતકાળ પર નજર કરે છે ત્યારે તેને નિઃશ્વાસ મૂકવાનાં કેટલાં બધાં કારણો જડી આવે છે ? તેનું બાળપણ પાણીના રેલાની પેઠે વહી ગયું તે ફરીથી પાછું આવવાનું નહીં, અને તેની સાથે બાલ્યાવસ્થામાં ભોગવવાનાં સુખો તે પણ ચાલ્યાં ગયાં. જે નિશ્ચિત મનથી તે રસ્તામાં રમતી, જે ખુશીમાં તેના દહાડા જતા, જે ભવિષ્યને વાસ્તે તેના મનમાં બેપરવાઈ હતી, જે આનંદ તેને વર્તમાન વખતને વાસ્તે વાગતો, જે ખુલ્લા મનથી સઘળા નાના અથવા મોટાની સાથે તે વાતચીત વગેરેનો વહેવાર ચલાવતી, જે ભોળા સ્વભાવથી તે ઘરના માણસનો તેમ જ પારકાનો ઠોક જીવને ઘણો કલેશ કર્યા વિના સહન કરતી, જે મનના ઘણા સ્થિતિસ્થાપકત્વથી તે શોકનો ઝટ ત્યાગ કરી પાછી આનંદમાં આવતી, જે વેરરહિત મનથી તેની સાથે લડનારાઓને ટૂંકી મુદતમાં ક્ષમા કરતી, જે શુદ્ધ અંતફકરણને લીધે બીજાઓના દુષ્ટ વિચારો તે પારખી શકતી નહીં, તથા જે નિર્દોષપણાથી તે પાપ શું તે જ ઓળખતી નહીં, અને પાપરહિત મન હોવાથી મનમાં જે સુખ તથા શાંતિ રહેતી તે સઘળું હોય ! હવે સદાકાળને માટે ગયું. બાલ્યાવસ્થામાં આનંદ માનતી છોકરીના મનમાં શોક ઉત્પન્ન કરવા આ ભૂતકાળનું દર્શન જ બસ છે, છતાં તે શોકમાં વધારો કરવા બીજી ઘણી બાબતો એકઠી મળે છે. જ્યારે તે ભવિષ્ય ઉપર નજર કરે છે ત્યારે તે શું જુએ છે ? અત્યાર સુધી તો તે સંસાર રૂપી ઘરની આગળની વાડીમાં જ રમતી હતી; પણ તેરમે વર્ષે તો તેના દરવાજામાં પેઠી, અને તે ઘરમાં શું હશે તે વાતના સંશયથી જ તેની શાંતિ ક્ષીણ થાય છે. હવે સંસારમાં પડવાનો વખત આવ્યો. આગળ નજર કરે છે તો સઘળું ધુમ્મસ પથરાયેલું દેખાય છે, તેમાંથી તેનાથી કાંઈ દેખાતું નથી, માટે કલ્પનાશક્તિ વડે સઘળું સારામાં સારું પોતાને માટે નિર્માણ થયું હોય એમ તે દેખે છે. પણ બીજાઓની અવસ્થા જોઈ તેની સ્વપ્નવત્‌ કલ્પનાઓ, સૂર્યપ્રકાશથી ધુમ્મસ જેમ વેરાઈ જાય છે તેમ એક પળમાં ખરી જાય છે. ભવસાગર તેને સઘળો તરવો છે એ વિચારથી જ તે ત્રાસ પામે છે, તથા આગળ શાં શાં સુખ તથા દુઃખો આવી પડશે એ વિષેના અંધકારમાં અથડાય છે. પણ પરમેશ્વરની કૃપાથી એ સઘળા વિચારો તથા ચિંતાને ડુબાડી દેનાર એક નવો મનોવીકાર તે વયે તેની છાતીમાં જન્મ પામે છે. એ મનોવિકાર તે પ્રીતિ છે. તે સઘળામાં ઊંચી પદવી ધરાવે છે. તેની અસર ઘણી જ આશ્ચર્યકારક છે. તથા તેના અદ્દભુત પ્રભાવથી પુરુષ અથવા સ્ત્રી જે કામો કરી શકે છે, તે ખરેખરાં ચમત્કારિક છે. જ્યારે તે વિકારનો જન્મ થાય છે, ત્યારે આખા શરીરમાં અજાયબ ફેરફાર થઈ જાય છે, અંતઃકરણમાં પ્રીતિનું એક અખૂટ ઝરણ ફૂટવા માંડે છે. તેના પાણીને વહેવા તથા અંતે ખાલી થવા કોઈપણ સ્થળ જોઈએ. તે સ્થલ જ્યારે તેને મળતું નથી, ત્યારે તેના હૈયામાં શૂન્યાવકાશ જેવું લાગે છે. જગત્‌ સઘળું સ્મશાન જેવું દેખાય છે. મન પોતાના જેવા કોઈ બીજાને સોબતી કરવાને આણીગમ-તેણીગમ ફાંફાં મારે છે, અને જ્યાં સુધી તેવું કાંઈ મળતું નથી તયાં સુધી તેને જરા પણ સુખ કે શાંતિ થતાં નથી. શરીર દિનપરદિન ક્ષીણ થતું જાય છે. તેના અંતઃકરણમાંનો અગ્નિ અપાર બુદ્ધિવંત પરમેશ્વરે ઘણા ડહાપણભરેલા હેતુથી સળગાવેલો છે. એ પવિત્ર વિકાર પરમેશ્વરને વહાલો છે, અને જેમ તે વધારે સ્વચ્છ હોય છે તથા તેમાં બીજા કનિષ્ઠ વિકારોનું મિશ્રણ જેમ ઓછું હોય છે, તે તે વિકાર પરમેશ્વર ઉપરની સર્વોત્કૃષ્ટ પ્રીતિને મળતો આવે છે. તે જ્યારે સ્વચ્છ હોય છે ત્યારે અગ્નિની પેઠે શરીરના અંતરાત્માને અંગારી નાખી શુદ્ધ કરે છે, તથા મનની દુષ્ટ વૃત્તિઓને નરમ પાડી તેઓનો સમૂળો નાશ કરે છે. આવી વખતે પુરુષ અથવા સ્ત્રીનું આખું શરીર પ્રેમથી ભરપૂર હોય છે, અને તે ઊભરાઈ જતી તેની આસપાસનાં માણસો, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, અને ઝાડ તથા ફૂલો ઉપર તેનું અમૃત રૂપી પાણી ઢોળાય છે. તે કોઈ વેળા ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિ છતાં પણ નિરાશ થતું નથી; તેનામાં આશા અમર જ રહે છે. ગમે તેટલી વિપત્તિમાં પણ તેની ધીરજ ઓછી થતી નથી; તે હમેશાં આગળ સારા ઉપર જ નજર રાખી હરેક તરેહનાં કષ્ટ ધૈર્યથી વેઠે છે, પ્રેમપૂરિત આંખ કાંઈ પણ નઠારું દેખતી નથી. તેની આગળ હમેશાં તડકો જ હોય છે, કોઈ દહાડો વાદળાં તો થતાં જ નથી. તેનો ઈચ્છેલો સોબતી, તેની જિંદગીની મુસાફરીમાં જોડે આવનારો સાથી, તેની આંખે સંપૂર્ણ જ દેખાય છે. મજનૂની આંખે લયલા કેવી ખુબસૂરત દેખાતી હતી ! બીજાઓને તે ગમે તેવી કુરૂપ લાગે તેની તેને કાંઈ ફિકર ન હતી. એ વિકારને વશ થઈ ઘણી સ્ત્રીઓએ અસાધારણ કામો કર્યા છે, તથા જે હિંમત બીજે કોઈપણ વખતે તેનામાં નજરે પડે નહીં તેવી હિંમત તેઓએ આ વિકારના આવેશમાં બતાવેલી છે.

જગતના ઈતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે જે લોકોમાં સ્ત્રીપુરુષ બાલ્યાવસ્થામાં લગન કરતાં નથી, તેઓમાં કન્યા ગાય-ઢોરની પેઠે જેને આપે તેના હાથમાં જતી નથી, જેઓ સ્ત્રીપુરુષનો લગન જેવો પવિત્ર સંબંધ સામાનય માલની ખરીદી પેઠે માલ વેચનાર તથા ખરીદદારની વચ્ચે થતો નથી, જેઓમાં લગ્નની છૂટે નહીં એવી ગાંઠ બંને પક્ષની રીતભાત, ગુણ, સ્વભાવ વગેરે ઉપર કાંઈ પણ લક્ષ ન આપતાં બાંધવામાં આવતી નથી, જેઓમાં સ્ત્રીપુરુષો કેટલીક મુદત સુધી એકબીજાનો સ્વભાવ તથા યોગ્યતા જુએ છે, તથા જેઓમાં બંનેની રાજીખુશીથી તથા બંનેનાં માબાપની કબુલાતથી લગ્ન કરવામાં આવે છે, તેઓમાં કોઈક વખતે એવું બને છે કે ગરીબ સ્થિતિનો જુવાન કોઈ શ્રીમંત અથવા તેનાથી ચઢતી સ્થિતિની કન્યા સાથે પ્રીતિ બાંધે છે; પણ એટલું તો ખરું, જ્યાં સુધી તેની અવસ્થા ગરીબ રહે ત્યાં સુધી તે કન્યાનો પ્યાર તેના ઉપર ગમે તેટલો હોય તોપણ તેની સાથે પરણવાની જરા પણ ઉમેદ એને હોતી નથી. તે કન્યાનાં મા બાપ એવા ગરીબ માણસની સાથે તેને ડહાપણભરેલા વિચારથી, અથવા તો અહંકારના બળથી, પરણાવતાં નથી; તેમ પેલો પુરુષ પણ તેવી અવસ્થામાં તેને પરણીને પોાની સાથે તેને દરિદ્રતાના દુઃખમાં નાખવાને ચાહતો નથી. તે કુમારિકા ઉપર તેને એટલી બધી પ્રીતિ હોય છે કે પોતાના સ્વાર્થને તથા તરતના સુખને એક બાજુ પર મુકી તે તેને એવો દિલાસો આપે છે કે હું જાતે ઘણો શ્રમ કરી કોઈ ઊંચી જાતનો ધંધો શીખીશ, અને જ્યારે હું મારા પોતાના બુદ્ધિબળે કરીને આ દુનિયામાં પંકાઈશ, અને દ્રવ્ય મેળવીશ, ત્યારે જ હું તારા બાપ પાસે તને વરવાની રજા માગીશ. એવો શુભ પ્રસંગ આવતાં વર્ષોનાં વર્ષો વહી જાય તોપણ તેમાં શી ચિંતા ? તે મધ્યરાત્રે દીવા આગળ બેસી અભ્યાસમાં જ તલ્લીન થયો હોય તે વેળા તેની પ્રાણપ્રિયાનું ચિત્ર તેની આંખ આગળ જ પ્રકટ થાય છે, અને જ્યારે તે અભ્યાસના શ્રમથી, પૈસાની તંગીથી, તથા બીજી ઘણી મુસીબતોથી કંટાળી જઈ ધારેલું કામ મુકી દેવાનું મન કરે છે, એટલે તે પ્રેમમય મૂર્તિ તેને ઠપકો દેતી હોય તેમ તેની સામું જુએ છે, તથા ‘ધીરજ’ ધીરજ’ એવા મીઠા શબ્દ બોલે છે. તેને જે જે અડચણો નડે તે બીજા લોકોને ગવમે તેવી વિકટ તથા દુસ્તર લાગે, તોપણ તેના અંતઃકરણના સિંહાસન ઉપર બિરાજેલી દેવીની આરાધનાથી તથા કામના મંત્ર વડે તે સઘળી ફૂંક મારવાથી ઊડી જાય છે. સઘળાં કામોમાં તે દેવી તેની પીઠ થાબડે છે, અને એવી રીતે નિરંતર ઉત્તેજન મળ્યા કરવાને લીધે હાથમાં લીધેલું કામ પાર પડ્યા વિના રહેતું નથી. એટલા વખતમાં જો તે બાળા દૃઢ મન રાખી પોતાના વચનનો ટેક રાખે તો કોઈ વખતે તે બંનેનો સંબંધ થાય છે, પણ જો તે ચળ થઈને પોતાના એક વેળા માનય કરેલા પ્રિયને ભૂલી જાય તો એવી અનિત્ય પ્રીતિવાળી સ્ત્રીને પરણવામાં પરિણામે કાંઈ સુખ ન થાત, એમ સમજીને તેને પોતાના મનમાંથી બિલકુલ વિસારી મૂકે છે, અને જે સારી અવસ્થા તથા મોટું પદ તેને પ્રાપ્ત થયું તે સઘળું પ્રીતિને લીધે જ થયું એમ માનીને સંતોષ રાખીને રહે છે.

આવી સ્વર્ગીય પ્રીતિથી ઘણાંનાં લગન થયાં છે, અને થાય છે, પણ એ ઉત્કૃષ્ટ વૃત્તિ સઘળા લોકોના સમજવામાં તો ક્યાંથી જ આવે ? આવી દૃઢ પ્રીતિ આ દુનિયામાં ખરેખરી હોઈ શકે એ વાતનો ખ્યાલ જેને અનુભવ નથી તેનાથી થવો મુશ્કેલ જ છે. જે દેશમાં સ્ત્રી-પુરુષોનાં બાળપણથી લગન થવાને લીધે તેઓમાં પ્રીતિ કરતાં ભક્તીનો ભાવ વધારે પ્રબળ હોય છે; જ્યાં પૂજ્ય તથા પૂજક વચ્ચેની પ્રીતિ તે બંનેની વચમાં હોય છે; જ્યાં લગ્નનો મુખય ઉદ્દેશ પાર પાડવો, વંશની વૃદ્ધિ કરવી, ઘરનો તમામ ધંધો ઉપાડી લેવો, અને છોકરાંને મોટાં કરવાં, એ સિવાય સ્ત્રીનો બીજો ઉત્તમ ઉપયોગ લોકો જાણતા નથી; જ્યાં સ્ત્રીના મૃત્યુથી પૈસા સંબંધે જ ખરાબ થયા તથા ઘર ઊખડી ગયું એટલા જ દુઃખને સારુ તેનો ધણી માથાં કૂટી રહે છે; જ્યાં વહુના મરણ પછી થોડા જ દહાડામાં બીજી સ્ત્રી પરણવા તરફ તેનો સ્વામી મન દોડાવે છે; ત્યાં આ શુદ્ધ, પવિત્ર તથા મનને વીંટાળનાર, અને જિંદગીની સાથે મળી જનાર, ઉચ્ચ વિકારને લોકો શી રીતે ઓળખે ? બાળપણમાં પરણ્યાં એટલે જે વખતે સ્ત્રીપુરુષના સંબંધનો આરંભ થાય છે, તે વખતે આ પવિત્ર વિકારનો તો તેઓને લેશમાત્ર અનુભવ પણ થયો ના હોય એગલે તે વિકારનો તેમને ખપ પણ શો પડે ? સૃષ્ટિનો એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુની જ્યારે ખોટ જણાય ત્યારે જ તે વસ્તુની કિંમત જાણવામાં આવે છે; પણ બાળપણમાં પરણેલા છોકરા તથા છોકરીઓના હૃદયમાં શુદ્ધ તથા પરિપક્વ વિકાર ઉત્પન્ન થવાનો વખત જ આવતો નથી. તે વખતે આવ્યા પહેલાં જ કૃત્રિમ પ્રેમ તેઓના અંતઃકરણમાં પ્રવેશ કરે છે, તેથી પરિપક્વ તથા સ્વાભાવીક પ્રેમની ખૂબી તેઓના જાણવામાં આવે નહીં એમાં આશ્ચર્ય ? જેઓ આ અપૂર્ણ પ્રીતિને જ માત્ર અનુભવે છે, તેમને એ ઊંચી જાતના પ્યારની ખૂબી કેમ સમજાય ? વળી જેમનાં નાનપણમાં લગન થાય છે તેમને એ પ્યારનો ઉપયોગ કરવાનો પ્રસંગ જ મળતો નથી, તથા તે પ્યારનો ઊભરો ખાલી કરવામાં જે જે આતુરતા તથા હોંશ ઉત્પન્ન થાય છે તે તેમને થતી નથી. પરણવું અને પટેલાઈ તે તો કહેવત પ્રમાણે કોને ના ગમે ? પણ જ્યાં બાળપણમાં લગન થાય છે, ત્યાં તે પવિત્ર સંબંધથી ઉત્પન્ન થતા અનેક લાભનો આપણે નાશ કરીએ છીએ. બાલ્યાવસ્થામાં સારો વિદ્યાભ્યાસ કરી નામ કરવું, કોઈ સારો ધંધો શોધી કાઢી કુટુંબના ગુજરાનનાં સાધન આગળથી તૈયાર કરી રાખવાં, તથા જરૂર પડે તો પોતાની પસંદ કરેલી કન્યાની સ્થિતિ બરોબર આવી પહોંચવું, તથા તેને ખુશ કરવાને મોટાં મોટાં કામો કરવાં, એ સઘળી પ્રેરણાઓ નાનપણથી પરણેલાઓને હોતી જ નથી. જ્યાં પ્રીતિ ફક્ત શરીરની ઈંદ્રિયોની સાથે જ સંબંધ રાખે છે, ત્યાં તેનું કાર્ય શરીરના બહારના ભાગ સાથે માત્ર હોય છે. રૂપ એ તેનો મુખ્ય .ત્તેજક છે. તેને મનના ગુણોની બિલકુલ દરકાર હોતી નથી. ખરેખરી પ્રીતિની અસર એ પ્રમાણેની નથી. જ્યારે આત્માને આત્માનો સંયોગ થાય છે, જ્યારે ગુણો તથા સ્વભાવ એકએકમાં ભળી જાય છે, જ્યારે તે એક્યથી ઉત્પન્ન થયેલી પ્રીતિ ઉપર ઈંદ્રિયોની સત્તા ચાલતી નથી, જ્યારે તે ઉત્કૃષ્ટ પ્યારમાં આ સંસારનો કાંઈ ભાગ હોતો નથી, અને જ્યારે તે સ્વાર્થરહિત બિલકુલ હોય છે, ત્યારે જ તે વાસ્તવિક પ્રીતિ જાણવી. જેનામાં એવી પ્રીતિ વ્યાપેલી હોય છે, તે બહારના રૂપને તથા બહારની અવસ્થાને જોતાં જ નથી. જેમ તે અબળાનું અશક્તપણું વધારે તેમ તેનું રક્ષણ કરવાની તથા તેને સુખ આપવાની તેની આતુરતા વધારે હોય છે. જેમ તેની દરિદ્રતા વધારે તેમ તે અવસ્થજામાંથી તેને છોડાવવાની તથા તેને પોતાના સુખમાં ભાગીદાર કરવાની હોંશ વધારે થાય છે. જેમ એ પ્રીતિ તૃપ્ત થતાં વાર લાગે છે તેમ તે વધારે દૃઢ થતી જાય છે. અને કદાપિ આ પૃથ્વી ઉપર તે ટૂંકી મુદત સુધી ભોગવાય તોપણ પરલોકમાં તે નિઃસ્વાર્થ પ્રીતિનું અનુસંધાન થશે, એવી તે ખરા દિલથી આશા રાખે છે. અરે ! આ નિષ્કામ પ્રીતિ સઘળાના જાણવામાં આવે તો જગતમાં કેવો સારો ફેરફાર થઈ જાય ! સંસારમાં અનેક પ્રકારનાં દુઃખો માણસના ઉપર આવી પડે છે તેમાં એ પ્રીતિ એક સુખ ઉપજાવનાર છે, દુઃખના દરિયામાં એ એક કંદીલિયું છે, તથા ડૂબતા માણસને તે એક દોરડા જેવી છે. માણસના સુખને અર્થે એ સ્વચ્છ પવિત્ર પ્યાર તેનામાં મુકેલો છે, તેનો સારે રસ્તે .પયોગ માત્ર કરવો જોઈએ. અશક્ત, આંધળા, મૂગા, તથા દુનિયામાં નકામા જેવા છોકરા ઉપર તેની માનો કેટલો બધો પ્યાર હોય છે ? જેમ તે છોકરાનું પરાધીનપણું વધારે, તેમ તે પ્યાર મજબૂત હોય છે. એ પ્યારમાં કાંઈ સ્વાર્થ તો હોતો જ નથી. તે શુદ્ધ પ્રીતિનું એક નિર્મળ ઝરણ છે. બે વૃદ્ધ વરવહુની પ્રીતિ પણ કંઈક તેના જેવી હોય હોય છે, તેમાં વિષયવાસનાનું મિશ્રણ હોતું જ નથી. સમાન વયના તથા સરખી અવસ્થાના બે પુરુષોની સાચી મિત્રાચારી પણ એ જ પ્રકારની હોય છે. તેઓના આત્માનો સંયોગ થયેલો હોય છે; તેમાં સ્વાર્થ રૂપી બનળું બંધન જોવામાં આવતું નથી. જેમ કચરાને ધોઈ સાફ કરીને તેમાંથી સોનાના રજકણો કાઢવામાં આવે છે, જેમ મરડિયા કાંકરા જેવી વસ્તુને ઘસીને તેના ઘણા સ્વચ્છ પાણીદાર હીા બનાવવામાં આવે છે, તેમ સ્વાર્થી પ્રીતિમાંથી સ્વાર્થ રૂપી કચરો કાઢી નાખી, તેને નિર્મલ કરી, તેનો અતિ વિસ્તાર કરવો, એટલે પછી જે પ્રીતિ બને તે જ આપણે સઘળાઓએ પરમેશ્વર ઉપર રાખવી.

દેવળદેવી તેર વર્ષની હમણાં થઈ હતી, અને તેના હૃદયમાં પ્રેમવિકાર ઉત્પન્ન થયો હતો. એ નવી વૃત્તિ પેદા થવાથી ઉપર જે સઘળા ફેરફાર કહ્યા તે તેનામાં થયા હતા. આવી એકાંત જગામાં તે રહેતી હતી તેથી તેના બાપ, ચાકર, તથા ગામના કેટલાક માણસો સિવાય બીજા કોઈ પુરુષ તેના જોવામાં આવતા ન હતા. તેના બાપની આવી અવસ્થા હોવાને લીધે તેને સ્વયંવર મંડપમાં કોઈ મનગમતા ગળામાં વરમાળ ઘાલવાનો સમય આવશે એવો સંભવ ન હતો, તથા કોઈ યોગ્ય વર તેને વરવાને તેના બાપને કહેણ મોકલશે એમ પણ લાગતું ન હતું. એ વિચારથી તે ઘણી જ ઉદાસ રહેતી. અને જો પરમેશ્વરે તેના ઉપર દયા લાવીને એ વિષે કાંઈ પણ આશા બતાવી તેને સુખી કરવાનો પ્રસંગ આપયો ન હોત તો તેનો ધીમેધીમે ક્ષય થાત. એક સુશોભિત ઝાડ તેના પૂર બહારમાં માંહેથી કીડાના કોતરવાથી એકદમ તૂટી પડે છે તેમ તે કોઈ દહાડો કામરૂપી કીડાથી ખવાઈ જાત, અને કોઈના કહ્યામાં ન આવે એવા કારણથી તેના અકાળ મૃત્યુથી અંત આવત. પણ એમ થવાનું સર્જિત ન હતું. દેવળદેવીની જિંદગીમાં તો ઘણા ફેરફાર થવાના હતા તેથી એક ખૂણામાં તે પડી રહે, એવું ઈશ્વરે નિર્માણ કર્યું ન હતું.

તે વખતે એવું બન્યું કે બાગલાણથી આશરે દશ કોશ ઉપર એક વાઘ અને વાઘણે રાહ પાડી. તેઓએ આસપાસનાં ગામોનાં ઢોર એટલાં તો મારી નાખ્યાં, તથા લોકમાં એટલો તો ત્રાસ પાડ્યો, કે તેને મારવાને ગામેગામથી લોકો એકઠા થયા; પણ તે એવાં વિકરાળ, જોરાવર તથા ચપળ હતાં કે તેમને મારવામાં કેટલાક લોકોના પ્રાણ ગયા તોપણ તેમાંથી એક પણ મૂવું નહીં. એ વાઘોની વાત દેવગઢના રાજાને કાને પડી, તેથી તેણે પોતાના બે છોકરા ભીમદેવ તથા શંકળદેવને તેમને મારવાને તથા લોકોને નુકસાન થતું બચાવવાને મોકલ્યા. ભીમદેવની ઉંમર આશરે રપ વર્ષની હતી અને બહાદુરીમાં તે રજપૂતના નામને એબ લગાડે એવો ન હતો. બીજો શંકળદેવ હતો તે રૂપમાં તથા શૂરાતનમાં ઈંદ્રના જેવો હતો, અને તેના ગુણો તથા સ્વભાવ ઊંચી જાતના રજપૂતને શોભા આપે એવા હતા. તે હજુ પરણેલો ન હતો, અને તેના ચિત્તને આકર્ષણ કરે એવી સુંદરી તેના જોવામાં હજુ આવી ન હતી. તેઓ બંને હાથી ઉપર સવાર થઈ બાણ, ભાલા વગેરે શસ્ત્ર સજી કેટલાંક માણસો સાથે લઈ નીકળ્યા; અને બે દહાડે બાગલાણની પડોશમાં તેઓએ મુકામ કૃયો. કરણ રાજાને પણ શિકારનો ઘણો શોખ હતો, તથા એવાં કામોમાં પડ્યાથી તેના દુઃખમાં થોડી વાર ઘટાડો થશે એમ જાણીને તેઓએ તેને સંદેશો મોકલ્યો, અને પોતાની સાથે આવવાની તેને વિનંતી કરી. કરણ રાજાએ પણ કાંઈ કામ જડે તો તેમાં પડી કાળ નિર્ગમન કરવાન ઠરાવ કર્યો હતો, તથા જે કામોમાં શૂરાતન દેખાડવાનો પ્રસંગ આવે તે કામો ઉપર તેને ઘણો શોખ હતો, તેથી શિકારમાં જવાને તેણે કબૂલ કર્યું. તેણે હજુ સુધી દેવળદેવીને વીલી મૂકી ન હતી, તેથી તેને એકલી રાખીને જતાં તેનું મન માન્યું નહીં. તેણે દેવળદેવીને પોતાની સાથે લીધી, અને હથિયાર બાંધીને તે ભીમદેવ તથા શંકળદેવને જઈને મળ્યો. પછી તેઓ સઘળા જે જંગલમાં પેલા વાઘો હતા ત્યાં ગયા; અને એક માંડવો તૈયાર કરાવીને તે ઉપર દેવળદેવી તથા કેટલાક માણસોને રાખી કરણ તથા દેવગઢના બે રાજપુત્રો જંગલમાં આગળ ચાલ્યા. ગામના કેટલાક લોકોએ ગાઢ ઝાડી-કોતરો આગળ જઈ મોટા અવાજ કર્યા, અને વાઘને ભય પમાડીને બહાર કાઢવાને ઘણી તરેહના પ્રયત્નો કર્યા. એટલામાં એક કિકિયારી કરી વાઘ એક છલંગ મારી બહાર નીકળ્યો, અને એક પંજાના સપાટાથી ગામના એક માણસને મરણતોલ કરી ભોંય ઉપર પાડ્યો એટલે બધા જીવ લઈને નાઠા. તેઓમાંથી એકની ગરદન પકડી તેને પણ મારી નીચે પાડ્યો, તે વખતે કરણે એક તીર માર્યું; પણ તેની ચપળતાને લીધે જ્યાં તાકીને માર્યું હતું ત્યાં ન વાગતાં તેને પૂંછડી આગળ જખમ લાગ્યો. વાઘે ખીજવાઈને દોડ કરી તે વખતે તે ત્રણ રજપૂતો સિવાય સઘળા નાસવા લાગ્યા. વાઘે આવી ભીમદેવના હાથી ઉપર તલપ મારી, અને જો તે જ ક્ષણે શંકળદેવે એક તીર મારી વાઘને પાછો પાડ્યો ન હોત તો તે હાથીનો નિશ્ચય કાળ આવત અને ભીમદેવની શી દશા થાત એ કહેવાત નહીં. પણ શંકળદેવના તીરનો ઘા તેના કલેજામાં વાગ્યો તેથી તે પડ્યો. તે જ વખતે ભીમદેવે નીચે ઊતરીને તેના મોંમાં એક ભાલો માર્યો, તેની સાથે લોહીનો ધોધ તેના મોંમાંથી નીકળ્યો, અને એક ભયંકર ચીસ પાડી તે જોરાવર વાઘ, તે વનના પશુઓનો રાજા, તે પ્રાણઘાતક પશુ, તે અગણિત હિંસા કરનારું જાનવર મડદું થઈ ચત્તુપાઠ પડ્યું. પણ તેની મરતી વખતની ચીસથી આખું રાખ ગાજી રહ્યું, અને તેનો અવાજ એક ભાગમાં તેની માદા પડેલી હતી ત્યાં સંભળાયો. પોતાના સ્વામીનો કોઈએ પ્રાણ લીધો તેનું વેર લેવાને ક્રોધના આવેશથી તેને છલાંગ મારી, અને વીજળીને વેગે દોડતી આવી. તેને મારવાને કોઈને વખત મળ્યો નહીં. એટલામાં તો તે માંડવા સાથે અથડાઈ, અને તેના ધણીને મારનાર માંડવા .પરના માણસો હશે એમ ધારી તેના એક ટેકાને તે વળગી. વાઘમાં જોર અતિશય હોય છે, અગર જોકે તે ઝાડ ઉપર ચઢી શકતો નથી તોપણ કોઈ નબળા-પાતળા ઝાડને તેના ઘણા જ સામર્થ્ય વડે તે તોડી પાી શકે છે. આ વખતે વાઘણે તે માંડવાના એક ટેકાને એટલા જોરથી આંચકો માર્યો કે તે આખો માંડવો એક મોટા અવાજ સાથે નીચે કકડી પડ્યો. તે ઉપર જે માણસો હતાં તેઓમાંથી કેટલાંક જીવ લઈને નાઠાં, કેટલાંકનાં શરીર આટલે ઊંચેથી પડવાથી એવાં તો બહેર મારી ગયાં કે તેઓથી તરત ઉઠાયું જ નહીં, અને બાકીનાં ભયથી એવાં બેભાન થઈ ગયાં કે તેઓને શું બનયું તેની કંઈ ખબર રહી નહીં. વાઘણે પોતાના પંજા વડે એ બે માણસોને સખત જખમી કર્યાં, અને દેવળદેવી બેહોશ જેવી પડી હતી તે ઉપર તરાપ મારવાની તૈયારી કરી. પણ જ્યારે આ પૃથ્વી ઉપરની અપ્સરા, આ નિર્દોષ છોકરી, આ કરણ રાજાના જીવનો આધાર, જિંદગી અને મોતની હદ ઉપર આવી પડી હતી, બલકે જ્યારે તે મૃતયુની અગાધ કરાડ ઉપર નિમાળાને આધારે લટકેલી હતી, જ્યારે તેને મદદ કરે એવું કોઈ દેખાતું ન હતું, તે વખતે પાસેની ઝાડીમાંથી એક માણસે આવી તે વાઘણ ઉપર તલવારનો ઘા કર્યો, અને જેવી તે પાછી ફરી તેના ઉપર હુમલો કરવાનું કરે છે એટલામાં તેના મોંની વકાશમાં તેણે ભાલો એવા જોરથી ખોસી ઘાલ્યો કે તે તેના દાંત પાડી નાાંખીને તેના તાળવામાં ભોંકાયો. એ ઘા તેને વાસ્તે બસ હતો. એક મોટી ભયાનક ચીસ પાડી તે તમરી ખાઈ નીચે પડી, અને પડતાંવાર તેના તલવાર વતી તે માણસે કકડેકકડા કરી નાખ્યા. જોખમનો વખત તો ગયો; મોતનું વાદળું ઘસાડઈ ગયું; ભરદરિયાના ભરે તોફાનમાંથી વહાણ લગભગ ભાંગી પડતું બચ્યું; તોપણ આવા અચાનક મોતના ભયથી તેને જે આંચકો લાગ્યો હતો, તેની અસર જલદીથી જતી રહી નહીં. દેવળદેવી કેટલીક વાર બેશુદ્ધ રહી, અને તેને જાગ્રત કરવાને ગમે કેટલા ઉપાય કામે લગાડ્યા તોપણ તેથી કંઈ વળ્યું નહીં. કરણ તો પોતાની અતિ વહાલી છોકરીને આવી અવસ્થામાં જોઈને ઘેલા જેવો થઈ ગયો, અને તેનાથી તો તેને શુદ્ધિમાં આણવાને કાંઈ બન્યું નહીં. શંકળદેવનું સઘળું તન અને મન એ કામમાં લાગેલું હતું, અને તેની મહેનત તથા અગણિત યુક્તિઓને લીધે જ તેને પાછી શુદ્ધિ આવી. જે વખતે દેવળદેવીએ આંખ ઉઘાડી, તયારે તેના પ્રાણ બચાવનાર શંકળદેવ ઉપર તેણે પોતાની નજર માંડી. તેટલી નજર શંકળદેવના મનનું હરણ કરવાને બસ હતી. તેની આંખમાં ઉપકાર તથા પ્રીતિ એ બંને એકઠાં મળેલાં હતાં, તેની અસર જલદીથી થઈ ગઈ. ધન્વંતરિ તથા લુકમાન હકીમોએ ઔષધનાં જુદાં જુદાં મિશ્રણો કર્યાં હશે, તેઓની અસર પણ આવી તત્કાળ થઈ નહીં હોય. એ દૃષ્ટિ પડ્યા પછી શંકળદેવની આખી જિંદગી જ બદલાઈ ગઈ; તે એક નવો જ માણસ થયો; અને નવા નવા વિકારો તેના મનમાં એક પછી એક આવવા લાગ્યા. તે સઘળાની એકઠી થયેલી અસર તેનાથી ખમાઈ નહીં, તેથી તે ગભરાટમાં ત્યાંથી નાસી ગયો અને એક ઝાડને ઓથે બેસી સ્વપ્નવત્‌ અવસ્થામાં કેટલીક વાર સુધી પડી રહ્યો.

વાઘ તથા વાઘણ મરાયાં, અને દેવળદેવીના હોંશ ઠેકાણે આવ્યા, એટલે ત્યાં વધારે વાર રહેવાનું પ્રયોજન રહ્યું નહીં, તેથી તેઓ સઘળાઓએ કૂચ કરી. ગામડાંના લોકો ખુશ થઈને પોતાને ઘેર ગયાં, અને ભીમદેવ તથા શંકળદેવ દેવગઢ તરફ વળ્યા. રસ્તામાં દેવળદેવી તથા શંકળદેવનું એકબે વાર સિવાય વધારે મળવું થયું નહીં પણતે એકબે વારમાં તે બંને જણની ખાતરી થઈ કે તેઓએ એકમેકનું મન ચોરી લીધું હતું, તથા તેઓ પોતાનું સુખ તથા શાંતિ તે જંગલમાં મૂકી આવ્યાં હતાં. પુરુષ કરતાં સ્ત્રી સ્વભાવે નરમ હોય છે, તેથી જ્યારે સ્ત્રીપુરુષ વચ્ચે સ્નેહ બંધાય છે ત્યારે તેની અસર સ્ત્રીના મન ઉપર વધારે થાય છે. સ્ત્રીના અંતઃકરણ ઉપર તે વધારે અમલ ચલાવે છે; સ્ત્રીને જે કાર્ય ઈશ્વરે સોંપેલું છે તેમાં પ્રીતિનો ઘણો ખપ પડે છે; વળી તે ઘરમાં એકાંતમાં બેસી રહે છે તેથી તેને એ બાબતના જ વિચાર કર્યા કરવાને ઘણો વખત મળે છે, તે કારણોને લીધે સ્ત્રીની છાતીમાં પ્રીતિ વધારે સજ્જડ મૂળ ઘાલી રહે છે. એથી ઊલટું પુરુષ વધારે કઠણ છાતીનો હોય છે, તેનામાં લોભ, દુનિયામાં વખણાવાની તથા પ્રતિષ્ઠા વધારવાની વૃત્તિ, વધારે જોરાવર હોય છે, તથા દુનિયા સંબંધી તેને ઘણાં કામકાજ કરવાનાં હોય છે, તેથી તેના અંતઃકરણ ઉપર કામની સત્તા તેટલી બળવાન થઈ શકતી નથી, એ જ કારણથી આ દેશમાં સ્ત્રીઓ પોતાના સ્વામી પ્રતયેનો અતિઘણો પ્યાર બતાવવાને તેની પાછળ સતી થતી હતી; એ જ કારણથી આ દેશની ઊંચી જ્ઞાતિની સ્ત્રીઓને તેમની આખી જિંદગીમાં એક કરતાં વધારે પુરુષ સાથે પરણવાનો પ્રતિબંધ કર્યો છે; અને એ જ કારણથી સ્ત્રીપુરુષની પ્રીતિ તૂટવાથી સ્ત્રીને વધારે દુઃખ થાય છે, અને કેટલીક વાર તેનો દેહ પણ પીડાઈ પીડાઈને તે પાડે છે. પુરુષને એ પ્રમાણે ક્વચિત જ થાય છે. કોઈપણ દેશમાં પુરુષુ પોતાની સ્ત્રીને માટે પોતાનો દેહ અર્પણ કર્યો હોય એવું આપણા જાણ્યામાં નથી. કોઈ દેશમાં એક સ્ત્રીના મરણ પછી બીજી સ્ત્રી પરણવાનો પુરુષન પ્રતિબંધ હોય તે પણ આપણે જાણતા નથી, તથા સ્ત્રીના મરણના દુફખથી તેનો ધણી પણ તેની પાછળ મરી ગયો, એવું આપણે ક્વચિત જ સાંભળ્યું હશે.

દેવળદેવીના અંતઃકરણમાં જે પ્રીતિ બંધાઈ હતી તે ઘણી જોરદાર હતી, તેની આ પહેલી જ પ્રીતિ હતી, અને જે વખતે તેના પ્યારનું ઝરણ ઊભરાવા લાગ્યું તે જ વખતે તેને ઝીલી લેવાને યોગ્ય એવું બીજું અંતઃકરણ તેને સુભાગ્યે જડ્યું. વળી તેની પ્રીતિમાં ઉપકાર પણ ભળેલો તેથી તેની સત્તા વધારે બળવાન થઈ હતી. દુનિયામાં માત્ર ઉપકારથી જ પ્રીતિ ઘણી વાર બંધાય છે, અને તે ઉપકારની સત્તા એટલી જોરાવર છે કે તેની નીચે આવી પડેલાં સ્ત્રીપુરુષો વય તથા અવસ્થા પર વિચાર નહીં કરતાં લગ્નની પવિત્ર ગાંઠથી સંધાય છે. દેવળદેવીના મનમાં શંકળદેવ જેવા જુવાન અને રૂપાળા પુરુષને જોવાથી, તથા તેના પ્રાણ બચાવનારનો ઉપકાર વાળવાના હેતુથી, જે પ્રીતિ ઉત્પન્ન થઈ તે ઘણી દૃઢ હતી, એ કેવળ સ્વાભાવિક જ હતું.

શ્રાવણ મહિનો આવ્યો. જગાએ જગાએ નાના છોડવાઓ વરસાદના પડવાથીદ ઊગી નીકળ્યા. જમીન ઉપર ઘાસની ખૂબસૂરત શેતરંજી પથરાઈ ગઈ. વાડીઓમાં શાક-તરકારીના વેલાઓ રોપવામાં આવ્યા. ફૂલો પણ સારાં સારાં ખુશબોદાર ઊગ્યાં. ખેતરો ચાસ પડેલાં તથા કેટલાંકમાં અનાજના નાના છોડો ઊગેલા દેખાતા હતા. ખેડૂત લોકો પણ કામમાં ફરતા હતા; તથા તેઓના બળદ લીલો ચારો ચરી તાજા થયેલા સાંજરે ધણણ ધણણ અવાજ કરતા પાછા આવતા હતા. ભેંસો ઘણી મગ્ન દેખાતી હતી, અને કાદવ તથા પાણીનાં ખાબોચિયાંમાં આખો દહાડો આળોટ્યા કરતી હતી. નદીનાળાં ભરપૂર થઈ ગયાં હતાં, અને રસ્તાઓ કીચડથી એવા ચીકણા થઈ ગયા હતા કે ગાડાં જઈ શકતાં ન હતાં. મુસાફરો ઘોડા અથવા બળદ ઉપર બેસીને જતા હતા. શહેરમાં રસ્તાઓ પણ કાદવ તથા પાણીથી તેવા જ ગંદા તથા દુર્ગંધવાળા થઈ ગયા હતા; અને લોકો તે પર વગર જોડે, ધાબળા અથવા કામળાના ઘૂમટા ઓઢીને ફરતા હતા. વરસાદનું જોર નરમ પડી ગયું હતું. આ મહીનામાં વખતે વખતે વાદળાં થઈ આવતાં, પણ વરસાદ ઝરમર ઝરમર જ આવતો.

એવા મહિનામાં એક દિવસે સાંજના દેવળદેવી પોતાની વાડીમાં સુંદર સુવાસદર ફૂલોથી ઢંકાયેલા એક માંડવામાં ઉદાસ વૃત્તિમાં પગ લાંબા કરી, તથા પોતાની શરીરનું કાંઈ ભાન ન રાખતાં અઢેલીને પડેલી હતી. તેનું આખું શરીર કામથી વ્યાપેલું હતું; તેની હરેક નસમાં કામથી મિશ્ર થયેલું લોહી વહેતું હતું; તેની આંખ કામવિકારથી ઘુમરાયેલી હતી; અને તેના સઘળા વિચાર તે જ વિષય ઉપર દોડતા હતા. વાડીમાં મંદમંદ શીતળ વાયુ વાતો હતો તેથી કામનો અગ્નિ ઠંડો પડવાને બદલે ઊલટો વધારે જોરથી બળતો હતો. નાના પ્રકારનાં ફૂલોની સુગંધ પવનની લહેરોની સાથે ઘસડાઈ આવતી તેથી ઊલટો મદમાં વધારો થતો, તથા ઈંદ્રિયસુખના ઉપભોગને માટે વધારે ઊલટ હતી. આકાશમાં વાદળીઓ ઘણા વેગથી દોડતી તેની સામે દેવળદેવી જોયા કરતી, તે તેના પ્રિય શંકળદેવની તરફ કાંઈ સંદેશો લાવે છે એવી મનગમતી કલ્પના કરતી, અથવા તે પોતાનાં બીજાં મનગમતાં વાદળાંને મળવાને ઘણી આતુર છે એમ મનમાં લાવતી. અરે ! જો તેને વાદળાંના જેવી ગતિ અથવા પક્ષીઓના જેવી પાંખ હોત તો તે તરત ઊડીને તેના પ્રાણપ્રિયને મળત. જેની આંખમાં કમળો થયો હોય તે સઘળું જ પીળું દેખે. તેમ જેની આંખમાં કામનો વિષય ભરાયો તે સઘળાંને કામાતુર દેખે છે. કેતકીનાં ફૂલોની આસપાસ ભમરા ઊડ્યા જ કરતા, અને તેમાંથી મધ ચૂસ્યા કરતા. ખરે, એ ભમરા જેવું કોઈ ભોગી નથી. તે પોતાની પ્રિયાની આસપાસ ફરતાં કદી થાકતા નથી. તથા તેની મીઠાશ ચાખતાં કદી ધરાતા નથી. પણ દેવળદેવી બિચારી કેવી અભાગણી કે તેનો પ્રિય દૂર પડેલો, અને તેનાં દર્શન સરખાં પણ દુર્લભ. તેનું અધરામૃત ઊભરાઈ જાું, પણ તેનું પાન કરવાને પાસે કોઈ ન હતું. અરે કેતકી ! તમે પણ દેવળદેવી કરતાં અતિ ઘણી ભાગ્યવાન છો. આંબાનાં ઝાડોની આસપાસ જે વેલા વીંટાયેલા હતા તે કેવા ચૂડ ભેરવીને વૃક્ષની અડોઅડ રહેલા હતા ? રખેને તેને કોઈ વછોડી નાખે, પણ દેવળદેવીનું કેવું દુર્ભાગ્ય કે તેને આવું આલિંગન આપવાને કોઈ ન હતું. વેલા અને સ્ત્રી એ બંનેને કાંઈ પણ આશ્રયની જરૂર છે. તે ન હોય તો તેઓ બંને કરમાઈને મરી જાય. વેલાઓને તો એવો આશ્રય તરત જ મળે છે, અને તેને ચૂડ ભેરવીને તેઓ રહે છે. અને વધે છે, અને ઘણી વાર તો તે આશ્રયથી જ તેઓનું પોષણ થાય છે. સ્ત્રીને પણ આવો આશ્રય મળે તો ખરો, પણ ઘણી વાર તેને મનગમતો તે મળતો નથી, અથવા તેથી તેનું બરાબર પોષણ થતું નથી. મોર પોતાનાં રંગબેરંગી પીંછાં વિસ્તારીને કળા કરીને નાચતા હા. તેને તે વખતની મજાથી આનંદ ઉપજતો હતો, અને તેની ખુશીમાં ભાગ લેનાર ઢેલો તેના જેવી રૂપાળી તો નહીં પણ જેવીતેવી, ત્યાં ફરતી હતી. જ્યારે ઢેલ સરખી કુરૂપ માદાને આવો રૂપાળો નર મળે, અને તેઓ શ્રાવણ સરખા રમણીય માસમાં મઝા કરે ત્યારે દેવળદેવી કેવી પાપણી કે તેનું અનુપમ રૂપ છતાં પણ તેની સાથે ગેલ કરવાને તથા તે ઋતુનું સુખ ભોગવવાને કોઈ ન હતું. પક્ષીઓ પણ આનંદથી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર નાના પ્રકારના મીઠા સ્વર કાઢીને ઊડતાં હતાં, અને તેમના મધુર નાદથજી આખી વાડી ગાજી રહી હતી. તેઓની ખુશીને કાંઈ હદ ન હતી; બિચારી દેવળદેવી એકલી પોતાના વહાલાના વિયોગથી મહા પીડામાં દેખાતી હતી, અને પક્ષીઓની અવસ્થા ઉપર અદેખાઈ લાવી ઉત્તમ માનવીદેહનો ત્યાગ કરી. પક્ષીઓનો દેહ ધારણ કરવાને તે પરમેશ્વર પાસે માગતી હતી. તેની પાળેલી હરણી પાસે આવી, અને હંમેશના ધારા પ્રમાણે તે તેના ઉપર હાથ ફેરવશે, અથવા બીજી ઘણી રીતે લાડ લડાવશે, એવી આશા રાખી ત્યાં ઊભી રહી, પણ તેની આશા સફળ થઈ નહીં. તે બિચારી તેની સદાની સોબતી પાસે ઊભી જ રહી, પણ તેના ઉપર એક પ્રેમદૃષ્ટિ પડી નહીં. તે બિચારી શું જાણે કે તેના પાલકની સઘળી પ્રીતિ એક ઠેકાણે એકઠી થઈ ત્યાં જ બંધ થયેલી હતી, તેમાંથી તેના ઉપર કેવી રીતે નીકળે ? અંતે તેનું નિરાશ, ગરીબડું મોં જોઈને દેવળદેવીને દયા આવી, અને તેના ઉપર હાથ ફેરવી તે બોલી : ‘‘અરે ! તું પણ મારા જેવી જ અભાગણી છે. તને પણ કોઈ નર નથી, અને તે કોઈ દહાડો મળશે એવો તું જ્યાં સુધી મારી પાસે રહેશે ત્યાં સુધી સંભવ પણ નથી, માટે હું તેને થોડા દહાડામાં છોડી મૂકીશ, તું જંગલમાં ફરતી ફરજે, અને તારી જાતના નર સાથે જેટલું અને જેવું સુખ ભોગવાય તે ભોગવજે. પણ હજી મારા કરતાં તું વધારે સારી છે. તું મરી સાથે ગેલ કરે છે, અને મારી પ્રીતિથી સંતોષ માનીને સદા આનંદમાં રહે છે. પણ મારી સાથે પ્રીતિ કરનાર કોઈ જ નથી. અને મને કોઈ લાડ લડાવનાર મળવાનો પણ નથી.’’ એટલામાં વાદળાં ચઢી આવ્યાં, અને સઘળે ઘોર ઘટા થઈ રહી. ઝરમર ઝરમર વરસાદ આવવા લાગ્ય. ફૂલોએ પોતાનાં મોં આકાશમાંથી અમૃત પડતું હતું તે ઝીલવાને ઉઘાડ્યાં. પક્ષીઓ જે ઊડતાં તથા ગેલ કરતાં હાં તેઓ ઝાડોમાં ભરાઈ ગયાં. મોર વધારે કળા કરી તથા વધારે આનંદ પામી નાચવા લાગ્યા. હરણી પણ ખુશીના આવેશથી તેની પાસેથી કૂદતી નાસી ગઈ. તે સ્થળે તો દેવળદેવી અને વરસાદ એ બે જણાં એકલાં રહી ગયાં. શું આ વરસાદના પાણીથી તેના મનની આગ હોલવાય ? કદી નહીં. જેમ બળતા ઉપર થોડું થોડું પાણી પડવાથી તે વધારે જાગ્રત તથા પ્રદીપ્ત થાય છે, તેમ દેવળદેવીના અંતકરણમાંનો તાપ વૃષ્ટિ પડવાથીો વધારે જુસ્સાથી બળવા લાગ્યો. આસપાસ ઝાડીઓમાંથી કોયલ મીઠા શબ્દ કાઢતી હતી, અને સઘળાં પક્ષીઓને છેલ્લા રામરામ કરતી હતી. પપૈયા પીઉ પીઉ કરી દેવળદેવીને શંકળદેવનું સ્મરણ કરાવતા, તથા તેની છાતીમાં ઘા મારતા હા. દેડકાઓ પગ ખાબોચિયાંમાંથી તેઓનો બેસૂરો અને કઠોર નાદ સંભળાવતા હતા. સઘળે ઠેકાણે આનંદ આનંદ થઈ રહ્યો હતો. પણ કામથી પીડિત સ્ત્રીને આવા રળીયામણા દહાડામાં સ્વામી વિના શી રીતે સંતોષ થાય ? તેના મનની આગ કેમ હોલવાય ? અરે કવિઓ ! તમે કામદેવનાં બાણ ફૂલનાં બનેલાં કલ્પો છો પણ એ જૂઠું છે. કદાપિ તે ફૂલોનાં બનેલા હશે, તોપણ તેઓમાં ઘણા તીક્ષ્ણ કાંટાઓ છે, તેથી જ્યારે તેઓનાં અંતઃકરણને લાગે છે ત્યારે તે કાંટાઓ ભોંકાઈ જાય છે, અને તેના ઘા રૂઝવા ઘણા કઠણ થઈ પડે છે. દેવળદેવીની છેક આવી અવસ્થા થઈ હતી. એ દુફખની વખતે સમાન વયની સખીઓ આગળ દિલનો ખુલાસો કર્યાથી જે શાંતિ થાય છે તેમ કરવાને પણ દેવળદેવીને કોઈ ન હતું. આ વખતે તેની મા હોત તોપણ સારું. તેની તીક્ષ્ણ દૃષ્ટિ તેનાં અંતઃકરણમાં ઠેઠ સુધી પહોંચત; અને તેનો ગુપ્ત ભેદ જાણી તેનું દુઃખ મટાડવાને તે કાંઈ ઉપાય કરત. તેની મોટી બહેન પણ મરી ગઈ હતી. તે હોત તોપણ તેની આગળ તેના મનનો ઊભરો ખાલી કરત, અને તેનો ઈલાજ કદાપિ તેનાથી થાત નહીં. તોપણ એ વિષેની વાતો કરવાથી જ તેના મનને કાંઈક સંતોષ ઊપજત. તેને બીજી કોઈ સખીઓ પણ ન હતી, એટલે તે હંમેશા મૂંઝાયા કરતી. આવે વખતે તે પોતાનું દુઃખ તેની એક દાસીને કહેત, પણ તે તો ઘરડી થઈ ગઈ હતી, અને તેનું દિલ હવે જુવાન સ્ત્રીના કામવિષયમાં કેમ લાગે ? વળી એ બાબતમાં જુવાન તથા વૃદ્ધ સ્ત્રીઓના વિચાર મળતા આવે જ નહીં. તેઓને એ વાતમાં સમાન ભાવ થતો જ નથી; અને તે કેમ થાય ? ધગધગતા અંગારા અને બરફનો સંયોગ શી રીતે થાય ? બે સામસામી દિશાનાં બળો એકબીજાનું કાર્ય તોડી નાખે છે એવો સૃષ્ટિનો નિયમ છે, ત્યારે આવી વખતે દેવળદેવીને તેની વૃદ્ધ દાસી કાંઈ કામ લાગી નહીં. તેનો બાપ એકલો રહ્યો, પણ તે તો બિલકુલ નકામો, તે એ વાતમાં શું સમજે ? અને સમજે તોપણ તેની આગળ કાંઈ કહેવાય પણ નહીં, અને કહેવાય તોપણ તેની જરા પણ કદર તે જાણે નહીં. અને ઊલટું કામ બગડે એ વિષેના વિચાર દેવળદેવીને થતા, તેની સાથે તેને વારેવારે બીજો પણ એક સંશય પડ્યા કરતો. જેવી હું શંકળદેવને વાસ્તે પ્રીતિથી પીડાઉં છું, તેવો તે પીડાતો હશે કે નહીં ? આ મારો પ્યાર એકતરફી હશે કે અન્યોન્ય હશે ? હું જ્યારે પરમેશ્વરની પેઠે તેનું નિરંતર સ્મરણ કર્યા કરું છું, ત્યારે તે કદાચ બીજા કામોમાં પડી મને લગાર યાદ પણ કરતો નહીં હોય; કદાચ તેનું મન કોઈ બીજી સ્ત્રીએ હરણ કર્યું હશે; કદાચ તેનું અંતઃકરણ પ્રીતિથજી વિરક્ત હોય; કદાચ તેને મારું રૂપ તથા ગુણ ગમતાં નહીં હોય. જો એમ હોય, (અરે પરમેશ્વર ! એમ ન હોય તો કેવું સારું) તો આ બધી કેવળ વ્યર્થ પીડા હું ભાગવું છું. પણ એમ હોય તો નહીં એવો વિચાર કરવામાં જ હું પાપ કરું છું. મારું અંતઃકરણ માંહેથી સાક્ષી પૂરે છે, મારા મનમાં સ્વાભાવિક રીતે પ્રેરણા થાય છે કે એમ નજી. પ્રીતિ અન્યોન્ય છે; તે પણ મારે વાસ્તે વલખાં મારે છે; તે પણ કામની મહાવ્યાથામાં પડેલો છે; તેને પણ મારી પેઠે અન્ન ભાવતું નથી; તેના અંતઃકરણમાં પણ મારી છબી જડાઈ ગઈ છે. હવે તેનો અને મારો મેળાપ એક વાર પરમેશ્વર કરાવે તો કેવું સારું ! હું ફરીથી તેને છોડું નહીં, હું તેની આગળ મારો સઘળો ઊભરો કાઢું અને મારા તરફ તેની વૃત્તિ કેવી છે તે સહેજ જાણી લઉં.

એવી રીતે દેવળદેવી વિચાર કરતી હતી તે વખતે પાસેના ખેતરમાંથી આવતો મોરલીનો નાદ તેણે સાંભળ્યો. મોરલીનો સ્વર હમેશાં ઘણો મીઠો લાગે છે, તેમાં વિશેષે કરીને જ્યારે ચોમાસાના દહાડામાં વરસાદ ઘેરાયેલો હોયછ તે વખતે તેના મધુર સ્વરથી જીવને ઘણો જ આનંદ ઊપજે છે. જેમ શ્રીકૃષ્ણની મોરલીના મોહ ઉત્પન્ન કરનાર નાદથી વ્રજની તમામ ગોપીઓ ગાંડીઘેલી જેવી થઈ જઈ તેઓની શુદ્ધબુદ્ધ ભૂલી જતી, તેમ આવે વખતે તે વાંસળીનો નાદ દેવળદેવીને કાને પડ્યો કે તરત તે આકુળવ્યાકુળ થઈ ગઈ. કામની પીડા વધારે જોરથી લાગવા માંડી. તથા તેના મનનો જુસ્સો ઘણો વધી ગયો. પણ આ ક્ષોભમાંથી તે સ્વસ્થ થાય છે, એટલામાં વાડીના કોટ ઉપરથીફ કોઈ પુરુષે ભૂસ્કો માર્યો અને એક ક્ષણમાં દેવળદેવીની સન્મુખ તેનો પ્રિય શંકળદેવ, ખરેખરો, અસ્થિ, માંસ અને ચર્મવાળો ખુદ જાતે આવી ઊભો રહ્યો. આમ અકસ્માત મેળાપ થઈ જશે, એવી દેવળદેવીને બિલકુલ આશા ન હતી, તેથી આશ્ચર્યને લીધે તે મૂર્છાગત થઈ ભોંય ઉપર પડી. શંકળદેવ પોતાની પ્રાણસમાન વહાલીને આવી અવસ્થામાં જોઈને ઘણો ગભરાયો, પણ ધીરજ રાખી તેને જાગ્રત કરવા અનેક ઉપાયો કરવા લાગ્યો. થોડીવારમાં તેને શુદ્ધિ પાછી આવી, અને તે બંને પ્રેમીજનની આંખો મળી. તેમના તે વખતના સુખનું કોણ વર્ણન કરી શકે ? ફકીર, સંનયાસી, સાધુ વગેરે બીજા આ દુનિયાનો તિરસ્કાર કરનાર જેઓ જગતમાં હમેશાં નઠારું જ જોયા કરે છે, તથા જેઓ માણસની સ્થિતિમાં દુઃખ સિવાય બીજું કાંઈ જોતા જ નથી, તેઓએ જાણવું જોઈએ કે દુનિયામાં ઘણુંખરું નઠારું દેખાય છે એ વાત ખરી, તોપણ તેમાં ઘણે ભાગે સારું પણ છે; અને અગર જો જગતમાં માણસો ઉપર અગણિત દુઃખો આવી પડે છે તોપણ તેમાં કેટલાક સુખના પ્રસંગ પણ છે. તેમાં મુખ્ય, પવિત્ર પ્રીતિના બંધનથી બંધાયેલાં સ્ત્રીપુરુષનો સમાગમ એ એક છે. આ બે શરીરે જુદાં પણ એક જ મનવાળાં, શંકળદેવ તથા દેવળદેવી એકઠાં મળ્યાં તો ખરાં, તોપણ તેઓએ એકબીજાને જે કાંઈ કહેવાનું ધાર્યું હતું તે તેમનાથી કહેવાયું તો નહીં; એટલું જ નહીં પણ કેટલીક વાર સુધી તે બેમાંથી કોઈના મોંમાંથી એક શબ્દ સરખો પણ નીકળી શક્યો નહીં; તેઓ બે મૂંગા જ ઊભાં રહ્યાં એમ કહીએ તો તે ખોટું કહેવાય, કેમ કે અગર જો તેઓ અવાચક્‌ ઊભાં રહ્યાં હતાં તોપણ તેઓની આંખ પોતાની જુદી જ ભાષામાં વાતચીત કરવા મંડી પડી હતી. મોંની વાચા કરતાં આંખની ગૂઢ ભાષામાં વધારે અર્થ રહેલો હોય છે; તેની અસર વધારે લાગે છે; તે વધારે ટૂંકી મુદતમાં મનના સઘળા વિચાર સમજાવી શકે છે. શબ્દથી ન થઈ શકે તેટલી આંખની ઈશારતથી તેઓએ એકબીજાને ખાતરી કરી આપી કે તેઓની પ્રીતિ અન્યોન્ય હતી; તેઓ બંનેનાં હૃદયમાં સરખા જ વિચાર ચાલતા હતા; તથા તેઓ બંને સુખને અથવા દુઃખને વાસ્તે પોતાનાં નસીબ મેળવવાને રાજી હતાં. પણ તેઓનું અંતઃકરણ ઊભરાઈ જતું હતું. તે ઊભરો બહાર કાઢવો જરૂરનો હતો, અને તે કામ મોંથી જ સારી રીતે થઈ શકે એમ હતું. પહેલું શંકળદેવે બોલવું શરૂ કર્યું, અને ત્યર પછી દેવળદેવી હિમ્મત પકડીને બોલી. તેઓ બંનેની વચ્ચે શી વાતચીત થઈ તે આ ઠેકાણે લખવાની જરૂર નથી પ્યારની અસરથી માણસ ઘણું વાચાળ થાય છે. અને તેવે વખતે માણસ જેવી રીતે તથા જેટલું બોલી શકે છે તેવી રીતે તથા તેટલું બીજી કોઈ વખતે બોલી શકતું નથી. માટે તે વખતે જે વાત તેઓની વચ્ચે થઈ તેની કલ્પના વાંચનારાઓએ કરી લેવી. તેઓનો પ્યાર સાધારણ લોકોના પ્યાર કરતાં જુદી જ તરેહનો હતો; તેમાં વિષયવાસનાનો જેમ બને તેમ થોડો ભેગ હતો; તેની અસર આ લોકની પ્રીતિ કરતાં પરલોકની પ્રીતિને વધારે મળતી હતી. તેમની પ્રીતિ આવી સ્વચ્છ તથા પવિત્ર હોવાને લીધે જ શંકળદેવને દેવળદેવીના શરીરને માટે એટલી તો મર્યાદા રહી હતી કે તેને તે આ દુનિયાની નહીં પણ સ્વર્ગની ગણતો, અને તેવી જ રીતે તેની સામે માનપૂર્વક તે ઊભો રહ્યો હતો કે તેના સદ્દગુણોને માટે શંકળદેવનો અભિપ્રાય એટલો ઊંચો હતો કે તેને વિષે મનમાં કુવિચારનો પડછાયો પણ પડવા દેવો અને નરકના ઊંડામાં ઊંડા ખાડામાં તરત પડવું એ બરોબર છે એમ તે જાણતો, અને તેથી જ તેની પવિત્રતા જરા પણ માલિન ન થાય એ વિષે તેના મનમાં એટલી તો ફિકર હતી કે તેના નિર્મળ નામને લેશમાત્ર કલંક લાગે તે કરતાં તેના જેવા લાખો માણસોનો નાશ થાય તે વધારે સારું, એવો તેનો દૃઢ સંકલ્પ હતો. વળી આવી નિરાશ્રિત અવસ્થામાં આવી પડેલી અબળાને મોહના ફાંદામાં નાંખવી, તથા લાલચના રસ્તામાં જાણી જોઈને ફસાવવી, એ પુરુષ નામ ધારણ કરનારનું લક્ષણ કહેવાય નહીં. એવું જે કરે તે માણસ નહીં પણ પશુ સમજવો. જે પોતાના મન ઉપર એટલી સત્તા રાખી શકતો નથી તે મરદ નથી પણ બાયલો જ છે, તેમાં વળી તે ક્ષત્રિય તો ક્યાંથી જ કહેવાય ? શંકળદેવે પણ પુરુષ નામને જે યોગ્ય ગણાય તે જ કર્યું. છેલ્લી વારે જ્યારે એકમેકથી છૂટાં પડવાનો વખત થયો તયારે તેઓ બંને પાસે ઊભાં રહ્યાં અને આકાશ તરફ મોં કરી તથા એકેએકના હાથ પકડી નીચે પ્રમાણે તેઓએ પ્રતિજ્ઞા લીધી :

‘‘હે સૂર્યદેવતા ! તારું તેજ સર્વત્ર પડે છે, તથા તું માણસોનાં બહારનાં કામો તથા માંહેના વિચારો જાણે છે. હે વનના દેવો ! તમે આ વાડીમાં આવા રળિયામણા વખતમાં ફરતા હશો, તથા આ અમારો પવિત્ર કોલ થતો જોવાને આવ્યા હશો. વાયુદેવતા ! તું પવનની હરેક લહેરમાં ફરે છે તથા માણસોના હરેક કામને જુએ છે. વરુણદેવતા ! તું અહીંનાં નદીનાળાંનું રક્ષણ કરવાને હાજર જ હોઈશ. હે વાયુમાં વસનારા અગણિત ગણો તથા કનિષ્ઠ દેવો ! તમે દુનિયા સંબંધીનું સઘળું કામકાજ કરો છો, તથા હે તેત્રીસ કરોડ દેવતાઓ ! તમે તમારાં દેવી ચક્ષુઓ વડે ગમે ત્યાં હશો તોપણ આ અમારો મેળાપ જોઈ શકતા હશો. અંતે હે સર્વવ્યાપક અને સર્વજ્ઞ પરમેશ્વર ! તારા એક મોટા મંદીરમાં અમે પ્રતિજ્ઞા લીઈએ છીએ. તારા હુકમ સિવાય એક ઘાસનું તણખલું પણ હાલી શકતું નથી, તથા તારા જાણ્યા સિવાય કાંઈ પણ કામ થઈ શકતું નથી. તમે સઘળા દેવોની સમક્ષ અમે બે શંકળદેવ તથા દેવળદેવી, પ્રતિજ્ઞા કરીએ છીએ કે જે દૃઢ પ્રીતિ અમારા બેની વચ્ચે બંધાઈ છે તેને વધારે દૃઢ કરવાને, પ્રીતિ વડે આ દુનિયામાં જે સુખ પ્રાપ્ત થઈ શકે તે ભોગવવાને, પુરુષ તથા સ્ત્રીના સંયોગથી જગતની વૃદ્ધિ થાય છે તે નિયમ અમલમાં લાવવાને, તથા પ્યારનો ભંડાર ઈશ્વરે અનંત ડહાપણથી અમરા અંતઃકરણમાં મુકેલો છે તેનો યથાયોગ્ય તથા સારે રસ્તે ઉપયોગ કરવાને, અને આ અમારું તન, મન અને ધન આ દુનિયામાં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી મેળવવાને અમે બે જણ આજે પ્રતિજ્ઞા કરીએ છીએ. આજથી અમારું એક સ્વરૂપ જાણવું, તથા સુખ અથવા દુઃખ જે સંસારમાં પડે તે અમારે સમાન ભાગે વહેંચી લેવું. આજથી અમારે અમારા સ્ત્રીપુરુષના ધર્મ પ્રમાણે વર્તવું. અને જગતમાં પોતે સુખી રહી બીજાઓને સુખી કરવાનો પ્રયત્ન કરવો, આ અમારા કોલ ઉપર જગકર્તા ઈશ્વર ! તું મહોર કરજે, તથા હે તેત્રીસ કરોડ દેવતાઓ ! તમે સાક્ષી કરજો; એટલે જો એ પવિત્ર કોલથી અમે ફરીએ તો અમે અમારા બાપદાદાના, અમારી જાતના તથા પ્રાણીમાત્રના ધર્મથી ફર્યા એમ જાણવું, ને એ અઘોર પાપને માટે નરકમાં જે મોટામાં મોટી શિક્ષા છે તેને અમે ખરેખરાં પાત્ર થયાં એમાં કાંઈ સંશય નથી. માટે રે અનાથના નાથ, રે દીનદયાળ પ્રભુ; રે જગતનું પ્રતિપાલન કરનાર ! તું નીચે જોઈને આ અમારા નવા સંબંધને પવિત્ર કર. તું તેને આશીર્વાદ દે; તેનાં ફળ સુખરૂપ થાય એવું નિર્માણ કર; અને અમારી બંનેની સઘળી આશા સફળ કર. એ અમારી ખરા અંતઃકરણની પ્રાર્થના છે તે તું અપાર દયાવાન તથા અનંત પ્રીતિયુક્ત જગતનો પિતા સાંભળી લઈ માનય કરજે.’’

એ પ્રમાણે પ્રતિજ્ઞા કર્યા પછી તેઓ બંનેનાં મનને શાંતિ થઈ અને તેઓનાં અંતઃકરણ ઉપરથી હજારો મણનો બોજો ખસી ગયો હોય, એવું ચેન થયું. પણ હવે તેઓએ જૂદાં પડવું જોઈએ. દેવળદેવીનો જમવાનો વખત થઈ ગયો તેથી તે જો જલદી ઘરમાં ન જાય તો કોઈ માણસ તેડવાને આવે, અને આ સઘળી વાત જણાઈ જાય, માટે હવે જવું જોઈએ. પણ એક કેમ થાય ? એ તો કહેવું જ ઘણું સહેલું છે. આવી અવસ્થામાં જુદાં તે કેમ પડાય ? પ્રિયજન એકઠાં મળે ત્યારે એક દહાડો એક પળના જેવો લાગે છે, ત્યારે આ એક કલાકના મેળાપથી તે બંનેમાંથી કોઈનું મન કેમ તૃપ્ત થાય ? પણ હવે તો જવું જોઈએ અમૃત પીતાં કોણ ધરાયું છે ? વિયોગ એ ભયંકર શબ્દ છે. આ દુનિયા એટલી તો અનિશ્ચિત છે, સઘળાં ાછળ મોત એવું તો ભમ્યાં કરે છે, તથા માણસોનાં ધારેલાં કામોને અટકાવવાને તથા તેઓની વહાલામાં વહાલી આશાઓનો ભંગ કરવાને એટલા બધા બનાવ બને છે કે ટૂંકી મુદત સુધી જુદાં પડવામાં પણ ઘણી વાર નિરંતર જુદાં પડવાનું થાય છે. કદાચ દેવળદેવી તથા શંકળદેવનો મેળાપ આ છેલ્લો જ થાય. એ ભયથી તેઓને ઘણો શોક ઉત્પન્ન થયો. પણ અંતે લાચાર ! પરમેશ્વર ઉપર તથા પોતાના ભાગ્ય ઉપર ભરોસો રાખી બંને છૂટાં પડ્યાં તેઓ ફરી પાછાં મળશે કે નહીં તે આગળની વાત ઉપરથી જણાશે.

ચેન તથા નિશ્ચિંતપણામાં દહાડા જતાં વાર લાગતી નથી, તેમ દેવળદેવીને થયું. તેના પ્રાણપ્રિયની સાથે મેળાપ થયો તે જાણે ગઈ કાલે જ થયો હોય એમ તેને લાગતું હતું. એટલામાં એક દહાડો દેવગઢથી એક ભાટ તથા રાજગોર બાગલાણના કિલ્લામાં આવ્યા. કરણ રાજાએ તેઓનો ઘણો સત્કાર કર્યો, અને તેઓને આવવાનું કારણ પૂછ્યું ભાટે કેટલીક ભાટાઈ કર્યા પછી દેવગિરિના રાજ્યનો વિસ્તાર, તેની દોલત વગેરે વૈભવનાં ઘણા વિસ્તારે વખાણ કર્યાં. અન પછી શંકળદેવને યુધિષ્ઠિર, અર્જુન, વિક્રમ, ભોજ, આદિ ઘણા નામાંકિત, સદ્દગુણી તથા પરાક્રમી રાજાઓની ઉપમા આપી, અને વાઘના શિકારના દહાડાથી તે વાડીના મેળાપના દહાડા સુધી જે જે બનયું હતું તે વર્ણવ્યું, દેવગઢના રાજા સાથે સંબંધ કરવાથી જે જે લાભ થશે તે સઘળા કહી સંભળાવ્યા, અને છેલ્લે શંકળદેવને વાસ્તે દેવળદેવીની માગણી કરી.

કરણ રાજાને આ ભાટની વાત સાંભળીને ઘણો ક્રોધ ચઢ્યો. તેના મોં ઉપર લોહી ચઢી આવ્યું. અને તે રીસે ભરાઈને બોલ્યો : ‘‘અરે ભાટજી ! જો હું મારું સઘળું રાજ્ય ખોઈ બેઠો છું, મારી પરમ પ્રિય સ્ત્રીને બળાત્કારે દિલ્હીના મ્લેચ્છ પાદશાહ પાસે ઘસડી ગયા છે, નિર્ધન, અશક્ત તથા રામદેવના આશ્રયમાં આવી રહ્યો છું, તોપણ હું હજી તમે ધારો છો એટલો અધમ થયો નથી. હજી મારામાંથી રજપૂતનું લોહી ગયેલું નથી. હજી મારો ક્ષત્રિયનો ટેક કાયમ છે; માટે તમારા કહેવા પ્રમાણે હું કદી કરનાર નથી. શું વાઘેલા રજપૂતે પોતાની કન્યા એક મરેઠા સાથે પરણાવવી ? શું હંસણીને કાગડાના ટોળામાં ભેળવવી ? શું ગાયને ગધેડામાં સામેલ કરવી ? એમ કદી થનાર નથી. તમારો રાજા ગમે તેવો મોટો હશે. તમારું રાજ્ય ગમે તેટલું બળવાન, ધનવાન તથા વિસ્તીર્ણ હશે, તથા શંકળદેવમાં સઘળા દેવતાના ગુણો એકઠા થયા હશે, તોપણ તે મરેઠો, તે રજપૂતની કન્યા વરવાને યોગ્ય નથી. મારા પડતા દહાડામાં સઘળા મારું અપમાન કરે છે; હવે છેલ્લો વારો રામદેવનો આવ્યો. તેણે પણ હવે કાંઈ કસર રાખી નહીં. હજી મારામાં સામર્થ્ય છે, હું જીવું છું, અને જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી મારા નામને, મારા કુળને તથા મરી જાતને કદી કલંક લગાડવા દઈશ નહીં. આ ઊંચા કુળની કનયા નીચ કુળના વરને પરણાવું ? મારા ઉપર આથી વધારે આફત આવી પડે, મને કાપીને કકડા કરે, તોપણ હું એમ થવા દઉં નહીં. અમારા લોકો પંત્રીના જન્મથી ઘણો શોક કરે છે તે વાજબી છે. તેઓ પોતાની આબરૂને ડાઘ ન પડવા દેવાને કુમળા બાળકની હત્યા કરે છે તેમાં તેઓનો કાંઈ વાંક નથી. મરેઠા જોડે રાજકન્યાનાં લગ્ન કરવાં ? આકાશ તૂટી પડે, પૃથ્વી રસાતાળ જાય, તોપણ હું તેમ થવા નહીં દઉં. માટે તમારા રાજાને કહેજો કે તમે મારું ઘણું જ અપમાન કર્યું છે; તમારી આશા કદી સફળ થવાની નથી; તેથી તમારું બોલવું કદી પ્રમાણ થવાનું નથી. શંકળદેવ તથા દેવળદેવીએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હશે તે રદ છે. દેવળદેવીનો મારી રજા સિવાય કાંઈપણ પ્રતિજ્ઞા કરવાને અખત્યાર નથી. તે હજી નાદાન છે તેથી તેનું કરેલું મંજુર થાય હીં; માટે મારી સાફ ના છે તમે ઘણું કરશો તો મને આ જગાએથી કાઢી મુકશો, પણ તેથી હું બીતો નથી. ચોખંડ પૃથ્વી પડી છે તેમાં ગમે તે એક ખૂણામાં પડી રહી મરી આવરદા પૂરી કરીશ; પછી મરા મૂઆ પછી જે કરવું હોય તે કરજો.’’ એટલું કહી તેણે ભાટ તથા રાજ્યગોરને વિદાય કર્યા.